Wednesday, December 29, 2010

કાંદાયણ

સામાન્ય રીતે ડુંગળી ખરીદો પછી તેને સમારો ત્યારે આંખમાં આંસુ આવે છે પણ અત્યારે તો ડુંગળી સમાર્યા પહેલાં કેવળ ખરીદવા જતી વખતે તેના ભાવ સાંભળતા જ આંખમાં આંસુ આવી જાય છે.

* * *

એક વખતે આપણા સર્વોચ્ચ નેતા મોરારજીભાઈને ઈન્દિરા ગાંધીએ તેમના ખાસ શોખ પ્રમાણે કેબિનેટમાંથી પડતા મૂક્યા હતા. ત્યારે મોરારજીભાઈએ ભારે હૈયે કહેલું મને ડુંગળી બટાકાની જેમ ફેંકી દીધો. હવે ડુંગળી બટાકાને તે હૈયે લગાડવાના અર્થમાં વાપરી શકાય. જો ઉમા ભારતી ભાજપમાં વાપસી કરે તો ભાજપે તેમને ડુંગળી બટાકાની જેમ ગળે લગાડયાં તેમ કહી શકાય.

* * *

કુંવરી અને કાંદામાં કોઈ સામ્ય ખરું? કુંવરી માટે લોકકથામાં કહેવાય છે તેમ રાતે ન વધે એટલી દિવસે વધે, અને દિવસે ન વધે તેટલી રાતે વધે. કાંદાની કિંમતમાં પણ એવું છે. દિવસે ન વધે તેટલી રાતે વધે, રાતે ન વધે તેટલી દિવસે વધે.

* * *

“પેલા મહેન્દ્ર જોષીને દલ્લો લાગ્યો લાગે છે.”

“કેમ એમ લાગ્યું?”

“માળો રોજ ડુંગળી ખરીદતો હોય છે.”

મોહનભાઈ તેની દીકરી માટે વરની શોધ કરતા હતા. તેમણે જગનને પૂછયું,

“જગનભાઈ, દીકરી માટે મહાસુખભાઈનો દીકરો કેવો?”

“કરો કંકુના. ખમતીધર કુટુંબ છે. એમના ઘેર જમવામાં રોજ કાંદા તો હોય જ છે.”

* * *

એક અખબારે જાહેરાત કરી. આ વખતે ગિફ્ટ કૂપન સામે પાંચ કિલો કાંદા અપાશે.

એ અખબારના સરક્યુલેશનમાં પણ કાંદાના ભાવની જેમ જ વધારો થયો છે.

* * *

એક હોટેલવાળાએ જાહેરાત કરી છે.

કાંદા - લસણ કેન્સલ વાનગી ઉપર ખાસ કન્સેશન અપાશે.

* * *

શરદ પવાર ક્રિકેટ બોર્ડના પ્રમુખ છે અને ખેતીપ્રધાન પણ છે. એ રીતે તેઓ ‘ફીલ્ડ’માં તો છે જ. ઘણાં તેમને ખેતીપ્રધાન દેશના પાર્ટ ટાઈમ કૃષિપ્રધાન કહે છે. તેમણે જાહેરાત કરી છે. હવે દસ દિવસમાં ડુંગળીના ભાવ ઘટશે. અગાઉ ખાંડના ભાવ વધતા હતા ત્યારે એક પ્રશ્નના જવાબમાં પત્રકારોને કહેલું, “હું કોઈ જ્યોતિષ નથી કે ખાંડના ભાવ ક્યારે ઘટશે તે કહી શકું”.

હવે તેઓ ડુંગળીના ભાવ અંગે કહેવા લાગ્યા છે. શું તેમણે જ્યોતિષવિદ્યાનો કોઈ શોર્ટટાઈમ કોર્સ કરી લીધો હશે?

* * *

શેરીમાં ભિખારી ભીખ માગી રહ્યો હતો.

“મા-બાપ, આ ગરીબને કોઈ એકાદ

કાંદો તો આપો”.

* * *

‘બૂટપોલિશ’ ફિલ્મમાં ભીખ ખરાબ વસ્તુ છે એ દર્શાવવા જ્હોન ચાચા ગાતા હતા. ‘ભીખ મે જો મોતી મીલે તો ભી હમ ન લેંગે’. આજે ‘બૂટપોલિશ’નું રિ-મેકિંગ થાય તો જ્હોનચાચા ગાય ‘ભીખ મેં જો કાંદા મીલે તો ભી હમ ના લેંગે’.

ગૂગલીઃ

સબ કા માલિક એક સાંઈ મંદિરમાં સૂત્ર હોય છે પણ લાવારિસ લાશ માટે કહી શકાય, ‘શબ કા માલિક કોઈ નહીં’.

Saturday, December 25, 2010

અબ કુત્તે પે સત્તા... આયા

સરવે આધુનિક સમયનો એક મોટો વ્યવસાય થઈ ગયો છે. એક સરવે પ્રમાણે આપણા પ્રિય નગર અમદાવાદ યાને કે કર્ણાવતીમાં અઢી લાખ કૂતરાં છે. છગનના અંદાજ મુજબ અમદાવાદમાં કુટુંબદીઠ બે રઝળતાં કૂતરાં છે, સત્તાધીશોએ આંખ લાલ કરી છે. આ લાલચોળ આંખ રઝળતાં કૂતરાં સામે છે.

હવે કૂતરાંઓનું આવી બનશે, તેવું કેટલાક માની રહ્યા છે. કેટલાક નથી પણ માનતા. કોર્પોરેશનના સત્તાવાળા કૂતરાંઓ ઉપર બગડયા છે. આ નગરની સ્થાપના માટે કહેવાયું છે કે ‘જબ કુત્તે પર સસ્સા આયા’ હવે અવળીગંગા થઈ છે. અબ કુત્તે પર સત્તા એટલે કે સત્તાધીશ આવ્યા છે. સત્તાવાળા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અમલદારોને લાગ્યું છે કે, પાણી સર સે ઉપર આ ગયા હૈ, રિવરફ્રન્ટમાં નહીં પણ કૂતરાંઓના ત્રાસની બાબતે. અમલદારોને તેમ લાગ્યું, શક્ય છે કે તેમના કોઈ કુટુંબીજનને કૂતરું કરડયું હોય. એ બાબતે અમલદારનાં પત્ની ઉશ્કેરાયાં હોય, ‘આ તમારો કેવો રેઢિયાળ વહીવટ છે મારા ભાઈને કૂતરું કરડી ગયું’ એવું વડચકું અમલદાર પત્નીએ ભર્યું હોય. ‘તારો ભાઈ તો એ જ લાગનો છે. અમારા ઘરમાં કૂતરાં છોડી ગયા છે તેનું કાંઈ નહીં!’ આવો જવાબ અમલદારે વિચાર્યો હશે પણ આપ્યો નહીં હોય અને આદર્શ પતિની જેમ પત્નીને આશ્વાસન આપતાં કહ્યું હશે, “શહેરમાં રઝળતાં કૂતરાંઓનો હું સરવે કરાવીશ પછી જોઈ લેજે એ કૂતરાંઓને એમની છઠ્ઠી યાદ કરાવી દઈશ.” સરવે કરાવવામાં આવ્યો અને જાહેર થયું શહેરમાં અઢી લાખ કૂતરાં છે. જોકે આ સર્વે જે રીતે કરવામાં આવ્યો છે તે પણ એક ગમ્મત છે. શહેરના અમુક વિસ્તારમાં કૂતરાંઓની ગણતરી કરી તેના આધારે બાકીના વિસ્તારમાં પણ એટલાં જ કૂતરાં હશે તેમ ગણતરી કરી અંદાજ મૂકી દેવામાં આવ્યો છે. અમારા મિત્ર સતપાલસિંહને બેન્કમાંથી નોટનું બંડલ આપવામાં આવ્યું અને કહ્યું ગણી લેજો બરાબર છે ને! સતપાલે અડધું બંડલ ગણીને કહ્યું બરોબર છે. કેશિયરે કહ્યું, “પૂરા ગણી લ્યો ને” “નહીં નહીં, ઈધર તક બરોબર હૈ તો આગે ભી ઠીક હી હોગા.” એમ કહી પૈસા ખિસ્સાંમાં મૂક્યા. સતપાલ થિયરી પ્રમાણે આ કૂતરાંઓની સંખ્યાની ગણતરી કરવામાં આવી છે. હવે કોર્પોરેશને કૂતરા સામે યુદ્ધ છેડવાનું બ્યુગલ વગાડી દીધું છે. કૂતરાઓને નગરની ધરતી ઉપરથી નાબૂદ કરવાની ઇચ્છા પ્રગટ કરી છે. ઇતિહાસ કહે છે કે ભગવાન પરશુરામના અથાગ પ્રયત્નો (૨૧ વાર) છતાં પૃથ્વી ઉપરથી ક્ષત્રિય નાબૂદ થયા ન હતા, તેમ મેયરશ્રી પરશુરામ અવતાર ધારણ કરે તો પણ અમદાવાદ કૂતરાં વગરનું થવાનું નથી. એક લોબી જે પ્રાણી પર અત્યાચારનો વિરોધ કરે છે તે કૂતરાંઓને બચાવવા સક્રિય છે. ઘણા પંડિતોને નવાઈ લાગે છે કે કૂતરાઓને મત આપવાનો અધિકાર નથી, છતાં શા માટે તેનું તુષ્ટિકરણ કરવામાં આવે છે!

શ્વાનોના ત્રાસની નાબૂદીની જાહેરાતને ઘણાં લોકો ‘આજની જોક’ ગણે છે. એ મિત્રોને દૃઢ શ્રદ્ધા છે કે કૂતરાંઓનો વાળ વાંકો નહીં થાય (અને પૂંછડી સીધી નહીં થાય) પણ હવે તો મેયરશ્રીએ લાલ આંખ કરી છે ત્યારે તો પરિણામ આવશે ને!

પેલા શ્રદ્ધાળુઓ સ્મિત કરતાં કહે છે, “આતંકવાદીઓ ધડાકા કરે છે ત્યારે પ્રધાનમંત્રી લાલ આંખ કરે જ છે ને! તેમજ સફેદ દાઢી સાથે લાલ આંખનું ‘કોન્ટ્રાસ્ટ મેચિંગ’ ત્યારે સારું લાગે છે. એટલું જ, ગૃહમંત્રીશ્રી પણ ઉગ્ર ચેતવણી આપે છે છતાં એક ધડાકો કર્યા પછી ત્રાસવાદીઓ વેકેશનમાંથી પરત આવી બીજો ધડાકો કરે જ છે. એ પ્રથા પ્રમાણે કૂતરાંઓ પણ તેમની કામગીરી કર્યા કરશે, ભસશે, કરડશે, ચોર દેખાશે તો સૂઈ જશે. પ્રાણીરક્ષાનાં કાર્યકરો છે ત્યાં સુધી કૂતરાંઓની પૂંછડી પણ સીધી કરી શકવાના નથી. સમજો કે નહીં?’

વાઈડ બોલ

અહીં માપપટ્ટી બધાંની અલગ છે. અને આપણે રોજ સાબિત થવાનું.

- ગૌરાંગ ઠાકર

Wednesday, December 22, 2010

પાર્ટીપ્લોટ કે ઉસ પાર

છાપામાં રહેઠાણની નવી સ્કીમની જાહેરાત આવે છે. તેમાં જાતજાતનાં પ્રલાભનો હોય છે. અમારી સોસાયટીથી પાંચ જ મિનિટના રસ્તે હોસ્પિટલ, (એટલે કે તમારે મારામારી થાય તો ૧૦૮ પહેલાં રીક્ષામાં તમે પહોંચી શકો) દસ મિનિટના રસ્તે દેરાસર કે મંદિર.(ઘરના જુનિયર સભ્યોને આ બાબત ખાસ આકર્ષે ડોસા-ડોસીની કચકચ ઓછી રહેશે.)

કોઈ હાઉસિંગ સ્કીમવાળાએ થિયેટર કેટલું નજીક હશે તેની જાહેરાત નથી કરી. હકીકતમાં મંદિરમાં તો બેસતા વર્ષે કે વર્ષગાંઠે જવાનું હોય, પણ ટોકીઝમાં તો બાર બાર જવાનું હોય છે. સ્કૂલનો ખાસ ઉલ્લેખ જાહેરાતમાં નથી હોતો, કારણ કે ખૂબ જ પ્રતિષ્ઠિત શાળામાં પોતાનાં બાળકોને દાખલ કરવા લોકો ઈચ્છતા હોય એટલે એ દૂર હોય તો પણ જઈ શકાય. ડોનેશનની સગવડ હોય તો તે શાળા દૂર નથી રહેતી.

છગનનું કહેવું છે કે આ બધાં પ્રલોભનો વિશે વિચારતા પહેલાં એ જાણવું જોઈએ કે મકાનથી કોઈ પાર્ટીપ્લોટ નજીકમાં નથી ને! આજકાલ નગરના ખૂણે ખૂણે પાર્ટીપ્લોટ કે લગ્ન માટેની વાડીઓ ઝગમગાટ સાથે ઊભાં છે.

આપણી પ્રિય નગરી કર્ણાવતી પણ કલાવતી કન્યાની જેમ ફૂલી ફાલી છે. એટલે એમાં ખૂણે ખૂણે પાર્ટીપ્લોટ પથરાયેલા પડયાં છે. આ છૂપો શાપ છે. તેમ છગન કહે છે. છગનના મોટા ભાઈ હેમંતભાઈ તો પાર્ટીપ્લોટને અડીને રહેવા ગયા ત્યારે હરખાતા હતા. ‘સુનીલ પાર્ટીપ્લોટ’ની બાજુમાં જ અમારું ઘર છે. ત્યાં શરણાઈ વાગે, જાણે અમારા ઘેર શરણાઈ વાગી. બોલવામાં આવું ઠીક લાગે. પણ મિત્રો તમારી દાઢમાં સખત દુખાવો થતો હોય અને ત્યારે તમારી સામે કોઈ શરણાઈ વગાડે તો એને સાંબેલું મારવાની જ ઇચ્છા થાય ને!

હેમંતભાઈનો પુત્ર દસમા બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હતો અને બેન્ડવાળા જોરશોરથી પાર્ટી પ્લોટ ગજવતા હોય આજ મેરે યાર કી શાદી હૈ. પરીક્ષાના સમયે દોસ્તની શાદી હોય અને આવા કડાકા-ભડાકાવાળાના અવાજો થતા હોય તો કહેવું પડે કે, ‘દોસ્ત દોસ્ત ન રહા’

પાર્ટીપ્લોટ પાસેના મકાનમાં રહેતા રહીશને કોઈ માંદગી આવે ત્યારે પાર્ટીપ્લોટ પાસે રહેવાની સજાનો અનુભવ થાય છે. શરીર ધખતું હોય, માથું દુખતું હોય, અકળામણ પણ હોય અને પાર્ટીપ્લોટમાં વાગતું હોય - ‘પરદેશી - પરદેશી જાના નહીં’ ત્યારે એ દર્દીનું મન ગાતું હોય.. ‘દુઃખી મન મેરે - જહાં નહીં ચૈના, વહાં નહીં રહેના’ શું થાય? પૂરા પૈસા ચૂકવી મકાનનો કબજો હજી હમણાં જ મેળવ્યો છે.

સંસ્કૃત સુભાષિતોમાં અનેક પ્રકારનાં દુઃખોની વાતો કહી છે. પણ પાર્ટીપ્લોટ પાસે રહેતા લોકોની વેદનાની વાત કરવાની રહી ગઈ છે.

એમાં કોઈનાં મધરાતે લગ્ન હોય, તમે માંડ સૂતા હો અને કર્કશ અવાજે બેન્ડના તાલે ‘યે દેશ હૈ વીર જવાનો કા’ વાગવા માંડે. ખરેખર આ સંજોગોમાં જીવવું એ પણ એક વીરત્વ ગણાય.

હીરાલાલ પાર્ટીપ્લોટની નજીક રહે છે. એ કાળી કિનારની રૂપેરી કોર જુએ છે. એ પાર્ટીપ્લોટમાં દરેક પ્રસંગે સારાં કપડાં પહેરી જમી આવે છે. (ચાંલ્લો કર્યા વગર) એમને ઘરનું ‘લોકેશન’ પસંદ છે.

ગૂગલી

ખાલી ખિસ્સું એ સૌથી વજનદાર ચીજ છે. એનો બોજો વહન કરવો અઘરો છે.

Saturday, December 18, 2010

કાંદાની સુગંધ

સોના અને કાંદામાં એક સામ્ય છે.

બંનેના ભાવ નિરંતર વધતા રહે છે. સામાન્ય માણસને સોનું અને વધુ સામાન્ય માણસને કાંદા પોસાતા નથી.

સોનું ને કાંદા બંને માણસની આંખમાં આંસુ લાવે છે. તેમાં જ્યારે દોઢ તોલાનો નેકલેસ કોઈ ગઠિયો ગળામાંથી ખેંચી જાય છે ત્યારે ગળાનો ગયેલો નેકલેસ આંખમાં આંસુ લાવે છે. સોનાના આજના ભાવમાં નવા નેકલેસનું સ્વપ્ન પણ આવી શકે તેમ નથી.

ક્રૂડ ઓઈલને કાળું સોનું કહેવામાં આવે છે. તેમ કાંદાને પણ સોનાની ઉપમા આપી શકાય. તેને સફેદ સોનું કે લાલ સોનું કહી શકાય.

એક વખત પાપડી સાથે છૂટથી અપાતી કાંદાની કચૂંબર હવે બીજી વાર માગો તો ટોણો સાંભળવો પડે.

કાંદા ખરીદનારને લોકો આદરની નજરે જુએ છે. કેટલાંક ગરીબીની રેખા નીચે મરવાના વાંકે જીવતા લોકો, ‘જૂતે ભી ખાયે, ઔર પ્યાજ ભી ખાઈ’ની ઉક્તિ પ્રમાણે કાંદા મળતા હોય તો જૂતાં ખાવા તૈયાર છે.

ફિલ્મોમાં ‘ફેડ-અપ’ દૃશ્ય વિલાઈ જાય ને બીજું દૃશ્ય બતાવવામાં આવે તેમ આ લેખમાં ‘ફેઈડ-અપ’ આપી બીજા દૃશ્ય તરફ લઈ જાઉં છું.

* * *

દૃશ્ય - ૨

જૂહુની મોંઘીદાટ હોટેલમાં માસ્ટર પ્રતીક મિત્ર સાથે દાખલ થાય છે. જો કે હવે તેને માસ્ટર ન કહેવાય તેની ઉંમર ચોવીસ વર્ષ થઈ ગઈ છે. આજે તેની વર્ષગાંઠની ઉજવણી છે. તેઓશ્રી ધુરંધર અભિનેત્રી સ્મિતા પાટીલના અને રાજ બબ્બરના પુત્ર છે.

આ ઉંમરે પણ તે ફિલ્મલાઈનમાં છબછબિયાં જ કરે છે. કામ કે નામ મળ્યું નથી. તેમની ઓળખ સ્મિતા પાટિલ કે રાજ બબ્બરના પુત્ર તરીકે જ છે. જન્મદિન હોવાથી ખુશ થઈને મેનેજરને કહી દીધું - આજે હોટેલમાં જે લોકો હોય તે બધાને ‘ડ્રિન્ક્સ’ મારા તરફથી. ઓર્ડર આપતા તો આપી દીધો. હોટેલ મેનેજમેન્ટે તેને રૂ. ૭૦, ૦૦૦ (સિત્તેર) હજારનું બિલ પકડાવી દીધું. કોના બાપની દિવાળી? તે આનું નામ. સ્મિતાજી હવે છે નહીં અને પિતા રાજ બબ્બર ધોબીના કૂતરાની જેમ રાજકારણ અને ફિલ્મ બંને ઘાટ ઉપર આંટા માર્યા કરે છે. કઈ કમાણી ઉપર સીત્તેર હજાર ભરવાના? બબ્બરના નવાબી છોકરાએ સિત્તેર હજાર રૂપિયા અજાણ્યા માણસો પાછળ ખર્ચી નાંખ્યા.

* * *

હવે ફરી પાછા કાંદા-ડુંગળીના દૃશ્યમાં આવી જઈએ. કાંદા, મગફળી, કપાસ જેવા પાકોમાં ઘણી વાર ભારે તેજી આવતી હોય છે ત્યારે ખેડૂતો ન્યાલ થઈ જાય.

તળાજા પંથકમાં ડુંગળી સારી પાકે. કેટલાંક વર્ષ પહેલાં ડુંગળીમાં ખેડૂતો માલામાલ થઈ ગયા હતા. ખેડૂતોનાં ઘર ડુંગળીએ ખૂશ્બુથી ભરી દીધાં હતાં. એવે વખતે એક ખેડૂત કાંદા વેચી, ખિસ્સાંમાં ઠસોઠસ નોટો ભરી ઘર તરફ ઊપડયો. મહુવા જવાના ચાર-પાંચ રૂપિયા એસટીનું ભાડું હતું. ખેડૂતે કંડક્ટરના હાથમાં પાંચસોની નોટ મૂકી, ટિકિટ માટે. કંડક્ટરે નોટ જોયા કરી, પછી કહ્યું, “અદા, આટલા બધા છૂટા ક્યાંથી લાવું?” પેલા ખેડૂતે ખુશીથી કહ્યું, “એસટીના તમામ લોકોની ટિકિટના પૈસા આમાંથી કાપી લ્યો”, એ ખેડૂત રાજ બબ્બરનો પુત્ર ન હતો પણ ધરતીમાતાનો પુત્ર હતો. ધરતીમાતાની મહેરબાની અને પરસેવો પાડીને પૈસા રળેલા હતા. પેલા પ્રતીકભાઈએ પારકે પૈસે પરમાનંદ, આખી હોટેલના ડ્રિન્ક્સનું બિલ ચૂકવ્યું. ઘણાં લોકો પ્રતીક જેવાને બીપીએલના ચેરમેન કહે છે. બાપના પૈસે લહેર કરનારા.

સિત્તેર હજાર રૂપિયા ઉડાડયા... શું કાંદા કાઢયા?

કાંદા કાઢયા પેલા તળાજા પંથકના ખેડૂતે.

ખરું ને!

વાઈડ બોલ

‘પતિ કુટુંબનો ‘હેડ’ (મસ્તક) છે. પણ પત્ની કુટુંબની ગરદન છે. ગરદન જે દિશામાં ઇચ્છે છે તે પ્રમાણે મસ્તક ફરે છે.’

Wednesday, December 15, 2010

ભજ્જી એટલે ભડક્યો હતો!


આપણે ત્યાં પઠાણી ઉઘરાણી શબ્દ છે. ફેંટ પકડીને વસૂલાત કરવામાં આવે તેને પઠાણી ઉઘરાણી કહે છે. બેંગલુરુની વન-ડે મેચમાં ‘પઠાણી ઉઘરાણી’ જોવા મળી. યુસૂફ પઠાણે ન્યુઝીલેન્ડર્સની ફેંટ પકડી વિજય મેળવી લીધો.

ન્યુઝીલેન્ડવાળાએ ત્રણસો પંદર રન કરી લીધા અને પછી ભારતની પાંચ વિકેટ પાડી દીધી ત્યારે વિટ્ટોરીને લાગ્યું હતું કે મેચ જીતી ગયા, પણ પઠાણે ન્યુઝીલેન્ડની બાજી ફીટાઉંસ કરી દીધી.

વિશ્વમાં પ્રથમ વાર વન-ડેમાં બેવડી સદી થઈ તે તેંદુલકરે કરેલી. આજ સુધી વન-ડેની એકમાત્ર બેવડી સદી છે. ત્યારે આ કોલમમાં લખાયેલું કે કોઈ બીજી વાર વન-ડેમાં બેવડી સદી મારે તો તે યુસૂફ પઠાણ જ હશે, બેંગલુરુમાં એ પ્રમાણે જ પઠાણગીરી જોવા મળી.

કોટ (કિલ્લો) નગરની રક્ષા માટે હોય છે. પહેલાંના વખતમાં કોટ નગરની રક્ષા કરતા, બેંગલુરુમાં ટીમ-ઈન્ડિયાની ઈજ્જત યુસૂફ પઠાણે કરી, તો તમે એને ‘પઠાણકોટ’ કહી શકો.

* * *

ટીમ ઈન્ડિયામાં ભજ્જી યાને હરભજન અને યુવરાજસિંહ પેલી મુન્ની જેવા છે. જે સ્વમુખે જાહેરાત કરે છે કે તે બદનામ થઈ ગઈ છે. ભજ્જી સાયમન્ડ સાથેની બબાલથી એક વાર બદનામ થયેલ, પછી બદનામીઓનો જશ્ન મનાવવો હોય તેમ શ્રીસંતને જાહેરમાં લાફો મારી દીધો હતો. હવે લોકો પણ જાણે છે કે શ્રીસંત તો નામનો જ સંત છે. અને એ શેતાની ઉપર ગમે ત્યારે ઊતરી આવે. એની કોઈ શેતાનીથી ઉશ્કેરાયેલા ભજ્જીએ એક લાફો ઝીંકી દીધો. ચેનલવાળાએ વારંવાર એ દૃશ્ય બતાવ્યા કર્યું. (સબ ટીઆરપી કા ખેલ હૈ) એ મારેલી થપાટની ગુંજ ભજ્જીના કાનમાં ખાસ્સી ગુંજી હતી. કરોડ રૂપિયામાં એ થપાટ પડી હતી.

મનમાં ભજ્જીને બદનામ કરતી હરકતો ધ્યાનમાં રાખી હમણાં એક એવોર્ડ સેરેમનીમાં સંચાલકે ભજ્જીને સવાલ કર્યો, “મુન્ની બદનામ કૈસે હો ગઈ?” અને ભજ્જીને “વો ભૂલી દાસ્તાં ફીર યાદ આ ગઈ” ગીત યાદ આવી ગયું હશે એટલે અકળાઈને કહ્યું, “મુન્ની ગઈ ભાડમાં” ભજ્જીએ મુન્નીને મારેલી આ રિમોટ થપાટ કહી શકાય.

* * *

એક ઔર સમારંભની યાદ આવે છે. તાજેતરમાં ડો. ચિમનભાઈ ત્રિવેદીને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અપાયો. ચિમનભાઈને એક્યાશી વર્ષે આ ચંદ્રક મળ્યો. ખાસ્સું મોડું કહેવાય એવા સંકેતથી ધીરુભાઈ ઠાકરે ધનસુખલાલ મહેતાને મોડા મળેલ ચંદ્રક અંગે જ્યોતિન્દ્ર દવેનો અભિપ્રાય કહ્યો. જ્યોતિન્દ્ર દવેએ ત્યારે ટિપ્પણી કરેલી “અત્યાર સુધી ચંદ્રકે ધનસુખલાલને લટકાવ્યા, હવે ધનસુખલાલ ચંદ્રકને લટકાવશે”.

ડો. ચિમનભાઈ ત્રિવેદી સાહિર લુધિયાનવીની પંક્તિ પ્રમાણે ‘જો મીલ ગયા ઉસે મુકદ્દર સમજ લીયા’માં માનનારા, કોઈ દાદ-ફરિયાદ સ્વભાવમાં જ નહીં. આ પ્રકૃતિ માટે કવિ નિરંજન ભગતે કહ્યું, “ચિમનભાઈ ત્રિવેદી વિદ્વાન છે છતાં પણ સજ્જન છે”.

‘કહીં પે નિગાહે કહી પે નિશાના’ જેવું આ વિધાન કોઈકને લાગે પણ ખરું.

Saturday, December 11, 2010

ગંગાનો ચમત્કાર, ભગીરથને ફિટકાર

ગંગાજીનું પૂજન થતું હતું.

સ્વર્ગની મહાન નદી પૃથ્વી ઉપર આવી તેનું પૂજન ચાલી રહ્યું હતું. છેલ્લે એક ખૂણામાં એક ઉપેક્ષિત સાધુ પુરુષ ઊભા હતા.

“એ કોણ છે?” પ્રશ્ન થયો.

“કોણ?”

“પેલા ખૂણામાં ઊભા છે, કોઈ તપસ્વી જેવા લાગતા પુરુષ, ટોળાની રીડિયારમણ વચ્ચે મૂંઝાયેલા હોય એમ ઊભા છે તે?”

“ઓહ એ તો ભગીરથ છે.”

“ભગીરથ?”

“હા ભગીરથ, ગંગાનું પૂજન થઈ રહ્યું છે તે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઈ આવ્યા તે ભગીરથ. તે પૂજન આયોજન કરનારાઓની નજરથી દૂર ઊભા છે.”

ગંગાને પૂજે છે પણ જેના કારણે ગંગા છે તે ભગીરથની અવગણના થાય છે.

આપણા રમતોત્સવમાં પણ એવું જ જોવા મળે છે. રમતોત્સવમાં ધામધૂમ થાય છે, પણ જેને કારણે તે રમતોત્સવ છે તે રમતવીરો ખોવાઈ જાય છે.

એશિયન ગેમ્સમાં આપણા એક મેડલ વિજેતા મુંબઈ એરપોર્ટ ઉપર આંટાફેરા મારી રહ્યા હતા.

એ રમતવીર મેડલ વહન કરી રહ્યા હતા. પણ તે રમતવીરને વહન કરવા માટે કોઈ વાહનની સગવડ એરપોર્ટ ઉપર હતી જ નહીં. કોઈ અધિકારી પણ તેમને લેવા માટે હાજર ન હતા.

ગંગાનું પૂજન થયું પણ તેને લાવનાર ભગીરથની અવગણના થતી હતી.

કોમનવેલ્થ ગેમ્સ જેને લૂંટફાટ વેલ્થ ગેમ્સ પણ કહેવામાં આવી છે. તેમાં દેશને વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવનાર યુવતી કુ. ચાનેની કહાની પણ કંઈક એવી જ છે. મેડલ લઈ ઘરે જવા માટે વાહન મેળવવા તે ફાંફાં મારતી હતી. ‘જાયે તો જાયે કૈસે?’ એવો માહોલ હતો છેવટે તે રીક્ષામાં બેસી ઘર તરફ ગઈ.

ગંગાનું પૂજન પણ ભગીરથની અવજ્ઞા આને કહેવાય.

કાળા વાદળની રૂપેરી કિનાર જેવી એક ઘટના હમણાં બની. ક્યારેક કોઈક ‘સહારો’ ક્યાંકથી મળી જતો હોય છે. આપણા રમતવીરોનું સન્માન એક ઉદ્યોગ ગ્રૂપે કર્યું. એક ટીવી ચેનલે તે કાર્યક્રમ પ્રસાર કર્યો, ક્રિકેટરોનું તો સન્માન આપણે ત્યાં થાય જ છે પણ અન્ય રમતવીરોનું બહુમાન એ ગ્રૂપે કર્યું. એમાં સન્માન સાથે મનોરંજન પણ હતું.

આપણો બોક્સર મેડલ વિજેતા વિજેન્દર સોહામણો યુવાન છે. તે ફિલ્મવાળાની નજરે ચડી ગયો છે. વિજેન્દર બોકસર છે પણ પાતળી કાઠીનો છે. સૂમો પહેલવાન કોઠી જેવા હોય બોકસર માટે તે જરૂરી નથી, એ વાત ઉપર કોમેન્ટ કરતાં શાહરૂખે કહ્યું, “તને બોકસર તરીકે જોઈ મને થયું કે હું પણ બોકસર બની શકું”. ત્યારે ફિલ્મી દુનિયાનાં દ્વાર ખટખટાવી રહેલ વિજેન્દરે શાહરૂખને કહ્યું, “તમને એકટર જોઈ મને થયું કે હું પણ એકટર થઈ શકું તેમ છું.”

ધોની, યુવરાજ, તેંડુલકરને ગીત ગાતા જોવા મળ્યા. એમની બેટિંગ કરતાં એક અલગ પ્રકારની મજા એમાં હતી.

વીરેન્દ્ર સેહવાગે એની બેટિંગ જેવો જ ઝંઝાવાત સ્ટેજ ઉપર દેખાડયો.

શિક્ષણમાં જેમ ‘રેગિંગ’ છે તેમ ક્રિકેટમાં ‘સ્લેજિંગ’ છે. જેમાં ક્રિકેટરો તેમના હરીફોને ચોપડાવતા હોય છે. શાહરૂખ ખાને પૂછયું, “વીરુ,તેં સ્લેજિંગ કરેલું?” વીરુભાઈએ જવાબ આપ્યો, “શું હું એવો લાગું છું?” છતાં એક પ્રસંગ કહ્યો. પાકિસ્તાનમાં સેહવાગ બોલરોને બરાબર ઝૂડી રહ્યો હતો ત્યારે અકળાયેલા શોએબ અખ્તરે બમ્પર ફેંકવા માંડયા અને વીરુને કહ્યું, “હુક કર, હુક કરને”. ત્યારે વીરુએ કહ્યું, “સામેના છેડે તારો બાપ ઊભો છે એ હુક કરશે જા...” સામે છેડે તેંડુલકર હતો. આની સામે શોએબ અખ્તરે બમ્પર ફેંક્યો ત્યારે તેંડુલકરે હુક કરી સિક્સર ઝીંકી દીધેલી. પછી સેહવાગે શોએબને કહ્યું, “દેખ બેટા, બેટા બેટા હોતા હૈ ઔર બાપ બાપ હોતા હૈ”, આ પ્રસંગની વાત થતી હતી ત્યારે કેમેરો સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક ઉપર ગયો, એનું મોઢું પડી ગયું હતું તે જોઈ શકાતું હતું. છગને કહ્યું, “શોએબ મલિકે સમજવું જોઈએ કે રિશ્તે મેં સેહવાગ સાળા લગતા હૈ, એ તો ફિરકી લઈ શકે.”

ક્રિકેટર સિવાયના ખેલાડીઓનું પણ સન્માન અને પ્રસંગમાં નેતાઓની બાદબાકી, અવળી ગંગા લાગતી હતી. ભગીરથનો આત્મા ખુશ થશે.

વાઈડ બોલ

હાસ્ય લેખકો, વ્યંગ લેખકો સાહિત્યિક ‘સ્લેજિંગ’ કરતા હોય છે તેમ સિંદબાદ કહે છે.

Thursday, December 9, 2010

પુસ્તકો અને સાબુ

એક ગાંધીવાદી મિત્રને મેં પૂછયું, “તમારે ત્યાં સાબુ છે?”

લોકો મેળવણ માટે પૂછતા હોય છે કે “તમારે ત્યાં મેળવણ હશે?”

પણ આ માણસ તો “સાબુ છે એમ પૂછે છે?” ગાંધીવાદી મિત્ર મારા પ્રશ્નથી વિચારમાં ચડી ગયા હતા. શું ઉછીની વસ્તુઓ લેવાની યાદીમાં આ માણસે સાબુનો પણ સમાવેશ કર્યો હશે? એમ એમને થયું હશે. એટલે એમણે વળતો પ્રશ્ન કર્યો, “શું તમારે સાબુ જોઈએ છે?”

સાબુનો બીજો પણ એક અર્થ છે. સામાન્ય બુદ્ધિ. કોમનસેન્સ માટે ટૂંકાક્ષરી ‘સાબુ’ શબ્દ વપરાય છે. ઘણાં લોકો પાસે એ ‘સાબુ’ નથી હોતી. અસામાન્ય બુદ્ધિ ધરાવનાર પાસે પણ કેટલાંક કિસ્સામાં સાબુનો અભાવ દેખાય. જેમ કે આઈનસ્ટાઈન. તેમણે એમને મળેલો એક ચેક, ચોપડીની વચ્ચે કાપલી (બુકમાર્ક) તરીકે મૂકી રાખેલો. તેમણે એ જાણવું જોઈતું હતું કે ચેક વટાવવાની એક સમયમર્યાદા હોય છે. પછી તે વટાવી નથી શકાતો. બ્રહ્માંડના ભેદ સમજનાર એ મહાન વૈજ્ઞાનિક આ સામાન્ય બાબતથી અજાણ હતા એવું લાગે છે.

એ ગાંધીવાદી મિત્રને એ વાત યાદ આવી હશે એટલે સચેત થઈ ગયા. “જો સામાન્ય બુદ્ધિની વાત કરતા હો તો તે મારી પાસે છે, અને જો સાબુ નાહવાનો કે કપડાં ધોવાના સાબુની વાત કરતા હો તો તે પણ મારી પાસે છે.”

“મિત્ર, આપણે વિગતે વાત કરીએ, ચાલો તમને ખબર છે બાપુએ પુસ્તકો વિશે શું કહ્યું છે?”

“બાપુએ તમામ વિષયો ઉપર કંઈક ને કંઈક કહ્યું જ છે. એટલે પુસ્તકો વિશે પણ કંઈક કહ્યું જ હશે”.

“બરોબર છે ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો” પણ બાપુ કાંઈ ન મેલે, દરેક વિષય ઉપર બાપુએ કહ્યું જ છે તેમ પુસ્તક વિશે પણ કહ્યું છે.

“શું કહ્યું છે?” ગાંધીવાદી મિત્રે પૂછયું.

“બાપુએ કહ્યું છે પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે”

“અચ્છા?”

“હા, તમે સાબુથી તન સાફ કરી શકો, પણ મન માટે સફાઈકામ ફક્ત પુસ્તકો જ કરી શકે.”

બાપુએ મનની સફાઈ માટે પુસ્તકોની ભલામણ કરી હતી. એટલે મેં ગાંધીવાદી મિત્રને પૂછેલું કે “તમારા ઘરમાં સાબુ છે? મતલબ કે પુસ્તકો છે?”

ગાંધીજી માનતા હતા કે પુસ્તકો મનને શુદ્ધ કરે છે.

એટલે તનની સફાઈ જેમ સાબુથી થાય, તેમ મનની સફાઈ પુસ્તકોથી થાય.

જો કે તન, મન અને ધનનો વિચાર કરીએ તો હાલમાં પુસ્તકો એટલાં મોંઘાં છે કે ધનની સફાઈ પણ પુસ્તકો કરી શકે છે.

એક વિચારક લેખક દ્વારા તૈયાર થયેલું, ‘વાલ્મીકિ રામાયણ’ની કિંમત હતી નવસો રૂપિયા!

સિંદબાદ કહેતો હતો, ‘આ વાલ્મીકિ રામાયણ વાલ્મીકિને ન પોસાય, પણ વાલિયા લૂંટારુંને જ પોસાય’.

યાદ આવે છે કે ઘણાં લોકો સાબુમાં પણ કરકસર કરે છે. મોરારજીભાઈએ મોંઘવારી વિશે જવાબ આપતાં કહ્યું કે સાબુ તમે સાચવીને વાપરો તો વધુ ચાલે પછી ઉમેર્યું, “મારે સાબુ એક વર્ષ ચાલે છે” ત્યારે એક વ્યંગ લેખકે કોમેન્ટ કરેલી કે “મોરારજીભાઈ સાબુ કેવળ સૂંઘતા હશે”, પુસ્તકને સાબુના અર્થમાં જોઈએ તો ઘણાંને એક સાબુ વરસોનાં વરસ ચાલે છે. છગને પાંચ વર્ષ પહેલાં એક પુસ્તક ખરીદ્યું હતું. - હજી એ જ સિલકમાં છે. બાપુએ કહેલા મનનો સાબુ ચલાવવાનો આ રેકોર્ડ ગણાય.

ગૂગલી

મહારાષ્ટ્રની શાળામાં બાળકોના નાસ્તામાં મરેલો સાપ હતો.

- ચેનલ સમાચાર.

કદાચ ચીનની સ્કૂલનું પાર્સલ ભૂલથી આવી ગયું હશે

Saturday, December 4, 2010

કંકોત્રીનું કમઠાણ


કંકોત્રીઓમાં થતા ગોટાળાની વાત કરવી છે.

કંકોત્રીઓ દર વર્ષે આવતી જ હોય છે. દર વર્ષે નહીં પણ દર છ મહિને કે ત્રણ મહિને આવતી હોય છે. કોઈ ઉતાવળીયો NRI આવી જાય તો કમુરતામાં લગ્ન કરે તો કમુરતામાં પણ કંકોત્રી જોવા મળે. કેટલાંક વર્ષો પહેલાં બ્રિટનની ‘ઈમિગ્રેશન પોલિસી’માં ફેરફાર આવી રહ્યા હતા. ત્યારે ઢગલાબંધ બ્રિટનના NRIs ગુજરાતમાં ઉભરી આવ્યા અને શ્રાદ્ધ પક્ષમાં જ અનેક લગ્ન લેવાયાં હતાં. કહે છે ગોરમહારાજોએ ‘ઈમ્પેક્ટ ફી’ લઈને મુહૂર્તો કાઢી આપ્યાં હતાં. શ્રાદ્ધ પક્ષમાં થયેલાં લગ્નોનું શું થયું હતું? એનો એક સરવે કરાવવો જોઈએ, ‘રેશનાલિસ્ટ એસોસિએશન’ આ કામ હાથ ધરી શકે.

વાત કંકોત્રીઓની થતી હતી. મિત્રો, તમારે ત્યાં આવતી કંકોત્રીઓનો અભ્યાસ કરો તો ઘણું જાણવા મળી શકશે.

આમ તો કંકોત્રીઓનો એકમાત્ર ઉદ્દેશ તમને માહિતી આપવા માટે છે કે અમુક-તમુકનાં લગ્ન તમુક-અમુક સાથે અમુક તારીખે, અમુક વારે છે આવી જજો. પણ મિત્રો આટલી સાદી વાત કહેવામાં પણ કંકોત્રીઓમાં અનેક બફાટ જોવા મળે છે. ‘ઘરથી કવરની સફર’માં કેટલું થાકી જવાય તેની વાત શાયરે કરી છે. તે પ્રમાણે લગ્નની માહિતી આપવામાં એક સાદી વાતમાં કેટલા બફાટ થઈ શકે છે તે કંકોત્રીઓમાં જોવા મળે છે.

ઘણી વાર કેટલાંક સુવાક્યો કે પંક્તિઓ આપણને ખૂબ જ ગમી જાય છે. એટલે તેનો ઉપયોગ કરવાની લાલચ રોકી શકાતી નથી. એમાંથી બફાટનું સર્જન થતું હોય છે. એક ભાઈ જે ડ્રગ ખાતાના ગેઝેટેડ ઓફિસર અને ગોલ્ડ મેડાલિસ્ટ એને સ્ત્રી આગળ લાગતો ગંગાસ્વરૂપ શબ્દ ગમી ગયેલો. ડ્રગ ખાતાના કમિશનર ભગતસાહેબ નિવૃત્ત થતા હતા, તેના સમારંભમાં તેમને સજોડે આમંત્રણ હતું. પેલા ગોલ્ડમેડાલિસ્ટે તેના પ્રવચનની શરૂઆત કરી, ‘આદરણીય ભગત સાહેબ તેમજ તેમનાં ગંગાસ્વરૂપ પત્નીશ્રી’ સાહેબ નોકરી છોડી રહ્યા હતા. જિંદગી નહીં પણ એ ભાઈને ગંગાસ્વરૂપ શબ્દ ગમેલો એટલે છુટ્ટા હાથે વાપર્યો.

અમારા એક સ્નેહીની પૌત્રીનું લગ્ન હતું. તેની કંકોત્રી આવેલી. અમારા સ્નેહી હયાત છે. પણ પૌત્રીની લગ્નની કંકોત્રીમાં તેમના નામ આગળ ગંગાસ્વરૂપ સાવિત્રીબહેન લખ્યું હતું. (નામ બદલ્યું છે) એમના કુટુંબીજનોને પણ ગંગાસ્વરૂપ શબ્દ ગમી ગયેલો એટલે પિતા હયાત હોવા છતાં માતા આગળ ગંગાસ્વરૂપ શબ્દ ઉમેરી દીધો. એ વાત ખરી કે પૌરાણિક કાળની સાવિત્રી તો ગંગાસ્વરૂપ થઈ હતી, પાછી અ.સૌ. થઈ ગયેલી. (આને અવળીગંગા કહેવાય!) પણ અમારા સ્નેહીનાં પત્નીને તો પતિ હયાત હોવા છતાં ગંગાસ્વરૂપ શબ્દ કંકોત્રીમાં લાગી ગયો. લોકો ઘણી વાર હજ્જારો રૂપિયા કંકોત્રીની પાછળ ખરચે છે પણ બસ્સો-પાંચસો રૂપિયા ખરચીને કોઈ ભાષાવિદ્ પાસે કંકોત્રીનો ડ્રાફ્ટ કરાવતા નથી.

એક સ્નેહીની પુત્રીનાં લગ્ન હતાં. એમણે કંકોત્રીમાં એવી પંક્તિ છપાવી કે જે છબરડો જ કહેવાય, એમણે લખ્યું, ‘પુત્ર તો તમારો ત્યાં સુધી જ છે, જ્યાં સુધી તે પરણ્યો નથી, પણ પુત્રી તમારી કાયમ પુત્રી રહે છે.’

એ ભાઈએ પોતાની પુત્રીને નજરમાં રાખી હશે, પણ વેવાઈનો પુત્ર, એમના જમાઈની લાગણી ન જોઈ. એમણે વેવાઈને ચેતવણી આપી ગણાય કે લગ્ન થવા દો પછી તમારો પુત્ર તમારો રહેશે નહીં અથવા તેમની પોતાની પુત્રીની શક્તિ ઉપર ભરોસો હશે કે મારી દીકરી આ બધાને ઠેકાણે પાડી દેશે. એમ હોત તો પણ આમ બહારવટિયાની જેમ જાસાચિઠ્ઠી આપવાની કાંઈ જરૂરત ખરી? કંકોત્રી કંકોત્રી જ છે તેને જાસા ચિઠ્ઠીમાં ન ફેરવો.

ઘણી કંકોત્રીઓમાં કન્યા કે વરપક્ષના વડીલો આમંત્રણ પાઠવે, તેમાં લખે દર્શનાભિલાષી, સારી વાત છે તમારાં દર્શનની એ લોકો અભિલાષા રાખે છે. પણ એમાંથી કેટલાંક સ્વર્ગસ્થ હોય છે. જ્યારે સ્વર્ગસ્થ માણસ તમારા દર્શન કરવાની અભિલાષા રાખે છે તેમ કહેવામાં આવે તે બદદુવા જ ગણાય ને! તમે મરો ને મારી પાસે આવો તેવો અર્થ નીકળે, પણ સુંદર - સુંદર કંકોત્રીમાં લખાતા મુદ્દાની કોઈ સંભાળ લેવાતી નથી.

વાઈડ બોલ

‘રાષ્ટ્રપતિ ખાડી દેશોમાં’

- સમાચાર

‘રાષ્ટ્ર ખાડામાં, રાષ્ટ્રપતિ ખાડીમાં....’

- છગનની કોમેન્ટ

Wednesday, December 1, 2010

બિહારના દબંગ

બિહારનાં પરિણામો બહાર આવ્યાં કે લાલુપ્રસાદ સડક થઈ ગયા. સડક થઈ જવાનાં કારણોમાં એક કારણ સડક પણ ગણી શકાય.

વરસ પહેલાં લાલુપ્રસાદે જાહેર કર્યું હતું કે બિહારની સડકો તેઓ હેમા માલિનીના ગાલ જેવી બનાવી દેશે.

ઘડીક ભર જનતાને ધર્મેન્દ્ર હોય તેવો આભાસ પણ કરાવ્યો, પણ સડકો એવી જ રહી. જનતા સમસમી ગઈ. લાલુજી નૌટંકી કલાકારની જેમ અનેક વાર જનતા સામે કોઈને કોઈક ખેલ લઈને આવતા રહ્યા.

મેઘાણીની એક કથામાં હતું કે નગરશેઠની દીકરીને પરણાવી તે ગામમાં પાણીનું ભારે દુઃખ હતું. નગરશેઠે પોતાનો ખર્ચે (માર્ક- પોતાના ખર્ચે) એક નહેર દીકરીના ઘર સુધી લઈ આવ્યા, જેથી દીકરી ઘરના ઉંબરેથી બેઠા બેઠા પાણી ભરી શકે. લાલુજી પણ એમની દીકરીના સાસરાના ગામમાં વીજળી-પાણીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરી નાખી હતી. પણ વિખ્યાત અમેરિકન પ્રમુખે કહ્યું છે કે તમે તમામ લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી.

લાલુના ‘પાસ’માં જનતા ન બંધાઈ. નીતીશકુમારની પાર્ટી ફરી જંગી બહુમત લઈને આવી ગઈ ત્યારે લાલુજી તેમની શૈલીમાં બોલી ઊઠેલા, ‘યે સસૂરા તો ફિર સે મેદાન માર ગયા.’ કહે છે કે નીતીશકુમારે લાલુજીના બળાપા સામે એક વાર પ્રહાર કરેલો. નીતીશ વિશે એલફેલ તેઓ બોલ્યા હતા ત્યારે વધુ એક અમેરિકન પ્રમુખ યાદ આવે છે, જેમણે ચૂંટણી સમયે હરીફ ઉમેદવારને બેફામ વાણીવિલાસનો જવાબ આપતાં કહેલું કે ‘તમે મારી વિશે જૂઠું બોલવાનું બંધ કરો, નહીંતર હું તમારા વિશે સાચું બોલીશ.’ આ ધમકીની અસર થયેલી. નીતીશકુમાર એન્ડ કંપનીએ લાલુજી વિશે સાચી વાતો કરી. જનતા સમજી ગઈ. લાલુજી પણ સમજી ગયા કે અબ કોઈ ‘ચારા’ નહીં હૈ, કોઈ ચારા ન રહા, સહારા ન રહા. સચિવાલયમાં ક્લાર્ક તરીકે પણ ન ચાલે, તેવા રાબડીદેવીને લાલુપ્રસાદે મુખ્યપ્રધાન બનાવી દીધાં. (મતલબ કે જનતાને માથે માર્યા.) પ્રજાએ આ બધી વાતનો ‘ગિન ગિન કે બદલા લિયા’. કોંગ્રેસે ‘એકલો જાને રે’ની નીતિ અપનાવી હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સભાઓ અને સરઘસો ભવ્ય રહ્યાં હતાં. એમ કોંગ્રેસીજનોને આશા હતી પણ કોંગ્રેસને આખા રાજ્યમાં ગણીને ચાર સીટ મળી. જે રાજ્યમાં આપણા આક્રમક ક્રિકેટર કીર્તિ આઝાદના પિતાશ્રી આઝાદ મુખ્યપ્રધાન હતા એ રાજ્યમાં ક્રિકેટ ટીમના રિઝર્વ ખેલાડીની સંખ્યા જેટલા પણ ધારાસભ્યોને કોંગ્રેસને નથી મળ્યા. પાજોદ દરબારની ભાષામાં ‘આવી હાલત થશે, કોણ માનશે’ છતાં સ્થાનિક કોંગી આગેવાનો એવી વાતો કરે છે જાણે, ‘નાટક તો સફળ જ હતું, પણ ઓડિયન્સ ફેઈલ ગયું.’ હવે આપણા જેવાને જાણવામાં એ રસ છે કે ‘કેટલા ગુંડા ચૂંટાયા છે? (કોઈ પણ પક્ષમાં) કેટલા ગુંડા હારી ગયા? આખરે સફળતાનો માપદંડ તો એ જ છે.’

ગૂગલી

છગનનું અવલોકન, ‘કોઈ ન્યાયાધીશને લગ્ન કરવા હોય તો ગોર પાસે જવું પડે અને ગોરને છૂટાછેડા જોઈતા હોય તો ન્યાયાધીશ પાસે જવું પડે.’

Saturday, November 27, 2010

બાપુ અને બેન્ક

બાપુ યાને ગાંધીજી કેવળ રાજકારણી ન હતા. કેવળ આધ્યાત્મવાદી ન હતા. એ તો ‘વર્સેટાઈલ’ વ્યક્તિત્વધારી હતા. વિશ્વની કોઈ ને કોઈ બાબત ઉપર ગાંધીજી કાંઈ ને કાંઈ કરી ગયા છે. તે કોઈ પણ બાબત ‘એનીથિંગ અન્ડર ધ સ્કાય’ વિશે બોલી શકતા. (સોમવાર સિવાય) અમદાવાદ, મહેમદાવાદ, ઔરંગાબાદ દરેક સ્ટેશન ઉપર તેમની ગાડી ઊભી રહેતી. તમે એવો કોઈ પણ વિષય શોધી ન શકો જેમાં બાપુએ કશું કહ્યું ન હોય.

ગાંધીજી ન બોલ્યા હોય તેવી કોઈ બાબત છે ખરી? ત્યારે નેપોલિયન પણ બોલી ઊઠે ‘અશક્ય’.

ગાંધીજી મૌન વિશે પણ બોલેલા. મારામાં પણ ગાંધીગીરીની અસર ખરી. શાળા વકૃતૃત્વ સ્પર્ધામાં મૌન વિશે હું અર્ધો કલાક બોલેલો. એ તો છોકરાઓએ તાલીઓ પાડીને મને બેસાડી દીધો હતો. નહીંતર મૌન વિશે બીજો અર્ધો કલાક હું આરામથી બોલત.

અત્યારે ઘણા લોકોને બેન્કોની સેવા કથળી ગઈ છે તેમ લાગે છે. એ લોકો કહે છે ‘વી કાન્ટ બેન્ક અપોન બેન્ક્સ’ એટલે કે બેન્કનો આધાર રાખી શકાય તેમ નથી. એક ભાઈ બેન્કમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે અધિકારીએ તેમનું સરનામું પૂછતાં પેલાએ સરનામું કહ્યું. ‘ઓકે તમે ઘોડાસર રહો છો અને જવાહરચોકની બેન્કમાં ખાતું ખોલાવવા આવ્યા છો? બેન્ક અધિકારીએ એ રીતે પૂછયું જાણે કે ભાઈએ કોઈ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો કર્યો હોય.

‘‘ના. ના, આ રસ્તે હું રોજ આવતો જતો હોઉં છું એટલે થયું કે આ બેન્કમાં ખાતું ખોલાવું.’’

‘‘મિસ્ટર, તમારા ઘરેથી અહીં આવતા બીજી દસ બેન્ક રસ્તામાં આવે છે. બીજું કોઈ ન મળ્યું તે અમારી બેન્ક જ તમારી ઝપટે ચડી?’’ એ બેન્કરનું ભૌગોલિક જ્ઞાન સારું હતું. આગંતુકના ઘરથી તેમની બેન્ક સુધીની તમામ અન્ય બેન્કના સ્થળથી તેઓ માહિતગાર હતા. વળી શેરબજારનું કોઈક કાગળિયું તેઓ ભરી રહ્યા હતા. તેમાં મુલાકાતીએ વિઘ્ન નાખ્યું હતું તેથી તેઓ નારાજ પણ હતા.

ગાંધીબાપુએ અન્ય અનેક વિષયો ઉપર પોતાનાં મંતવ્યો જાહેર કર્યાં પછી બેન્ક અને ગ્રાહક વિશે પણ તેમણે અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે બેન્કની હજ્જારો શાખામાં સરસ રીતે મઢાવીને લટકાવેલા દેખાઈ આવે છે. કહે છે કે બાપુને પણ બેન્કના ગ્રાહક પ્રત્યેના વર્તાવનો અનુભવ થઈ ચૂક્યો હતો. ગોડસેએ એમને ગોળી મારી તે પહેલાં કોઈ બેન્કરે તેમને ઘાયલ કરેલા. કહે છે ગાંધીજી ખાતું ખોલવા ગયેલા પણ બેન્કરે કરેલા અટપટા સવાલોથી તે ઘાયલ થઈ ગયેલા. ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ, પણ ખાતું ખોલાવ્યા વગર નહીં આવું’. એવું બાપુ બોલ્યા ન હતા. એટલે બાપુ બેન્ક અધિકારીના વર્તાવથી નિરાશ થઈ સ્વગૃહે પરત ફરેલા. બાપુ જીવનની અંતિમ ક્ષણે છેલ્લે ‘હે રામ’ બોલેલા. પણ સૌ પ્રથમ બેન્કમાં થયેલા કડવા અનુભવના કારણે બોલેલા ‘હે રામ’! ગાંધીજીને રામ તરફ વાળવાવાળા સૌ પ્રથમ બેન્કવાળા જ હતા. એ સમજવા માટે ગાંધીજીએ બેન્કરોને સલાહ આપતાં સુવાક્યો વાંચશો તો સમજાઈ જશે.બાપુએ બેન્કવાળાને જે સલાહ આપી છે તેમાં સૌ પ્રથમ વાક્ય છે, “ગ્રાહક એ આપણે ત્યાં આવતી સૌથી અગત્યની વ્યક્તિ છે.’ એ આપણા ઉપર આધાર રાખનાર વ્યક્તિ નથી, પણ આપણે તેના ઉપર આધાર રાખનાર છીએ. (જરા સમજો!) ગ્રાહક એ આપણા કામની રૂકાવટ નથી, પણ આપણી કામગીરીનો હેતુ છે. એ આપણને દખલ નથી પહોંચાડતા. ગ્રાહક આપણાં ધંધા માટે બહારની વ્યક્તિ નથી, પણ તે આપણા જ પરિવારનો સભ્ય છે.

આપણે તેનું કોઈ કામ કરીને તેની ઉપર મહેરબાની નથી કરતા પણ તેની મહેરબાની છે કે તે આપણને તેનું કામ સોંપે છે. આપણને સેવા કરવાની કે કામ કરવાની તક આપે છે.” લાગે છે કે બાપુને બેન્કોનો બરાબર અનુભવ થયો હશે, નહીંતર આટલું માર્મિક નિવેદન ન કરે. છગન કહેતો હતો કે બેન્કવાળાનું રાષ્ટ્રગીત છે. ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ મારે ત્યાં શું કામ આવો છો? બીજે જાવ ને! સિંદબાદ કહે છે : ગાંધીજીની આટલી સરસ વાતો બેન્કવાળાએ દરેક શાખામાં મઢાવીને મૂકી છે. પણ તે અધિકારીને વંચાય તે રીતે નહીં? એ લોકો પગારની ગાંધીછાપ નોટો ખિસ્સાંમાં મૂકે છે. બાપુની સલાહ ટેબલ પાસે પડેલ ડસ્ટબિનમાં જવા દે છે.

વાઈડ બોલ

ઉદ્ઘાટન થઈ ચૂકેલા ઈન્ફર્મેશન સેન્ટરનું શિક્ષણ મંત્રીએ ફરી ઉદ્ઘાટન કર્યું.

- સમાચાર

‘મંત્રીશ્રી પાસે તેની ઈન્ફર્મેશન નહીં હોય!’

Tuesday, November 23, 2010

સવાલ લાખ રૂપિયાનો...

બીગ-બોસમાં પામેલા આવી ગઈ. છગન કહે છે કે પામેલા એ બલા છે જે તે પામેલા પણ પસ્તાય છે અને ન પામેલા પણ પસ્તાય.

કૌન બનેગા કરોડપતિમાં કરોડ રૂપિયાનો સવાલ ભલે હોય પણ આપણી બોલચાલની ભાષામાં તો સવાલની કિંમત લાખ રૂપિયા સુધી જ પહોંચી છે. ગમે તેવો અઘરો કે અગત્યનો સવાલ પણ આપણને વધુમાં વધુ ‘લાખ રૂપિયાનો સવાલ’ લાગે છે પણ સિંદબાદ કહે છે કે ક્યારેક તો સવાલ કરતાં ય જવાબની કિંમત વધી જતી હોય છે. ‘તમારી પત્નીનું તમે ગળું દબાવી દીધું ત્યારે તમે ક્યાં હતાં?’ આ સવાલનો જવાબ નહીં, પણ જવાબ ટાળવાના લાખ્ખો રૂપિયા હોઈ શકે. દેશમાં આવતા પરદેશીઓની આકરી પૂછપરછ કરાતી હોય છે. તેમના ઉપર નજર રખાતી હોય છે. હવે તમે સવાલ કરો જો આટલી સજા સરકાર કરતી હોય તો કરોડ જેટલા બંગ્લાદેશીઓ કેમ ઘૂસી ગયા છે? તમારો આ સવાલ એક પઈનો ગણાય. ગાંધીજીના એક પૌત્રની જન્મભૂમિ દક્ષિણ આફ્રિકા છે. ગાંધીજીના પૌત્રને દેશમાં પ્રવેશ આપતા પહેલાં સજાગ અધિકારીએ સવાલો શરૂ કર્યા. ‘તમારી રાષ્ટ્રીયતા દક્ષિણ આફ્રિકા કેમ છે?’

સર, મારો જન્મ દ.આફ્રિકામાં થયો હતો એટલે.

ઓ.કે. ઓ.કે. તમારો જન્મ દ.આફ્રિકામાં થયેલો એમ ને મિ. ગાંધી?

‘હા જી’.

‘ઓ.કે. તમારો જન્મ થયેલો ત્યારે તમારી માતા ક્યાં હતાં?’ સજાગ અધિકારીએ સવાલ કર્યો.

આ સવાલને તમે લાખનો કે કેટલા રૂપિયાનો કહેશો?

આવા જ એક ટીવી કાર્યક્રમમાં સંચાલક યુવતીએ એક સ્પર્ર્ધકને પૂછયું, ‘તમે પરણેલા છો?’

છગનને મેં પૂછયું તને પેલી યુવતીએ પૂછયું હોત તો તું શું જવાબ આપત? છગન વિચારમાં પડી ગયો પછી કહે, ‘હું જવાબ આપત કે મારાં લગ્ન આમ તો થયેલાં છે પણ બીજી વારનો વાંધો નથી. જો તમારી તૈયારી હોય તો’.

સિંદબાદને પૂછયું, ‘તું આ સવાલનો જવાબ શું આપત’?

‘હું તો લાખ રૂપિયા લેવા આવ્યો છું. સવાલથી ન મળે તો જો લગ્નમાં લાખનો ચાંલ્લો ગેરન્ટેડ હોય તો તે પણ ચાલશે.’

ઇતિહાસ સાથે અનુસ્તાનક એક થયેલા મિત્રને મેં પૂછયું, ‘મહેતા, તને આ યુવતીએ પૂછયું હોત કે તમે પરણેલા છો તો તમે શું કહેત?’

એ કહે, હું યુવતીને કહું, ‘તમે જો પરણવા માટે આ રીતે પ્રસ્તાવ મૂકતા હો તો કહું એ સુંદરી, જો મારી માતા તમારા જેવી સુંદર હોય તો હું પણ તમારા જેવો સુંદર હોત’.

‘પછી એ યુવતી શું જવાબ આપત તે ખબર છે!’

‘શું જવાબ આપત?’

‘અચ્છા, તો તમારા પિતા માટે માગું લઈને આવ્યા છો એમને?’

છગને પાછું કંઈક યાદ આવતા કહ્યું, ‘જો મને આ સવાલ પૂછત તો કહેત આ સવાલ માહિતી માટે છે કે માગું નાખવા માટે છે?’ અને પછી કહેત ‘મેડમ, એમ કરો આ રીતે સવાલે સવાલે કુંવારી થવાને બદલે છાપામાં લગ્નવિષયક ટચૂકડી જાહેરખબર આપી દો ને!’

અને વાત પૂરી થઈ.

ગૂગલી

દરેક માણસ મરે તો છે જ. પણ ખરેખર જીવી જાણનાર કેટલા?

Saturday, November 20, 2010

ઓબામા-ગાંધી ડિનર

ઓબામા આવ્યા અને ગયા.

તેમના આગમન વખતે એક પ્રશ્ન ઉછળ્યો હતો. ‘‘તમે કોની સાથે ડિનર લેવું પસંદ કરો?’’

અલબત્ત, તેમના ગયા પછી અશોક ચવ્હાણના ઘરમાં રાંધ્યાં ધાન રઝળી પડયાં. તે ઓબામાને પુછાયેલું કે તેઓ કોની સાથે જમવાનું પસંદ કરે? ઓબામાએ કહ્યું કે ‘‘મને ગાંધીજી સાથે ડિનર લેવું પસંદ પડે!’’

મેં સિંદબાદને પૂછયું, ‘‘તને કોની સાથે ડિનર લેવું પસંદ પડે?’’

‘‘એટલે?’’

‘‘એટલે... એમ કે તને મારી સાથે ડિનર લેવું પસંદ પડે?’’

‘‘હા, જો બિલ તમે ચૂકવવાના હો તો મને જરૂર પસંદ પડે.’’

સિંદબાદની કોની સાથે ડિનર લેવાની પસંદગી બિલ કોણ ચૂકવશે, તેની ઉપર નિર્ભર હતી પણ મોહનદાસ ગાંધી સાથે તો ડિનર શક્ય ન હતું એટલે એમણે મનમોહનદાસ સાથે ડિનર લીધું! મનમોહનના નામ પાછળ દાસ લખાયું છે તેનો ભળતો અર્થ ન કાઢવા વિનંતી. ઓબામા ગાંધીજી સાથે ડિનર લઈ ન શક્યા. છગન કહે છે કે આ ડુપ્લિકેટનો જમાનો છે. ટીમ ઇન્ડિયાના ડ્રેસમાં એક તેંડુલકરનો ડુપ્લિકેટ જોવા મળે છે. અમદાવાદમાં એક ગાંધીજીનો ડુપ્લિકેટ ફરે છે, તે બાપુના ડ્રેસમાં ફરે છે. મનમોહનજીનો એક ડુપ્લિકેટ પણ કોંગ્રેસનો નેતા છે. ક્યાંક બીક લાગે કે કોઈ ત્રાસવાદી ભૂલ ન કરી દે. અમદાવાદના એ ડુપ્લિકેટ ગાંધી (મિત્રો, ડુપ્લિકેટ ગાંધી શબ્દમાં કટાક્ષ ન જોવા વિનંતી) અથવા બેન-કિંગ્સલેને ઓબામા સાથે ડિનર ટેબલ ઉપર ગોઠવી દેવાયા હોત તો? તો ઓબામાને ગાંધીજી સાથે ડિનર લેવાનો આનંદ મળી શક્યો હોત. જાણવા પ્રમાણે ગાંધીજીના લેબાશમાં કિંગ્સલે ફરતા હતા ત્યારે તેઓ શુદ્ધ શાકાહારી થઈ ગયા હતા. કાગબાપુએ લખ્યું છે ને કે રાવણે સીતાને છેતરવા રામનું રૂપ ધારણ કરેલું ત્યારે તેમને પવિત્ર વિચારો આવવા માંડયા હતા. ગાંધી સાથેના ડિનરની ઓબામાની ઇચ્છા પાર આ રીતે પાડવા જેવી હતી.

અમેરિકન પ્રમુખના સ્વાગતમાં મનમોહનસિંહે કહ્યું, ‘‘ઓબામા મારા અંગત મિત્ર છે.” જોકે ચાણક્યે કહ્યું છે રાજા (શાસક) કોઈનો મિત્ર હોતો નથી, જો ઓબામા મનમોહસિંહના અંગત મિત્ર હોય તો આપણી પ્રણાલિકા પ્રમાણે સિંહે ‘ફર્સ્ટ લેડી’ને ‘ભાભી મિશેલજી’ એમ કહ્યું હોત!

ઓબામાને ગાંધી ગમે છે. ગાંધીજી એમની સાથે બકરી રાખતા. ઓબામા એમની સાથે બકરી નથી રાખતા પણ આગળ-પાછળ ડિટેક્ટિવ કૂતરા રાખે છે. જો ઓબામાને ગાંધી સાથે ડિનર લેવાનું હોત તો એના શિકારી કૂતરા આખો આશ્રમ ફેંદી નાખત.

ગાંધીજી ઓબામાને જમવામાં શું ઓફર કરત? બકરીનું દૂધ. અને ગાંધી સાથે જમવામાં માથાકૂટ કેટલી? છાશવારે બાપુ ઉપવાસ ઉપર બેઠા હોય. ઓબામાને જમવા આવવું હોય તો મહાદેવભાઈએ ડાયરી કાઢી જોવું પડે કે બાપુ ક્યારે ઉપવાસ નથી કરવાના!

ઓબામા સાથે આવેલા કૂતરા બાપુની બકરી અને ચરખો બધાને સૂંઘે. ઓબામા વિચારે કે આ બકરીનું દૂધ શું છે? અને તુરંત જ કોલ્ડ્રિંક્સની કંપનીઓ બકરીના દૂધનું આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ શરૂ કરી દે. પેલો કૂતરો ભારત આવ્યો તો તેનું નામ ‘ખાન’ હતું. પાસપોર્ટ અને વિસા માટે નામ તો જોઈએ ને! કૂતરાના પાસપોર્ટમાં એનું નામ ખાન હતું. શાહરૂખ ખાને ‘માય નેઈમ ઇઝ ખાન’ ફિલ્મ બનાવી તેનો આ અમેરિકન જવાબ હોઈ શકે.

હા. આમિર ખાને કહ્યું હતું શાહરૂખ તો કૂતરો છે અને હું બિસ્કિટ ખવડાવું છું ત્યારે પૂંછડી પટપટાવે છે.

પછી સ્પષ્ટ થયું આમિરના કૂતરાનું નામ શાહરૂખ છે. આ કિસ્સામાં અમેરિકન મિલિટરી ડોગનું નામ ખાન છે.

શું અમેરિકામાં બિનસાંપ્રદાયિક લોકો નથી?

વાઈડ બોલ

પાકિસ્તાની ક્રિકેટર રશીદે સંન્યાસ લીધો.

- ન્યૂઝ ચેનલનું ટાઈટલ.

મુસ્લિમ શા માટે સંન્યાસી થાય? તે તો ફકીર થાય!!

Friday, November 19, 2010

ગત વર્ષના વાઈડ બોલ

વર્ષોથી નૂતન વર્ષમાં મીઠાઈ ને મઠિયાં પીરસવામાં આવે છે. આ કોલમમાં પણ વીતેલા વર્ષના કેટલાંક વાઈડ બોલ પીરસવામાં આવે છે. એ છે વાંચકો માટે મીઠાઈ અને મઠિયાં. તમામને નૂતન વર્ષાભિનંદન.

ત્રિશંકુ

અહીંયાં બધાને બધું જ નથી મળતું એ કહેવા માટે શાયરે કહ્યું, ‘યહાં કીસી કો મુક્કમલ જહાં નહીં મીલતા. કીસી કો આંસમા નહીં મિલતા, કીસી કો જમીં નહીં મીલતી.’ (કોઈને આકાશ નથી મળતું, કોઈને જમીન નથી મળતી)

શાયર સા’બ, પણ ઘણાં એવા ત્રિશંકુઓ છે જેમને આકાશ પણ નથી મળતું, જમીન પણ નથી મળતી.

અંદાજ

લક્ષ્મણની જગ્યાએ ચેતેશ્વર પૂજારા ટીમમાં આવ્યા, તેથી ઓસ્ટ્રેલિયન ખુશ હતા પણ પછી ખબર પડી કે લક્ષ્મણની જગ્યાએ તો દશરથ આવ્યા છે.

એટલે?

એટલે લક્ષ્મણના પણ ‘બાપ’

ઘરડાની પ્રગતિ

મુશ્કેલ કામ ઘરડા લોકો ઉકેલી શકે એટલે કહેવાનું ‘ઘરડા ગાડાં વાળે’.

પણ હવે ઘરડા લોકો લગ્ન કરવા તરફ વળ્યા છે. એટલે કહેવત સુધારી શકાય. ‘ઘરડા ઘોડે ચઢે’

રહસ્ય

મશહૂર ટેનિસ સ્ટાર ફેડરરે કહ્યું: ‘તમારી સો ભવ્ય સફળતા પાછળ હજાર નિષ્ફળતાઓમાંથી મળેલું શિક્ષણ કારણભૂત હોય છે.’

આગાહી

ગોલ્ફના એક સમાચારમાં કહેવાયું કે, ‘આગામી ટાઈગર વૂડ ગુજરાતમાંથી મળશે.’

છગને સવાલ કર્યો, ‘એવો ખેલાડી કે એવો લફરાંબાજ?’

કોણ મોટું?

IPL માં રમતા ક્રિકેટરોને કરોડો રૂપિયા મળ્યા.

નક્સલીઓ સામે લડતા શહીદ થયેલા જવાનોના કુટુંબને લાખ રૂપિયા મળ્યા. મેરા ભારત મહાન.

ખાસ સ્કીમ

જોડિયાં બાળક - ટ્વિન્સ. એ ભગવાનની એક સાથે એક ફ્રીની સ્કીમનો ભાગ છે.

આકર્ષણ

આજકાલ ઈરેઝર (રબ્બર) એટલાં આકર્ષક આવે છે કે વિદ્યાર્થીઓને તે જોઈને વારંવાર ભૂલ કરવાનું મન થાય છે.

ગાંધીજીની દશા

ગાંધીજીની પ્રતિમા. દ. આફ્રિકામાં ધૂળ ખાય છે. - સમાચાર.

‘કઈ મોટી વાત છે? ટ્રેનના ડબ્બામાંથી ફેંકાઈ ગયા ત્યારે ખુદ ગાંધીજીએ ત્યાં ધૂળ ખાધેલી જ ને!’

ખરું નામ

નવેમ્બરની ઠંડીમાં લંકાનો ક્રિકેટર સમર વીરા જે રીતે આપણા બોલરોને ફટકારતો હતો તે જોઈ છગને કહ્યું આને સમર વીરા નહીં પણ વિન્ટર વીરા કહેવાય.

અવહેલના

ભારતને મેડલ અપાવનાર શૂટિંગ ચેમ્પિયન લજ્જા ગોસ્વામી પાસે પોતાની ગન પણ નથી. - સમાચાર.

આ ખરેખર ‘લજ્જાસ્પદ’ બાબત છે.

સામ્ય

પ્રેમ અને વરસાદ બંને સરખા છે. વરસાદમાં તમારું શરીર પલળે છે. પ્રેમમાં આંખો. (SMS)

કદાચ સુધરે

ક્રિકેટમાં ગેરશિસ્ત માટે ખેલાડીની મેચની ફી કાપી લેવાય છે.

તે પ્રમાણે સંસદમાં ગેરવર્તણૂક કરનાર સાંસદનું ભથ્થુ કપાય તો કદાચ સુધારો દેખાય.

સચ્ચાઈ

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિપત્ર છે.

રુદનમાં વાસ્તવિક્તા અને હસવામાં અભિનય છે. - શૂન્ય પાલનપૂરી.

એક જૂનો વાઈડબોલ

ગુજરાતમાં શરાબની બોટલ સંતાડવી પડે.

કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ સંતાડવો પડે.

વાઈડ બોલ

પછાત જાતિઓનો ઇતિહાસમાં દ્રવિડ તરીકે ઉલ્લેખ હોય છે. હમણાં હમણાં રાહુલ ગાંધી યુપીમાં દલિતોની વસ્તી વચ્ચે ફરે છે. સિંદબાદ કહે છે જે હવે એ રાહુલ દ્રવિડ તરીકે ઓળખાશે.

આદર્શ વિદાય...

અશોક ચવ્હાણને આખરે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી. હાઈ કમાન્ડે એમને રૂખસદ આપી દીધી. જાણકારો બોલ્યા કે યે તો હોના હી થા.

ઓબામા પરત જાય તેની જ રાહ જોવાતી હતી. ઓબામા ગયા અને ‘અશોક ચવ્હાણ’ના હાથમાંથી ગીત શરૂ થયું ‘જાને સે ઉનસે જાતી બહાર...’ ઓબામા ગયા અને અશોકજીના જીવનની બહાર લેતા ગયા. અશોક અત્યારે શોકગ્રસ્ત છે. આમ તો રિવાજ પ્રમાણે જ થયું છે. આપણામાં રિવાજ છે કે મહેમાનોની હાજરીમાં બાળકોને વઢવામાં નથી આવતું. મહેમાન જાય પછી મારઝૂડ પણ થાય. અશોક ચવ્હાણ એ પ્રથાના કારણે ઓબામા હતા ત્યાં સુધી ટકી રહ્યા. હજી તો ઓબામાનું પ્લેન ટેક-ઓફ કર્યું કે સોનિયાજીએ શાર્પ-શૂટરની અદાથી અશોક ચવ્હાણને વીંધી નાખ્યા.

કોઈ રસીકડાઓ શોક પણ નથી કરવાના. બધા નવા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની ભક્તિમાં લાગી જશે. ઐતિહાસિક પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાને પામ્યા હતા. આ પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્ત સરકારને પામશે.

આ બનાવની થોડીક છાનબીન કરીએ. અશોક ચવ્હાણનો ગુન્હો શું હતો? ભાઈશ્રી અશોકે તેમની સાસુ, સાળીને બધાને ફ્લેટ ફાળવી દીધા હતા. જરા વિચારો શું આ ખોટી બાબત છે? આપણે સૌ આપણી સાસુમા કે સાળી માટે અછો વાના કરીએ છીએ. સાસુ કે સાળીને સિનેમાની ટિકિટ લાવી આપનાર ઘણા હોય છે. જ્યારે મુખ્યમંત્રીને તેમના હોદ્દાને અનુરૂપ, વધુ ગૌરવપૂર્ણ વ્યવહાર કર્યો એમાં ખોટું શું કર્યું? એવા માણસો પણ આ પૃથ્વી ઉપર છે કે જેઓ સાસુ પાસેથી કંઈક ને કંઈક પડાવવાની વાત કરતા હોય છે. છગન તેની સાસુ પાસેથી ફ્રીઝ, કાર, ઘરઘંટી એવી પરચૂરણ વસ્તુઓ લેવા માટે પેતરાં કરતો હોય છે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જુઓ. કેટલા મહાન? એમણે સાસુ પાસેથી કાર, બંગલો, કશું માગ્યું નહીં. બલ્કે ‘અવળી ગંગા’ કરી બતાવી સામેથી આપવાની વાત કરી. મારી પત્ની પૂછે છે કે મુખ્યમંત્રીની સાસુએ આવો જમાઈ મેળવવા કયું વ્રત રાખ્યું હશે?

મને એમ હતું કે સાસુ-સાળીઓ પ્રત્યે ઉદાર રહેનાર મુખ્યમંત્રી માટે કવિઓ બિરદાવલિ રચશે. મહિલા સંસ્થાઓ સ્ત્રીસન્માનની ભાવના ઉત્કટ રીતે પ્રગટ કરવા માટે અશોક ચવ્હાણનો સત્કાર સમારંભ ગોઠવશે. ઉપરથી તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. આ સરાસર નાઈન્સાફી છે. તેમાં પણ સોનિયાજી જેવા મહિલા સર્વોચ્ચ નેતા હોય અને ત્યારે આવું બને એ ઘણું ખરાબ થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું શરૂઆતથી જ અપમાન થયું હતું. યાદ છે? અમેરિકન અધિકારીઓએ અશોક ચવ્હાણ પાસે તેમના ઓળખપત્ર માગ્યાં હતાં. મુખ્યમંત્રી સમસમી ગયા હતા.

પછી અમેરિકન અધિકારીઓને ખબર પડી કે ‘યે ક્યા કર બેઠે બાપલા?’ થાનેદારના સાળા નહીં પણ ખુદ થાનેદાર હતા. માફામાફી થઈ પતી ગયું. સિંદબાદ સવાલ કરે છે. કોઈના ઓળખપત્રથી કોઈની ઓળખાણ મળે ખરી? બહુ બહુ તો એનું નામ, સરનામું મળે, બસ એટલે. ઓળખાણથી ઓળખાણ ન મળે એ માટે વ્યક્તિની કુંડળી જોવી પડે જે સોનિયાજીએ અશોક ચવ્હાણની કુંડળી જોઈ ફળાદેશ કરી દીધું...

ગૂગલી

કોઈએ તમારું કરેલું નાનું કામ ભૂલો નહીં,

અને તેની નાની ભૂલોને યાદ ન કરો.

Wednesday, November 3, 2010

સાધુની ઉંમર કેટલી?

બાજી ફીટાઉંસ - નિરંજન ત્રિવેદી

હમણાં કેટલીક ચેનલવાળાએ સવાલ રમતો મૂક્યો છે. સાધુની ઉંમર કેટલી?

ઉક્તિ છે કે સાધુનું કુળ ન પુછાય. પણ આ તો ઉંમર પૂછવાની વાત છે. કેટલાક સાધુ મહારાજોની ઉંમર પાંચસો સાતસો છે તેવો દાવો તેમના ભક્તજનો કરતાં હોય છે. પણ એ સાધુ મહારાજની વાત છે જ્યારે આ વાત સાધુ- યાદવની. મશહૂર લાલુપ્રસાદ યાદવના તેઓ સાળા છે. તેઓ મહારાજ નથી. સાધુ નામ છે. કેવળ નામના સાધુ છે. તેઓ ફક્ત સાધુ નથી પણ તકસાધુ છે. ક્યારેક તેઓ લાલુની સાથે હોય છે. ક્યારેક લાલુની સામે. આ સાધુની ઉંમર વિષે ચેનલવાળાઓએ સવાલ ઊભા કર્યા છે. ચેનલવાળા કહે છે. સાધુ યાદવે ગણિતના નિયમો કોરાણે મૂકી દીધા છે. એ લોકો કહે છે. બે હજાર ચાર (૨૦૦૪)માં સાધુએ તેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ બતાવી હતી. હવે અત્યારે બે હજાર દસ (૨૦૧૦) ચૂંટણી વખતે તેમની ઉંમર સુડતાલીસ (૪૭) બતાવી છે. બીજા ધોરણમાં ભણતું બાળક કહી શકે ૨૦૦૪માં ચુમ્માલીસ વર્ષના માણસ ૨૦૧૦માં પચ્ચાસ વર્ષનો હોય. પણ ના સાધુ કહે છે. ૪૭ વર્ષ જ છે. સત્યનારાયણની કથામાં આવતો સાધુ પણ સાચું બોલવા ટેવાયેલો નથી. જ્યારે આ તો રાજકારણનો સાધુ છે. કહેવાય છે આ લોકો ઘોડિયામાં પણ સાચું રડયા નથી હોતા એ લોકો ઉંમર સાચી કઈ રીતે કહી શકે? ચુમ્માલીસ વત્તા છ તો સાચો જવાબ તેમણે જણાવ્યો નથી. કારણ નેતાઓને પોતાનું ગણિત હોય છે. આપણા એક મોટા ગજાના નેતાએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમની પાસે કાર નથી. કોઈએ તેમને રિક્ષાનું મીટર ઝીરો કરાવી રિક્ષામાં બેસતા જોયા નથી.

સાધુની ઉંમરનું રહસ્ય હજી જાણવા મળ્યું નથી. કહે છે કે સાધુ તો ચલતા ભલા. પણ આ સાધુ તો ચલતી ગાડી રોકી દે તેવા. લાલુપ્રસાદ રેલવે મંત્રી હતા તેના જોર ઉપર રાજધાની એક્સપ્રેસ તેમણે રોકી દીધી હતી. આવી કોઈ શક્તિથી તેમણે તેમની ઉંમર રોકી રાખી હોય. ત્રણ વર્ષથી એમણે ઉંમર રોકી રાખી છે. અથવા તો શાસનથી દૂર રહેવું પડયું હોય તે વરસો એમણે ઉંમરમાંથી બાદ કર્યા હોય. મહિલાઓ ઉંમરની બાબતમાં સાધુ જેવું વલણ દેખાડે છે. એક ભાઈ કહેતા હતા મારી પત્ની છેલ્લાં ત્રણ વર્ષથી પચ્ચીસ વર્ષની જ છે.

એક ન્યાયાધીશે સાક્ષી મહિલાને કહ્યું, “બહેન, પાંચ વરસ પહેલાં તમે કોર્ટમાં આવ્યાં ત્યારે તમે પચ્ચીસ વરસનાં છો તેમ કહ્યું હતું. આજે પણ તમે પચ્ચીસ વરસનાં છો તેમ કહો છો!”

“સાહેબ, તમારે મારી પ્રશંસા કરવી જોઈએ કે હું મારા એક વાર આપેલા બયાનમાંથી ફરી જતી નથી.”

સાધુનું આવું જ કંઈક હોઈ શકે?

ગૂગલી

પૈસા માટે પરસેવો પાડનાર ઘણાં હોય છે. પણ પર-સેવા માટે પરસેવો પાડનાર તો કોઈક જ. (SMS Sent by Mahendra Joshi)

Sunday, October 31, 2010

પત્નીને મારી શકાય

Oct 30,2010

પત્નીને મારી શકાય. બાકાયદા મારી શકાય. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. હરખાશો નહીં ભાઈઓ એ સુપ્રીમ કોર્ટ આપણી નહીં, પણ સંયુક્ત આરબ અમીરાતનો એ ચુકાદો છે! આપણે ત્યાં પત્નીને ફટકારનારને કોર્ટ સજા ફટકારી શકે, એક કિસ્સામાં પત્નીને લાફો મારનારને કોર્ટે પચાસ રૂપિયા દંડ કર્યો હતો. પેલા પતિદેવે સોની નોટ ધરી. ક્લાર્કે કહ્યું, ‘છુટ્ટા નથી. પચાસ છુટ્ટા આપો’ પતિદેવે ઉત્સાહથી કહ્યું, ‘કોઈ વાંધો નહીં. હું બીજો એક લાફો મારી દઉં છું.’ કદાચ આ રમૂજ ગાંધીજી જાણતા હશે એટલે એમણે કહ્યું હતું, “કોઈ તારા એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરજે” (કમાણી બમણી થશે!)

યુનાઈટેડ આરબ અમીરાતની સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપણને બંધનકર્તા નથી પણ તેમણે ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે પત્નીને મારી શકાય, પણ તે હળવી ઝાપટઝૂપટ જ હોવી જોઈએ. મારઝૂડ નહીં. એ કોર્ટે તો પત્નીને અંકુશમાં રાખવા આ પ્રથા જરૂરી છે તેમ પણ કહ્યું. મિત્રો, એ આરબ મુલ્ક છે. આરબ મુલ્કમાં સ્ત્રીઓનું કે પત્નીનું સ્થાન નીચલા દરજ્જાનં ગણાય છે. કેટલાંક વર્ષો પહેલાં અમેરિકન પ્રમુખ જીમી કાર્ટર સાઉદી અરેબિયા ગયા હતા. અમેરિકામાં તો પતિ-પત્ની સાથોસાથ ચાલે હાથમાં હાથ નાખી ચાલે, પણ આરબ દેશમાં પત્ની પાછળ પાછળ ચાલે.

અમેરિકન પ્રમુખ આરબ સંસ્કૃતિને ખ્યાલમાં રાખી પત્નીને પાછળ રાખી પોતે આગળ આગળ ચાલ્યા. અમેરિકાનાં ‘ફર્સ્ટ લેડી’ ‘રનર અપ’ની જેમ પાછળ પાછળ ચાલતાં હતાં. એ ફોટોગ્રાફ્સ અમેરિકામાં છપાયા ને હોબાળો મચ્યો. ‘હાઉ કેન યુ ઈગ્નોર યોર વાઈફ?

પણ આરબ દેશોમાં પત્ની પાછળ ઢસડાઈને ચાલતી હોય તે સામાન્ય છે. આ અંગેની એક રમૂજ છે. અફઘાનિસ્તાનમાં એક પઠાણ પાછળ પાછળ ચાલતો હતો, તેની બીબી આગળ જઈ રહી હતી. કોઈકે કહ્યું, ‘તમે ઉદારમતવાદી છો, પત્ની તમારાથી આગળ ચાલે છે!’

‘ના-ના એવું નથી.’ પઠાણ ભાયડાએ કહ્યું ‘આ રસ્તા ઉપર સુરંગો પાથરેલી છે એટલે હું બીબીને આગળ મોકલી રહ્યો છું!’ આપણે ત્યાં આરબ દેશો જેવી સ્થિતિ નથી. ક્યાંક ક્યાંક તો ‘અવળી ગંગા’ જોવા મળે છે. પત્ની પતિને મારતી હોય એવા કિસ્સા છે. (ભૂલ ન કરતા, મારી આત્મકથાનો ભાગ નથી પણ એક ચરિત્રકથા છે.) સેટેલાઇટ વિસ્તારનો એક કિસ્સો લાઇટમાં આવ્યો હતો. એક મહિલા તેના પતિને મારતી હતી આખરે આ પ્રદેશ અમદાવાદના મૂળમાં સસલું કૂતરાની સામે થઈ ગયું હતું તે બતાવે છે. ત્યાં સસલી જેવી પત્ની કૂતરા જેવા પતિ સામે થઈ જાય એ નવાઈ ન કહેવાય!

આરબ કોર્ટનો ચુકાદો યાદ રાખવા જેવો છે. પત્નીને મારો પણ હળવેથી. મારા હિન્દીભાષી મિત્ર કહેતા હતા. ‘મખમલ મેં લપેટ કે જૂતા મારો’ આરબ કોર્ટ એ જ કહે છે કે જૂતા મારો પણ મખમલ મેં લપેટ કે. આપણા લોકગીતમાં પણ આવે છે. ‘લવિંગ કેરી લાકડીયે રામે સીતાને માર્યાં જો...’ એટલે કે પત્નીને મારો પણ ‘લવિંગલી’.

આરબ અમીરાતથી કોર્ટ પણ એ જ કહે છે મારો પણ લવિંગલી! આપણે ત્યાં તો શાબ્દિક પ્રહાર પણ માન્ય નથી. એક પતિ એની પત્નીને કાળી કાળી કહેતો હતો. પેલીને ગમતું ન હતું. છતાં કાળી કહેવાનું ચાલુ જ રાખ્યું એટલે એ કાળી લાલ થઈ ગઈ, સુપ્રીમ સુધી મામલો ગયો. સુપ્રીમે પત્નીને કાળી કહેતા પતિને કાળી કોટડીમાં પૂરી દેવાની સજા કરેલી. ટૂંકમાં આરબ કોર્ટના ચુકાદાથી કોઈએ ખુશ થવાની જરૂર નથી. પ્રેરણા લેવાની પણ જરૂર નથી.

વાઈડ બોલ

યહાં કિસી કો મુક્કમલ જહાં નહીં મીલતા. કિસી કો આસમાં નહીં મિલતા, કિસી કો જમી નહીં મીલતી. અને કેટલાંક ત્રિશંકુઓને જમીં પણ નથી મળતી અને આસમાં પણ નથી મળતું.

Tuesday, October 26, 2010

બાપનો મારતલ

કંસ અને કોર્પોરેટર એવું શીર્ષક બની શકે તેવી ઘટના છે. કંસને કહેવામાં આવ્યું હતું કે દેવકીનું આઠમું સંતાન તેનો વધ કરશે. અત્યારની સ્થાનિક સંસ્થાઓની નિયમાવલિના કારણે ત્રીજું સંતાન તેના પિતાના સ્થાનનો વધ કરે છે. કોર્પોરેટર થવું હોય તો બેથી વધુ સંતાન તમને ન હોવા જોઈએ. ભલે તમે પચાસ હજાર માણસોના પ્રતિનિધિ હો પણ તમારે બેથી વધુ સંતાન ન ચાલે. શાહજહાંની મશહૂર બેગમ (વન ઓફ ધ વાઈફ્ ઓફ શાહજહાં) મુમતાઝને ચૌદ સંતાન હતાં. એ ભલે રાજરાણી હતી, પણ આજે તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર ન બની શકે. સિંદબાદ કહે છે કે મુસ્લિમ બિરાદરોની કુંડળીમાં સંતાન યોગ પ્રબળ હોય છે. એક સ્થાનિક ટૂર કંપનીના ડ્રાઈવર સૈયદભાઈને અગિયાર બાળકો હતાં. એમની સાથે તાજમહાલ જોતા જોતા એક પ્રવાસીએ ટકોર કરેલી કે ‘સૈયદભાઈ તમે શાહજહાં કરતાં થોડાક જ પાછળ ગણાવ.’ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસના ચાલીસ કોર્પોરેટમાંથી અઢાર મુસ્લિમ છે. સાફ છે કે તેઓને બેથી વધુ બાળકો નહીં હોય. આ એ સમાજની પ્રગતિ ગણી હરખાવું જોઈએ.

ઇતિહાસના એક કાળમાં બાપને મારી દીકરો ગાદીએ આવતો. હવેના સમયમાં દીકરાને ગાદી નથી મળતી, પણ તેના કારણે બાપને ગાદી ગુમાવવી પડે છે. આ કળિયુગમાં ત્રીજું સંતાન બાપનો હત્યારો બને છે. અલબત્ત, તેમની ખુરશીની હત્યા. ‘પણ બિના ખુરશી જીના ક્યા, જીના હૈ?’

આ નિયમના કારણે અજીબોગરીબ ઘટના બને છે. થોડાક વખત પહેલાં એક ભાજપી નેતાને ઘેર ત્રીજા સંતાનનો જન્મ થયો કે કોંગ્રેસે પેંડા વહેંચ્યા હતા. આ ત્રીજા સંતાને તેના પિતાની નગરપાલિકાના પ્રમુખપદની ખુરશીને ખતરામાં મૂકી દીધી હતી. તેનો આનંદ તેમણે પેંડા વહેંચી પ્રગટ કર્યો હતો.

અત્યારે ભાજપના જ બે કોર્પોરેટ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેમની ખુરશી ગુમાવવાની તૈયારીમાં છે, એમના સંતાનને કારણે. આ માસૂમ બાળકોને ખબર પણ નથી કે તેમના કારણે પિતાની ખુરશી જઈ રહી છે.

મિત્રો, આ નિયમના કારણે આપણને ભવિષ્યમાં લાલુ પ્રસાદ નહીં મળે. લાલુ પ્રસાદ યાદવને નવ બાળકો છે. વિચાર કરો લાલુ પ્રસાદ વિના રાજકારણ કેટલું સૂનું લાગે?

આપણે ત્યાં અષ્ટપુત્ર માતા ભવ. આઠ પુત્રની માતા થવાનો આશીર્વાદ અપાય છે. આ નિયમ પ્રમાણે આ આશીર્વાદ હવે શ્રાપ બની રહ્યો છે. આમ જોવા જાવ તો આ નિયમ આપણી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે તેમ ગણી શકાય. તે અંગે કેમ કોઈ રીટ કોઈ રીટપ્રેમીએ કરી નથી તે સમજાતું નથી? કેટલાક લોકો રીટપ્રેમી હોય છે. મોકો મળે કે એકાદ રીટ ફટકારી દે. કાંકરિયાની ‘એન્ટ્રી ફી’ માટે લોકોએ રીટ ફટકારી છે. પણ ત્રીજા સંતાનથી થતી ‘એક્ઝીટ’ માટે કેમ તેમણે રીટ નથી કરી?

એ ત્રીજા બાળકને હાલરડું નાખતા વિતાવે કહ્યું પણ હશે કે, ‘તમે મારા દેવના દીધેલ છો.’ હવે એક કડી ઉમેરી શકાય ‘તમે મારી ખુરશીમાં મારતલ છો’. વધુ પત્ની રાખવાની આઝાદી તો ગઈ, હવે વધુ બાળકો મેળવવાની આઝાદી પણ જઈ રહી છે. જાગો... જનતા જાગો..

ગૂગલી

જીવન કરતાં વધુ સંતોષ છે બેફામ મૃત્યુમાં

હતાં મોટાં મકાનો એમને નાની મઝારો છે.

- બરકત વિરાણી

Saturday, October 23, 2010

બાબુ એક પૈસા દે દે...

આ એક જ પંક્તિ સાંભળ્યા પછી તુરંત જ ખ્યાલ આવે કે ગીત પુરાણું છે. ઘણું પુરાણું છે. એક ભિખારી ભીખમાં પૈસો માંગે છે. અત્યારે કોઈ ભિખારી પૈસો માગે નહીં કે લે નહીં. વર્ષો પહેલાંની હિન્દી ફિલ્મના આ ગીતકારને મન એક પૈસાનું મહત્ત્વ હતું. અત્યારે રિ-મેકનો જમાનો છે. ઘણી જૂની ફિલ્મોના રિ-મેક થાય છે એ રીતે ‘બાબુ એક પૈસા દે દે’ ગીતનું રિ-મેક કરવું હોય તો ‘બાબુ એક રૃપિયા દે દે’ એવું ગીત બનાવવું પડે. આપણી હિન્દી ફિલ્મનું કોઈ એક જમાનામાં પ્રખ્યાત ભીખગીત હતું એક પૈસા દે દે.

આમ તો હોલિવૂડની ફિલ્મો સાથે આપણી ફિલ્મોની સરખામણી થાય છે. એક મહત્ત્વનો ફરક હોલિવૂડ અને બોલિવૂડ વચ્ચે છે તે છે ભીખ-ગીતોનો! ભિખારીઓએ ગાયેલાં ગીતો આપણી ફિલ્મોમાં છવાઈ ગયાં છે. હોલિવૂડની કોઈ ફિલ્મમાં ભીખ-ગીત નથી. આપણી ફિલ્મોમાં ભીખગીતો એટલાં મશહૂર થઈ ગયાં છે કે તે લખનાર ગીતકારો ને સંગીતકારો ધનાઢય થઈ ગયા. ભીખગીતે એમને ધનવાન કર્યા!

આપણી ફિલ્મોએ કન્યાવિદાયનાં સુપરહિટ ગીતો આપ્યાં છે. લોરી-યાને હાલરડાં ગીતોએ આપણી ફિલ્મોમાં ખંગ વાળી દીધો છે. ‘ધીરે સે આજારે અખિયોં મેં નિંદીયા...’ ના ગીતકાર રાજેન્દ્ર ક્રિશ્ન અને સંગીતકાર રામચંદ્ર ચિરનિદ્રા પામી ગયા છે પણ આ ગીત સદાબહાર છે.

આપણી ફિલ્મોનાં લોરી-ગીતો કે કન્યાવિદાય ગીતો વિશે ઘણું લખાયું છે પણ ‘ભીખ-ગીતો’ પણ લેખ લખાય તેવો વિષય છે. ભીખગીતોની બાબતમાં બોલિવૂડ ખૂબ જ આગળ છે. હોલિવૂડને આ બાબતે ‘લવ-ગેઈમ’ આપી છે. હોલિવૂડ ઝીરો છે. સામે બોલિવૂડનાં અસંખ્ય ગીતો છે.

ભીખ આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. કોઈ ટ્રેન એવી નહીં હોય જેમાં ભિખારીઓ લટપટિયાના તાલે ગીત ગાઈને ભીખ મેળવે. ભિખારીઓ પણ અપ-ડાઉન કરતા હોય છે અને ટિકિટ-ચેકરોની જેમ ટ્રેનમાંથી બે-પૈસા રળી લે છે.

વરસો પહેલાં રાજકપૂરનું ‘બૂટ-પોલિસ’ આવ્યું હતું. તેમાં સુંદર ભીખગીત હતું. ‘તૂમ્હારે તૂમ સે દયા માગતે હૈ’ છેલ્લી પંક્તિમાં રફી સાહેબ તાર સપ્તકમાં ‘બચા હુઆ રોટી કા ટુકડા યા કપડા દીલા દો’ની માગ કરે છે. ત્યારે રેડિયો ઉપર ગીત અવારનવાર વાગતું તે સાંભળી એક સજ્જન કહેતા હતા. ‘આટલો સરસ હલકદાર કંઠ છે તો ભીખ શું કામ માગતા હશે?’ એક ભીખગીતમાં ભિખારી કહે છે, ‘ઔલાદ વાલો ફૂલો ફલો મળનાર પૈસાના બદલામાં ફૂલો ફલો...ના આશીર્વાદ આપે છે. છગન કહે છે તે શરતી આશીર્વાદ છે. તે ઔલાદવાલોને જ સંબોધે છે. એટલે કે નિઃસંતાન લોકો માટે એ ડિમાન્ડ નથી કરતો. લાખ્ખો-કુંવારા સ્ત્રી-પુરુષને પણ ઔલાદ વાલો’ વાક્ય લાગુ ન પડે.

એક ભીખગીતમાં લોટરીપ્રથાના પ્રચાર જોવામાં આવે છે. ‘તું એક પૈસા દેગા તો વો દસ લાખ દેગા’ રોકાણ એક પૈસાનું ફાયદો સીધો દસ લાખનો. આ લોટરીમાં બની શકે. યા સટ્ટો!! એ રીતે સટ્ટાખોરીનું એ પ્રચારગીત પણ ગણી શકાય.

એક ફિલ્મમાં હાથી પાસે ભીખ મંગાવવામાં આવે છે ત્યારે હીરો ગાય છે, ‘દુનિયા મેં જીના હૈ તો કામ કર પ્યારે, સલામ કર પ્યારે’ અને હાથી સલામ કરે, પૈસા મેળવે.

આપણે ત્યાં ભીખ પણ સંગીતમય છે. એટલે ફિલ્મોમાં તે કામમાં આવે છે. વર્ષો પહેલાં રાયપુર ખાડિયામાં એક મહારાષ્ટ્રીયન કિશોર અને તેની બહેન ભીખ માગવા એમના સુકોમળ ગળામાંથી રેલાતું ભજન ‘મોરે કમલપતિ ભગવાન’ હજુ લોકોને યાદ છે.

‘બસંતબહાર’ ફિલ્મમાં પણ ભીખ અને ભજનનું મિશ્રણ મન્ના ડેના ગીતમાં હતું. ‘ભીડભંજના સૂન વંદના હમારી’ મલ્હાર રાગની બંદિશમાં ગીતકાર કહે છે, ‘તૂમ્હે ક્યા મેં દૂં મૈં ઠહેરા ભિખારી...’ ‘દોસ્તી’ ફિલ્મના ગીતમાં પણ ભીખનો સૂર જ પ્રધાન હતો. તો પ્રધાનો પણ ભીખનો સૂર ક્યારેક રેલાવે છે. એટલે કે ચૂંટણી વખતે હાથ જોડીને પ્રજા પાસે મત માંગે છે. આપણી સંસદમાં પચાસ ટકા સભ્યો કરોડપતિ છે. એટલે કરોડપતિ ભિખારીઓ છે એમ કહી શકાય.

Saturday, October 16, 2010

સરદાર તરફથી ઉપડશું...

અવળીગંગા - નિરંજન ત્રિવેદી

પોળોમાં તકરાર થાય ત્યારે મિત્રો વ્યૂહ ગોઠવે. સૂરીયાને લાગે છે કે કનિયા સાથે બબાલ થાય તેમ છે. એટલે તે તેના ગોઠિયાને પૂછે છે “મનુ, પેલા કનિયા સાથે બબાલ થઈ છે. મારામારી પણ કદાચ થશે.”

“થવા દે”

“હા, પણ ઝઘડો થશે ત્યારે તું મારા તરફથી ઉપડીશ ને?”

ત્યારે મનુ સુરીયાને બાંયધરી આપે છે, “હું તારા તરફથી ઉપડીશ, હું ઉપડીશ એ ‘કમિટમેન્ટ’ છે.”

અત્યારે સરદાર એટલે કે સરદાર પટેલને કારણે બબાલ થઈ છે.

ભાજપ અને કોગ્રેસે બાંયો ચડાવી છે.

કોંગ્રેસી મિત્રો એમના શત્રુ એટલે કે ભાજપ માટે કહી રહ્યા છે કે એમને ચૂંટણી વખતે જ સરદાર યાદ આવે છે.

“અરે, પણ તમને તો સરદાર ક્યારેય પણ યાદ નથી આવ્યા.” ભાજપી કાર્યકર વળતો જવાબ આપે છે.

આ તકરારમાં કોંગ્રેસ કે ભાજપ બરાબર ગરમ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા ઊભી કરવાનું નક્કી કર્યું છે. આ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા થશે. લીબર્ટીની પ્રતિમા કરતાં ક્યાંય મોટી આ પ્રતિમા હશે. બસ્સો મીટર ઊંચી પ્રતિમાના વિચારથી જ લોકો ઉત્તેજિત થઈ જાય છે.

ભારતના સૌથી ઊંચા નેતા માટે સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની વાત છે. સરદારસાહેબની બસ્સો મીટર ઊંચી પ્રતિમા બનશે. (લગભગ સાઠ માળના મકાન જેટલી) કોંગ્રેસ તરફથી ઝઘડો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસવાળા માને છે કે સરદાર તો કોંગ્રેસી હતા. “મારા બાપનું બારમું કોઈ બીજો કેમ કરે?”

ભાજપવાળા કહે છે સરદાર તો રાષ્ટ્રનેતા હતા. આ દેશને એક કર્યો હતો. આ ઝઘડામાં આપણે ક્યાં છીએ? આપણે કોંગ્રેસ તરફી નથી કે ભાજપ તરફી નથી, આપણે સરદાર તરફી છીએ. સરદાર તરફથી ઉપડવાનું અમારું કમિટમેન્ટ છે.

સરદાર પટેલનો જન્મ થયો ત્યારે જનસંઘ કે ભાજપનો જન્મ પણ થયો ન હતો. એ વખતે સરદારની સ્મશાનયાત્રામાં પ્રધાનોએ ભાગ લેવા મુંબઈ ન જવું એવી સૂચના પંડિતજીને જારી કરી હતી. પણ કનૈયાલાલ મુનશીએ તે સૂચના માની ન હતી. આ વાત મુનશીએ તેમની કથામાં લખી જ છે. અને આ લોકો પૂછે છે કે સરદારને કેમ યાદ કરો છો? આ દેશના દરેક મોટા નેતાએ મર્યા પછી પોતાના નામના ઘાટ પામ્યા છે. ગાંધીજી, જવાહરલાલ, ઇન્દિરાજી, અરે, પેલા ચરણસિંહજી અને બાબુ જગજીવનરામ પણ પોતાના ઘાટ એમની અગ્નિસંસ્કારની ભૂમિ ઉપર પામ્યા છે. આ બધા નેતાઓને એક પલ્લામાં મૂકો સામે સરદારને મૂકો એ તમામના ભેગા વજન કરતાં સરદાર પટેલનું વજન વધી જાય છે. એ સરદારના નામનો કોઈ ‘ઘાટ’ નથી. (જેણે આધુનિક ભારતનો ઘાટ આપ્યો) રાજીવ ગાંધી, સંજય ગાંધીનાં પણ ઘાટ-સ્મારક છે જ. બહાદુર શાહ ઝફરે કહ્યું હતું તેમ સરદાર પટેલને પોતાની કર્મભૂમિમાં “દો ગજ ભી જમીં ન મિલી”. આ બાબતે એ લોકોએ લાજવું જોઈએ પણ કેવા ગાજે છે!

આ દેશમાં અનેક લોકોની ટપાલટિકિટ બહાર પડી ગઈ છે. તબલાંવાળા કે સારંગીવાળાની ટપાલટિકિટ બહાર પડી ચૂકી છે. પણ મહાન-અતિમહાન સરદાર પટેલની ટિકિટ નહેરુજીની હયાતિમાં બહાર પડી નથી. ખેર, સરદાર બે ઈંચની ટપાલટિકિટના મહોતાજ નથી. માટે જ એમના માટે બે ઈંચની ટપાલટિકિટની જગ્યાએ બસ્સો મીટરની પ્રતિમા સ્થાન લઈ રહી છે. કોઈ પણ રાષ્ટ્રપ્રેમીને આનંદ થવો જ જોઈએ.

સરદાર પટેલની જન્મજયંતીની રજા પણ નહેરુના અવસાન પછી ગુજરાતમાં મંજૂર થઈ.

કારણ? કારણ એ જ કે “તૂમ કો પસંદ હો, વો હી બાત કરેંગે”તે એમનું ફેવરિટ ગીત હતું.

સરદારનું તૈલચિત્ર પણ લોકસભામાં ક્યારે મુકાયું? એ જરા જોઈ લેજો.

આ સરદારની વિરાટ પ્રતિમા મુકાય તો સમગ્ર દેશ ધન્ય થશે. યાદ આવે છે સ્વામી વિવેકાનંદની પ્રતિમા કન્યાકુમારીમાં મૂકતાં મૂકતાં આયોજકોને આંખમાં પાણી આવી ગયાં હતાં. એટલી બધી કનડગત, અવરોધો કેન્દ્ર સરકાર તરફથી થયાં હતાં. આમાં શું થશે?

વાઈડ બોલ :

“ચૂંટણીના દિવસે દારૂના વેચાણ પર પ્રતિબંધ હોય છે.”

“ડફોળ, ચૂંટણીના દિવસે કોઈ વેચાતું પીતું હોય!”

Saturday, October 9, 2010

શાહજહાંએ કરેલું શ્રાદ્ધઃ તાજમહાલ

મોગલ બાદશાહ પણ શ્રાદ્ધમાં માનતા હતા. તાજમહાલ એ શાહજહાંએ કરેલું પત્નીનું શ્રાદ્ધ હતું.

તાજમહાલને પ્રેમના શાશ્વત પ્રતીક તરીકે લોકો માને છે.

પેલા તબલાનવાઝ ઝાકીર હુસેનની જેમ લોકો તાજમહેલને જોઈ વાહ તાજ બોલી ઊઠે છે.

શાહજહાંએ આપેલી પત્નીને અંજલિ જોઈને ઘણાં લોકો ગદ્ગદ્ થઈ જાય છે. આ માણસે પોતાના પ્રેમને અમર કરી દીધો. અમરપ્રેમ તે આનું નામ. મુમતાઝે મરીને પણ શાહજહાંને અમર કરી દીધો. આજે લોકો ભલે તાજમહાલમાં શાહજહાંનો પ્રેમ જોતા હોય, પણ તે મુમતાઝની દેણગી છે, શાહજહાંની નહીં. પત્ની કે પ્રેમિકા પાછળ લૂંટાવું લોકોને ગમે છે. એ કામ લોકો હોંશેહોંશે કરે છે.

મારા એક મિત્ર શાહજહાંના તાજમહાલનું મૂલ્યાંકન કરતાં કહે છે. ભલે તમે પ્રેમના પ્રતીક તરીકે તાજને ગણો, પણ ખરું પ્રેમનું પ્રતીક તો આઠમો એડવર્ડ હતો. જેણે પ્રેમ ખાતર ‘તાજ’ને જતો કર્યો. પ્રેમ ખાતર તાજના નિર્માણ કરતાં પ્રેમ ખાતર ‘તાજ’ની કુરબાનીની કથા વધુ ભવ્ય ગણાય.

શાયર સાહિર લુધિયાનવી તાજમહાલ ઉપર ખફા હતા. તાજમહાલની ભવ્યતાથી તે અંજાયા નથી, પણ ડઘાયા છે. કહે છે ‘કિસી શહેનશાહને દૌલત કા સહારા લે કે હમ ગરીબો કી મોહબ્બત કા ઉડાયા હૈ મજાક’ જેમ કેટલાક ધનાઢયો સંતાનોનાં લગ્ન પાછળ ધુમાડાબંધ ગામ જમાડે કે ધનનો ધુમાડો કરે. મા-બાપના મરણ પછી ભવ્ય કારજ કરે. (જીવતા શું કર્યું હોય તે જગ જાણે નહીં) શાહજહાંએ પણ તાજમહાલ રૃપે મૃતપત્નીનું ભવ્ય કારજ કરેલું.

છગનનું માનવું છે કે શાહજહાં જીવતી પત્નીને ખુશ નહીં રાખી શક્યો હોય. (ક્યાંથી ખુશ હોય જ્યારે બીજી છ શોક્ય હાજર હોય!) એટલે મર્યા પછી પત્નીના આત્માને ખુશ કરવા તાજમહાલ બંધાવ્યો હશે. પત્ની કે કોઈ પણ મહિલાને રાજી રાખવી એ ઘણું મોટું કાર્ય છે. ભલભલા માંધાતાઓ, ચમરબંધીઓ ‘હોમફ્રન્ટ’ ઉપર હારી જતા હોય છે. ‘દુનિયા સે જીતે મગર તુમસે હારે’ એવી સ્થિતિ હોય છે. એટલે બુંદથી બગડેલી સ્થિતિને હોજ સમાન તાજમહાલથી સુધારવા તેણે કોશિશ કરી હોય તેમ જણાય છે.

શાહજહાંની આ કોશિશને શેખાદમે ચમકતો ને દમકતો મહેલ પણ જ્યાં પ્રેમ કેદ છે તેવી ખૂબસૂરત પથ્થરની જેલ કહી છે.

શું પ્રેમ પૈસાથી ખરીદી શકાય? રમા રમેશને પ્રેમ કરતી હતી પણ તેને ખબર પડી કે રમેશના કાકા કરોડપતિ છે, એટલે તે રમેશના કરોડપતિ કાકાને પરણી ગઈ. રમેશની રાણી થવાને બદલે તેની કાકી થઈ ગઈ. ભલે આ રમૂજ હોય પણ વાસ્તવિક્તા પણ છે જ. શાહજહાંએ પ્રેમને પૈસાથી તોલવા પ્રયત્ન કર્યો હતો. એ શાસક હતો. શાસકો પૈસાથી મત ખરીદી શકે છે. (હમરી ન માનો તો કોઈ ઉમેદવાર સે પૂછો) પણ પ્રેમ એ રીતે ખરીદી ન શકાય. સિંદબાદે તુરંત ઝુકાવ્યું, ‘‘બોસ, તમે તાજને શાહજહાંના પ્રેમનું પ્રતીક કહો છો? બોસ શાહજહાંને સાત રાણીઓ હતી, તેમાં મુમતાઝ ચોથી હતી!’’

‘‘ખરેખર!’’

‘‘યસ, અને એ ચોથી ત્યારે પરણેલી હતી. સમાજમાં એક પુરુષને સાત પત્ની માન્ય ગણાય (ત્યારે) પણ એક સ્ત્રીને બે પતિ માન્ય ન ગણાય. એટલે તેના હયાત પતિએ ખસી જવું પડે. શાહજહાંએ તેને ખેસવી પાડેલો.’’

‘‘ક્યા બાત હૈ?’’

‘‘બોસ, આ અમરપ્રેમની કૃતિ જોવા માટે તમારે એન્ટ્રી ફી આપવી પડે છે.’’

‘‘આપણા કાંકરિયાની જેમ!’’

‘‘હા, પણ કાંકરિયાની એન્ટ્રી ફીનો વિરોધ કરનારાઓ તાજની એન્ટ્રી ફી માટે ચૂપ છે.’’

‘‘બોસ, એ વિરોધ તો સગવડિયો છે, પણ તાજમાં એન્ટ્રી લેવા માટે મુમતાઝે ત્યારે એન્ટ્રી ફી ચૂકવી હતી, તેણે તે માટે પોતાનો જાન આપી દેવો પડયો હતો.’’

‘‘યસ યસ.’’

‘‘મુમતાઝના અમરપ્રેમની વાત કરનારાઓને ખબર નહીં હોય કે મુમતાઝના મરણ પછી શાહજહાંએ તેની બહેન સાથે લગ્ન કરી લીધાં હતા. આનું નામ પ્રેમ! પૂરા ખાનદાન સાથે પ્રેમ શાહજહાંએ કરેલો.’’

ઇતિહાસ કહે છે કે મુમતાઝ, મહેલ કરતાં મેટરનિટી હોમમાં વધુ રહેલાં. તેને ચૌદ પ્રસૂતિ થયેલી અને ચૌદમી પ્રસૂતિમાં જન્નનતશીન થઈ તાજમહાલ પહોંચી ગઈ. આ પ્રેમકથા માટે રહેમાન શૈલીમાં કહી શકાય ‘જય-હો!’

Wednesday, October 6, 2010

પરીક્ષામાં ચોરી

પરીક્ષાની વાત નીકળે છે ત્યારે તેની સાથોસાથ ચોરીની વાત પણ નીકળે જ છે. ફિલ્મી ભાષામાં કહેવું હોય તો કહેવાય કે પરીક્ષા અને ચોરી કા, ચોલી દામન કા સંબંધ હૈ, ચોરી પકડવાનું જેઓનું કાર્ય છે એવા એક ઉચ્ચ પોલીસ અધિકારી પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા.

તે ઉચ્ચ અધિકારી એલ.એલ.બી. કાયદાની પરીક્ષા આપી રહ્યા હતા. કેટલીક કાયદાપોથીની નોંધો તેમણે હાથ ઉપર લખી રાખી હતી. પેપર લખતા લખતા હાથ જોયા કરે. હાથ વાંચવાનું કામ આમ તો જ્યોતિષનું ગણાય. પણ પરીક્ષાર્થી પોલીસ ઓફિસર હાથ સામે જોઈ જોઈને લખતા હતા. તેમાં પકડાઈ ગયા. કાયદો હાથમાં લેવો તેવો એક રૃઢિપ્રયોગ છે. આ કિસ્સામાં કાયદો હાથ ઉપર જ હતો. પણ ચોરી પકડાતા તેમના હાથ હેઠા પડયા.

હમણાં થોડાક સમય પહેલાં પરીક્ષામાં ચોરી કરતા ન્યાયાધીશ પકડાયા (ખાતાકીય પરીક્ષા હતી). પોલીસ ઓફિસરે ચોરી કરી, પછી ન્યાયાધીશ પણ આવ્યા. છોટે મિયાં તો છોટે મિયાં, બડે મિયાં પણ ચોરી કામમાં જોડાયા. છાપાની ભાષામાં કહીએ તો આ બનાવે ચકચાર જગાવી હતી.

પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા ન્યાયાધીશો. (ત્રણ જેટલા હતા) એ કોરસમાં કદાચ ગાયું પણ હશે ‘હંગામાં ક્યૂં હૈ... ચોરી હી કી હૈ - પરીક્ષામં...’

જે લોકો પાસે ચોરી કરનારને પકડવાની અપેક્ષા હોય તે પોલીસ ઓફિસર, અને જે ચોરી કરનારને સજા આપે તેવી અપેક્ષા હોય તે ન્યાયાધીશ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા... ‘મી લોર્ડ, ઉસ કો કડીસે કડી સજા મીલની ચાહીયે’

સિંદબાદ કહે છે આ પ્રકારની ચોરીમાં ખોટો હંગામો છે. આમાં ચોરી ક્યાં આવી? ચોરીમાં તો એક જણની માલિકીની વસ્તુ કોઈ તેની જાણ બહાર તફડાવી જાય તો જ ચોરી ગણાય. આ કિસ્સામાં એવું કશું થયું નથી. સમજવા માટે એક દાખલો જોઈએ. પરીક્ષામાં પુછાયું હોય મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો? કોઈ વિદ્યાર્થી, મતલબ કે પરીક્ષાર્થીને તેની ખબર ન હોય તો તે કાપલીમાંથી કે કોઈ જગ્યાએથી જોઈ લે અને લખે કે મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણસીત્તેરમાં થયો હતો. આને તમે ચોરી કેમ કહી શકો? શું મહાત્મા ગાંધીની જન્મ તારીખ ચોરાઈ ગઈ ગણાય? એ જન્મતારીખ જ્યાં છે ત્યાં જ છે એની ચોરી કઈ રીતે ગણાય? કોઈનો મોબાઈલ ચોરાઈ જાય ત્યારે તે હતો ત્યાં નથી હોતો. જ્ઞાન ગંગાનાં વહેણ વિચારધારામાં વહેતાં થાય છે. એ કાપલીમાં લખેલું જ્ઞાન આવા વર્ગમાં ફેલાઈ જાય એને ચોરી કહેવી એ ઘણી ખરાબ બાબત છે.

ગૂગલી

ચીકનગુનિયા ચુસ્ત વેજિટેરિયનને પણ થઈ શકે છે.

Saturday, October 2, 2010

પીણું નહીં પુસ્તક આપો!

વાંચે ગુજરાતનું અભિયાન શરૃ થયું છે, પછી પુસ્તક વધુ વેચાયાં હશે. (કદાચ) પણ આ અંગેનાં સૂત્રો વધુ બોલાયાં છે, લખાયાં છે, એક સૂત્ર છે - ‘ઠંડું પીણું નહીં પુસ્તક આપો.’

તમારે કોઈ ઠંડું પીણું પીવું હોય અને તમને કોઈ પુસ્તક આપે તો તમે શું કરો? એક પ્રસંગ યાદ આવે છે મારા મિત્ર હતા. અમે એક પરિચિતની ખબર કાઢવા અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ગયા હતા. અત્યારે તો એ હોસ્પિટલમાં ક્યારેક ડોક્ટરની પણ ખબર લેવા જવું પડે તેવું છે. ત્યાં દર્દીનાં સગાં ક્યારેક ડોક્ટરોની પણ મારઝૂડ કરી લે છે. એને તમે ‘પ્રોફેશનલ હેઝાર્ડ’ કહી શકો. (ક્રિકેટરોના રમવા જતા હાડકાં ભાંગે છે તેમ)

અમે અમારા પરિચિતની ખબર કાઢી, એમની બાજુમાં જ એક યુવાનનો ખાટલો હતો. તેણે આપઘાત કરવાની કોશિશ કરી હતી. તે બેશુદ્ધ હાલતમાં હતો. તેના પિતા બાજુમાં કકળાટ કરતા ઊભા હતા, “ભાઈસાબ, આ છોકરો પાણી માગતો હતો અને દૂધ આપતો હતો. અને જુઓ, એણે કેવું કર્યું?”

ત્યારે ભગતે શાંતિથી તે પિતાને કહેલું, ‘‘એને પાણી પીવું હોય અને તમે દૂધ આપો પછી શું થાય? એ ખરું કે તમારો દૂધવાળો તેની પાણીની ઇચ્છાને ધ્યાનમાં રાખી દૂધ સાથે પાણી આપતો જ હશે, પણ છતાંય પાણી પીવું હોય ત્યારે એને પાણી જ આપજો.”

ઠંડા પીણા અને પુસ્તકના સૂત્રમાં પણ એ જ વાત લાગુ પડે છે. માણસને જ્યારે ઠંડું પીણું પીવું હોય ત્યારે પુસ્તક કામ આવે ખરું? પુસ્તક પુસ્તક છે અને કોલ્ડ્રીંક્સ કોલ્ડ્રીંક્સ છે. ઊધઈ ને ઠંડા પીણાને બદલે પુસ્તક ચાલે, પણ બીજે નહીં.

એક વાત ખરી કે ઠંડાં પીણાં વેચનારાઓ આ સૂત્ર તો નહીં જ સ્વીકારે, એ લોકો ઠંડા પીણાને બદલે પુસ્તક આપે તો ખાય શું? લોકોના ‘પીવા’ ઉપર તેમનું ખાવાનું નિર્ભર છે.

પીણું નહીં પણ પુસ્તક સૂત્ર રમતું થયું ત્યારે ઘણાને લાગતું હતું કે કોલ્ડ્રીંક્સ પાર્લરવાળા હવે કોલ્ડ્રીંક્સ પાર્લર બંધ કરી પુસ્તકની દુકાન શરૃ કરી દેશે. કદાચ વધુ મોટી અસર પડશે તો ઠંડા પીણાની કંપનીવાળા ખુદ ઠંડાં પીણાંનું ઉત્પાદન બંધ કરી પુસ્તકનું પ્રકાશન શરૃ કરી દેશે. આખરે એમને તો ધંધો જ કરવો છે ને! લોકો પીણું ન લે અને પુસ્તકો લેતાં થઈ જાય તો પુસ્તકના ધંધામાં પડી જવાય, આ સાંભળીને એક પ્રકાશકે કહ્યું, “પેપ્સીવાળા પાણીમાંથી પૈસા બનાવે છે, પણ પ્રકાશનના ધંધામાં તો પૈસાનું પાણી થઈ જશે, એટલે કદાચ તેઓ એવું નહીં કરે.”

‘ઠંડા પીણાને બદલે પુસ્તક આપો’નું સૂત્ર ફરતું થયું ત્યારથી રોજ અમે ઠંડાં પીણાંની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ તેવા સમાચાર વાંચવા ટાંપીને બેઠા છીએ. સિંદબાદ કહે છે કે છગનને ઘરે જઈએ એટલે ભાભી ફ્રિજમાંથી કોઈને કોઈ ઠંડું પીણું કાઢીને આપે. એક દિવસ સિંદબાદને તરસ લાગી હતી. એટલે થયું લાવ છગનને મળતો આવું અને ઠંડું પીણું પીતો આવું. છગનના ઘરે ગયો પણ ફ્રિજ ખૂલવાનો અવાજ ન સંભળાયો. હા, થોડી વારમાં કબાટ ખૂલવાનો અવાજ આવ્યો. છગનની પત્નીએ ઠંડા પીણાને બદલે ‘વચનામૃત’ સિંદબાદને આપ્યું. સિંદબાદને તો પીણાંમૃત પીવું હતું. પણ વાંચે ગુજરાતના અભિયાનમાં ઠંડાં પીણાં ફ્રિજ નિકાલ થઈ ગયાં હતાં.

વાંચે ગુજરાતના અભિયાનની અસરમાં આવી ગયેલી એક રેસ્ટોરાંમાં બોર્ડ હતું. અમે ઠંડાં પીણાંને બદલે પુસ્તક સર્વ કરીશું.

એક મિત્રનું કહેવું હતું કે ઠંડા પીણાની એક મોટી બોટલમાંથી અમે આઠ-દસ જણનું સ્વાગત કરી શકતા હતા. હવે એને બદલે પુસ્તક આપીએ તો પોસાય ખરું? પુસ્તકો કેટલાં મોંઘાં છે. સો-બસ્સોવાળા પુસ્તકની વાત જવા દો - પણ ‘દેશી હિસાબ’ કે ‘કક્કો-બારાખડી’ની પુસ્તિકા આપીએ તોપણ ઠંડાં પીણાં કરતાં મોંઘી પડી જાય. સોચનેવાલી બાત હૈ...

વાઈડ બોલ

શબ સ્મિત નથી કરતું. - ઓશો

Saturday, September 25, 2010

બલિહારી હુસૈન કી

ટેલિફોનમાં ઘણી વાર ૧૯૭ કે એવો કોઈ નંબર ડાયલ કરો તો સામે રેકોર્ડેડ જવાબ મળે, આપ કતારમાં હૈ, આપણને થાય કે આપણે તો ઇન્ડિયામાં છીએ આ કેમ કહે છે કે આપ કતાર મેં હૈ?

હા, આપણી આગલી કતારના કલાકાર-ચિત્રકાર એમ.એફ. હુસૈન અત્યારે કતારમાં છે. કેટલાંક એમ.એફ. હુસૈનનું આખું નામ માધુરી ફીદા હુસૈન કહે છે. એ ચિત્રકાર માધુરી ઉપર ફીદા હતા તે તેમણે જાહેર કરેલું જ. માધુરી દીક્ષિતની એક ફિલ્મ હતી ‘હમ આપકે હૈ કૌન’, જે એમણે ડઝન વાર (કદાચ વધુ) જોઈ હતી. એ હુસૈન અત્યારે કતારમાં છે. કુહાડી ઉપર જઈને એમણે જાતે પગ મારેલો એટલે ઘવાયેલા પગ સાથે તેઓ કતારમાં છે. કહેવાય છે કે કલાકારો દિલવાળા હોય છે પણ કેટલાંક કલાકારોને કેવળ દિલ જ હોય છે દિમાગ નથી હોતું. હુસૈન એવા કલાકાર હતા, જે દિમાગનો ઉપયોગ કરકસરપૂર્વક કરતા હતા. કરોડો લોકોની એમણે લાગણી દુભાવેલી એટલે કતારવાસી થવું પડયું છે.

એમની પીંછી વીંછી જેવી, ઘણાં શ્રદ્ધાળુઓને તે પછીથી ડંખ મારેલા. દુર્ગા માતા અને સરસ્વતી માતા તેમજ બીજાં દેવ-દેવીઓનાં નગ્ન ચિત્ર તેમણે દોરેલાં. આથી કરોડો લોકોનાં હ્ય્દયને ઠેસ પહોંચેલી. આ કારણે ઢગલાબંધ કેસ તેમની ઉપર થયેલા. કોર્ટ, સમન્સ વગેરે જોઈને તે ગભરાયા. આરોપીઓની કતારમાં ઊભા રહેવાને બદલે તેમણે કતાર દેશમાં જવાનું નક્કી કર્યું. હવે તેઓ ત્યાં છે. પણ ત્યાં તેઓ સખણા રહ્યા છે. એ દેશના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવાં ચિત્રો કતારમાં નથી દોર્યાં. કલાકારને દિમાગ હોવાનો આ પુરાવો ગણી શકાય. કેટલાંક એનજીઓએ હુસૈનની તરફેણમાં દેકારો પણ કરેલો, જેને કેટલાંક ન્યુસન્સ ઓર્ગેનાઈઝેશન પણ કહે છે એ લોકોને લાગી આવેલું કે આવા કલાકારે દેશ છોડવો પડે તે ખોટું છે. ચિત્રકારને અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ એમ કહી એ લોકોએ હુસૈનનો બચાવ કરેલો. છગન કહે છે સરસ્વતી દેવી ગણાય તેનું નગ્ન ચિત્ર ખરાબ બાબત છે. ભલે સરસ્વતીના આરાધકોને કપડાં વગર ચલાવવું પડતું હોય, પણ સરસ્વતીને કપડાં વગરની ન બતાવાય!

ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું કાર્ટૂન ચીતર્યું ત્યારે ઘણી ધમાલ થઈ. આપણાં ‘કર્મશીલો’એ ત્યારે કલાકારની અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની વાત ન કરી. ચૂપ રહ્યાં. પંડિતોની સભામાં મૂરખાઓ ચૂપ રહે છે એ યાદ રાખી બુદ્ધિજીવીઓ ચૂપ રહેલા. એક નેતાએ તે ડેનિસ કાર્ટૂનિસ્ટની હત્યા કરનારને કરોડ રૃપિયા આપવાનું કહ્યું હતું. જોકે પાંચ-પંદર માટે કોઈની હત્યા કરી નાંખનારાઓમાંથી કોઈ આગળ આવ્યું નથી.

ડેન્માર્ક જઈને આવવામાં પાંત્રીસ-ચાલીસ હજાર થાય ત્યાં રહેવા-ફરવામાં બીજા પાંચ-પચ્ચીસ થાય તો કરોડ રૃપિયામાં આ ઘણાં ફાયદાકારક ગણાય.

આટલો મોટો ફાયદો જોઈ એક જણ લલચાઈ ગયો કે ‘ચાલો એકાદ ખૂન કરતાં આવીએ અને યુરોપ પણ જોતા આવીએ.’ ઠાઠથી જઈને આવે ખૂન કરીને પરત આવીએ. ઠાઠના ખરચા પછી પણ એંસી નેવું લાખ તો મળે જ મળે. એ ભાઈએ ડેન્માર્કના વીઝા માટે અરજી કરી. મુલાકાતના હેતુમાં, તેમણે સારું લખી નાંખ્યું કે ડેનિસ કાર્ટૂનિસ્ટનું ખૂન કરવા ડેન્માર્ક આવવું છે. વીઝા રિજેક્ટ થઈ ગયો. પેલા નેતાના કરોડ બચી ગયા છે. એનું વ્યાજ ખાઈ રહ્યાં હશે. ન્યુસન્સ ઓર્ગેનાઈઝેશનવાળા પણ શાંત છે.

છાપામાં હતું કે હુસૈનનાં ચિત્રોએ અગિયાર કરોડની કમાણી કરી છે. સિંદબાદ કહે છે કે એનાં ચિત્રોને કારણે થયેલાં તોફાનોથી એનાથી અનેકગણાં રૃપિયાનું નુકસાન થયું છે.
હુસૈન પગમાં જૂતાં પહેરતા ન હતા. આ અંગે સિંદબાદ કહે છે કે, ‘ઉસકા જૂતા ઉસી કા સર’ એ ઉક્તિ પ્રમાણે હુસૈનને ખ્યાલ હતો કે લોકો ક્યારેક એમના જોડાંથી જ એમને મારશે એટલે જૂતાં પહેરવાનું છોડી દીધું હતું.

વાઈડ બોલ

ગોલ્ફ અંગેના એક સમાચારમાં કહેવાયું કે, ‘આગામી ટાઈગર વૂડ ગુજરાતમાંથી મળશે’ ‘એવો ખેલાડી કે એવો લફરાંબાજ?’

Wednesday, September 22, 2010

વાંચે ગુજરાત - વેચે ગુજરાત

વાંચે ગુજરાતના અભિયાનમાં ઉત્સાહી એક બાળ લેખકે એક નવતર પ્રયોગ કર્યો.. બગીચાની ડાળીઓ ઉપર પુસ્તકો લટકાવ્યાં. બાળકો લટકતાં પુસ્તકો વાંચશે તેવી આશા હતી. પણ બાળકો માટે કહેવાયું છે કે એ તો વડના વાંદરા ઉતારે તેવાં હોય છે. ઝાડ ઉપરનાં પુસ્તકોની શી વિસાત? પ્રેરણાદાયી ડાળીઓ ઉપર લટકાતાં જોઈ બાળકોને પ્રેરણા મળી કે આ પુસ્તકો ‘ફળદાયી’ છે. એટલે કે એને પસ્તીમાં વેચીને ફળ ખરીદી શકાય. બાળકોએ પ્રેરણાદાયી પુસ્તકોને વેચી માર્યાં. આમાં તો એમને વકરો એટલો નફો જ હતો. લેખકને વાંચે ગુજરાત (પુસ્તકો)ની અપેક્ષા હતી. પણ એમના ટારગેટ ગ્રુપ’ બાળકોએ એનો ઉપયોગ ‘વેચે ગુજરાત’ તરીકે કર્યો એ બાળકો વાંચક ન બન્યાં પણ વેચાણકર્તા બન્યાં. આમ તો વૃક્ષો છાંયડો આપે પણ બાળ લેખકને સંતાપ આપ્યો.

(બાળ લેખક એટલે બાળકો માટે લખતા વૃદ્ધ લેખકો એમ સમજવો)

વાત નીકળી ત્યારે વાત થઈ. અમારા વિસ્તારમાં બૂટ-ચંપલની સાત-આઠ દુકાનો છે પણ પુસ્તકો વેચતી એક પણ નથી. એ અંગે મારા એક હાસ્યકાર મિત્રે કહ્યું એટલે તો આપણે ‘વાંચે ગુજરાત’ની ચળવળ કરવી પડે છે. બૂટ-ચંપલવાળાને ‘પહેરે ગુજરાત’ની ચળવળ નથી કરવી પડતી.

કોઈકે કહ્યું અત્યારે ગુજરાતમાં ‘ચાવે ગુજરાત’ ચાલે છે. ગુજરાતીઓ વાંચતા નથી. વાંચવાના શોખીન નથી પણ ચાવવાના શોખીન છે. દશેરાના દિવસે જોઈ લેજો ગુજરાતીઓ કરોડો રૃપિયાના ફાફડા - જલેબી ચાવી જશે. પણ લાખ્ખો રૃપિયાનાં પુસ્તકો વાંચે તે અપેક્ષિત નથી.

ગૂગલી

એક તરફ ફાફડા
બીજી તરફ ખમણ - ઢોકળાં. એમાં પુસ્તકો ક્યાં આવ્યાં?
જય જય ગરવી ગુજરાત

Saturday, September 18, 2010

શ્લેષનો બાદશાહ નિરંજન દેસાઈ

છગન ત્રીસ ફૂટ દૂરથી જતો હોય તોપણ તેની ચાલને હિસાબે ઓળખાઈ જાય તેમ કેટલાક લોકો વાતની શૈલીથી ઓળખાઈ જાય. ફોનની ઘંટડી રણકે છે. પ્રાથમિક વાત પછી પુછાય છે, “શું કરે છે આપણા મિત્ર નવીનચંદ્ર પુરુષોત્તમદાસ ખાલપોડે?”
“મજામાં છે”
“અને જગદીશ રતિલાલ દેસાઈ?”
“જલસા કરે છે.”
“ફાઈન, અને ઉપેન્દ્ર વૈકુંઠલાલ મુનશી કેમ છે?”
આ વાતની શૈલીથી જ ખબર પડે કે સામે છેડે નિરંજન દેસાઈ છે. તેઓ મિત્રો કે સ્નેહીજનોને હંમેશાં આખા નામથી બોલાવે.
નિરંજન દેસાઈ બેન્કના ઓફિસર નિવૃત્ત થયા ત્યારે આસિસ્ટન્ટ જનરલ મેનેજર હતા. તેમને મળો ત્યારે તેમના હોદ્દાનો કે તેમના વિષયના જ્ઞાનનો ભાર જરા પણ ન વરતાય. બેન્કમાં ઘણો ખરો સમય તે ફોરેન એક્ષચેન્જ વિભાગના હેડ તરીકે રહેતા. આ કામગીરી ખૂબ જ જાણકારી માગી લે. તેમના પ્રભુત્વની પ્રશંસા કરીએ તો કહે, “બોસ, બધું જ આપણા હેડ ઓફિસના અને રિઝર્વ બેન્કના સરક્યુલરમાં લખેલું જ છે.” વર્તનમાં એવી હળવાશ દાખવે કે તેઓ કોમનમેન જ છે તેવી છાપ પડે.
ખૂબ ખૂબ વાંચે, બેન્કનું અને સાહિત્યનું ભારોભાર. વિનોદવૃત્તિ, અદ્ભુત સંગીતપ્રેમ, ખાસ કરી જૂની ફિલ્મોનાં ગીતો, ક્રિકેટમાં જબ્બર રસ, અમદાવાદમાં હતા ત્યારે મુંબઈની દરેક ટેસ્ટમેચ જોવા ખાસ જાય. રાજકારણનો પણ અભ્યાસ. આ બધાની જાણકારી તેમની શ્લેષ પ્રચુર કોમેન્ટ્સમાં જોવા મળે.
ત્યારે ઈરાનમાં ખૌમેનીનું ખોફનાક શાસન હતું. ઢગલાબંધ વિરોધીઓને તેણે ઠેકાણે પાડી દીધા હતા. મેં કહ્યું, “દેસાઈ જોને યાર, આ ખૌમેની સવારે પકડે છે, બપોરે કેસ ચલાવે છે અને સાંજે તો ફાંસી આપી દે છે.” આ કરુણ વાતનો ફિલોસોફિક અંદાજમાં એણે જવાબ આપ્યો, “જસ્ટિસ ડીલેઈડ ઇઝ જસ્ટિસ ડિનાઈડ” (ન્યાયમાં વિલંબ પણ અન્યાય જ ગણાય)
દેસાઈના ટેબલ ઉપર કાગળોનો મોટો ઢગ પડયો હોય, કોઈકે પૂછયું, “આ બધામાંથી તમને જોઈતો કાગળ મળે ખરો?” “કેમ નહીં? ધોબી લટકતાં સેંકડો કપડાંમાંથી તમારો કોટ એક મિનિટમાં કાઢી આપે છે કે નહીં!”
ડિપાર્ટમેન્ટમાં કામનો બોજ ઘણો, વારંવાર લખાપટ્ટી કરેલી એટલે મેનેજમેન્ટે એક ક્લાર્ક મોકલ્યા. ક્લાર્કને જોઈને મેં કહ્યું, “દેસાઈ ચાલો તમને વધારાનો સ્ટાફ મળી ગયો.” એણે લાક્ષણિક સ્મિત સાથે કહ્યું, “મહાભારતની કથા જેવું થયું છે નવો ક્લાર્ક આવ્યો છે અને ઈસ્માઇલ રજા ઉપર ગયો છે. એટલે ‘તારા તો પાંચના પાંચ જ રહેશે’ તેવું થયું છે.”
જીવો અને જીવવા દો. લીવ એન્ડ લેટ અધર લીવ, તો સુંદર શ્લેષ કરતા. કોઈક લાંબો સમય બેસે પછી કહે, “ઓ કે મિસ્ટર દેસાઈ આઈ એમ ટેકિંગ યોર લીવ.” (હું જાઉં છું) ત્યારે દેસાઈ એમના લાક્ષણિક સ્મિત સાથે શ્લેષયુક્ત જવાબ આપે, “ઓ કે, લીવ એન્ડ લેટ અધર લીવ”. (જાવ અને જીવવા દો)
દેસાઈને ક્રિકેટમાં જબ્બર રસ. ક્રિકેટમાં વપરાતા શબ્દોનો સરસ ઉપયોગ કરે, શ્લેષ કરે. ત્યારે બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આર.એમ. પ્રધાન હતા. (દેસાઈની શૈલીમાં રમેશ મુકુંદ પ્રધાન) પ્રધાનસાહેબને પોસ્ટ ઉપર એક્સ્ટેશન મળવાની અપેક્ષા હતી, પ્રયત્ન પણ કરેલા છતાં કામ ન થયું ક-મને નિવૃત્ત થયેલા તેમ કહેવાતું. મેં દેસાઈને પૂછયું, “શું ખબર છે પ્રધાનસાહેબના? એણે કહ્યું, “હી ઈઝ રિટાયર્ડ-હર્ટ” આ કિસ્સામાં ઈજાગ્રસ્ત નહીં પણ દુભાયેલી લાગણી સાથે રિટાયર્ડ તેવું તેનું કહેવું હતું.
અમદાવાદમાં તે લગભગ દસ-બાર વર્ષ રહેલા. રોજ સાંજે ભદ્રની લાયબ્રેરીમાં હોય જ. સમયના અભાવે ઘણી વાર તે પુસ્તક જમા ન કરાવી શકે અને દંડ ભરે. એ કહે, “આ પુસ્તકો લાયબ્રેરીનાં છે, પણ કબાટોમાં મારું ડોનેશન છે. ઘણો દંડ આપ્યો છે.”
મોડે સુધી લાયબ્રેરીમાં બેઠા હોય, એક વાર પૂછયું, “તમે મોડા જાવ તો ભાભી કશું કહે નહીં?”
“વહેલો જાઉં તો ગભરાય કે બીમાર પડયો લાગે છે.”
એક વાર દૂધવાળાને દેસાઈ કહે “ભૈયાજી, તમે દૂધના ભાવમાં એકાદ-બે રૃપિયા વધારે લ્યો પણ તેમાં પાણી નાંખો તે મિનરલ વોટર નાંખો.”
દેસાઈ ભરૃચના ભાર્ગવ. કનૈયાલ મુનશીની નજીક જ એમનું ઘર હતું. ઓમકારનાથ ઠાકુર પણ ભરૃચના, એ વાત કરતા દેસાઈ કહે, “ઓમકારનાથજી મનને પ્રસન્ન કરતું સંગીત આપતા, પણ તેમના ભાઈ સરસ રસોઈ બનાવતા, તે ચિત્ત પ્રસન્ન કરતી રસોઈ બનાવતા. દેસાઈ એમના ભાઈને જાણે ઓમકારનાથજીના સંગીતની ચર્ચા કરતા. એ કહે, “મિત્ર, એ વંદેમાતરમ્ વિલંબિતમાં ગાય ત્યારે માહોલ અલગ હોય, એક વાર તેમણે વંદેમાતરમ્ શરૃ કર્યું હું ઘરે જમીને પાછો આવ્યો ત્યારે તેઓ હજી મલયજ શીતલામ્ સુધી જ પહોંચેલા.”
સંગીતના ચાહક દેસાઈ અમદાવાદ હતા ત્યારે વોઈસ ઓફ લતા મંગેશકર તરીકે જાણીતાં માલતી લાંગેની ખાનગી બેઠકોમાં પણ પ્રથમ હરોળમાં બેઠા હોય. સંગીતની વાત નીકળે એટલે એક જ પંક્તિમાં તારીફ કરતા કહે, “જબ દિલ કો સતાયે ગમ તૂં છેડ સખી સરગમ” ત્યારે હવામાં અદૃશ્ય હાર્મોનિયમ ઉપર આંગળી ફરતી હોય.
બેલેન્સ મેળવવાં તે બેન્કમાં સહુથી કષ્ટદાયક કામગીરી હતી. (તે વખતે કમ્પ્યુટર્સ હતાં નહીં) એક વાર એમના ક્લાર્કે જોયું કે બેલેન્સ મળતાં નથી એટલે બૂમ પાડતાં કહ્યું, “બોસ, ડિફરન્સ આવે છે.” જરા પણ વિચલિત થયા વગર દેસાઈએ કહ્યું, “બાબુલાલ, ઈન ડેમોક્રેસી ડિફરન્સ આર ઓલવેઝ વેલકમ!”
ચૂંટણીપ્રથાની કરુણતા ઉપર તે શ્લેષ કરતા કહેતાં હતા કે, “આ ડેમોક્રેસીમાં બાય (buy) ધ પીપલ છે. એટલે કે લોકોને બાય - ખરીદીને ચલાવાતી સિસ્ટમ છે! કેટલું કરુણાસભર સત્ય છે.

Tuesday, September 14, 2010

પાકિસ્તાન સ્ટમ્પડ ઈન ઈંગ્લેન્ડ

પાકિસ્તાનના ક્રિકેટરો અત્યારે ‘કોટ બિહાન્ડ’ થઈ ગયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઝરદારીને થોડા દિવસો પહેલાં લંડનમાં જૂતાં પડયાં હતાં.

હવે પાકિસ્તાન ક્રિકેટરો ઉપર લંડનમાં જૂતો કી બારીશ થઈ છે.

દુનિયાને ખબર પડી કે પાકિસ્તાનના ખેલાડીઓ કરતાં સટ્ટો રમવામાં વધુ રસ હતો. આ ક્રિકેટર કહેવાય કે સટોડિયા? ક્રિકેટમાં સટ્ટો ખેલતા ક્રિકેટરો ઉપર સખત પગલાં લેવાં જોઈએ તેવી માંગ ઊઠી છે.

એક વખત હતો કે જાવેદ મિયાંદાદ જેવા એની સિક્સર માટે જાણીતા હતા, અત્યારના ખેલાડીઓ ફિક્સર તરીકે જાણીતા થયા છે.

આપણાં છાપાના વાંચકો પણ આવા ક્રિકેટરોને કડક સજા માટે ચર્ચાપત્રો લખે છે. કડક સજા? કઈ રીતે? ઈસ્લામિક કાનૂન પ્રમાણે વ્યભિચાર કરનારને પથ્થર મારી મારીને મૃત્યુદંડ આપવામાં આવે છે. રમતનો આ દુરાચાર શું વ્યભિચારથી કમ છે? પાકિસ્તાનના એ ખેલાડી સામે ઈસ્લામિક ધોરણે સજા થવી જોઈએ તેવું છગન કહે છે. વ્યભિચાર માટે જેમ પથ્થર મારવાની સજા છે તેમ ક્રિકેટના આ વ્યભિચાર માટે એના જેવી જ સજા થવી જોઈએ. એ ક્રિકેટરોને સ્ટમ્પની અણીઓ મારી મારી દંડ આપવો જોઈએ.

સિંદબાદ કહે છે ક્રિકેટની રમતને ફટકો આપનાર ક્રિકેટરોને જાહેરમાં ફટકા મારવાની સજા થવી જોઈએ. હવે પાછો કહાનીમાં ટ્વિસ્ટ જેવી વાત થઈ છે. પાક.ના ખેલાડીઓની નાપાક હરકતોથી લાજવાને બદલે,પાકિસ્તાની વહીવટકર્તાઓ ગાજે છે. એ લોકો કહે છે આ વિશ્વસંસ્થાના પ્રમુખ શરદ પવાર ભારતીય હોવાથી પાકિસ્તાનને બદનામ કરવાની તેમની ચાલ છે. પાકિસ્તાન સાથે જે કાંઈ ખરાબ થાય છે તે માટે ભારતને જવાબદાર ગણવાની પાકિસ્તાનની જૂની આદત છે. બિચારા પવાર ભારતના સડતા ઘઉં ઉપર ધ્યાન આપે કે ક્રિકેટમાં વ્યાપેલા સડાનું ધ્યાન રાખે?

પાકિસ્તાનમાં આવેલ વિનાશકારી પૂર માટે, ત્યાંના લોકોએ ભારતને દોષ આપ્યો છે. ભારતે નદીઓમાં છોડેલા પાણીથી પાકિસ્તાનમાં બેહાલી આવી છે તેમ કહે છે

* * *

મેરી ભેંસ કો દંડા ક્યું મારા?

વિનોદ કાંબલી ફરી પાછા સમાચારમાં તેમના વાળ વગરના માથાની જેમ ચમક્યા છે. વિનોદ કાંબલી અને તેની પત્ની કોઈ હોટેલમાં જઈ રહ્યાં હતાં, ત્યારે કોઈ ટીખળી યુવતીએ કાંબલીને એય ટકલો, કાલિયા એવા વિશેષણથી નવાજ્યો. એક વખત તેંદુલકરના પાર્ટનર રહી ચૂકેલ કાંબલીની વર્તમાન પાર્ટનર (પત્ની)થી આ સહન ન થયું. તેણે પેલી યુવતી તરફ આક્રમક વલણ અપનાવ્યું. મારા પતિની નિંદા કેમ કરી? કાંણાને કાંણો કહેવાય નહીં તેમ ટકલાને ટકલો કહેવાય નહીં, એની પેલી મહિલાને પણ જાણ ન હતી, આ ધમાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી, પેલી મહિલાએ કાંબલીની પત્ની સામે ઉગ્રતાપૂર્વકના વર્તનની ફરિયાદ કરી. છેવટે કાંબલીએ પરિસ્થિતિ સંભાળી લીધી. એ જાણે છે કે અમુક બમ્પરથી માથું બચાવવા ઝૂકી જવું જરૃરી છે.
કેટલાંક બનાવો લોકોને પ્રોત્સાહન આપતા હોય છે. યાદ હશે, એક આધેડ સ્ત્રીએ લગ્ન કર્યું, બલકે પુનઃ લગ્ન કર્યું. વનમાં પ્રવેશેલી તે મહિલાએ વનવાસ છોડી ઘરવાસ પસંદ કર્યો. છાપાની ભાષામાં કહું તો આ બનાવના મિશ્ર પ્રત્યાઘાત પડયા. કેટલાક ખુશ થયા, કેટલાક નાખુશ થયા.

એક વૃદ્ધને આમાંથી પ્રેરણા મળી. આ રસ્તે જવાય તેવું છે કેડી પડી ગઈ છે. તેણે કોઈકને પૂછયું સલાહ મળી કે ચોગઠાં ગોઠવી આપનાર સંસ્થાઓ હોય છે. વૃદ્ધજન તે ઓફિસે ગયા, ત્રીજે માળ હતી. ગોઠણ ઉપર હાથ રાખી દાદરા ચડી ગયા, જઈને ખુરશીમાં બેસી ગયા. બલકે બેસી પડયા. સંચાલકે પાણી મંગાવ્યું. ‘‘વડીલ, તમે શું કામ ધક્કો ખાધો, પુત્ર કે પુત્રી જે ઉમેદવાર હોય તેને મોકલી આપવાં હતાં ને!’’

‘‘ઉમેદવાર? ઉમેદવાર હું જ છું.’’

સાંભળીને સંચાલક હક્કા બક્કા થઈ ગયા, પાણી લઈ આવેલા નોકર પાસેથી બીજો ગ્લાસ ગટગટાવી ગયા અને પછી ઉમેદવારની વિગત માગી.

‘‘જો ભાઈ, વિગત તો હું આપીશ, પણ જો તમે વૃદ્ધોને માટે સહાય કરતા હો તો પહેલાં આ ઓફિસ ત્રીજે માળથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈ જાવ, વૃદ્ધોને આટલા દાદરા ચડ-ઊતર કરવાનું ન ફાવે ભાઈ.”

સાંભળ્યા પ્રમાણે હવે ‘મેરેજ બ્યૂરો’ એમની જાહેરાતમાં છપાવા માંડયા છે કે વૃદ્ધોને તકલીફ ન પડે માટે ખાસ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ રાખી છે, અને લગ્ન પછી તકલીફ ન પડે તે માટે શુભેચ્છા આપશું.

વૃદ્ધ મહિલા અને વૃદ્ધ પુરુષે કરેલાં લગ્નથી નારાજ થયેલા લોકોને કહેવાનું કે આપણે ત્યાં લગ્ન માટે લઘુતમ ઉંમર નક્કી છે. એથી ઓછી ઉંમર હોય તો કાનૂનસર ન ગણાય. પણ વધુમાં વધુ કોઈ ઉંમર નથી ઠરાવી. માણસ પચ્ચાસ, પંચોતેર ચાહે તે ઉંમરે લગ્ન કરી શકે. કાનૂન તેમાં વાંધો ન લે. બાળલગ્નો અમાન્ય છે. વૃદ્ધલગ્નો અમાન્ય નથી. પહેલાંના વખતમાં બાળલગ્નો થતાં. એમાંથી રમૂજ પણ થતી. આપણાં પ્રસિદ્ધ વાર્તાકાર ઉજમશી પરમાર અજાણતા જ પરણી ગયેલા. મતલબ કે એમના બાળલગ્ન થઈ ગયાં હતાં. ઉજમશીએ કહ્યું કે ‘‘એક વાર હું મારા સાસરે ગયો ત્યારે મારી પત્ની ઘોડિયામાં સૂતી હતી. હું પણ બાળક જ હતો. એક વડીલે મજાકમાં ઘોડિયાની દોરી મને પકડાવી દીધી. એ રીતે મારી પત્નીને ઘોડિયામાં મેં ઝુલાવી પણ હતી.’’ જે કર ઝુલાવે પારણું. આ કિસ્સામાં અલગ સંદર્ભમાં જોઈ શકાય.

હવે બાળલગ્નો ભુલાવાં માંડયાં છે. તેની સામે વૃદ્ધાવસ્થાનાં લગ્નો પ્રકાશમાં આવી રહ્યાં છે. એક વૃદ્ધાએ લગ્ન કર્યાં, કારણ કે તેનો પુત્ર તેની દેખભાળ રાખતો ન હતો. પુત્રોની જવાબદારી અંગે એક વડીલ કહેતા હતા. ‘‘મા-બાપને જીવતા પાળવાનાં અને મૂવા બાળવાનાં’’ પણ આ કિસ્સામાં વૃદ્ધ માતા જેને પુત્ર ડોશી કહેતો હતો તેને જીવતા જ બાળતો હતો. એ ડોશીને બળતરા સહન થતી ન હતી. પુત્ર કુપુત્ર થયો હતો. એટલે માતાએ પણ કુમાતા થવાનું નક્કી કર્યું. ‘‘હું પરણું, અને તને નમાયો કરું.” ડોશીએ મુરતિયાની શોધ આરંભી દીધી. એના લિસ્ટમાં અઢાર જણ આવી ગયા. પરણું તો પરણું પણ કોને પરણું? એણે અઢાર લગ્નઇચ્છુકની પરીક્ષા લેવા માંડી છેલ્લે એક વૃદ્ધને પસંદ કરી લીધો. એના છોકરાને કેટલાંક સગાંવહાલાંએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ડોશી પરણવા મક્કમ હતાં. તે પરણી ગયાં. છોકરો અકળાઈને બોલ્યો ‘ડોશી કે’દાડાની પૈણું પૈણું કરતી હતી.’ એણે છોકરાને ચેતવણી તો આપેલી જ કે સારી રીતે નહીં રાખે તો પરણીને જતી રહેશે.

વૃદ્ધ મહિલાનાં લગ્ન થયાં. એમાં સૌથી વધુ આનંદ ચેનલવાળાઓને થયો. આ પ્રકારની શાદીમાં ચેનવલાળા દીવાના થાય છે. કોઈ બાળક ‘બોર’માં પડે કે કોઈ વૃદ્ધ લગ્ન કરે (સંસાર સાગરમાં પડે) તો તેમના માટે ગરમાગરમ આઈટમ છે.કેટલાક જીજ્ઞાસુઓ પૂછે છે વૃદ્ધાનાં લગ્નમાં તેમનો પુત્ર હાજર રહ્યો

હશે? કન્યાવિદાય - મતલબ કે વૃદ્ધાવિદાય કોણે આપી હશે? ચેનલવાળાઓએ આના જવાબો પણ શોધવા જોઈએ...

Tuesday, September 7, 2010

ઊંઘ્યા ત્યારથી રાત (બાજી ફિટાઉંસ) Sep 07,2010

ભગવાને ઊંઘવા માટે રાત બનાવી છે.

માણસને ન ચાલી શકે તેવી વસ્તુઓમાં એક ઊંઘ પણ છે. માણસને ઊંઘ વગર ચાલે નહીં. હાં, કેટલાક માણસ ઊંઘમાં પણ ચાલે. ઊંઘ માટે આપણી ગરવી ભાષાનો શબ્દ છે નીંદર. શિવાજીને નીંદુરુ એટલે કે નીંદર આવે તે માટે માતા જીજીબાઈને પ્રયત્ન કરવા પડતા હતા. નાના શિવાજીઓને નીંદર માટે જીજીબાઈઓને મહેનત કરવી પડે અને એ જ શિવાજીઓ મોટા થાય ત્યારે તેમને જગાડવા માટે પ્રયત્ન કરવા પડે. ‘અલ્યા સ્કૂલનો ટાઈમ થયો છે, તારે કોલેજ જવાનું મોડું થશે. જાગ મારા વીરા જાગ.’

ઊંઘવું એ માણસની મજબૂરી છે. ભૂખ ન જોવે ભાખરો ને ઊંઘ ન જોવે સાથરો તેવી ઉક્તિ પણ છે. બરાબરની ભૂખ લાગી હોય ત્યારે માણસ પત્નીની રસોઈની આવડત ઉપર કોઈ ટીકા કરતો નથી. બળેલી ભાખરી પણ ચૂપચાપ ખાઈ લે છે. તેમજ ઊંઘ આવે ત્યારે માણસ ગમે ત્યાં ઊંઘી શકે છે.

બિલકુલ સત્ય વચન, મારા મિત્ર મહેતા તેમની ઓફિસ જ રીવોલ્વિંગ ખુરશીને પણ છત-પલંગ તુલ્ય ગણી ઊંઘી જાય. એમની કેબિનમાં કોઈનો ફોન આવે તો વાત કરતાં કરતાં પણ તેમને બગાસું આવી જાય અને નીંદરમાં સરી પડે.

એક વાર રસ્તા ઉપર ઊભેલી ટ્રક સાથે તેમનું સ્કૂટર અથડાઈ ગયું. એ વખતે બેંક ઓફિસર બંસલે કોમેન્ટ કરેલી કે, ‘મૈંને કિતની બાર મહેતા કો કહા થા, યાર સ્કૂટર ચલાને કે સમય મત સોયા કરો.’

મહેતાને કોઈએ પૂછેલું કે, ‘સોમથી શનિ તમે બેંકમાં હો, રવિવારે શું કરો છો?’

મહેતાએ નિખાલસતાથી કહ્યું, ‘રવિવારે ઘેર સૂઈ જાઉં છું.’

ઊંઘવું ક્યારે? કેટલું?

ભક્ત નરસૈયાએ કહેલું કે ‘પાછલી ખટ ઘડી સાધુપુરુષે સૂઈ ન રહેવું.’ (આમાં પુરુષનો જ ઉલ્લેખ છે, સ્ત્રીઓને વાંધો નહીં.) નરસિંહ મહેતાના આ નિયમ પ્રમાણે તમારે રાત્રિના ત્રણ (કે સવારના ત્રણ) વાગે ઊઠી જવું જોઈએ. નરસિંહ મહેતાની ઊંઘવાની આ ‘ડેડલાઈન’ આજે ફાવે ખરી? પ્રો. યોગેન્દ્ર વ્યાસ કહેતા હતા કે આજે આપણે અગિયાર વાગ્યા પછી ઊંઘતા હોઈએ તો ત્રણ વાગે કઈ રીતે જાગવું? નરસિંહ મહેતાને તો ઠીક છે આઠ વાગે સૂઈ જતા હશે, પણ આપણું શું?

ગીતાના અભ્યાસ વળી જુદી વાત કરે છે. ‘દુનિયા ઊંઘે ત્યારે જાગે તે સંયમી!’ એટલે કે બીજી પાળી કે ત્રીજી પાળીમાં નોકરી કરનાર સંયમી?

જ્યોતિન્દ્ર દવેને પણ વહેલા ઊઠવાની સલાહ આપનારાઓ તકલીફ આપતા હતા. એક જણે અંગ્રેજી કહેવત ટાંકતા સલાહ આપેલી કે સૌથી ‘વહેલું ઊઠનાર પક્ષી જ જીવડાં પકડી શકે છે.’ ત્યારે જ્યોતિન્દ્ર દવેએ ટિપ્પણી કરેલી કે, ‘પણ પેલા જીવડાં તો પક્ષીઓ કરતાં પણ વહેલા ઊઠયા હશે ને! વહેલું ઊઠવું એમના માટે લાભદાયી ન હતું.’

ઈન્દિરાજીએ તેમની ઘણી ખરી રાજકીય હિલચાલો મધરાતે કરેલી. (પછી એ દિવસે આરામ કરતા હશે ને!) અરે આપણા દેશને પણ મધરાતે આઝાદી મળેલી ત્યારે સરકાર મળસ્કા સુધી જાગતી રહેલી. પછી તો ઊંઘ આવે જ ને!

ઘણા વિદ્યાર્થીઓ તો ક્લાસમાં પણ ઊંઘી જાય છે. અધ્યાપકોની શિક્ષણપદ્ધતિનો તેમાં ફાળો હોઈ શકે. આપણા ઘણા સાંસદો લોકસભામાં કે રાજસભામાં ઊંઘતા હોય છે. જે ઊંઘે છે તેનું નસીબ ઊંઘે છે, તે સિદ્ધાંત તેમને લાગુ પડતા નથી. એમની ઊંઘ દરમિયાન પણ તેમનાં ભથ્થાં પણ ચાલુ જ હતાં.

આપણા પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા પણ સંસદમાં ઊંઘતા હતા તેવાં દૃશ્યો છપાયેલાં.

ટૂંકમાં જ્યારે પણ ઊંઘ આવે ત્યારે સાથરો જોયા વગર સૂઈ જવાનું. જાગ્યા ત્યારથી સવારની જેમ ઊંઘ્યા ત્યારથી રાત ગણવી.

આપણા પાણી પુરવઠામંત્રી પણ એક વાર વિધાનસભામાં ઊંઘી ગયેલા, તો પણ ખાતું શાંત જ રહેલું.

મિત્રો, ઊંઘ એ વરદાન છે. ઊંઘો અને ઊંઘવા દો.

Saturday, September 4, 2010

ગાયો ગાંઠતી નથી(અવળી ગંગા) Sep 04,2010

એક ગૌહત્યાની વાત કરવી છે. ગૌહત્યા શબ્દ મધ્યમપદલોપી સમાસ તરીકે મૂક્યો છે. મતલબ કે ગાય દ્વારા થયેલી હત્યા તે ગૌહત્યા.

અમદાવાદનો અમર સ્કૂટર ઉપર જતો હતો. ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન...’ જેવો ઘાટ થયો. અમર જતો હતો ત્યાં રસ્તા ઉપર રઝળતી ગાયે શીંગડું માર્યું. અમર તો ગાયને માતા ગણતો હતો, પણ ગાય તેને પુત્રવત્ નહીં ગણતી હોય. ગમે તેમ હોય તે કુમાતા થઈ. અમર રસ્તામાં મળતી ગાયને પૂંછડે હાથ અડાડી માથે ચઢાવતો હતો, પણ આ ગાયે તેના માથા ઉપર પૂંછડું નહીં પણ શીંગ ઝીક્યું. અમર ઢળી પડયો. ગુજરાતની પ્રખ્યાત ૧૦૮ આવી ગઈ. હોસ્પિટલના ડોક્ટરે તેને તપાસીને છાપાની ભાષામાં કહું તો મૃત જાહેર કર્યો.

છગન આને ગૌ દ્વારા થયલી હત્યા કહે છે. આના માટે જવાબદાર કોણ? ‘માસ્ટર્સ લાયબિલિટી’ના સિદ્ધાંત હેઠળ માલિક જવાબદાર આવે કે નહીં? મતલબ કે ગાયનો માલિક આમાં જવાબદાર કે નહીં?

કોર્પોરેશનનું ઢોર-ત્રાસ નિવારણ ખાતું જવાબદાર ગણાય તેવું છગન કહે છે. ઢોર-ત્રાસ નિવારણનો સ્ટાફ કોર્પોરેશનના પગારમાંથી પોતાનો નિર્વાહ કરે છે, પણ ઢોર-ત્રાસનું નિવારણ કરતું નથી. એ લોકોએ અમરના કુટુંબને વળતર ચૂકવવું જોઈએ.

લઠ્ઠો પીને મરી જનાર ક્યારેક અસામાજિક તત્ત્વ પણ હોય છે. તેના કુટુંબને લાખ રૂપિયા અપાય છે, પણ ઢોર-ત્રાસ નિવારણ ખાતાની બેદરકારીથી મરણ પામનાર કુટુંબને કોઈ વળતર અપાતું નથી.

અમદાવાદ અને રખડતી ગાયોના સંબંધ વિશે વિચારીએ તો અમદાવાદને, સસલાં અને કૂતરા કરતાં પણ વધારે ગાયો સાથેનો સંબંધ જૂનો હશે.

ભાઉની પોળમાં કર્ણાવતી નગરીની દરેક પોળની જેમ શીંગડાં વીંઝતી ગાયો ફરતી હતી.

ત્યારે ત્યાં ડોક્ટર ગોસ્વામી રહેતા હતા. આજે એ ડોક્ટર પોળ તો શું દુનિયામાં પણ રહ્યા નથી. ડોક્ટર સિવિલમાં સર્વિસ કરીને ઘરે આવતા હશે. તે ગાય પાસેથી પસાર થતા જ ગાયે શીંગડાં વીંઝ્યાં. સુધારેલી કહેવત પ્રમાણે દીકરી ને ગાય સ્વામીની સામે થાય એ અનુસાર ગાય ડોક્ટર ગોસ્વામીની સામે થઈ. ડોક્ટરને સ્વમાનભંગ જેવું લાગ્યું. એટલે બાજુમાં કપડાં ધોતી મહિલા પાસેથી ધોકો લઈ ગાયને ફટકારી દીધો.

મારાં માતુશ્રી આ ખેલ જોઈ રહ્યાં હતાં. તેમણે ડોક્ટરને વારતાં કહ્યું, ‘‘ડોક્ટર રહેવા દો, આ ગાય તમને એકબે પેશન્ટ અપાવી શકે તેમ છે.” આ રીતે રખડતી ગાયો ડોક્ટરની સર્વિસનું માર્કેટિંગ કરતી હોય છે તેમ માની શકાય.

અમદાવાદના ઘણા ઓર્થોપેડિક ડોક્ટર્સ અને હાડવૈદોનાં પેટ ભરવાનું કામ ગાય માતા કરે છે. (ભોજનેષુ માતા) ગાયોની આ ઉત્તમ સમાજસેવા કોર્પોરેશનના ધ્યાનમાં છે જ એટલે તેની સામે કડક પગલાં ભરાતાં નથી. ગાયો નાના મોટા બધાંને શીંગડાં ભરાવે છે. કોઈ પણ ભેદભાવ વગર બધાને જ ઠેબે ચડાવે છે. આ સમાજવાદી અભિગમ કહી શકાય. તેનો અનુભવ સમાજવાદી નેતા રસિકલાલ આચાર્યને થઈ ગયો હતો. આચાર્યજી અમદાવાદમાં જૂની હાઈકોર્ટ અને ગાંધીજીના પૂતળા પાસેથી પસાર થયા હતા. ત્યારે એક ગાયે તેમને શીંગો ભરાવ્યાં હતાં. રસિકલાલ આચાર્ય આ કારણે હોસ્પિટલનશીન થયા હતા. પ્રતિષ્ઠિત હાસ્યકાર રતિભાઈ બોરીસાગરે આ બનાવની મીમાંસા આગવી રીતે કરી હતી - તેમણે કહ્યું આ રસિકલાલ મૂળ સમાજવાદી લાલ ટોપીવાળા પાણેરીની જેમ બધા સમાજવાદીઓ કોંગ્રેસમાં હપ્તે હપ્તે જોડાઈ ગયા. રસિકભાઈએ કહ્યું હું કાંેગ્રેસમાં નહીં જોડાઉં. મારી આ લાલ ટોપી મારે માથે જ રહેશે. સર પે ટોપી લાલનું તેમને ગૌરવ હતું. એટલે એમણે કોંગ્રેસની સામે લડયા કર્યું. બોરીસાગરનું તારણ છે કે એ વખતે કોંગ્રેસના નિશાનમાં ગાય હતી. આ ગાયને થયું કે આતો આપણી સામે લડવાવાળો છે. એટલે એટલે ઢીંક મારી. અમદાવાદ એ ગાયોનું સ્વર્ગ છે. ગાયોના સ્વર્ગના શહેરમાં અમર જેવા ગાયોને કારણે સ્વર્ગે સીધાવે છે. અમદાવાદના રસ્તા ઉપર ફરતી ગાયો, એ કોર્પો.ના ઢોર-ત્રાસ નિવારણ વિભાગની જબર-દસ્ત મજાક છે.

વાઈડ બોલ

IPL માં ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા. નક્સલવાદીઓને લડતા શહીદ થયેલ જવાનના કુટુંબને ફક્ત લાખ રૂપિયા મળ્યા.

Tuesday, August 31, 2010

પતે કી બાત!

પાકિસ્તાનમાં પૂરની આફત આવી છે.

માનવસર્જિત આફત પેદા કરવામાં પાકિસ્તાન અવ્વલ છે. (દા.ત. ૨૬/૧૧) એ દેશમાં કુદરત સર્જિત આફત આવી છે. ભારતમાં આતંક ઊભો કરનાર પાકિસ્તાનમાં કુદરતે આતંક કર્યો છે. ભારત આવે વખતે નાનાભાઈ પાકિસ્તાનને મદદ કરવા બટાકા, કરોડો રૂપિયાના બટાકા મોકલશે.

બાળકથા યાદ આવે છે. મોરને મેં ચણ આપી, મોરે મને પીંછું આપ્યું. પીછું મેં માળીને આપ્યું. માળીએ મને ફૂલ આપ્યું... ફૂલ મેં કુંભારને આપ્યું. કુંભારે મને ઘડો આપ્યો વગેરે વગેરે...

આ કહાનીમાં ટ્વિસ્ટ અપાય કે પાકિસ્તાનને મેં બટાકા આપ્યા, પાકિસ્તાને મને બોંબ આપ્યા (આપ્યા એટલે કે ઘુસાડયા) પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવાના થતા હતા. સરદાર પટેલ આપવા રાજી ન હતા. લાલુએ આપવા આગ્રહ કર્યો હતો ત્યારે સરદારે કહ્યું હતંુ, આ પૈસાની ગોળીઓ બની આપણી ઉપર આવશે. અત્યારે સરદાર (મનમોહનસિંહ) પાકિસ્તાનને બટાકા આપવા ઉત્સુક છે.

---

સાંસદોનાં વેતન વધી જવાથી કેટલાંક નાખુશ છે. પણ તેઓ ખુશ થઈ શકે છે જો આ વધારા સાથે કેટલીક ‘પેનલ્ટી’ દાખલ કરી શકાય. બેંક કર્મચારીનાં વેતન વધાર્યાં ત્યારે સત્તાવાળાએ કેટલાંક ‘ક્લોઝ’ દાખલ કરી દીધા હતા. સાંસદના કિસ્સામાં થઈ શકે એક ઝલક જોઈએ...

સ્પીકરશ્રી સાંસદશ્રી વર્માજીની ગેરવર્તણૂક નિહાળી રહ્યા છે તેમણે તુરંત જાહેર કર્યું.

‘શ્રીમાન્ વર્માના આજના પગારભથ્થાના પચાસ ટકા કાપી લેવામાં આવે અને વડાપ્રધાન રાહતફંડમાં જમા કરાવવામાં આવે.’

ક્રિકેટરો સાથે આ વ્યવહાર થાય જ છે. હરભજન ભલે મોટો બોલર હોય પણ અભદ્ર ચેષ્ટા કે ટિપ્પણી માટે તેણે કરોડો રૂપિયા ચૂકવ્યા છે. દેશના સાંસદોને પણ આવી જ આચારસંહિતા લાગુ પાડવી જોઈએ. શક્ય છે કે કેટલાંક સુધરી જશે કે કેટલાંક અકળામણ અનુભવી રાજીનામું ધરી દેશે.

ફૂટબોલના ખેલાડીઓ તો તરવરિયા હોય છે. ગુસ્સો આસમાને હોય છે. પણ તેઓ અંકુશમાં રહે છે. રેફરી રેડકાર્ડ બતાવે કે યલોકાર્ડ બતાવે. સાંસદોના નવા પગારધોરણ સાથે નિયમો દાખલ થઈ શકે. સ્પીકર રેડ કાર્ડ બતાવે, યલો કાર્ડ બતાવે, ભલે સાંસદોના પગાર નિરંકુશ રીતે વધારો પણ તેમની ગેરવર્તણૂકને અંકુશિત કરો.

પગાર પણ આસમાને અને ગેરવર્તણૂક પણ આસમાને ના ક્યારેક સાતમા આસમાને- યે તો નાઈન્સાફી હૈ ઘરમાં ચાનો પ્યાલો નોકરથી તૂટી જાય તો તેનો પગાર કાપી લેતા સાંસદ ગૃહના પરિસરમાં શોભા માટે મૂકેલાં કૂંડાંને વિરોધ પ્રર્દિશત કરવા તોડી નાખે છે. આ તમામની નાણાકીય વસૂલાત કરવાની જોગવાઈ દાખલ થઈ શકે. આમ થશે તો દેશને પગારવધારો જરા પણ મોંઘો નહીં પડે.

ગૂગલી

મશહૂર ટેનિસ સ્ટાર ફેડરરે કહ્યું, ‘તમારી સો ભવ્ય સફળતા પાછળ હજાર નિષ્ફળતાઓમાંથી મેળવેલું શિક્ષણ કારણભૂત છે.’

Monday, August 30, 2010

યે એમપી માંગે મોર...

‘દિલ માગે મોર’ જાહેરાતના આ શબ્દો જ્યારે હવામાં ગુંજતા હતા ત્યારે કોઈકે પૂછયું ‘દિલ માગે મોર’ એવું કોણ કહે?

જવાબ મળ્યો હતો, ‘‘આવું તો ઢેલ જ કહે.’’

અત્યારે એમપીનાં મહેનતાણાં વધ્યાં, ત્યારે કેટલાંક એમપીએ એથી પણ વધારાની માગણી કરેલી એ વખતે એક ચેનલવાળાએ લખ્યું, ‘યે એમપી માગે મોર’

સાંસદોને હજી પણ વધારે વધારો જોઈએ છે.

એક શ્રીમાન ઉકળાટિયા ઉકળી ઊઠેલા... ‘‘પગારવધારો તો નોકરિયાતોને હોય, આ સાંસદો ક્યાં નોકરી કરે છે?’’

‘‘અચ્છા! તોય એ લોકોને વધુ મહેનતાણું જોઈએ છે.’’

‘‘મહેનતાણું? એ લોકો કઈ મહેનત કરે છે? અરે મિત્ર, કેટલાંક સાંસદોએ તો પાંચ વર્ષમાં પાંચ વાર પણ મોઢું ખોલવાની મહેનત કરી નથી, એમને મળતું વેતન મહેનતાણું કહેવાય છે.’’

‘‘તો માનદ્ વેતન કહો કે પછી સાલિયાણું કહો, આ બધા લોકો સાંસદોને મળેલા વધારાથી નાખુશ છે. મુલાયમ-લાલુજી એ બધા પણ નાખુશ છે. અમને ઓછું કેમ આવ્યું?’’

ઐસે વૈસે કો દીયા, (તો હમ કો ક્યૂં નહીં?)

હમ કો ભી લિફ્ટ કરા દે.

એવું એ લોકો કહી રહ્યા છે. મુલાયમ કઠોર અવાજે કહે છે કે “સચિવો કરતાં પણ સાંસદોને વેતન ઓછું છે એ બરોબર નથી.”

બીજા સાંસદોને પણ લાગ્યું કે ‘‘હમ કો ભી લિફ્ટ કરા દે..’ એટલે લિફ્ટ ઉપર લઈ ગઈ વેતનના માળખાને.

લાલુજી કહે છે કે “કેટલાક સાંસદોને પગારવધારો કદાચ નહીં જોઈતો હોય, કારણ કે તેમના સ્વીસ બેન્કમાં એકાઉન્ટ છે.” સ્વીસ બેન્કના એકાઉન્ટવાળા કોઈકે કહેવું જોઈતું હતું કે અમે તો સ્વીસ બેન્કમાંથી પૈસા ઉપાડીશું, કારણ કે અમારે બીજો કોઈ ‘ચારો’ નથી.

એક ચેનલવાળાએ લોકોનો અભિપ્રાય માગ્યો, કે સાંસદોને પગારવધારો મળવો જોઈએ કે નહીં?

કેટલાંક લોકોએ એમ પણ કહ્યું કે પગાર વધારવો ન જોઈએ પણ ઘટાડવો જોઈએ.

એક મત એવો છે કે પગારવધારો બરાબર છે. જેની સાથે આ કોલમલેખક સંમત છે. (અવળી ગંગાના લેખક ખરાં ને!) સિંદબાદ કહેતો હતો કે પચાસ ટકા ઉપરાંત સાંસદો કરોડપતિ છે. પગારવધારો શાનો?

સિંદબાદને પૂછયું, ‘‘તું રહે છે એ ફ્લેટની કિંમત કેટલી?’’ એ કહે ‘સિત્તેર લાખ ગણાય’. તારી બીજી થોડી બચત કે રોકાણો ગણીએ તો તું પણ કરોડપતિની હરોળમાં જ છે ને!

છગનનું ખાતું જે બેન્કમાં છે તેનો પટાવાળો જે ચેક ઉપર સિક્કા મારે છે તેનો પગાર વીસ હજાર ઉપર છે અને એ જ બેન્કનો ક્લાર્ક ચાલીસ હજાર પગાર મેળવે છે, એ દેશના સાંસદને પચાસ હજારનો પગાર શું વધારે કહેવાય?

સાંસદની નોકરી તો પાંચ વર્ષની જ ગણાય, જ્યારે બેન્ક ક્લાર્ક કે સચિવની નોકરી પાંત્રીસ ચાલીસ વર્ષની ગણાય.

કહે છે કે કાયદાના હાથ લાંબા છે, તો કાયદા ઘડનાર સાંસદોના પગાર શું કામ ટૂંકા હોવા જોઈએ? ટૂંકા પગારે તો કામ કરવા માટે અપરાધીઓ તૈયાર થશે જ, પણ તમારે ડો. વસંત પરીખ જેવા કે સરદાર પટેલ જેવા સાંસદો જોઈતા હોય તો તેની કિંમત પ્રજાએ ચૂકવવી જોઈએ. નહીંતર જે થોડા ઘણાં વિત્તવાળા સાંસદો હશે તે વિત્તના અભાવે આવતા સંકોચાશે.

સાંસદોને સારું વેતન સરવાળે દેશને સારી વ્યક્તિઓ મળવાનો રસ્તો સરળ બનાવશે.

જમીન પાછળ સારા ખાતર-પાણીનો ખરચો એ ખરચ નથી પણ રોકાણ છે. સમજો તો સારું.

વાઈડ બોલ

ક્રિકેટમાં ગેરવર્તન કરનારની મેચ-ફી કાપી લેવામાં આવે છે. તેમ સંસદમાં ગેરવર્તન કરનારનું ભથ્થુ-પગાર કાપી લેવાની જોગવાઈ કરવાથી ધોરણ કદાચ સુધરે.

લંક લગ ગઈ

ફાયદો થાય ત્યારે એક રૃઢિપ્રયોગ વપરાય છે. ‘લંક લગ ગઈ’ હવે રૃઢિપ્રયોગનો માયનો બદલવાનો સમય આવી ગયો છે.કોઈને ભારે નુકસાન કરવામાં આવે ત્યારે તેના માટે ‘લંક લગ ગઈ’ શબ્દ વાપરી શકાય તેમ છે હવે.

લંકાની ટીમ સાથે આપણને તાજેતરમાં અનુભવ થયો તે આ વાતની સાક્ષી પૂરે છે. બેંકવાળી વ્યક્તિ મરી જાય પછી ચેક ઉપર તેની સહી માન્ય કરતી નથી. તેમ ક્રિકેટના નિયમ પ્રમાણે બોલ-નોબોલ થઈ ગયો અને ત્યારે મેચ પતી જાય તો તે પછી બેટ્સમેનને રન મળતા જ નથી. આ નિયમના કારણે વીરુ સદીથી વંચિત રહી ગયો. પડોશીનો છોકરો નાપાસ થાય ત્યારે આનંદ લેતા લોકો જેવા આ લંકાવાળા છે. હું ભલે મરી જાઉં પણ પત્ની વિધવા તો થશે. પત્નીના નામ આગળ ગંગા સ્વરૃપ લખાય તે માટે કેટલાંક પતિદેવ આપઘાત કરી નાંખે છે, એવી મનોવૃત્તિ લંકાની ક્રિકેટ ટીમની હતી.

સામે કોઈ નાક કપાવેલો માણસ મળે તો તે અપશુકન ગણાય, સૂરજ રણદીવે એવું જ કર્યું. સેહવાગની સદી અટકાવવા તેણે નાક કાપી અપશુકન કરાવ્યા. લંકાની ટીમનું નાક કપાયું ગણાય. ભલે ભારતને અપશુકન થયા.

આ સૂરજને ગ્રહણ લાગી ગયું તેમ કહેવાય. સૂરજ રણદીવને સજા થઈ છે. દિલશાનને પણ અમુક રકમનો દંડ આ કરતૂત માટે થયો છે. કેટલાંક ચૂકાદામાં આરોપીને દંડ કરવામાં આવે છે, અને તે રકમમાંથી ‘વીક્ટમમ્ને અમુક રકમ અપાય છે. ક્રિકેટ કાઉન્સિલે નિયમમાં સુધારો કરી આવા કિસ્સામાં ભોગ બનનાર ક્રિકેટરના ખાતામાં અમુક રન જમા કરવાનું નક્કી કરવું જોઈએ. તો આ કિસ્સામાં સહેવાગના ખાતામાં છ રન ઉમેરી શકાય. સોચને વાલી બાત હૈ.ઓસ્ટ્રેલિયન-પાકિસ્તાનના ખેલાડી વત્તા તેમના અમ્પાયર્સ ખેલદિલી નેવે મૂકવા માટે જાણીતા છે. લંકા તેની હરીફાઈમાં છે.

***

આપણા ખેલાડીઓ વિવેક ચૂકે છે, તેમ સમાજમાં કેટલાંક માણસો રણદીવની જેમ ગમે ત્યારે ‘નો-બોલ’ ફેંકે છે કારણ વગર. બપોરના બે વાગ્યા હશે. છગનનો ફોન આવ્યો. ભર ઊંઘમાં હતો. આંખો ચોળતાં ચોળતાં ફોનનું રિસિવર ઉઠાવ્યું... ‘બોલ છગન’, મેં અકળામણમાં પૂછયું, ‘કેમ ફોન કર્યો?’

‘બોસ ખાસ કંઈ નહીં પણ તમે મજામાં છો કે નહીં તે પૂછવા ફોન કર્યો...’

‘અલ્યા પણ અઢી વાગ્યે...’

‘હા. અઢી વાગ્યે તમે મજામાં હો છે કે નહીં તે જાણવું હતું.’

‘અકળામણમાં છું’

ફોન તો કટ થઈ ગયો. પણ કટ થયેલી ઊંઘ પાછી ન મળી.

પૌરાણિક કાળના એક ઋષિએ વરદાન મેળવ્યું હતું કે મને કોઈ ઊંઘમાંથી જગાડે તો તે બળીને ભસ્મ થઈ જાય.

ભગવાન શ્રીકૃષ્ણે એક રાક્ષસને ‘એન્કાઉન્ટર’ કરવા માટે ઋષિના આ વરદાનનો લાભ લીધો હતો, ભરબપોરે ઘેર આવતા ફોન પછી આ વરદાનની યર્થાથતા મને સમજાય છે. આવી જ કોઈ તકલીફના કારણે ઋષિએ વરદાન મેળવ્યું હશે.

અમુક સોસાયટીવાળા સોસાયટીની બહાર બોર્ડ મૂકે છે કે ફેરિયાઓએ બપોરે એકથી ચાર ન આવવું. ઘરની બહાર બોર્ડ મૂકી શકાય કે આંગડિયા / કુરિયરે પણ એકથી ચાર ન આવવું. ઓફિસોમાં ભલે તમે બપોરે જાવ, પણ ભરબપોરે ઘેર ટપાલ આપવા જાવ, જહાંગીરના ઘંટની જેમ ‘બેલ વાગે, ત્યારે કુરિયરને...’ મન થાય છે.

Saturday, August 21, 2010

ઝરદારીને જૂતાં

ભવિષ્યના ઇતિહાસકારો, આ શબ્દપ્રયોગ કેવો લાગ્યો? ભૂતકાળની વાતો લખનાર તે ઇતિહાસકારો, તેના ભવિષ્યની વાત થાય છે.

ગઈ તિથિ જોષી પણ વાંચતો નથી, પણ ગઈ તિથિ ઇતિહાસકારો વાંચે છે. ભવિષ્યના ઇતિહાસકારો આજના યુગને કદાચ ‘જૂતાંયુગ’ તરીકે આલાપશે.

નેતાઓને જૂતાં પડતાં રહે છે. થોડાક સમય પહેલાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બુશ ઉપર જૂતાં ફેંકવામાં આવ્યાં હતાં. ટીવી પ્રસારણમાં બુશ ઉપર ફેંકાયેલાં જોડાંને વારંવાર દર્શાવવામાં આવ્યું હતું. જે રીતે સેહવાગ સુંદર સિક્સર મારે ત્યારે વારંવાર ટીવી પરદે તે ‘રિપીટ’ થયા કરે છે તેમ બુશ ઉપર જૂતાંપ્રહારને બતાવ્યા કરે. એ પ્રસારણ યાદ છે. બુશે ખૂબ જ સીફતપૂર્વક તે પ્રહારને ચુકાવ્યો હતો. છગન કહેતો હતો કે “ઘરની પ્રેક્ટિસ આવે વખતે કામ આવે છે!”

ત્યારે લાગેલું કે ભવિષ્યમાં ધોની જેવો કોઈ ક્રિકેટર નેતા થાય ત્યારે આવાં ફેંકાયેલાં જૂતાંને કેચ કરી તુરંત જ જૂતાં ફેંકનાર ઉપર જ વળતો ઘા કરે.

બુશ ઉપર જૂતા ફેંકનારના આ એક જ જોડાની કિંમત કરોડો રૂપિયાની થઈ હતી. આરબ કટ્ટરવાદીઓ આ જૂતા ફેંકનારની હિંમત (કાચી નિશાનબાજી છતાં) ઉપર ફીદા થઈ ગયા હતા. એને અનેક ઈનામો આપ્યાં હતાં. જૂતાં સારા પૈસા અપાવી શકે છે. એ ભારતીય સાળીઓને ખબર છે. એ જૂતાં ફેંકતી નથી પણ તે ભાવિ જીજાના વર્તમાન પગરખાંને ગુમ કરી ‘રેનસમ’ વસૂલ કરે છે. આને તમે ભારતીય લગ્ન પ્રથાની ખંડણી વસૂલ કરવાનો રિવાજ કહી શકો.

જૂતાં ફેંકનારને મળતી પ્રસિદ્ધિ, અથવા ભારત પણ જે અમેરિકા સાથે થઈ શકે છે, તે કરી શકે છે તેવી એક લાગણીથી ત્યાર પછી ભારતીય પ્રધાન ઉપર પણ જૂતાં ફેંકવામાં આવ્યાં હતાં. જૂતું જેની ઉપર તંકાયું હતું તે શુભ મસ્તક હતું ચિદમ્બરમ્જીનું. એક શીખ પત્રકારે જોડો ચિદમ્બરમ્ તરફ ફેંક્યો હતો. જોકે પત્રકારો આ કામ કરતા જ હોય છે પણ કલમથી. એ જોડાનું ખરું નિશાન ચિદમ્બરમ્ નહીં પણ શીખ વિરોધી હુલ્લડોના કર્તા કેટલાંક નેતાઓ હતા.

કેટલાંક વર્ષો પહેલાં ઇન્દિરાજી કોંગ્રેસ પ્રમુખ હતાં. ત્યારે ખાડિયામાં તેમની ઉપર ચંપલ ફેંકાયું હતું. જોકે ત્યારબાદ ઇન્દિરાજીએ ઘણા નેતાઓને ચંપલો ફટકાર્યાં હતાં!

પાકિસ્તાન એક એવો દેશ છે, જ્યાં નકલ વધારે થાય છે. ભારતમાં એક વખત ખૂબ લોકપ્રિય થયેલું ગીત, ‘સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ’ એ ગીતની નકલ પણ પાકિસ્તાનમાં થઈ હતી. ‘કાયદે-આઝમ તૂને કર દીયા કમાલ’ તેવું ઝીણાનું પ્રશસ્તિ ગીત લખાયું હતું. તે વખતની આપણી ઘણી ફિલ્મની બેઠી નકલ એ લોકો કરતા હતા. આપણે ત્યાં ‘દિલ એક મંદિર હૈ’ ફિલ્મ બહુ ચાલી હતી. ત્યારે આ કોલમના લેખકના પિતાજીએ કોમેન્ટ કરેલી કે એ લોકો હવે ‘મન એક મસ્જિદ હૈ’ એવી ફિલ્મ બનાવશે. હવે જૂતાંની વાત કરીએ તો પાકિસ્તાની નેતા જૂતાંની બાબતે પાછળ ન રહી જાય એવા કોઈક આશયથી જનાબ ઝરદારી ઉપર લંડનમાં જૂતું ફેંકાયું. ‘હન્ડ્રેડ પરસન્ટ’ ફેંકાયું. ભલે જરદારી મિસ્ટર ‘ટેન પરસન્ટ’ કહેવાતા હોય પણ તેમની ઉપર જૂતાનો પ્રહાર સો ટકા થયો. ઝરદારીજી સરકારી ટેન્ડરમાં તેમના દસ ટકા રાખતા હતા. તે માન્યતાને કારણે તેમનું નામ ‘ટેન પરસન્ટ’ તરીકે પૂરા પાકિસ્તાનમાં મશહૂર હતું. આપણે કોમનવેલ્થ ગેમ્સવાળાને શું નામ આપીશું? એ ટેન પરસન્ટવાળા જૂતાપ્રહારથી સો ટકા બચી ગયા.

હજી ઝરદારી ઉપર ફેંકાયેલાં જૂતાંના સમાચારની શાહી સુકાઈ ન હતી ત્યાં કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા ઉપર જૂતું ફેંકાયું. મને લાગે છે વિભાજનવાદી સંગઠનો આ જૂતા માટે માતબર રકમનાં ઈનામો જૂતાંફેંકી માટે જાહેર કરશે. ઓમર અબ્દુલ્લા આઝાદી દિને યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજને સલામી આપી રહ્યા હતા ત્યાં આ બનાવ બન્યો. ભારતીય આઝાદી દિનનો કાર્યક્રમ હતો એટલે અલગતાવાદીઓને લાગ્યું હશે કે બેગાની શાદીમાં આ અબદુલ્લા પણ દીવાના છે. દીવાનાને તો જૂતાં મારવાની મજનૂના સમયથી પ્રથા છે. એટલે અબદુલ્લા ઉપર જૂતાંપ્રહાર થયો. ટીવીવાળાએ પણ એ જૂતાંફેંકને પણ ક્રિકેટની જેમ જ અલગ અલગ રીતે દૃશ્યાંકનમાં બતાવ્યું.

લાગે છે કે ઓલિમ્પિકમાં ‘ડિસ્ક થ્રો’ની જેમ ‘જૂતાંફેંક’ની હરીફાઈ પણ દાખલ થવી જોઈએ.

વાઈડ બોલ

સ્ત્રી કર્મચારી સાથે અભદ્ર વર્તણૂકના આરોપસર ‘આઇડિયા’ના મુખ્ય અધિકારીએ રાજીનામું આપવું પડયું.

‘ક્યા આઇડિયા હૈ સરજી!’

Thursday, August 19, 2010

ભિખારીઓનું ‘ચલો દિલ્હી’

કોમનવેલ્થ ગેઈમે દરબારી સાહેબની બાજી ફીટાઉંસ કરી નાંખી. એને તમે ‘એન્કાઉન્ટર’ પણ કહી શકો. સરકારી અધિકારીઓને એ લોકો માણસ નહીં ગણતા હોય એટલે આ પ્રકારનાં ‘એન્કાઉન્ટર’ માં માનવઅધિકાર સંસ્થાઓ પડતી નથી.

હવે ‘કોમનવેલ્થ રમત’માં એક નવો સવાલ ઉમેરાયો છે.

એ છે ભિખારીઓનો. જેમ કુંભમેળાનું આયોજન થતા અનેક બાવાઓ વસ્ત્રવિહીન અને વસ્ત્રવાળા હરદ્વારમાં ઉમટી પડે છે તેમ કોમનવેલ્થ ગેઇમ જેવા પ્રસંગે ભિખારીઓ ઉમટી પડે છે. સુપ્રીમે ચીમકી આપી કે આ ભિખારીઓનું કંઈક કરજો એટલે દિલ્હી સરકારે ભિખારીઓને પકડવાનું શરૃ કર્યું છે. દેશનાં વિવિધ રાજ્યોના ભિખારીઓએ જાણે નારો લગાવ્યો છે ‘ચલો દિલ્હી’. અને દિલ્હી સરકાર ‘ક્વીટ દિલ્હી’ના સૂત્ર સાથે સામે પડી છે.

અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન કાયમ ગાયો પકડે છે(!) રખડતાં કૂતરાં પણ પકડે છે.કદાચ કૂતરાં હમણાં નહીં પકડતા હોય, કારણ કે થોડા સમય પહેલાં પ્રાણીઓ સામે ક્રૂરતા વિરોધ કરનાર એક સંસ્થા કૂતરાં પકડવાના સાણસા લઈને ભાગી ગઈ છે. હવે કૂતરાં કે સાણસા લઈ ભાગી જનાર કોઈ આરોપી સાણસામાં આવતા નથી. કહેવાનું એટલે કે કોર્પોરેશન ગાય-કૂતરા પકડવાની યોજનાઓ બનાવે છે, પણ રસ્તા ઉપર રખડતી ગાયોની સંખ્યા વધતી જ જાય છે. ચેનલવાળાની ભાષામાં કહું તો... આ ગાયો રસ્તા ઉપર જે પોદળા મૂકી. નિર્મળ ગુજરાતની ધજિયા ઉડાડી રહી છે. એ જ રીતે ભિખારીઓને નિયંત્રિત કરવાની કાનૂની જોગવાઈ છે, પણ તેની ગતિ પણ ગાય-કૂતરાંના ત્રાસ નિવારણ કાનૂન જેવી જ છે. દેશનાં અનેક રાજ્યોના ભિખારીઓ દિલ્હી તરફ જઈ રહ્યા છે, કારણ કે ભારતીય રેલવે આપણી રેલવે એ આપણી રેલવે છે. આપણી રેલવેમાં આપણે ટિકિટ લેવાની હોય? રસ્તા ઉપર રખડતી ગાય જેમ દરેક રસ્તા ઉપર મળી આવે તેમ દરેક ટ્રેઈનમાં ભિખારીઓ મળે જ મળે.

અપ-ડાઉન કરતા મિત્રો આ જાણે છે. એક ભિખારીએ મિત્રને કહ્યું, ‘કેમ છે સાહેબ?’ ત્યારે સાથે ઊભેલા બીજા મિત્રને નવાઈ લાગી. ‘આ ભિખારીને તું ઓળખે છે’, ત્યારે ભિખારીએ ચોખવટ કરેલી. ‘આ સાહેબ સાથે હું પણ દિલ્હી-મેઈલમાં અપડાઉન કરતો હતો - એસ-ટુ, એસ-થ્રી ડબ્બામાં’.

ભિખારીઓ ભલે ભારતની શાન ન હોય, પણ ભારતની સંસ્કૃતિનો ભાગ તો છે જ, દિલ્હી મેઈલમાં ભિખારી ગાતો હતો ‘કરતા હું મૈં જો, તૂમ ભી કરો જી’ છગન પૂછે છે. આ ભિખારી આપણને કહે છે હું જે કરું છું તે તમે પણ કરો, એટલે કે તમે પણ ભીખ માગો!ળખેર એ તો ભીખ માગતા માગતા કંઈક ‘રિટર્ન’ આપવાની ભાવનાથી સંગીત પીરસે છે. એસ્બેટોસની પટ્ટીઓથી રીધમ આપતા આપતા આ ભિખારીઓ આમ તો લલિતકલાના પ્રચારક ગણાય.

દિલ્હી સરકારની ભિખારી વિરુદ્ધ ઝૂંબેશથી નારાજ એક ભિખારી કહેતો હતો, ‘કમ સે કમ નેતાઓએ તો ભિખારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, આખરે એક જ પેશાના માણસ ગણાય, અમે કરીએ છીએ તે એ લોકો ચૂંટણી વખતે કરતાં જ હોય છે. એ લોકો પણ ત્યારે ‘દે-દે - બાબા--દે...દે’ કરતા જ હોય છે. આ તબક્કે યાદ આવે છે કે આપણી ફિલ્મોએ પણ અમર ભીખગીતો આપ્યાં છે. ‘ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે’ ‘તૂં એક પૈસા દેગા, વો દસ લાખ દેગા,’ આવાં ઘણાં ગીતો છે. ભલેને ભિખારીઓ પરદેશથી આ રમતમેળામાં આવતા લોકો સામે ગાય... ‘આ આનેવાલે.. બાબુ...’

ગૂગલી
શક્ય છે કોમનવેલ્થ ગેમ્સમાં માગી ભીખીને એકાદ મેડલ ભિખારીઓ પણ લઈ આવે.

Saturday, August 14, 2010

લૂંટ સકો તો લૂંટ લો


સરકારી ઓફિસમાં ગેઝેટેડ ઓફિસર્સની ટી-ક્લબ મિટિંગ ચાલી રહી હતી. મિસ્ટર દેસાઈએ વાત છેડી, અલબત્ત, એ વખતે મિસ્ટર કાદરી ગેરહાજર હતા. ‘‘કાદરી આપણા ડિપાર્ટમેન્ટનું કલંક છે.’’

‘‘અરે કાદરી તો એકદમ સીધાસાદા છે. પ્રામાણિક છે. લોકો એને મિસ્ટર ક્લીન કહે છે.’’

‘‘હા, પણ પૈસા ખાતો નથી, આપણા ડિપાર્ટમેન્ટમાં તે તદ્દન અલગ પડી જાય છે એટલે આપણા સૌ માટે કલંકરૂપ છે.’’ દેસાઈએ સ્પષ્ટતા કરી. સૌ સ્મિત કરી સંમત થયા.

આ વાત અમને એટલે યાદ આવી, આજના ગરમાગરમ કોમનવેલ્થ ગેમ્સના સમાચારોને કારણે કાદરી યાદ આવી જાય છે. આજની પીચ કાદરી જેવા માટે અનુકૂળ નથી. આ પીચ ઉપર કલમાડી જ ચાલે.

બોલો બચ્ચો તૂમ ક્યાં બનોંગે? કાદરી કે કલમાડી? કોમનવેલ્થ રમતો-

ેઉત્સવના આયોજનમાં આપણે ત્યાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. કુંભમેળાના આ દેશમાં થયેલી આ કટકીકથા માટે એક પત્રકારે ‘ગોટાળાનો મહાકુંભ’ શબ્દ વાપર્યો છે.

ઝાંસીની રાણીએ ઉગ્રતાથી કહ્યું હતું, ‘મૈં મેરી ઝાંસી નહીં દૂંગી’ આ મર્દાની રાણી જેવી જ ઉગ્રતા બતાવતા કલમાડીએ કહ્યું, ‘‘મૈં ઈસ્તીફા નહીં દૂંગા’’

જૂનાં છાપાં ઊથલાવશો તો સમાચાર જડી આવશે કે કોન્સ્ટેબલ જોરાવરસિંહને એન્ટિકરપ્શનવાળાએ પચાસ રૂપિયાની લાંચ લેવા માટે રંગે હાથ ઝડપી લીધો હતો. સસ્પેન્ડ છે બિચારો, ત્યારે કોમનવેલ્થ-રમતવાળાએ અબજોનું કરી બતાવ્યું. કવિ બ.ક.ઠા.નો આત્મા રાજી રાજી થયો હશે. કવિએ લખ્યું હતું, ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’

કેટલો સરસ સંદેશ છે. જે કલમાડીના મિત્રો સમજી શક્યા. ‘નહીં માફ નીચું નિશાન...’ કરવું તો કરોડોનું, પેલા જોરાવરસિંહ જેવું નહીં. કોમનવેલ્થ ગેમ્સમાં જે રીતે પૈસા ખવાયા છે એ માટે એક ટીકાકારે કહ્યું છે, ‘લૂંટ વેલ્થ ગેમ્સ’, વેલ્થ મતલબ સંપત્તિ. સંપત્તિ લૂંટો, પૈસા લૂંટો આ લૂંટવાની ગેમ્સ છે. એક પત્રકારે કહ્યું ટાઈટલ સૂચક છે ‘કોમનવેલ્થ’ આ લોકો સમજ્યા આ કોમન-વેલ્થ છે. સહિયારી સંપત્તિ એટલે કે આપણા સૌની ફિર શરમાના કાહે કા.

રમત અને પૈસાને સંબંધ છે જ. ઘણાં લોકો કહે છે.

‘સુરેશભાઈ માટે પૈસા પેદા કરવા તે ડાબા હાથનો ખેલ છે.’

(નામ સાચું ન ગણવું) હા, સુરેશ રૈના માટે ડાબા હાથના ખેલથી પૈસા રળતો માણસ ગણાય.

ઘણા રમતાં રમતાં પૈસા પેદા કરી લે, પૈસા કમાવા રમત વાત છે, જો તમને રમત આવડતી હોય તો. રમતમાંથી પણ પૈસા રળી શકાય છે. કોમનવેલ્થ ગેમ્સના મહારથીઓએ સાબિત કર્યું છે કે તેઓ આ બાબતે રમતવીર છે.

એક બાળગીત છે. ‘રમતા રમતા મને રૂપિયો જડયો’. એવું લાગે છે કે આ ગીતની પંક્તિમાં વ્યાકરણ દોષ છે. રૂપિયો નહીં પણ રૂપિયા શબ્દ જોઈએ. ‘રમતા રમતા મને રૂપિયા જડયા’.

કોમનવેલ્થ ગેમ્સની રમત રમતા રમતા કેટલાંકને કરોડો રૂપિયા જડી ગયા.

એક છાપામાં આક્રોશ સાથે લખાયું હતુ, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રજાના પસીનાના કરોડો રૂપિયા લૂંટાઈ ગયા છે. પ્રજાના પસીનાના પૈસા ખરા, પણ લૂંટનારા કેવા! લૂંટવા માટે એ લોકોએ પસીનો વહાવ્યો નથી, કારણ કે લૂંટવાવાળા એસી ઓફિસમાં બેઠા છે. ભલે એમણે પરસેવો પાડયો નથી પણ તેમણે બુદ્ધિ તો વાપરી છે ને! એમણે બુદ્ધિપૂર્વકના આયોજનથી તમારા પરસેવાના પૈસા મેળવી લીધા. આ વાત સાબિત કરે છે કે પરસેવા કરતાં બુદ્ધિ ચઢિયાતી છે. રમતગમતનાં સાધનો ખરીદવામાં અનેકગણા પૈસા ચૂકવવામાં આવ્યા છે. એક આઈટેમનું નામ છે ‘ટ્રેડમીલ’ આની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે. પણ જરા વિચારો આઈટેમનું નામ જ ‘ટ્રેડમીલ’ છે. એટલે કે તેમાં ‘ટ્રેડીંગ’ કરી શકાય. તેનો વ્યાપાર કરી. આયોજકમાંથી કોઈકે કંઈક મેળવ્યું.

એક ચેનલ ઉપર રજત શર્માએ વાતનો ઉલ્લેખ કરતા મર્મથી કહ્યું હતું, ‘‘લાગે છે કે આપણને બીજા સુવર્ણચંદ્રક મળે કે ન મળે પણ ભ્રષ્ટાચારનો સુવર્ણચંદ્રક તો જરૂર મળે.” સુવર્ણચંદ્રક મુબારક...


પ્રેમ અને વરસાદ બન્ને સરખા છે. વરસાદમાં તમારું શરીર પલળે છે. પ્રેમમાં આંખો.