Saturday, February 9, 2013

આબુવાલાને એવરેસ્ટવાળા કહી શકો

આપણા કેટલાય કવિઓ સાંભળવા ખૂબ ગમે. રમેશ પારેખ સદા છવાઇ જતા. જલન ખતરી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. અનિલ જોષી કે વિનોદ જોષી, આ જોષી કવિની કુંડળીમાં રાજયોગ છે. શ્રોતાનાં દિલ ઉપર રાજ કરે છે. આપણા એક અલગ પડતાં કવિ હતા શેખાદમ આબુવાલા. તેઓ અદ્દભુત કવિ હતા. સરસ કોલમલેખક પણ હતા. હોઠ ઉપર સદા રમતું હાસ્ય અને વાતવાતમાં આવતી તેમની રમૂજથી તે છવાઇ જતાં. કવિ તરીકે અદ્દભુત હતા અને માણસ તરીકે પણ અદ્દભુત હતા. આબુવાલાની સરળતા સદા યાદ રહે. આ કવિને મોટો ભિન્ન વર્ગ, દરેક વર્ગના તેમના મિત્રો હતા. લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો તેમના મિત્રો હોય જ પણ નવાસવા કલમ પકડેલા લેખકો પણ તેમના મિત્રો હતા. મોટા રાજકારણીઓ તેમના મિત્રો હતા. તો ચાની લારી ઉપર કામ કરતો 'ટેણી' પણ તેમનો મિત્ર હોય. આવા ટેણી સાથે પણ તે ટોળટપ્પાં કરતાં હોય. ભારતના વડાપ્રધાન બનેલા શ્રી વી.પી.સિંગ પણ તેમના ખાસ મિત્ર હતા. વી.પી.સિંગ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે શેખાદમને ઘેર તેની ખબર પૂછવા ગયા હતા. સિક્યોરિટીનો કાફલો જ્યારે તેની ગલીમાં ગયો, દેશના નાણાપ્રધાન તેને ઘેર ગયા, ત્યારે ખ્યાલ આવ્યો કે આ માણસે કેટલા લોકોનાં દિલ જીતી લીધાં છે. ગુજરાતના નાથ રહી ચૂકેલા માધવસિંહ સોલંકી પણ તેમના ખાસ મિત્ર હતા. અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી પણ તેમના મિત્ર. જબરજસ્ત ગાયક મહંમદ રફી પણ તેમના મિત્ર. આબુવાલા જ્યારે જર્મનીથી ભારત આવે, મુંબઇ ઊતરે ત્યારે રફીના ઘેર ખાસ જાય. એની ઘણી વાતો પછી મિત્ર-વર્તુળમાં કરે. ગુજરાતી ફિલ્મઉદ્યોગોમાં પણ તે લોકપ્રિય. એકવાર લોકપ્રિય(તે વખતની) અભિનેત્રી અરુણા ઇરાનીએ શેખાદમને કહ્યું 'આદમ એક કવિએ સુંદરીના ગાલના તલ ઉપર રસમરકંદ-બુખારા ન્યોછાવર કરવાની વાત કરી હતી. તો તું મારા ગાલ ઉપરના આ તલ ઉપર શું ન્યોછાવર કરે છે? તુરત જ શેખાદમે કહ્યું 'હાલોલ અને કાલોલ'(ત્યાં ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ થતાં હતાં.) એકવાર રમેશ પારેખે અમને બંનેને અમરેલીનું આમંત્રણ આપેલું. સવારે મારું હળવી શૈલીનું પ્રવચન હતું, જ્યારે રાત્રે એક કવિસંમેલન હતું. જેનું સંચાલન આબુવાલા કરવાના હતા. કાર્યક્રમ શરૂ થયો. મહેમાન હોવાથી હું પહેલી હરોળમાં હતો. કવિસંમેલન શરૂ થતાં જ શેખાદમે કહ્યું 'પ્રથા તરીકે કવિ સંમેલન-મુશાયરાનું સંચાલન હાસ્યકારે કરવું જોઇએ. આજે આપણી સાથે નિરંજન ત્રિવેદી છે, તો સંચાલન પણ એ જ કરે! એમ કહી તેણે સંચાલન મને સોપી દીધું એ કવિ સંમેલનમાં પછી આદમે કવિ તરીકે ભાગ લીધો હતો. આ એની દરિયાદિલી હતી. શેખાદમે ઘણાં વરસો જર્મનીમાં ગાળ્યાં. ત્યાં રેડિયો ઉપર મોટી વ્યક્તિઓનાં ઇન્ટરવ્યૂ કરતાં, ભારતના ધૂંરધરોના તેમણે ત્યાં ઇન્ટરવ્યૂ કરેલાં. ભારત પરત આવ્યા પછી એમણે અનેક દૈનિકોમાં 'કોલમ' લખી. આદમનો સ્વભાવ એટલો સરળ હતો કે તે કોઇ પણ પ્રકારની વ્યક્તિ સાથે ભળી જતા. શેખાદમમાં દરેક વયના માણસો સાથે ભળી જવાની ખૂબી હતી.ભારત પરત આવ્યા પછી એમણે અનેક દૈનિકોમાં 'કોલમ' લખી. આદમનો સ્વભાવ એટલો સરળ હતો કે તે કોઇ પણ પ્રકારની વ્યક્તિ સાથે ભળી જતા.હું એકવાર મારા પુત્ર સાથે બહાર જતો હતો. વળતાં મારા પુત્રને મે કહ્યું 'બાજુમાં મારા મિત્ર શેખાદમ આબુવાલા રહે છે, એને મળીને ઘેર જઇએ.' પુત્રને આ વાત પસંદ ન હતી. તે એની ચહેરા ઉપરની રેખાઓ કહેતી હતી. આબુવાલાને ઘેર અમે કલાક બેઠા. મારા પુત્ર સાથે શેખાદમે ઘણી વાતો કરી. અમે પણ ઘેર જતા હતા, ત્યારે મારો પુત્રે મને કહ્યું, 'પપ્પા આમને ઘેર ફરી આવો ત્યારે મને લેતાં આવજો.' આ શેખાદમની દરેક વયના માણસો સાથે ભળી જવાની ખૂબી હતી. એકવાર શેખાદમ શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઇથી દિલ્હી જઇ રહ્યાં હતાં. બાજુના પેસેન્જર સાથે વાતે વળગ્યા, પછી પેલાએ પૂછયું 'આપ કયા કરતે હૈં?' 'જી મે લિખતા હૂં.' આપણે ત્યાં ખ્યાલ છે કે કોઇ લેખક કવિ હોય પણ એણે કંઇક બીજું તો કરવું જ પડે એટલે સહપ્રવાસીએ પૂછયું, 'જી આપ લિખતે હૈં, મગર ઔર આપ ક્યા કરતે હૈં? 'મેં ઔર લિખતા હું ' હસતાંહસતાં શેખાદમે કહ્યું. ભલે તે આબુવાલા કહેવાતા હોય પણ તેની માનસિક હાઈટ એવરેસ્ટ જેટલી હતી.

સોનિયા, મનમોહને ફરીથી ચીપેલાં પત્તાં...

‘તમે નવું શું કરવાના છો? એના એ જ ચહેરા છે તમારી પાસે...’ એક નેતાએ અમેરિકા પ્રેસિડેન્ટને કહેલું. ત્યારે તે અમેરિકન પ્રેસિડેન્ટે ખૂબ જ મશહૂર ઉક્તિ ચલણમાં મૂકી, ‘આઈ વિલ ગિવ ન્યુ ડીલ’. અમેરિકન પ્રમુખે ચોખવટ કરી કે બરોબર છે–એ જ પત્તાં છે. તેનાથી રમવાનું છે. પણ જો પત્તાં ચીપવામાં આવે તો બાજી નવી પડે છે. એ જ પત્તાંથી કોઇ સારી બાજી મળી શકે છે. પત્તાં ભલે એ જ રહ્યાં પણ ચીપવાથી બાજી નવી મળી શકે છે. હાલમાં મનમોહનસિંહ–સોનિયા ગાંધીએ ગંજીફો ચીપ્યો છે. પત્તાંની હેરફેર થઇ છે. ખબર નથી કે બાજી બદલાઇ છે કે નહિ. શશિ થરૂર, પત્તાં ચીપ્યાં તેમાં ફાવી ગયા છે. ભૂતપૂર્વ પ્રધાન હતા. હવે તેઓ વર્તમાન પ્રધાન થયા છે. થરૂર સરકારી કામે હવાઇ પ્રવાસ કરે ત્યારે એક્ઝિક્યુટિવ કલાસમાં ફરતા હતા. એક શુભ કે અશુભ સવારે સોનિયાજીએ હુકમ જારી કર્યો. પ્રધાનો હવેથી ઇકોનોમી કલાસમાં હવાઇ મુસાફરી કરશે. અમદાવાદમાં તમે શટલરિક્ષામાં બેસો તેવો પ્રવાસ ઇકોનોમી કલાસની હવાઇ મુસાફરીનો છે. શશિજીને આ આકરું લાગ્યું. તેઓ તો ચાંદીના ચમચા સાથે જન્મેલા. તેમણે ઇકોનોમી ક્લાસને નવું ટાઈટલ આપ્યું ‘ઢોરો કા ડિબ્બા’. હલચલ મચી ગઇ. સોનિયાજી પણ હવાઇ પ્રવાસમાં ઇકોનોમી ક્લાસમાં જતાં હોય તેવા ફોટોગ્રાફ્સ અખબારોમાં પ્રગટ થયા. પછી ઇકોનોમી ક્લાસની મુસાફરી ક્યાં હવાઇ ગઇ તે પ્રજાને ખબર નથી. કોઇ આરટીઆઇવાળાએ આ માહિતી પ્રગટ કરવી જોઇએ કે ખરેખર ઇકોનોમી કલાસમાં કેટલા પ્રધાન હવે ફરે છે. આ કારણે જ શશિની કળાનો લય થઇ ગયો. એ પૂનમના ચંદ્ર હતા(શશિ) તેમાંથી અમાસનો ચંદ્ર થઇ ગયા. ફરી પાછી શલ્યામાંથી અહલ્યા થઇ છે. ફેંકાઇ ગયેલા શશિ થરૂરને ફરી પ્રધાન બનાવાયા છે. કારણો ખબર પડી નથી. શું તેમણે સોંગદનામું રજૂ કર્યું હશે કે તેઓ ઇકોનોમી કલાસમાં જ ફરશે! કે હવે તે સરકારી ખર્ચે હોટેલમાં નહિ રહે. મહાભારતકાળમાં કૃષ્ણએ ચિરહરણ અટકાવ્યું હતું. આ કાવ્યમાં જમાઇએ કૃષ્ણાનું ચિરહરણ થતું અટકાવ્યું ત્યારે શ્રીકૃષ્ણાની ખુરશી અને લાજ બંને બચી ગયાં હતાં. પણ આ વખતે શ્રીકૃષ્ણાને રૂખસદ આપી દેવામાં આવી છે.તમને યાદ હશે તેમના સિનિયર શ્રીકૃષ્ણા અને શશિસાહેબના બંગલા રિપેર થતા હતા એટલે બંને મહાનુભાવો સરકારના ખર્ચે હોટેલમાં રહેતા હતા. જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ હતો. પણ હો-હા થઇ એટલે શ્રીકૃષ્ણાએ લાજ બચાવવા કે ખુરશી બચાવવા કહ્યું કે હોટેલનો ખર્ચો તો મારો જમાઇ ચૂકવવાનો છે. મહાભારતકાળમાં કૃષ્ણએ ચિરહરણ અટકાવ્યું હતું. આ કાવ્યમાં જમાઇએ કૃષ્ણાનું ચિરહરણ થતું અટકાવ્યું ત્યારે શ્રીકૃષ્ણાની ખુરશી અને લાજ બંને બચી ગયાં હતાં. પણ આ વખતે શ્રીકૃષ્ણાને રૂખસદ આપી દેવામાં આવી છે. એમની જગ્યાએ ખુરશી વિદેશમંત્રી થયા છે. જેમનું નામ પૂરી આલમમાં બખેડા માટે જાણીતું થયેલું. કેટલાક લોકોને ખબર નથી પડી કે, જેઓ ચોખ્ખા ન હતા તેઓને કેમ બઢતી આપવામાં આવી છે? શશિ થરૂર જો કે કાબેલ વ્યક્તિ છે તેને કયાં ધોરણે પાછા બોલાવ્યા છે? મિત્રો, આમાં કોઇ ધોરણ નથી. એ તો રાજાને ગમે તે રાણી. તેમ રાણી(સોનિયાજી)ને ગમે તે પ્રધાન. આ ધાંધલ-ધમાલમાં જયપાલ રેડ્ડી પણ ફંટાઇ ગયા છે. કોઇ વાંકગુના વગર તેમનું ખાતું બદલી નાંખવામાં આવ્યું છે. ગઇકાલ સુધી તેઓ પેટ્રોલિયમમંત્રી હતા, હવે તે વિજ્ઞાનના મંત્રી છે. સમાચાર પ્રમાણે જયપાલ રેડ્ડી, ખાતું બદલાય તે માટે ‘રેડી’ ન હતા. પણ તેમને સમજ આવી ગઇ. ઉત્તર ભારતમાં એક કહેવત છે ‘ચાહે તનખા દસ કમ કર દો, મગર નામ દરોગા રખ દો’. તમે દરોગા હો એ જ મોટી વાત છે. તમે આ ખાતાના પ્રધાન હો કે તે ખાતાના પ્રધાન હો શો ફેર પડે છે? લાલ લાઈટવાળી ગાડી બંને ખાતાંમાં છે, બંગલો છે, સગવડો છે, પછી ખાતું કયું છે એ પૂછવાની શી જરૂર? જયપાલ રેડ્ડીને છેવટે ડહાપણની દાઢ ઊગી છે. (વાઈઝ કાઉન્સેલ પ્રિવેલ્સ)–ઘીના ઠામમાં ઘી થઇ ગયું છે. મનમોહનસિંહે આગામી ચૂંટણી પહેલાંનું આ છેલ્લું પરિવર્તન છે એમ કહ્યું છે. ગુજરાતને તેમાં અપેક્ષા મુજબનું સ્થાન ન મળવાથી સાંત્વના શોધતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હવે પછીની ફેરબદલમાં ગુજરાતને ઘણું સ્થાન અપાશે. વડાપ્રધાન કરતાં પણ મોટી વાત તેમણે કહી–કદાચ સોનિયાજીને મળી લીધું હશે......!!!

'રે ગધેડાં, સુખથી ભૂંકજો.......'

કવિ કલાપીએ કહ્યું હતું ' રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઇ ગાજો...' કવિ કલાપી ચરતાં પંખીઓને જોઇને પ્રસન્નતા અનુભવતાં. આપણા મનમોહનસિંહ રાજા નહિ તો રાજાતૂલ્ય ગણાય, એ પંખીઓને જોઇને નહિ પણ પ્રધાનોને જોઇને કહે છે: 'સુખથી ચરજો...' અને તેમના પ્રધાનો સુખેથી ચરે છે. કહેવાય છે રાજહંસનો ચારો મોતીનો હોય છે. (લાલુપ્રસાદનો ઘાસનો હતો). આદરણીય પ્રધાનો રાજહંસ જેવા દિવ્ય ગણાય. તેઓ પણ 'મોતી'નો ચારો જ ચરે છે. સાચા મોતીની કિંમત લાખ્ખો રૂપિયાની હોય, કરોડોની પણ હોય, રાજહંસના નામનું સન્માન જળવાય એટલે આ મંત્રીઓ પણ કરોડોના મોતીનો ચારો ચરે છે. મનમોહનસિંહના પ્રધાનમંડળમાં એક પ્રધાન નામે રાજા હતા. એમણે કરોડોની સંખ્યામાં મોતીનો ચારો ચરેલો. આપણા વડાપ્રધાનશ્રીએ શરૂમાં દેખી અનદેખી કરી. કારણ બ્રિટિશ બંધારણમાં ઉલ્લેખ છે કે 'કિંગ કેન ડુ નો રોંગ' મતલબ કે રાજા કશું ખોટું કરે જ નહિ. પણ એ લાંબું ચાલ્યું નહિ. રાજા ઉપર ચાર્જ...ફેઇમ... થયા, તેમને જેલ ભેગા કરવામાં આવ્યા. ત્યારે ભાજપ સાંસદ નવજોતસિંહ સિદ્ધુએ તેમનું ફૂટવર્ક બતાવતાં ડાન્સ કર્યો હતો અને ગીત છેડયું હતું, 'રાજા કી આયેગી બારાત'. વૌઠામાં જાતજાતનાં ગધેડાઓ ભેગા થાય છે. તે ગધેડાઓના જાતજાતના શણગાર થાય છે. ગધેડાઓ વરઘોડે ચડવાના હોય તેવા તેમના રૂવાબ હોય છે. ત્યાં ગધેડાઓનાં ભાવ બોલાય છે.અત્યારે પંખીઓને ભક્તજનો સુખેથી ચણ નાંખે છે ત્યારે એક ઉપેક્ષિત પ્રાણી યાદ આવે છે, જે છે 'ગધેડો'. કથાપ્રમાણે ચારો મેળવવા બદલ તેને મણ માર પડ્યો હતો. શેરડીના ખેતરમાં તે ગયો. ‘પહેલે ખાના, બાદમેં ગાના…’ એ કાર્યક્રમ હેઠળ શેરડીનો ચારો ચર્યા પછી ગધેડાએ સંગીત છેડ્યું. જેથી કરીને શેરડીના ખેતરના માલિકને જાણ થઇ કે ખેતરમાં ગધેડો ચારો ચરે છે અને તે માલિકે ગધેડાને તે પછી મેથીપાક આપેલો. આ કથા એમ બતાવવા કહેવામાં આવે છે કે ગધેડો એક બેવકૂફ પ્રાણી છે. જે શેરડીની સાથે માર પણ ખાય છે. કહેવતમાં કહ્યું છે હર કુત્તે કા દિન આતા હૈ, પણ હાલમાં ગધેડાના દિવસો પણ આવ્યા છે. વૌઠામાં દર વરસે કારતક માસમાં મેળો ભરાય છે. તેમાં ગધેડાઓનું માન- સન્માન થાય છે. વૌઠામાં જાતજાતનાં ગધેડાઓ ભેગા થાય છે. તે ગધેડાઓના જાતજાતના શણગાર થાય છે. ગધેડાઓ વરઘોડે ચડવાના હોય તેવા તેમના રૂવાબ હોય છે. ત્યાં ગધેડાઓનાં ભાવ બોલાય છે. રાજસ્થાનમાં પણ મેળો યોજાય છે. આ સિઝનમાં ત્યાં પણ ગધેડાઓના ભાવ બોલાય છે. આ વખતે વૌઠામાં ગધેડાના ભાવ દસથી બાર હજાર બોલાયા છે. એ વૌઠા છે જ્યાં ગધેડાઓની પણ કિંમત હોય છે. કેટલાંક વરસો પહેલાં વૌઠાના મેળામાં વેચવા મુકાયેલા ગધેડાઓને માલિકો એ ફિલ્મી કલાકારોનાં નામ આપેલાં. એક ગધેડાનું નામ શાહરુખ ખાન હતું. એક ગધેડાનું નામ અક્ષયખાન હતું. એક ગધેડાનું નામ સલમાન પણ હતું.વૌઠામાં ગધેડાઓના પણ તેમના માલિકો નામ પાડે છે. જેમ ઘોડાઓના નામ તેના માલિકો પાડે છે. ભગવાન સ્વામીનારાયણના ઘોડાનું નામ માણકી હતું. રાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું. મુંબઇની રેસના એક ઘોડાનું નામ તેના માલિકે બાલમ પાડ્યું હતું. કેટલીક વાર બાલમ બેવફા બનતો હોય છે. એ કારણે કદાચ, આ ઘોડો પણ રેસમાં કદાચ બેવફા બનતો હશે. વૌઠાના ગધેડાઓના નામ ઘણાં અદ્દભુત હોય છે. કેટલાંક વરસો પહેલાં વૌઠાના મેળામાં વેચવા મુકાયેલા ગધેડાઓને માલિકો એ ફિલ્મી કલાકારોનાં નામ આપેલાં. એક ગધેડાનું નામ શાહરુખ ખાન હતું. એક ગધેડાનું નામ અક્ષયખાન હતું. એક ગધેડાનું નામ સલમાન પણ હતું. આમીરખાને એના કૂતરાનું નામ શાહરુખ રાખેલ છે. આમ શાહરુખખાન કૂતરો, ગધેડો બંને બનેલ છે. જો કે ફિલ્મી કલાકારો ક્યારેક આપણને ગધેડા બનાવતાં હોય છે ખરું કે નહિ?