Wednesday, December 29, 2010

કાંદાયણ

સામાન્ય રીતે ડુંગળી ખરીદો પછી તેને સમારો ત્યારે આંખમાં આંસુ આવે છે પણ અત્યારે તો ડુંગળી સમાર્યા પહેલાં કેવળ ખરીદવા જતી વખતે તેના ભાવ સાંભળતા જ આંખમાં આંસુ આવી જાય છે.

* * *

એક વખતે આપણા સર્વોચ્ચ નેતા મોરારજીભાઈને ઈન્દિરા ગાંધીએ તેમના ખાસ શોખ પ્રમાણે કેબિનેટમાંથી પડતા મૂક્યા હતા. ત્યારે મોરારજીભાઈએ ભારે હૈયે કહેલું મને ડુંગળી બટાકાની જેમ ફેંકી દીધો. હવે ડુંગળી બટાકાને તે હૈયે લગાડવાના અર્થમાં વાપરી શકાય. જો ઉમા ભારતી ભાજપમાં વાપસી કરે તો ભાજપે તેમને ડુંગળી બટાકાની જેમ ગળે લગાડયાં તેમ કહી શકાય.

* * *

કુંવરી અને કાંદામાં કોઈ સામ્ય ખરું? કુંવરી માટે લોકકથામાં કહેવાય છે તેમ રાતે ન વધે એટલી દિવસે વધે, અને દિવસે ન વધે તેટલી રાતે વધે. કાંદાની કિંમતમાં પણ એવું છે. દિવસે ન વધે તેટલી રાતે વધે, રાતે ન વધે તેટલી દિવસે વધે.

* * *

“પેલા મહેન્દ્ર જોષીને દલ્લો લાગ્યો લાગે છે.”

“કેમ એમ લાગ્યું?”

“માળો રોજ ડુંગળી ખરીદતો હોય છે.”

મોહનભાઈ તેની દીકરી માટે વરની શોધ કરતા હતા. તેમણે જગનને પૂછયું,

“જગનભાઈ, દીકરી માટે મહાસુખભાઈનો દીકરો કેવો?”

“કરો કંકુના. ખમતીધર કુટુંબ છે. એમના ઘેર જમવામાં રોજ કાંદા તો હોય જ છે.”

* * *

એક અખબારે જાહેરાત કરી. આ વખતે ગિફ્ટ કૂપન સામે પાંચ કિલો કાંદા અપાશે.

એ અખબારના સરક્યુલેશનમાં પણ કાંદાના ભાવની જેમ જ વધારો થયો છે.

* * *

એક હોટેલવાળાએ જાહેરાત કરી છે.

કાંદા - લસણ કેન્સલ વાનગી ઉપર ખાસ કન્સેશન અપાશે.

* * *

શરદ પવાર ક્રિકેટ બોર્ડના પ્રમુખ છે અને ખેતીપ્રધાન પણ છે. એ રીતે તેઓ ‘ફીલ્ડ’માં તો છે જ. ઘણાં તેમને ખેતીપ્રધાન દેશના પાર્ટ ટાઈમ કૃષિપ્રધાન કહે છે. તેમણે જાહેરાત કરી છે. હવે દસ દિવસમાં ડુંગળીના ભાવ ઘટશે. અગાઉ ખાંડના ભાવ વધતા હતા ત્યારે એક પ્રશ્નના જવાબમાં પત્રકારોને કહેલું, “હું કોઈ જ્યોતિષ નથી કે ખાંડના ભાવ ક્યારે ઘટશે તે કહી શકું”.

હવે તેઓ ડુંગળીના ભાવ અંગે કહેવા લાગ્યા છે. શું તેમણે જ્યોતિષવિદ્યાનો કોઈ શોર્ટટાઈમ કોર્સ કરી લીધો હશે?

* * *

શેરીમાં ભિખારી ભીખ માગી રહ્યો હતો.

“મા-બાપ, આ ગરીબને કોઈ એકાદ

કાંદો તો આપો”.

* * *

‘બૂટપોલિશ’ ફિલ્મમાં ભીખ ખરાબ વસ્તુ છે એ દર્શાવવા જ્હોન ચાચા ગાતા હતા. ‘ભીખ મે જો મોતી મીલે તો ભી હમ ન લેંગે’. આજે ‘બૂટપોલિશ’નું રિ-મેકિંગ થાય તો જ્હોનચાચા ગાય ‘ભીખ મેં જો કાંદા મીલે તો ભી હમ ના લેંગે’.

ગૂગલીઃ

સબ કા માલિક એક સાંઈ મંદિરમાં સૂત્ર હોય છે પણ લાવારિસ લાશ માટે કહી શકાય, ‘શબ કા માલિક કોઈ નહીં’.

No comments: