Saturday, September 25, 2010

બલિહારી હુસૈન કી

ટેલિફોનમાં ઘણી વાર ૧૯૭ કે એવો કોઈ નંબર ડાયલ કરો તો સામે રેકોર્ડેડ જવાબ મળે, આપ કતારમાં હૈ, આપણને થાય કે આપણે તો ઇન્ડિયામાં છીએ આ કેમ કહે છે કે આપ કતાર મેં હૈ?

હા, આપણી આગલી કતારના કલાકાર-ચિત્રકાર એમ.એફ. હુસૈન અત્યારે કતારમાં છે. કેટલાંક એમ.એફ. હુસૈનનું આખું નામ માધુરી ફીદા હુસૈન કહે છે. એ ચિત્રકાર માધુરી ઉપર ફીદા હતા તે તેમણે જાહેર કરેલું જ. માધુરી દીક્ષિતની એક ફિલ્મ હતી ‘હમ આપકે હૈ કૌન’, જે એમણે ડઝન વાર (કદાચ વધુ) જોઈ હતી. એ હુસૈન અત્યારે કતારમાં છે. કુહાડી ઉપર જઈને એમણે જાતે પગ મારેલો એટલે ઘવાયેલા પગ સાથે તેઓ કતારમાં છે. કહેવાય છે કે કલાકારો દિલવાળા હોય છે પણ કેટલાંક કલાકારોને કેવળ દિલ જ હોય છે દિમાગ નથી હોતું. હુસૈન એવા કલાકાર હતા, જે દિમાગનો ઉપયોગ કરકસરપૂર્વક કરતા હતા. કરોડો લોકોની એમણે લાગણી દુભાવેલી એટલે કતારવાસી થવું પડયું છે.

એમની પીંછી વીંછી જેવી, ઘણાં શ્રદ્ધાળુઓને તે પછીથી ડંખ મારેલા. દુર્ગા માતા અને સરસ્વતી માતા તેમજ બીજાં દેવ-દેવીઓનાં નગ્ન ચિત્ર તેમણે દોરેલાં. આથી કરોડો લોકોનાં હ્ય્દયને ઠેસ પહોંચેલી. આ કારણે ઢગલાબંધ કેસ તેમની ઉપર થયેલા. કોર્ટ, સમન્સ વગેરે જોઈને તે ગભરાયા. આરોપીઓની કતારમાં ઊભા રહેવાને બદલે તેમણે કતાર દેશમાં જવાનું નક્કી કર્યું. હવે તેઓ ત્યાં છે. પણ ત્યાં તેઓ સખણા રહ્યા છે. એ દેશના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવાં ચિત્રો કતારમાં નથી દોર્યાં. કલાકારને દિમાગ હોવાનો આ પુરાવો ગણી શકાય. કેટલાંક એનજીઓએ હુસૈનની તરફેણમાં દેકારો પણ કરેલો, જેને કેટલાંક ન્યુસન્સ ઓર્ગેનાઈઝેશન પણ કહે છે એ લોકોને લાગી આવેલું કે આવા કલાકારે દેશ છોડવો પડે તે ખોટું છે. ચિત્રકારને અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ એમ કહી એ લોકોએ હુસૈનનો બચાવ કરેલો. છગન કહે છે સરસ્વતી દેવી ગણાય તેનું નગ્ન ચિત્ર ખરાબ બાબત છે. ભલે સરસ્વતીના આરાધકોને કપડાં વગર ચલાવવું પડતું હોય, પણ સરસ્વતીને કપડાં વગરની ન બતાવાય!

ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું કાર્ટૂન ચીતર્યું ત્યારે ઘણી ધમાલ થઈ. આપણાં ‘કર્મશીલો’એ ત્યારે કલાકારની અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની વાત ન કરી. ચૂપ રહ્યાં. પંડિતોની સભામાં મૂરખાઓ ચૂપ રહે છે એ યાદ રાખી બુદ્ધિજીવીઓ ચૂપ રહેલા. એક નેતાએ તે ડેનિસ કાર્ટૂનિસ્ટની હત્યા કરનારને કરોડ રૃપિયા આપવાનું કહ્યું હતું. જોકે પાંચ-પંદર માટે કોઈની હત્યા કરી નાંખનારાઓમાંથી કોઈ આગળ આવ્યું નથી.

ડેન્માર્ક જઈને આવવામાં પાંત્રીસ-ચાલીસ હજાર થાય ત્યાં રહેવા-ફરવામાં બીજા પાંચ-પચ્ચીસ થાય તો કરોડ રૃપિયામાં આ ઘણાં ફાયદાકારક ગણાય.

આટલો મોટો ફાયદો જોઈ એક જણ લલચાઈ ગયો કે ‘ચાલો એકાદ ખૂન કરતાં આવીએ અને યુરોપ પણ જોતા આવીએ.’ ઠાઠથી જઈને આવે ખૂન કરીને પરત આવીએ. ઠાઠના ખરચા પછી પણ એંસી નેવું લાખ તો મળે જ મળે. એ ભાઈએ ડેન્માર્કના વીઝા માટે અરજી કરી. મુલાકાતના હેતુમાં, તેમણે સારું લખી નાંખ્યું કે ડેનિસ કાર્ટૂનિસ્ટનું ખૂન કરવા ડેન્માર્ક આવવું છે. વીઝા રિજેક્ટ થઈ ગયો. પેલા નેતાના કરોડ બચી ગયા છે. એનું વ્યાજ ખાઈ રહ્યાં હશે. ન્યુસન્સ ઓર્ગેનાઈઝેશનવાળા પણ શાંત છે.

છાપામાં હતું કે હુસૈનનાં ચિત્રોએ અગિયાર કરોડની કમાણી કરી છે. સિંદબાદ કહે છે કે એનાં ચિત્રોને કારણે થયેલાં તોફાનોથી એનાથી અનેકગણાં રૃપિયાનું નુકસાન થયું છે.
હુસૈન પગમાં જૂતાં પહેરતા ન હતા. આ અંગે સિંદબાદ કહે છે કે, ‘ઉસકા જૂતા ઉસી કા સર’ એ ઉક્તિ પ્રમાણે હુસૈનને ખ્યાલ હતો કે લોકો ક્યારેક એમના જોડાંથી જ એમને મારશે એટલે જૂતાં પહેરવાનું છોડી દીધું હતું.

વાઈડ બોલ

ગોલ્ફ અંગેના એક સમાચારમાં કહેવાયું કે, ‘આગામી ટાઈગર વૂડ ગુજરાતમાંથી મળશે’ ‘એવો ખેલાડી કે એવો લફરાંબાજ?’

No comments: