Saturday, February 26, 2011

જે કર ચલાવે કડછી, તે પામે ખુરશી

રાજસ્થાનના પંચાયત ખાતાના મંત્રી અમીનખાંએ નિવેદન કર્યું કે, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ કોઈ સમયે ઇંદિરાજીને ત્યાં રસોઈ કરતાં હતાં. એમની આ રસોઈ કામગીરી, ગાંધીકુટુંબની સેવાને કારણે એના પુરસ્કારરૂપે તેમને રાષ્ટ્રપતિ પદ મળ્યું છે. આ નિવેદનને લીધે મંત્રીશ્રીએ પદ ગુમાવ્યું છે. હવે તેઓ ભૂતપૂર્વ મંત્રી થઈ ગયા છે, આવા અભૂતપૂર્વ નિવેદનને કારણે. આપણાં રાષ્ટ્રપતિ ઇંદિરાજીને ત્યાં રસોઈ કરતાં હતાં તે મંત્રીશ્રીની બાફવાની કામગીરી જ ગણાય. બાફવું એ રસોઈની એક પ્રક્રિયા ગણાય છે. ભલે પ્રતિભાજીને રસોઈને કારણે પદ મળ્યું હોય પણ અમીનખાંએ બાફવાને કારણે પદ ગુમાવ્યું છે. સ્વાદિષ્ટ રસોઈથી વ્યક્તિને રાજી કરી શકાય છે. રસોઈથી પ્રસન્ન થયેલી વ્યક્તિ રસોઈ કરનારને ઇચ્છિત ફળ આપે છે, આમાં ખોટું પણ શું છે?

આમ તો નિર્ણય લેવામાં વરસો નીકળી જાય છે. જેમ કે, અફઝલ ગુરુની ફાંસીની ફાઈલ હવામાં લટકે છે (લટકવાનું અફઝલને હતું) પણ રાજસ્થાન સરકારે અમીનખાં એમનું નિવેદન પૂરું કરે કે તુરંત જ બરતરફ કરી દીધા. ઈંદિરાજીએ ‘કામ કરતી સરકાર’ એવું સૂત્ર આપેલું. તમે નવું શું કહો છો? એના જવાબમાં એમણે કહેલું, અમારી સરકાર ઝડપથી કામ કરતી સરકાર હશે. રાજસ્થાન સરકારે તેનો અમલ કરી દેખાડયો. એમણે ઝડપથી કામગીરી કરી પંચાયતપ્રધાનને ઘરભેગા કરી દીધા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આટલી ઝડપી કામગીરી માટે રાજીવ ખેલરત્ન જેવો કોઈ એવોર્ડ મળવો જોઈએ. કેટલાક માને છે કે અમીનખાં પંચાયત પ્રધાન હતા, પણ તેમણે આવી પંચાતમાં પડવાની જરૂર નહોતી.

ભારતનું બંધારણ અમે ભણ્યા છીએ, વાંચ્યું છે, ‘લો’ની પરીક્ષાના સાત દિવસ પહેલાં વિક્રેતા પાસે બંધારણનું પુસ્તક અમે ભાડેથી લઈ આવ્યા હતા. ભાડે બંધારણ લાવ્યો હતો તે જાણી અમારા એક મિત્રે કહેલું, ‘તું જે રીતે બંધારણને હળવાશથી લે છે, તો રાજકારણમાં ઘણો સફળ રહ્યો હોત, મૂળ વાત કરીએ તો બંધારણમાં રાષ્ટ્રપતિની લાયકાત આપેલી છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. પાંત્રીસથી વધુ ઉંમરનો હોવો જોઈએ, ગાંડો ન હોવો જોઈએ વગેરે વગેરે. તેમાં ક્યાંય નથી લખ્યું કે તેણે કોઈ વડાપ્રધાનને ઘેર રસોઈનું કામ કરેલું હોવું જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે જે કરે ચાકરી તે પામે ભાખરી. હવે તમે જો ભાખરી મારફત ચાકરી કરો તો એ સૌથી રૂડું ગણાય.

વળી મહિલાઓ માટે તો રાંધણકળા સૌથી જરૂરી ગુણ ગણાયો છે. પ્રતિભાજી એ ગુણ ધરાવતાં હશે. એમને ઇંદિરાજી સાથે ઘરોબો હતો તેમ જાણકારો કહે છે. એટલે ઇંદિરાજીને ત્યાં જતાં હશે ત્યારે તેમની રાંધણકળાનો લાભ આપતાં હશે.

મા કે હાથ કા મૂલી કા પરાંઠા, તેમજ માશી કે હાથ કે બેસન કે લડ્ડુને હિન્દી ફિલ્મોએ પ્રખ્યાત કરી દીધા છે.

અમને પણ અમારાં માશી દળના લાડુ ખવડાવતાં હતાં. જો અમે સત્તાધીશ હોત તો અમારી માશીને ફાયદો મળે તેવું જરૂર કરત.

પ્રતિભાજીના કિસ્સામાં કહી શકાય કે ‘જે કર ઝાલે કડછી, તે પામે ખુરશી’.

ચેનલોવાળા એક જોરદાર મોકો ચૂકી ગયા છે. તેમણે પ્રતિભાજીનો ઈન્ટરવ્યુ લેવો જોઈતો હતો. તેમને પૂછવું જોઈતું હતું કે ઇંદિરાજીને કઈ કઈ વાનગી વધુ ભાવતી હતી? ઇંદિરાજીની ભોજનની ટેવો કેવી હતી?

આવા પ્રશ્નોની રસપ્રદ માહિતી પ્રજાને મળત. ઇંદિરાજીની કિચન કેબિનેટ જાણીતી હતી, પણ આવા ઇન્ટરવ્યુથી તેમની કિચન હેબિટ પણ લોકોને ખબર પડત.

બીજું, રસોઈકાર્ય એક ઉમદા કાર્ય ગણાયું છે. રાંધનારને અન્નપૂર્ણાનો હોદ્દો અપાયો છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ઝૈલસિંગે તો નિવેદન કરેલું કે ઇંદિરાજી કહે તો હું ઝાડુ મારવા તૈયાર છું. અલબત્ત, ઇંદિરાજીએ તેઓને પૂરતી સંખ્યામાં ઝાડુ મારનાર હોય તેવા રાષ્ટ્રપતિ ભવનમાં બેસાડેલા.

મિત્રો, ઝાડુ મારવા કરતાં રાંધવું વધુ ગૌરવપ્રદ કામગીરી ગણાય છે.એટલે વર્તમાન રાષ્ટ્રપતિએ ઇંદિરાજી માટે વધુ ગૌરવપ્રદ કામગીરી કરેલી. પ્રતિભાજીએ પદ કઈ રીતે મેળવ્યું છે તેની ચોવટ કરવા જતાં અમીનખાંએ પોતાની નોકરી ગુમાવી છે. સત્તા આગળ આવું ગાંડપણ ન કરાય.

વાઈડ બોલ

એક જાહેરાતઃ અમારો પુત્ર સેન્સેક્સ અને અમારી પુત્રી નિફ્ટી, અમારી કહ્યામાં નથી, તો એની સાથે લેવડ-દેવડ કરશો નહીં. (sms)

Tuesday, February 22, 2011

જૂતાં પોલિશ કરેંગા


દિલ્હી-કા-ઠગ

આ કોઈ સમુદાય માટે કહેવાયેલું નથી. પણ ફિલ્મનું ટાઈટલ હતું તેમાં એક ગીત હતું.

‘ચાહે યે જમાના કહે, હમ કો દીવાના,

ફીર ભી જૂતાં પોલિશ કરેગા...’

ફિલ્મનો નાયક, નાયિકા માટે કહેતો હતો, તને રાજી રાખવા કંઈ પણ કરીશ. જૂતાં પોલિશ પણ કરીશ. આમાં ભાવના ‘તેને’ ખુશ કરવાની છે.

આ પંક્તિ યાદ આવવાનું કારણ, ઉત્તરપ્રદેશમાં માયાવતીના શૂઝને એક ડીએસપી રેન્કના પોલીસ અધિકારીએ પોલિશ કરી આપ્યું. માયાવતી હેલિકોપ્ટરમાંથી ઊતર્યાં ત્યારે તેમના શૂઝ ખરાબ થઈ ગયા. તુરંત જ ચતુર પોલીસ અધિકારીએ તેના મોઢું લૂછવાના રૂમાલથી જોડાં સાફ કરી આપ્યાં. એક રૂઢિપ્રયોગ છે, ‘મારું માથું તમારું જૂતું’ આમાં હવે વિકાસ થયો છે. ‘મારો રૂમાલ તમારું જૂતું’

મીડિયાવાળાએ આ બાબતને ચગાવી છે. ‘આવું થાય જ કઈ રીતે?’ એવો હોબાળો પણ કેટલાંકે મચાવ્યો છે.

કોઈક સામો પ્રશ્ન કરે છે, ‘શું આ લોકશાહીમાં મુખ્યમંત્રીનાં જૂતાં સાફ કરવાનું સ્વાતંત્ર્ય પણ નહીં?’

કેટલાંક લોકો માને છે કે દરેક માણસ પોતાના જૂતાંને પોલિશ કરે, બીજાનાં જૂતાંને નહીં, સિવાય કે પોલીસ કરતા હતા. અમેરિકન પ્રમુખને બૂટ સાફ કરતાં જોઈ એક મિત્રે સવાલ કર્યો. ‘તમે જાતે તમારા બૂટને પોલિશ કરો છો?’ લિંકને જવાબ આપ્યો, ‘હા હું તો મારા બૂટને પોલિશ કરું છું. તમે કોના બૂટને પોલિશ કરો છો?’ સામેવાળો માયાવતીનો પોલીસ ઓફિસર હોત તો જવાબ આપી શક્યો હોત.

એક રીતે જોતાં મીડિયાવાળાએ ખોટી હો-હો કરી છે. શરૂઆતમાં જણાવ્યું તેમ ‘હમ તો બૂટપોલિશ કરેંગા’ એ પંક્તિ સૂચવે છે કે સામેની વ્યક્તિનો રાજીપો મેળવવા કંઈ પણ કરવું.

દેવદાર, સોરી દેવકાંત બરુઆ જેવા નેતાએ પણ કહ્યું હતું કે, ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’. આ બૂટપોલિશની ચેષ્ટા જ હતી.

જ્ઞાની ઝેલસિંગે એક વાર કહ્યું હતું કે, ‘ઈન્દિરા ગાંધી કહેશે તો હું ઝાડુ મારવા પણ તૈયાર છું’.

ઈન્દિરાજીએ પછી એમને રાષ્ટ્રપતિ બનાવેલા. રાષ્ટ્રપતિ ભવનમાં સફાઈ કર્મચારી હતા એટલે ત્યાં એમને ઝાડુ મારવાની જરૂર પડી ન હતી. ઝૈલસિંગની આ ચેષ્ટા પણ ઈન્દિરાજીના બૂટપોલિશ કરવા બરાબર હતી ને! જ્ઞાની ઝૈલસિંગને એટલું જ્ઞાન જરૂર હતું કે કોને કઈ રીતે રાજી રાખવા. (હી વોઝ નોઈંગ વીથ આઈડ ઓફ ધ બ્રેડ ઈઝ બટરડ) આને પણ જૂતાં પોલિશનું ઉદાહરણ ગણી શકાય.

આ બધાની સરખામણીમાં યુ.પી.ના પોલીસ અધિકારી ઘણાં નાના માણસ ગણાય. એની તો નોકરી હતી. નોકરી સાચવવા કુછ ભી કરેગેં જૂતાં પોલિશ પણ... માયાવતીની પગથી માથા સુધીની સુરક્ષાની જવાબદારી તેની હતી. તેમાં જૂતાં પણ આવી જાય. સાહેબની સાવ ફાલતૂ ‘જોક’ ઉપર હસતા લોકો સૂક્ષ્મ રીતે જૂતા પોલિશ કરે છે એમ જ કહેવાય. ‘દુનિયા મેં જીના હો તો સબ કો સલામ કરો’ એવું એક ગીત છે, તે ગીત તાત્ત્વિક રીતે સાહેબના જૂતા પોલિશ કરવાની વાતને અનુમોદન આપે છે.

જૂતાંની વાત નીકળી છે ત્યારે એક વધુ રાજકીય ઘટના યાદ આવે છે. આપણા અત્યંત બુદ્ધિશાળી વકીલ નાની પાલખીવાલા, અમેરિકામાં આપણા એમ્બેસેડર હતા. નાની આમ ઘણી મોટી હસ્તી હતા. વોશિંગ્ટનના કોઈ સમારંભમાં પ્રમુખ કાર્ટરની માતાનાં જૂતાંની દોરી બાંધી આપી હતી. તેવું દૃશ્ય કેમેરામાં આવ્યું ત્યારે પણ હોબાળો મચેલો. પાલખીવાલાનું તે એક સૌજન્ય હતું. એક ઉંમરલાયક મહિલા પ્રત્યે તો આદર હતો. અટક ભલે પાલખીવાલા હોય પણ તે કોઈની પાલખી ઊંચકે તેમ ન હતા. પ્રમુખ કાર્ટરનાં માતા હતાં પણ ઉંમરલાયક હોવાથી બૂટ પહેરતા તકલીફ થતી હતી ત્યારે આ પારસી જેન્ટલમેને તેમને મદદ કરેલી, ત્યારે પણ ‘છોટી સી બાત કા ફસાના’ થઈ ગયા હતા.

સાર-જોડાંની કોઈ વાત ઉપર પણ જોડાં ઉછળે છે.

ગૂગલી

સવારે જાગો ત્યારે તમારી પાસે બે વિકલ્પ છે :

(૧) ફરી સૂઈ જાવ અને સપનાં જોવા માંડો.

(૨) અથવા કામે લાગી સપનાં સાકાર કરવાનો પ્રયત્ન કરો.

Sunday, February 20, 2011

ક્રિશ્નાજીની અંડર આર્મ બોલિંગ


યુનોમાં આપણા મહાન ભારતના વિદેશપ્રધાન ભાષણ વાંચતા હતા. થોડીક વાર પછી ખબર પડી કે આ ભાષણ એમનું ન હતું પણ પોર્ટુગીઝના વિદેશ પ્રધાનનું હતું. ડેસ્ક ઉપર કાગળ આડા-અવળા થઈ ગયા હતા. એમાં પોર્ટુગીઝના વિદેશ પ્રધાનનું ભાષણ હાથમાં આવી ગયું એટલે એ એમણે વાંચવા માંડયું. પછી ખબર પડી કે શાકમાં કોળું સમાર્યા વગરનું ગયું છે, પછી તો સાંધાવાળાએ (લાઈનમેન) સાંધો બદલીને ગાડીને મૂળ લાઈન ઉપર લાવી દીધી. જો ખરેખર રેલવેમાં ગાડી ખોટા પાટા ઉપર દોડાવી હોત તો બે-ત્રણ જણ સસ્પેન્ડ થઈ ગયા હોત. પણ તુલસીદાસજીએ કહ્યું છે કે, ‘સમરથ કો નહીં દોષ ગોંસાઈ’ દોષ કરનાર સમર્થ વ્યક્તિ હતી એટલે વાંધો ન આવ્યો. એક સિનિયર કોંગ્રેસના નેતાએ ક્રિશ્નાને આ મુદ્દે હટાવવાની માંગણી પણ કરી છે. પણ ક્રિશ્નાજી ગાય છે ‘મૈં તૂંફા સે ક્યું ડરું મેરે સાહિલ આપ હૈ...’ ક્રિશ્નાજી આ તોફાનથી ગભરાતા નથી. સાહિલ-રખવાળા ઉપર તેમને ઈતબાર છે. ક્રિશ્નાજી ઉપર પસ્તાળ પડી રહી છે. લોકો SMSમાં તેમના ઉપર કોમેન્ટ કરતા રહે છે. એક સંદેશ એવો હતો કે ઇચ્છા રાખીએ કે ક્રિશ્નાજી ખોટા પ્લેનમાં બેસી ન જાય.

કોઈકે સલાહ આપી કે ક્રિશ્નાજીએ તેમનું ભાષણ કન્નડમાં જ તૈયાર કરવું જેથી બીજા સાથે બદલાઈ જવાની સંભાવના નહીં રહે. એક જણાએ કહ્યું, ક્રિશ્નાજીની આ ટેવ ભળતી વસ્તુ પકડી લેવાની છે. સારું છે કે યુનોના ભોજન સમારંભમાં તેઓ પોતાની જ પત્ની સાથે ગયા હતા. (ત્યાં કોઈ ભળતી ચીજના ભુલાવામાં પડયા ન હતા).

એક વાર્તામાં નાયક ભૂલ કરી દે છે. એને એટલી ખબર કે પત્નીએ આજે લાલ રંગની સાડી પહેરી છે. એટલે એ ભાઈ પણ ક્રિશ્નાની જેમ ભૂલ કરી બેઠા એવી જ સાડી પહેરેલી મહિલાને જઈને એમણે કહી દીધું, ‘આતી ક્યા ચંડોળા?’ પછી ધમાલ થઈ હતી. જેમ વિદેશપ્રધાન ક્રિશ્નાજીએ ભૂલમાં બીજી ‘સ્પીચ’નો હાથ પકડયો તેમ.

કિશોરકુમારનું ગીત યાદ આવે છે. ‘જાતે થે જાપાન પહુંચ ગયે ચીન સમજ ગયે ના’ એ પ્રમાણે આપણા વિદેશપ્રધાન ‘પોર્ટુગલ પહોંચ ગયે’

એક સમય હતો જ્યારે ભારતમાં પોર્ટુગલ હતું. (દીવ-દમણ-ગોવા) પણ અત્યારે આપણા વિદેશપ્રધાન પોતે પોર્ટુગીઝ વિદેશપ્રધાન થઈ ગયા.

કનૈયાલાલ મુનશીની ‘અડધે રસ્તે’માં કદાચ એક વકીલનો કિસ્સો છે, જે શખ્સે એમને રોક્યા છે તેને બદલે તે સામા પક્ષના વકીલ હોય તેમ પ્રતિવાદી તરફી દલીલો કરવા માંડી. અસીલ મૂંઝાયા કે આ કોના પક્ષમાં છે? છેવટે એમના સહાયકે નજીક જઈ કહ્યું, “સાહેબ, તમે સામાવાળાના પક્ષમાં દલીલો કરો છો!”

બસ આટલું જ પૂરતું હતું. તુરંત જ વકીલ સાહેબે કહ્યું, “નામદાર, મેં જે દલીલો કરી તેવી જ દલીલો કદાચ સામેવાળાના વકીલ કરશે, પણ તે ખોટી હશે.” એમ કહી તેમણે પાછી બીજી દલીલો કરી, પોતાના પક્ષ તરફી.

આપણા વિદેશ-પ્રધાને પોર્ટુગીઝ વિદેશપ્રધાનનું પ્રવચન વાંચ્યા પછી કહેવું જોઈતું હતું. આ પ્રકારનું પ્રવચન એ મહાશય કરે તે બરોબર છે. પણ મારી વાત જરા જુદી છે. એમ કહી તેમણે મૂળ પ્રવચન વાંચવાનું હતું તો પ્રસંગ સચવાઈ જાત.

* * *

શાળામાં મૌખિક પરીક્ષા ચાલતી હતી. વિદ્યાર્થીને કાવ્ય વાંચવાનું હતું. તેને ગાવાનું કાવ્ય હતું. ‘એક જ દે ચિનગારી’ તેણે ગાવાનું શરૂ કર્યું. ‘જળ કમળ છાંડી જાને બાળા...’ એ વિદ્યાર્થીનું નામ શું હતું ખબર નથી જોકે, તેનું નામ એસ. એમ. ક્રિશ્ના ન હતું. (હોઈ શકે પણ ન હતું).

ક્રિશ્નાના ટેકેદારોએ તેમનો બચાવ કરતાં કહ્યું કે આવું તો બને. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ એક વાર આવી ભૂલ કરી હતી. શું ઓબામા જેવી ભૂલ કરવાથી તમે ઓબામા બની શકો? દરેક ખરાબ અક્ષરવાળા ગાંધીજીનો દાખલો આવે તેવી આ વાત છે. ખરાબ અક્ષરથી નહીં પણ સારાં કાર્યો થકી જ મોહનદાસ મહાત્મા થયા હતા. તેમ ક્રિશ્નાજીએ સમજવું જોઈએ કે છબરડો વાળવાથી તમે ઓબામા બની નથી શકતા.

વાઈડ બોલ

અંધજન મંડળવાળા અંધજનો માટે બ્રેઈલ-લિપિમાં પુસ્તકો બહાર પાડે છે.

સિંદબાદ કહે છે તેમને વિનંતી કરો કે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રની સુરક્ષા અંગેનાં પુસ્તકો નેતાઓ માટે બ્રેઇલ લિપિમાં બહાર પાડે.

Saturday, February 12, 2011

રાણીનું બેસણું

‘રાણીનું બેસણું હતું”. મિત્ર ગિરીશ ભગતે કહ્યું.

માણસ માત્ર બેસણાને પાત્ર. રાણી હોય કે દાસી, ગુજરી જાય એટલે બેસણું થાય જ.

“મિત્ર, આ રાણી માણસ ન હતી પણ પ્રાણી હતી. આ વાત જાણશો એટલે હવે તમે કહેશો ‘પ્રાણી માત્ર બેસણાને પાત્ર!”

એક મિત્રે પ્રશ્ન કર્યો, “પુત્રીનું બેસણું હોય પણ કૂતરીનું બેસણું?”

અમદાવાદના એક પરિવારે એમની પ્રિય કૂતરી પાછળ બેસણું રાખ્યું હતું.

શ્વાનના બેસણાની વાત થઈ એટલે વરસો પહેલાં ખાડિયામાં એક શ્વાનનું બેસણું થયું હતું. તે શ્વાન પાલતુ ન હતો, પણ પોળનાં તમામ છોકરાંઓ એને ચાહતા. તેના મરણ પછી તેની ભવ્ય સ્મશાનયાત્રા કાઢી હતી. જોકે રેકોર્ડ જ વાગતી હતી. ઈન્સાનથી જાનવર કેટલાં સારાં છે તે મતલબનાં ગીતો તેમાં વાગ્યાં હતાં. બીજે દિવસે બેસણું પણ હતું. ઇતિહાસનું પુનરાવર્તન થાય છે તેમ ખાડિયાના કૂતરાના બેસણાનું પુનરાવર્તન નારણપુરા તરફ થયું.

કેટલાક લોકો પુત્રી ઇચ્છતા નથી, જ્યારે આ ભાઈ કૂતરી માટે ઝૂરતા હતા. નરેન્દ્ર મોદીએ પુત્રીઓને બિરદાવવાની શરૂઆત કરી તેનાં વરસો પહેલાં એક ગુજરાતી યહૂદી કુટુંબે પુત્રી જન્મ વખતે કાર્ડ્ઝ છપાવ્યાં હતાં અને લખ્યું હતું, ‘બાળક એ તો યહોવાહે આપેલું ધન છે.’ આ અમદાવાદી ભાઈએ તો કૂતરીને પણ ઈશ્વરે આપેલી બક્ષિસ ગણી હતી.

પૌરાણિક કાળમાં પણ શ્વાન સાથે રસપ્રદ ઘટનાઓ બની છે. યુધિષ્ઠિર સ્વર્ગના દ્વારે ગયા ત્યારે આપણા ઈમિગ્રેશન ઓફિસર જેવા દ્વારપાળે તેમને રોક્યા અને કહ્યું, “મહારાજ, સ્વર્ગમાં ફક્ત આપ જ દાખલ થઈ શકશો, આપની સાથે આવેલો શ્વાન નહીં.”

“કેમ?” ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો.

“મહારાજ, સ્વર્ગમાં દાખલ થવાનો વીસા ફક્ત આપના નામનો છે, આપના શ્વાનનો વીસા નથી.”

યુધિષ્ઠિરે કૂતરા વગર પ્રવેશનો ઇનકાર કરી દીધો.

“મારા કૂતરા વગર તારું સ્વર્ગ પણ મને મંજૂર નથી” આવું તેવું એમણે કહ્યું હશે.

આ કિસ્સામાં મહારાજ યુધિષ્ઠિરની શ્વાનપ્રીતિ સ્પષ્ટ થાય છે, જે અમદાવાદમાં શ્વાન પાછળ બેસણું યોજતા સજ્જનમાં દેખાય છે.

મેનકા ગાંધી કૂતરાઓ પાછળ ઘણી હમદર્દી રાખે છે. એક વાર એમણે કૂતરાઓને ચડ્ડી પહેરાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. છગન કહે છે કે તેમાં કૂતરાઓની પ્રત્યે લાગણી કરતા થાંભલાઓને સ્વચ્છ રાખવાની તેમની ખેવના દેખાતી હતી. જો મેનકાજીને આ કૂતરીના બેસણાની ખબર હોત તો જરૂર તેમાં સામેલ થયાં હોત.

બેસણું એ સ્વર્ગસ્થ વ્યક્તિ સાથે તો ઉપસ્થિત વહેવાર અને તેના કુટુંબીજનોનો ભાવાત્મક સંબંધ પ્રગટ કરે છે. આ પ્રકારનાં બેસણાં ‘રેર’ કહેવાય. કૂતરાને કારણે બેસણાના પ્રસંગ ઊભા થાય તેવું ઘણી વાર બને છે. કૂતરાના કરડવાથી કોઈક મરે, તેનું બેસણું પણ થાય. પણ કૂતરું મરે તેનું બેસણું વિરલ ગણાય. આ અમદાવાદ જ્યાં સદીઓ પહેલાં એક સસલાએ બાદશાહના કૂતરાને બેઈજ્જત કર્યો હતો. આજે એ જ શહેરમાં એક કૂતરાને અંજલિ અપાઈ રહી છે. કૂતરાની ઈજ્જતનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં એક શ્વાનની શોકસભા યોજાઈ છે એ જાણી બાદશાહના કૂતરાના આત્માને પણ શાંતિ મળી હશે.

દેવલોક પામેલા પોતાના કૂતરા પાછળ બેસણું, બારમું વગેરે કરનારને જો મેનકા ગાંધી સત્તામાં હોત તો પદ્મશ્રી મળી ગયો હોત.

‘હું તારું લોહી પી જઈશ’ એવું કૂતરાને કહેનાર ધર્મેન્દ્ર જેવા કલાકાર છે તો કૂતરાની અંતિમક્રિયા અને ઉત્તરક્રિયા ભાવપૂર્વક કરનાર સજ્જનો પણ આ દુનિયામાં છે. થોડા સમય પહેલાં કડીમાં પોતાની ભેંસનું જગતિયું કરનાર એક સજ્જન પણ હતા. ભેંસની હયાતીમાં જ બારમું - તેરમું કરી ગામ જમાડયું હતું. પ્રાણીમાત્ર પ્રેમને પાત્ર.

વાઈડ બોલ

“કવિતાના એક સામયિકના સંપાદક બીમાર છે, આંખે પણ હવે ઓછું ભાળે છે.”

“છેલ્લા અંકનું સંપાદન જોતા ખબર પડી જાય છે કે સંપાદક બીમાર છે.”

Tuesday, February 8, 2011

સારા ઘરના છીએ...

“અમે કાંઈ જેવા તેવા નથી. સારા ઘરના છીએ”. વન વટાવી ચૂકેલી મહિલા ઉશ્કેરાઈ.

“અહીંયાં આવતા બધાંને અમે સારા જ ગણીએ છીએ. પણ એ કહેવાતા સારા ઘરના લોકોનાં કરતૂત સારાં ન હોય તો હું ચલાવતો નથી ભલે તે સારા ઘરના હોય કે ખરાબ ઘરના હોય.” સિક્યુરિટી-મેન બોલી રહ્યો હતો.

આધેડ મહિલા ઉશ્કેરાયેલી હાલતમાં હતાં, બાજુમાં વીસી વટાવી ચૂકેલી તેમની પુત્રવધૂ બાળક તેડીને ઊભી હતી. દૃશ્ય હતું આપણા પ્રિય નગર અમદાવાદના એક શોપિંગ મોલનું. સાસુ-વહુ મોલમાં ખરીદી માટે આવ્યાં હતાં. સ્ટાફનું કહેવું હતું ખરીદી નહીં હાથ મારવા આવ્યાં હતાં. સિક્યુરિટીવાળાની ચકોર નજરે જોઈ લીધું કે પુત્રવધૂએ કેટલીક કોસ્મેટિક વસ્તુ મારી લીધી છે. મોલના રેક ઉપર ખુલ્લામાં પડેલી, સરસ સરસ આકર્ષક વસ્તુઓ ‘સારા ઘર’ના લોકોની ચૌર્યવૃત્તિને ઉત્તેજિત કરે છે. સિંદબાદ કહે છે, જેમ ઉત્તેજક પોશાક પુરુષોને મહિલાની છેડતી માટે ઉત્તેજે છે તેમ મોલમાં પડેલો, ખુલ્લામાં પથરાયેલો માલ લોકોમાં તફડંચી કરવાનો ભાવ પ્રેરે છે.

તમે ખુલ્લામાં સરસ, આકર્ષક શેમ્પૂ, સુગંધીદાર સેન્ટ સ્પ્રે તો પેલી મહિલા જેવા લોકો તો લલચાય જ ને! લલચાયેલી મહિલાએ કેટલાંક કોસ્મેટિક થેલીમાં નાખ્યા ત્યારે તેને ખબર ન હતી કે ‘તેને પંથ સી આફત ખડી છે’. સિક્યુરિટીમેન તથા મોલના કેટલાંક કર્મચારીઓ તે મહિલાઓની આસપાસ વીંટળાઈ વળ્યા. આધેડ મહિલાએ બચાવમાં પ્રતિ આક્રમણ કર્યું.

“તમે લોકો સમજો છો શું? શું અમે આવી વસ્તુઓ જોઈ નથી?”

શાયરે કહ્યું છે ને ‘જીસને દેખે સેંકડો હસી, ઊસકી નિયતી ખરાબ ક્યા હોગી?’ એવો અંદાજ હતો. “અમે તો પાંચ પાંચ હજારનું બિલ બનાવીએ છીએ.” તેણે કહ્યું.

“એની ના નથી પણ જે વસ્તુઓ તમે બિલ બનાવ્યા વગર લઈ જવાની કોશિશ કરો છો તે સામે અમારો વાંધો છે.” સ્ટોર સુપરવાઈઝરે કહ્યું.

કોસ્મેટિક વ્યક્તિને સુંદર દેખાડે પણ સ્ટોરમાં કોસ્મેટિક તફડાવાના કારણે યુવતી બદસૂરત દેખાતી હતી. મોટી ઉંમરની મહિલાએ અમે તો સારા ઘરના છીએનું ગાન ચાલુ રાખ્યું ત્યારે મોલના એક કર્મચારીએ કહ્યું, “બેનજી, તમે ખરાબ કામથી સારું ઘર બનાવ્યું લાગે છે.” સિક્યુરિટી પર્સનલે કહ્યું, “તમારી થેલી ચેક કરવા દો. ‘શું અમે ચોર છીએ” બંને મહિલાએ કોરસમાં અવાજ કર્યો. “હવેના સ્ટોર્સમાં કેમેરા ફીટ કરેલા હોય છે. તેમાં તમારું કરતૂત ઝડપાઈ ગયું હશે, કેસ કરીશું તો ફસાઈ જશો.” સ્ટોર મેનેજરે ચેતવણી આપી.

મહિલાના પતિ પણ આવી ગયા. “જો ચોરી સાબિત ન થાય તો તમારી પથારી ફેરવી દઈશ.” તેણે ધમકી આપી. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ. ત્યારે મહિલાને ખ્યાલ આવ્યો કે કહેવતમાં ભલે કહ્યું હોય કે ચોરનારને ચાર આંખ હોય છે પણ અહીંયાં ચોકીદારને આઠ આંખો હતી. દૃશ્ય ઝડપાઈ ગયાં હતાં. વાત સમાધાન ઉપર આવી ગઈ. સ્ટોરનો નિયમ એવો કે તફડંચીના દસ ગણા ભરવા પડે. પેલી મહિલાએ શેમ્પૂ - સ્પ્રેના રૂ. ૩૧૧૦ ભર્યા.

કહેવત છે કે ‘મુલ્લાં ચોરે મૂકે, પણ અલ્લા લઈ જાય ઊંટે’. મુલ્લાં મૂઠી ભરીને તફડાવે પણ ભગવાન ઊંટ કેરીયર જેટલું તેનું લઈ લે. આ સ્ટોરવાળા પણ ભગવાન જેવા જ હતા. મુઠ્ઠીભર ચોરીની ઊંટ કેરીયર જેટલી સજા કરી.

પેલી બંને ‘સારા ઘર’ની મહિલાઓએ આવા ખરાબ સ્ટોરમાં ક્યારેય પણ નહીં આવીએ તેવી ઘોષણા કરી ચાલતી પકડી...

ગૂગલી

તમારા મૂડ પ્રમાણે બોલી ન નાંખતા. તમારો મૂડ તો બદલાશે, બદલી શકાય, પણ તમારા બોલેલા શબ્દો પછી બદલી નથી શકાતા.

Saturday, February 5, 2011

રોકડ એ મીઠાઈ છે

એક સુંદર કંકોત્રીમાં સુંદર વાક્ય વાંચ્યું, ‘રોકડ વ્યવહાર આવકાર્ય છે.’

સિંદબાદની દૃષ્ટિએ એ કંકોત્રી ભલે બ્રાહ્મણ કુટુંબની હતી, પણ તેમાં વણિકની વ્યાવહારિકતા અને સમજ પ્રગટ થતા હતા.

છગનને કંકોત્રીના આ વાક્યમાં ઝટ સમજ ન પડી. એને મેં કિશોરભાઈનો દાખલો આપ્યો. કિશોરભાઈ અત્યારે ૬૫ના છે. એ ૫૦ વર્ષ પહેલાં કિશોર હતા, અત્યારે પણ કિશોર છે. એ કિશોરભાઈ કોઈ સ્વજનની ઓફિસે કે દુકાને જાય, પેલો ચા મંગાવવાનું કહે તો તુરંત ના પાડે. “બોસ રહેવા દો એના કરતાં પાંચ રૂપિયા રોકડા આપી દો.” પેલા ભાઈ હસી પડે. કિશોરભાઈ કહે “કેટલી ચા પીવી? ચાર વાર થઈ ગઈ છે, હજી ચાર જગ્યાએ જવાનું છે.”

બસ આ તર્ક પેલી કંકોત્રીમાં હતો. ભેટ સોગાદો ન આપતા, જે વ્યવહાર કરો તે રોકડામાં જ કરજો. કિશોરભાઈ કહેતા, “યાર, તમે ચાના પૈસા તો ખરચવાના જ છો. તમારા પૈસા ખરચાશે અને મારું પેટ બગડશે, બહેતર છે મને રોકડા આપી દો.”

ભેટ સોગાદોમાં આવું જ થાય છે. લોકોના પૈસા તો ખરચાય છે, પણ મેળવનારને એ ભેટ ઘણી વાર ફેંટ જેવી લાગે છે. બલકે વાગે છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં સતીશભાઈનાં લગ્ન હતાં. ત્યારે બજારનું એક દૃશ્ય તમને કહું.

રમેશ ગિફ્ટ શોપમાં ભેટ લેવા ગયો હતો, મિત્ર સતીશને આપવા. તેણે એકસઠ રૂપિયામાં લેમન સેટ લીધો. બરોબર એ જ સમયે સામેની દુકાનમાં જ સુરેશ સતીશનાં લગ્ન માટે ગિફ્ટ લઈ રહ્યો હતો તેણે પણ લેમન સેટ લીધો હતો. શહેરના બીજા ખૂણે રહેતો મહેશ પણ એ જ સમયે સતીશનાં લગ્નમાં સપ્રેમ ભેટ આપવા લેમન સેટ પેક કરાવી રહ્યો હતો. સતીશભાઈના બનેવી પણ સરસ મઝાના ગિફ્ટ પેકમાં લેમન સેટ લાવેલા. સતીશના માશીના દીકરાને પણ લેમન સેટ લાવવાનું જ સૂઝેલું.

પેલી સાબુની જાહેરખબરની માફક સતીશનાં લગ્નમાં ‘સબ કી પસંદ લેમન સેટ’ એવું બની રહ્યું હતું. પેલા કિશોરભાઈ જેવો જ વિચાર આવે ને? ચા નથી પીવી રોકડા આપી દો.

સતીશના હાથમાં અનેક લેમન સેટ ભેટ તરીકે લગ્નમાં આવ્યા. સતીશ વિચાર કરે, એક કન્યાનો હાથ હાથમાં લીધો તેમાં આ ૪૨ લેમન સેટ હાથમાં લેવા પડયા! પૂરા માણસ પી પીને કેટલી લેમન પીએ? લગ્નનાં ચાલીશ વર્ષ પછી પણ સતીશના ઘરમાં બે-ત્રણ લેમન સેટ હજુ પડયા છે.

જનોઈ વખતે બટુકને ભિક્ષા પીરસવાનો રિવાજ છે. જે માટે સગાંવહાલાં, સ્નેહીજનો થાળી આપે પછી તેમાં ભિક્ષા મૂકે. એક શ્રીમાન દવેના પુત્રની જનોઈમાં પૂરું વાસણ બજાર ઠલવાઈ ગયું હતું. એક ગેલ્વેનાઈઝના પીપડામાં કેવળ થાળીઓ એમણે ભરેલી. એમના ઘરમાં થાળીવાદનનો કાર્યક્રમ કરી શકાય. સતીશભાઈએ તો મળેલા લેમન સેટના કારણે ‘જલતરંગ’ની પ્રેક્ટિસ પણ કરેલી.

કેટલાક લગ્નમાં ‘ટી-સેટ’ પણ ભેટ તરીકે આપે, હવે આપણે ત્યાં ટી-સેટનો ચા પીવા માટે ક્યાંય ઉપયોગ થતો જોયો છે? ફિલ્મોમાં ક્યારેક એ રીતે ચા-પીવાનાં દૃશ્યો જોવા મળે. બાકી આપણા ઘરમાં ટી-સેટ શું કામના? છગનને મળેલા ટી-સેટની કીટલીમાં એ લોકો સોય-દોરા, છીંકણીનાં પેકેટો, પીનો એવું બધું રાખતા.

વચ્ચે એક સમયે ભેટ તરીકે ઘડિયાળ આપવાનું ચલણ હતું. એક મિત્રને લગ્નમાં ઘણાં ઘડિયાળ આવ્યાં હતાં. એ કહેતો, “યાર, મારા ઘરની કુલ દીવાલો કરતાં અનેક ગણા ઘડિયાળો આવ્યાં છે. દરેક દીવાલ ઉપર ઘડિયાળ લગાડયું છે. ટોઇલેટમાં પણ એક ઘડિયાળ મૂક્યું છે.”

આ આપવીતી પેલા ભાઈએ જોઈ હશે, જાણી હશે, એટલે એમણે કંકોત્રીમાં આમંત્રણ આપતાં લખ્યું, “રોકડ વહેવાર આવકાર્ય છે. આ પ્રથા ખરેખર આવકાર્ય છે. રોકડ એ મીઠાઈ છે જે ડાયાબિટીસ નથી કરતી.”

હવે કોઈ વરરાજા લેમન સેટોના ભાર નીચે કે ઘડિયાળોના ભાર નીચે દટાવો ન જોઈએ તેવી તેમની ઇચ્છા પ્રગટ થઈ છે. ‘નોટ એ બેડ આઈડિયા સર જી’

વાઈડ બોલ

તેંડુલકર જ્યારે તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ત્યારે ધોની સાત વર્ષનો હતો, યુવરાજ છ વર્ષનો, રૈના બે વર્ષનો, કોહલી ને ઈશાંત શર્મા નવજાત શિશુ હતા... આજે પણ મહારથી તેંડુલકર એ બધા સાથે પણ રમી રહ્યો છે. (SMS)

રોકડ એ મીઠાઈ છે

એક સુંદર કંકોત્રીમાં સુંદર વાક્ય વાંચ્યું, ‘રોકડ વ્યવહાર આવકાર્ય છે.’

સિંદબાદની દૃષ્ટિએ એ કંકોત્રી ભલે બ્રાહ્મણ કુટુંબની હતી, પણ તેમાં વણિકની વ્યાવહારિકતા અને સમજ પ્રગટ થતા હતા.

છગનને કંકોત્રીના આ વાક્યમાં ઝટ સમજ ન પડી. એને મેં કિશોરભાઈનો દાખલો આપ્યો. કિશોરભાઈ અત્યારે ૬૫ના છે. એ ૫૦ વર્ષ પહેલાં કિશોર હતા, અત્યારે પણ કિશોર છે. એ કિશોરભાઈ કોઈ સ્વજનની ઓફિસે કે દુકાને જાય, પેલો ચા મંગાવવાનું કહે તો તુરંત ના પાડે. “બોસ રહેવા દો એના કરતાં પાંચ રૂપિયા રોકડા આપી દો.” પેલા ભાઈ હસી પડે. કિશોરભાઈ કહે “કેટલી ચા પીવી? ચાર વાર થઈ ગઈ છે, હજી ચાર જગ્યાએ જવાનું છે.”

બસ આ તર્ક પેલી કંકોત્રીમાં હતો. ભેટ સોગાદો ન આપતા, જે વ્યવહાર કરો તે રોકડામાં જ કરજો. કિશોરભાઈ કહેતા, “યાર, તમે ચાના પૈસા તો ખરચવાના જ છો. તમારા પૈસા ખરચાશે અને મારું પેટ બગડશે, બહેતર છે મને રોકડા આપી દો.”

ભેટ સોગાદોમાં આવું જ થાય છે. લોકોના પૈસા તો ખરચાય છે, પણ મેળવનારને એ ભેટ ઘણી વાર ફેંટ જેવી લાગે છે. બલકે વાગે છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં સતીશભાઈનાં લગ્ન હતાં. ત્યારે બજારનું એક દૃશ્ય તમને કહું.

રમેશ ગિફ્ટ શોપમાં ભેટ લેવા ગયો હતો, મિત્ર સતીશને આપવા. તેણે એકસઠ રૂપિયામાં લેમન સેટ લીધો. બરોબર એ જ સમયે સામેની દુકાનમાં જ સુરેશ સતીશનાં લગ્ન માટે ગિફ્ટ લઈ રહ્યો હતો તેણે પણ લેમન સેટ લીધો હતો. શહેરના બીજા ખૂણે રહેતો મહેશ પણ એ જ સમયે સતીશનાં લગ્નમાં સપ્રેમ ભેટ આપવા લેમન સેટ પેક કરાવી રહ્યો હતો. સતીશભાઈના બનેવી પણ સરસ મઝાના ગિફ્ટ પેકમાં લેમન સેટ લાવેલા. સતીશના માશીના દીકરાને પણ લેમન સેટ લાવવાનું જ સૂઝેલું.

પેલી સાબુની જાહેરખબરની માફક સતીશનાં લગ્નમાં ‘સબ કી પસંદ લેમન સેટ’ એવું બની રહ્યું હતું. પેલા કિશોરભાઈ જેવો જ વિચાર આવે ને? ચા નથી પીવી રોકડા આપી દો.

સતીશના હાથમાં અનેક લેમન સેટ ભેટ તરીકે લગ્નમાં આવ્યા. સતીશ વિચાર કરે, એક કન્યાનો હાથ હાથમાં લીધો તેમાં આ ૪૨ લેમન સેટ હાથમાં લેવા પડયા! પૂરા માણસ પી પીને કેટલી લેમન પીએ? લગ્નનાં ચાલીશ વર્ષ પછી પણ સતીશના ઘરમાં બે-ત્રણ લેમન સેટ હજુ પડયા છે.

જનોઈ વખતે બટુકને ભિક્ષા પીરસવાનો રિવાજ છે. જે માટે સગાંવહાલાં, સ્નેહીજનો થાળી આપે પછી તેમાં ભિક્ષા મૂકે. એક શ્રીમાન દવેના પુત્રની જનોઈમાં પૂરું વાસણ બજાર ઠલવાઈ ગયું હતું. એક ગેલ્વેનાઈઝના પીપડામાં કેવળ થાળીઓ એમણે ભરેલી. એમના ઘરમાં થાળીવાદનનો કાર્યક્રમ કરી શકાય. સતીશભાઈએ તો મળેલા લેમન સેટના કારણે ‘જલતરંગ’ની પ્રેક્ટિસ પણ કરેલી.

કેટલાક લગ્નમાં ‘ટી-સેટ’ પણ ભેટ તરીકે આપે, હવે આપણે ત્યાં ટી-સેટનો ચા પીવા માટે ક્યાંય ઉપયોગ થતો જોયો છે? ફિલ્મોમાં ક્યારેક એ રીતે ચા-પીવાનાં દૃશ્યો જોવા મળે. બાકી આપણા ઘરમાં ટી-સેટ શું કામના? છગનને મળેલા ટી-સેટની કીટલીમાં એ લોકો સોય-દોરા, છીંકણીનાં પેકેટો, પીનો એવું બધું રાખતા.

વચ્ચે એક સમયે ભેટ તરીકે ઘડિયાળ આપવાનું ચલણ હતું. એક મિત્રને લગ્નમાં ઘણાં ઘડિયાળ આવ્યાં હતાં. એ કહેતો, “યાર, મારા ઘરની કુલ દીવાલો કરતાં અનેક ગણા ઘડિયાળો આવ્યાં છે. દરેક દીવાલ ઉપર ઘડિયાળ લગાડયું છે. ટોઇલેટમાં પણ એક ઘડિયાળ મૂક્યું છે.”

આ આપવીતી પેલા ભાઈએ જોઈ હશે, જાણી હશે, એટલે એમણે કંકોત્રીમાં આમંત્રણ આપતાં લખ્યું, “રોકડ વહેવાર આવકાર્ય છે. આ પ્રથા ખરેખર આવકાર્ય છે. રોકડ એ મીઠાઈ છે જે ડાયાબિટીસ નથી કરતી.”

હવે કોઈ વરરાજા લેમન સેટોના ભાર નીચે કે ઘડિયાળોના ભાર નીચે દટાવો ન જોઈએ તેવી તેમની ઇચ્છા પ્રગટ થઈ છે. ‘નોટ એ બેડ આઈડિયા સર જી’

વાઈડ બોલ

તેંડુલકર જ્યારે તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ત્યારે ધોની સાત વર્ષનો હતો, યુવરાજ છ વર્ષનો, રૈના બે વર્ષનો, કોહલી ને ઈશાંત શર્મા નવજાત શિશુ હતા... આજે પણ મહારથી તેંડુલકર એ બધા સાથે પણ રમી રહ્યો છે. (SMS)

Tuesday, February 1, 2011

નેતાઓ જ્યારે હસે છે...

રાજકારણની વાત નીકળે ત્યારે સૌને કૌભાંડો જ યાદ આવે.

ડુંગળીના ભાવ સાંભળીને આંસુ આવી જાય છે (શરદકૃપા?) પણ રાજકારણીઓ રડાવવા સિવાય ક્યારેક હસાવવાનું કામ પણ કરતા હોય છે.

પંડિત જવાહરલાલ મજાક કરવામાં માહેર હતા. એક વાર મહાન અભિનેત્રી નરગીસ એમને મળવા ગઈ. પંડિતજીની તંદુરસ્તી જોઈ તેણે સવાલ કર્યો. “સર, આ ઉંમરે પણ આપ આટલા તંદુરસ્ત છો! રાઝ શું છે”.

પંડિતજીએ આખી વાતને ગમ્મતમાં ઉડાવતા ગાલીબનો શેર ફેંક્યો.

‘ઉનકો દેખને સે ચહેરે પે રોનક આ ગઈ,

તો વો સમજને લગે કે બીમાર કા હાલ અચ્છા હૈ’

બધાં આ સાંભળી હસી પડયા.

‘શ્રી ૪૨૦’ ફિલ્મને નહેરુજીના હસ્તે મેરિટ ર્સિટફિકેટ આપવામાં આવ્યું હતું. રાજકપૂર સ્ટેજ ઉપર તે પ્રમાણપત્ર લેવા ગયો. પંડિતજીએ તેનો ખભો પકડી પૂછયું, “આ તને શ્રી૪૨૦ ફિલ્મ માટે નવાજવામાં આવે છે”.

“જી, સર!”

“શું આ ૪૨૦ ફિલ્મ અપને આપ પર બનાઈ હૈ?”

આ નિર્દોષ મજાક હતી. આખું ઓડિયન્સ ખુશ ખુશ થઈ ગયું.

બ્રિટનનાં મહારાણી સ્વતંત્ર ભારતની મુલાકાતે આવ્યાં હતાં.

ત્યારે ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ હતા. રાજેન્દ્રબાબુ કાયદાની માસ્ટર ડિગ્રી પામેલા હતા. એટલું જ નહીં તેમાં ગોલ્ડમેડલ મેળવેલો હતો. ત્યારે પ્રજામાં ભણતર ઓછું હતું પણ નેતાઓ ખૂબ જ ભણેલા અને અભ્યાસી હતા. આપણા રાષ્ટ્રપિતા બેરિસ્ટર હતા. નાયબ વડાપ્રધાન સરદાર પટેલ પણ બેરિસ્ટર હતા. પહેલા પ્રધાનમંડળમાં સામેલ શ્યામાપ્રસાદ મુકરજી બત્રીસ વર્ષની ઉંમરે કોલકાત્તા યુનિર્વિસટીમાં ‘વાઈસ ચાન્સેલર’ રહી ચૂકેલ... આવો માતબર નેતાગણ ત્યારે દેશમાં હતો. બ્રિટનનાં મહારાણી રાજેન્દ્રબાબુને મળ્યાં ત્યારે જાણ્યું કે તેમણે પોતાની આત્મકથાનો દળદાર ગ્રંથ લખ્યો છે. રાણીએ આશ્ચર્યથી પૂછયું “આટલો મોટો ગ્રંથ લખવાનો સમય આપને કઈ રીતે મળ્યો?”

રાજેન્દ્રબાબુએ મલકતાં મલકતાં કહ્યું, “આપની હકૂમતે મને વર્ષો સુધી જેલમાં રાખ્યો હતો, ત્યાં સમય ને સમય જ હતો”. આમાં રમૂજ અને ટોણો બંને હતાં.

ઈન્દિરાજી સ્વભાવે અક્કડ હતાં. પણ રાજીવ ગાંધીમાં વિનોદવૃત્તિ જણાઈ આવતી. કોંગ્રેસ પક્ષને સો વર્ષ થયાં તેના શતાબ્દી વર્ષનો સમારંભ મુંબઈ ખાતે હતો. રાજીવજી બોલવા ઊભા થયા અને માઈક બંધ થઈ ગયું. તુરંત જ હળવી રીતે રાજીવજીએ કોમેન્ટ કરી, “આ માઈક પણ કોંગ્રેસની જેમ સો વર્ષ પુરાણું લાગે છે”.

જનસંઘના નેતા જગન્નાથ રાવ જોષી પણ તીવ્ર વિનોદશક્તિ ધરાવતા હતા. તેઓ પણ એમ.એ. ગોલ્ડમેડાલીસ્ટ હતા.

અશોક ભટ્ટની ધારાસભાની પ્રથમ ચૂંટણી હતી. જગન્નાથ પ્રચારમાં ખાડિયામાં સભા સંબોધતા હતા ત્યારે ભારત સરકારે અવકાશમાં દેશનો પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ છોડયો હતો. ઈન્દિરાજી ચૂંટણી પ્રચારમાં તેનો ઉલ્લેખ કરતાં હતાં. એટલે ખાડિયામાં જગન્નાથ રાવે કહ્યું, ‘વો દીખાયેગી આર્ય ભટ્ટ, હમ દીખાયેગે અશોક ભટ્ટ’.

આચાર્ય એસ.આર. ભટ્ટ પણ રાજકીય સભાઓમાં તેમના સૂક્ષ્મ વ્યંગ અને વિનોદથી લોકોને મજા કરાવતા હતા. જયંતિલાલ સમર્થ સાહિત્યકાર જનતા પરિષદની સભાઓમાં છવાઈ જતા હતા. વ્યંગ - વિનોદ ત્યારે ઘણાં ખીલ્યા હતા. વધુ વાત ક્યારેક ફરી.

ગૂગલી

યોગ ગુરુ રામદેવ કહે છે, સારા સ્વાસ્થ્ય માટે સાંસ પર કાબૂ રાખો.

‘અરે ભલા, બીબી ઉપર તો કાબૂ આવતો નથી ત્યાં સાંસ ઉપર ક્યાંથી આવે!’