Saturday, July 31, 2010

કૂંડાંતોડ ધારાસભ્યો


એક કારીગર માટીનાં સરસ કૂંડાં બનાવી રહ્યો હતો. છગને જઈને પૂછયું, ‘‘આ કૂંડાં કેમ આપ્યાં?’’

‘‘આપવાનાં નથી’’

‘‘આપવાનાં નથી? તો કેમ બનાવ્યાં?’’

‘‘એટલે કે તમને આપવાનાં નથી. આ બીજા પ્રદેશમાં મોકલવાનાં છે. સ્થાનિક વેચાણ અમારા માટે શક્ય જ નથી. બહારનો ઓર્ડર બહુ મોટો છે.’’

‘‘સારું સારું તમને મોટો ઓર્ડર મળ્યો. આનંદની વાત છે. કઈ બાજુથી ઓર્ડર મળ્યો છે?’’

‘‘સા’બ બિહારનો ઓર્ડર મળ્યો છે, એ લોકોએ આપણી મદદ ઠુકરાવી હતી પણ અમે તેમનો ઓર્ડર ઠુકરાવ્યો નથી.’’

‘‘આપણી મદદ તો તેમની સરકારે ઠુકરાવી.’’

‘‘હા, પણ આ ઓર્ડર બિહાર સરકારનો છે, ત્યાંની વિધાનસભા માટે મોટી સંખ્યામાં કૂંડાંઓનો ઓર્ડર આવ્યો છે’.’

‘‘એમ!’’

‘‘હા, ત્યાંની વિધાનસભાના સભ્યોએ અસભ્ય કૃત્ય કરી, પરિસરનાં બધાં જ કૂંડાં તોડી નાખ્યાં છે, એટલે એ લોકોને તાત્કાલિક કૂંડાં જોઈએ છે.’’

‘‘અભિનંદન, મિત્ર તને અભિનંદન, ભલે ત્યાંના વિધાનસભાના સભ્યોએ અભિનંદનીય કાર્ય ન કર્યું હોય, પણ આ ઓર્ડર મેળવવા બદલ અમારાં અભિનંદન.’’

‘‘આભાર સાહેબ, આ ઓર્ડરની એક ઉજળી બાજુ છે.’’

‘‘એ કઈ?’’

‘‘ત્યાંના ધારાસભ્યોએ ચેલેન્જ ફેંકી છે, સરકાર જેટલાં કૂંડાં મૂકશે એ બધાં જ અમે તોડીશું, ગીતકારે કહ્યું હતું ને કે તુમ રૂઠી રહો મૈં મનાતા રહું... એમ આ વિધાનસભ્યો કહે છે કે તમે કૂંડાં મૂકતા રહો અમે તોડતાં રહીશું, આમાં મજા મળે છે.”

‘‘કહેવું પડે’’

‘‘સા’બ, એ લોકો કૂંડાં તોડતા રહે, અમે ઘડતા રહીએ, સરવાળે મારા ઘરના રોટલા ઘડાતા રહે.’’

‘‘પણ શું આ કૂંડાં એ લોકો તોડી રહ્યા છે એના પૈસા ધારાસભ્યોના ખિસ્સામાંથી અપાય છે કે લોકોના?’’

‘‘સા’બ હું શું જાણું?’’

---

બિહાર વિધાનસભાનાં થયેલા હંગામાને કેટલાક લોકો ગુંડાગીરી કહે છે. છગન એને કૂંડાંગીરી કહે છે.

બિહાર વિધાનસભામાં થયેલી કૂંડાંઓની હત્યા. સોહરાબુદ્દીનની હત્યાથી આઘાત પામેલા લોકો દ્વારા જ થઈ છે. સોહરાબુદ્દીનની હત્યા અંગે આંસુ પાડતા એ લોકો છોડ અને કૂંડાંના નાશથી હર્ષ પામે છે. અગર આંસુ પડે છે તો પણ તે હર્ષનાં આંસુ છે.

ટીવી ચેનલ ઉપર જોઈ શકાયું હતું કે ‘મોરે યાર કૂંડા તોડ’ એવું કંઈક ગાતાં કૂંડાં તોડી રહેલાં મહિલા સભ્ય(!) હતાં. તેમનું નામ જ્યોતિ છે. એક કવિએ લખ્યું છે. ‘ભારત કી નારી ફૂલ નહીં ચિનગારી હૈ.’’

આ જ્યોતિ માટે ચેનલવાળાએ લખ્યું હતું. ‘જ્યોતિ બની જ્વાલા’ પણ આ ચિનગારી તો ભડકો હતી. એ ભડકામાં લોકશાહીનાં મૂલ્યો, શિષ્ટાચાર, સમજદારી બધું સ્વાહા થઈ ગયેલું જણાયું.

પ્રખ્યાત પહેલવાન કિંગકોંગ તેના હરીફોને ઊંચકીને કુસ્તીની રીંગની બહાર ફેંકી દેતો હતો. એવા જ જુસ્સાથી જ્યોતિજી કૂંડાંઓને ઊંચકી ઊંચકીને ફેંકી રહ્યાં હતાં. ખૂબ લડી મર્દાની, ઝાંસી કી રાણીની જેમ જ્યોતિજીનું શૌર્ય લોકોએ ટીવીના પરદે જોયું. નાને પરદે મોટા ખેલ જોવા મળ્યા. ભારતની નારીશક્તિએ કરેલી પ્રગતિનું ઉદાહરણ ટીવી ઉપર જોવા મળ્યું.

જોવા મળ્યું કે આપણા ધારાસભ્યો નબળા નથી. સશક્ત છે. આજે કૂંડાં ઉપર તેમણે આક્રોશ ઠાલવ્યો. કાલે સમાજના બીજા સળગતા પ્રશ્નો ઉપર આવો જ ‘કૂંડાતુલ્ય’ આક્રોશ બતાવશે. એ સમસ્યાઓનો ભુક્કો બોલી જશે. જ્યોતિજીની આક્રમક્તા જોઈ, તેમના પતિદેવનું કૌશલ્ય પણ કલ્પી શકાયું. બીજી મહિલાઓ ફેંકવા માટે કેવળ રસોડાંનાં સાધનોનો જ ઉપયોગ કરતી હશે જેમ કે, સાણસી, તવેથો વગેરે જ્યારે જ્યોતિજી રસોડાની બહાર નીકળી કૂંડાં સુધી પહોંચી ગયાં છે.

એકાદ ‘પદ્મ’ એવોર્ડનાં તેઓ અધિકારી છે. ખરું કે નહીં?

વાઈડ બોલ

‘જ્યારે તમે મગજ ગુમાવ્યા વગર કે આત્મશ્રદ્ધા ગુમાવ્યા વગર કશું પણ સાંભળી શકો ત્યારે તમે એજ્યુકેટેડ છો. શિક્ષિત છો તેમ માનજો.’

‘આ ધારાસભ્યો અભણ છે એમ માનવાનું ને!’ (SMS)

Wednesday, July 28, 2010

ગીતની બીજી બાજુ

રેડિયો ઉપર કેસટ ઉપર સીડી પ્લેયર ઉપર અનેક વાર એક ગીત મેં સાંભળેલું છે. તમે પણ સાંભળ્યું હશે. ખૂબ જ લોકપ્રિય ગીત છે કે સનમ કે શ્રીમતી જે હોય તેને સંબોધીને નાયક ગાય છે- ‘ઓ મેરી જાને જા... તૂમ મેરી પાસ હોતી હો તો કોઈ દૂસરા નહીં હોતા.’

કેવી હિંમતથી નાયક કહે છે! નાયક એટલે કે હીરો. નાયક પત્નીને સંબોધીને કે તું જ્યારે મારી પાસે હોય છે ત્યારે બીજું કોઈ નથી હોતું. છગન સવાલ કરે છે કે તો એ જ્યારે નથી હોતી ત્યારે શું હોય છે? ત્યારે શું બીજી કોઈ હોય છે? એ ગાનાર નાયક પત્નીને બેવકૂફ સમજે છે? એવું કહેવાથી તે રાજી થયા કે તું હોય છે ત્યારે બીજું કોઈ નથી હોતું. એટલે કે તું પિયર જાય ત્યારે કોઈ હોઈ શકે છે.

ગીત સુંદર અવાજે ગવાયું છે. સુંદર તરજ સંગીતકારે બનાવી છે, પણ સ્ત્રીને ઉલ્લુ બનાવવાની વાત છે. નવાઈ એ વાતની છે કે કેમ કોઈ મહિલા આગેવાનોએ આનો વિરોધ ન કર્યો?

આમાં ગીતના નાયકના નિવેદનમાં ચતુરાઈ દેખાય છે. પત્નીએ પૂછયું હશે કે તમારે કોઈ ‘અફેર’ છે? ત્યારે એણે ગીતમાં કહી દીધું કે તું મારી પાસે હોય ત્યારે કોઈ દૂસરા નહીં હોતા? જવાબ આમ સાચો ગણાય પણ દાનત વિશે શંકા પડે તેવું ગણાય. નરો વા કુંજરો વા જેવો અર્થ નીકળે. તું મારી સાથે હોય ત્યારે કોઈ નથી હોતું એવો ગોળગોળ જવાબ નાયક આપે છે.

નાયિકા પણ નાયકને ઉલ્લુ બનાવતી હોય તેવા એક જૂના ગીતમાં પોતાના ભાવિજીવનની ઇચ્છા જાહેર કરે છે- ‘છોટા સા બંગલા હો, બંગલે મેં ગાડી હો ઔર બલમા અનાડી હો.’

પેલી લોકકથામાં આવે છે તેવી વાત થઈ. ભગવાને ગરીબ અંધ માણસને કહ્યું કે એક વરદાન માગી લે. અંધજન તો આંખો જ માગે ને! પેલાને બીજું ઘણું જોઈતું હતું. એટલે એણે કહ્યું, ‘પ્રભુ, સાત માળની હવેલીમાં સુવર્ણના હીંચકા ઉપર હીંચકે ખાતા ખાતા કમ્પાઉન્ડમાં આવતી ટોયટો કે હોન્ડા કારમાંથી ઊતરતી સુવર્ણથી લદાયેલી મારી પુત્રવધૂને હું જોઉં...’

એક જ વરદાનમાં પેલા અંધે કેટલું બધું માગી લીધું. સાત માળની હવેલી, લક્ઝુરિયસ કાર, પુત્રવધૂ સુવર્ણ અલંકારથી લદાયેલી, એટલે વૈભવ પણ ખરો, પુત્રવધૂ આવી એટલે લાંબા આયુષ્યવાળો પણ ગણાય. અને તે તેને જોઈ શકે, એટલે કે વરદાનમાં ઢગલાબંધ લાભ આખું પેકેજ. પેલી કથાની નાયિકા પણ આ જ રીતે કહે છે. બંગલો હોય, ગાડી હોય, એટલે વૈભવશાળી પતિ તો હોય જ. ઉપરાંત બલમા અનાડી હો, એમ પણ જાહેર કરે છે. આ તેની હોશિયારી છે. બલમો ચાલાક ન હોવો જોઈએ, પૈસો હોવો જોઈએ, પણ બલમો તો અનાડી જ જોઈએ. ર્ગિભત અર્થ એવો નીકળે કે બલમો અનાડી હોય તો તેને ફાવે તેમ નચાવી શકાય. જો રાજ કરવું હોય તો બલમો જરા અનાડી હોય તે જરૂરી છે. ઘણાં ધનાઢય કુટુંબમાં પતિ હોશિયાર હોય ત્યાં સ્ત્રીને મહત્ત્વ નથી મળતું. ગાડી-બંગલો હોય પણ હોશિયાર પતિના ઈશારે જ વધુ ચાલે એ કેમ ચાલે? એટલે હોશિયાર સ્ત્રી બલમો અનાડી ઇચ્છે છે. ટચલી આંગળીનો ઉપયોગ કોરિયોગ્રાફીમાં થઈ શકે માટે.

Sunday, July 25, 2010

ભાઉની પોળનો ભપમ


સમાજમાં ખૂણે ખૂણે વિશિષ્ટ વ્યક્તિ મળી રહે છે, જેમાં ચહેરો અને નામ બદલાય છે પણ મિજાજ એકસરખો જ રહે છે. ભપમ પણ આવી એક વિશિષ્ટ વ્યક્તિ હતી. આમ તો નામ રવીન્દ્ર પણ રવીન્દ્ર તરીકે એ પોતે પણ હોંકારો ન ભણે. ભાઉની પોળના ભપમ તરીકે જ ઓળખાય. ભપમનો અર્થ તમને ભગવદ્ ગોમંડલમાં પણ નહીં મળે તેની ખાતરી. સાડા પાંચ કરોડ ગુજરાતીમાં આ નામ નહીં મળે. કદાચ એક અબજ ભારતમાં કે સાત અબજ દુનિયામાં પણ આ નામ ન હોઈ શકે.

એ ભપમ અચાનક ગુજરી ગયો. અમદાવાદમાં નહેરુ પુલની પશ્ચિમ છેડે આવેલી ઓફિસના પગથિયે તેને હેમરેજ થઈ ગયું. મિત્રો અને સ્નેહીજનો બધા એક જ વાત કરતા હતા. હજી હમણાં તો જોયો હતો. વાત કરી હતી પણ હાર્ટ એટેક અને હેમરેજ એ એવા છે કે તેમને વ્યક્તિના નામ આગળ સ્વ. લગાડતા વાર નથી લાગતી.

અમદાવાદમાં ખાડિયાની ફૂટપાથ પાર્લમેન્ટ ખૂબ જ જાણીતી છે. એ પાર્લમેન્ટના સ્થાપક સક્રિય કાર્યકરોમાં ભપમ પણ એક. વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટ કે સાંસદ હરીન પાઠક અને કેટકેટલાય કોર્પોરેટરો ફૂટપાથ પાર્લમેન્ટની ફૂટપાથ સીટ ઉપર બેઠેલા એ બધાય ભપમના ચાહકો. ફૂટપાથ પાર્લમેન્ટમાં ચા-પાણી થાય. પણ મમરા ન આવે. ભપમ વાતોમાં મમરા મૂકવાનું કામ કરતો હતો. એના મમરાથી પાર્લમેન્ટના સભ્યોને મજા પડી જતી હતી. અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં કૂતરાની હડકવા વિરોધી રસી મુકાવા સવારમાં લાઈન થઈ જાય. ભપમ કહે ‘અહીંના વોર્ડબોય એને કૂતરાની લાઈન કહે છે.’ લેખક રજનીકુમાર પંડયાના ટૂંકા નામાક્ષરમાં રજનીકુમાર ડી. પંડયા છે. તે તેમને ‘રડી પડયા’ કહેતો.

પાર્લમેન્ટમાં રાજકારણની ગરમાગરમ કે સમાજકારણની હેતુલક્ષી ચર્ચાઓ ચાલે ત્યાં આ ભાઈ મોડે સુધી બેઠા રહેતા. ઉપરથી સંગીતની જબરી ધૂન. શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ લીધું ન હતું, પણ ઘણાખરા રાગ-રાગિણી ઓળખે. ખાડિયાના પ્રખ્યાત ગાયક કેતૂમાન પારધી પણ એના ખાસ દોસ્ત હતા. સંગીતના શોખના કારણે ભપમ સંગીતપ્રધાન ફિલ્મો ખાસ જુએ. ‘સંગીત સમ્રાટ તાનસેન’ ખાડિયાની મોડલ સિનેમામાં આવેલું. આ ફિલ્મ ફ્લોપ હતી. એક જ અઠવાડિયું અમદાવાદમાં ચાલેલી, પણ તેટલા સમયમાં તેણે સાત વાર એ ફિલ્મ જોઈ નાખેલી.

સંગીતના ચાહકોનું ખાડિયામાં મોટું ગ્રૂપ. એમાંય સાથે પંડિત દામોદર શાસ્ત્રી રામાયણની સંગીત કથા ઠેર ઠેર કરે. દામોદરજી સંગીતના આ પ્રકારના મસ્તોથી (શોખીનબાજોથી) પ્રભાવિત. આ સંગીતના દીવાનાઓને મળે એટલે દામોદરજી કહેતા, ‘મસ્તો કો મત છેડો મસ્તો મેં દમ નહીં, મસ્તો કી મસ્તી ઈબાદત સે કમ નહીં’

ખાડિયામાં ત્યારે જનસંઘ ઊભરી રહ્યો હતો. તેણે કોઈ પણ અપેક્ષા વગર તેમાં કામગીરી કરી હતી. વસંત ગજેન્દ્રગડકર સાથે ઘરોબો થઈ ગયો હતો. વસંતભાઈનું અચાનક અવસાન થયું, વસંતભાઈની સ્મશાનયાત્રામાં હાથમાં રહેલી તમાકુ તેણે ફેંકી દીધી, ‘બસ આજથી તમાકુ બંધ વસંતભાઈના સન્માનમાં’ એવું કશુંક કહ્યું અને છ મહિના તમાકુ ન પણ ખાધી. ફરી પાછી શરૂ કરી. કોઈકે કમેન્ટ કરી, ‘શું વસંતભાઈ સજીવન થઈ ગયા.’ પણ મસ્તોનું તો આવું જ હોય ને!

એ કાળની વાત છે જ્યારે સેંટ ઝેવિયર્સમાં આચાર્ય ફાધર ડીસોઝા હતા અને રીલીફ રોડ ઉપર એક ટેલરનું નામ પણ ડીસોઝા હતું. ભપમનું પેન્ટ ફાટયું હશે. ને એના પિતાએ તેને કહ્યું, ‘લાવ રિપેર કરી આપું’ પિતાજીએ સરળ રીતે પેન્ટને ધાગા મારી આપ્યા. પેન્ટ હાથમાં લેતા ભપમે સૂક્ષ્મ કોમેન્ટ કરી, ‘થેંક્યુ ફાધર ડીસોઝા!’

તે ભણતર પામી ન શક્યો, પણ ગણતર ભરપૂર પામેલો. એની બેન્કના એક ઓફિસર શ્રીક્રિષ્ણા કહેતા કે ‘ઓફિસરો પણ ઝટ પકડી શકે નહીં તેવી ભૂલો બેન્કિંગમાં આ માણસ પકડે છે.’ જીવનના વહાણને યોગ્ય શઢ અને ખલાસી મળી જાય તો આ પ્રકારના માણસની જિંદગી બદલાઈ જાય.

પંડિત પોલની જય!


સ્પે ન ફૂટબોલ વર્લ્ડકપ જીતી ગયું. નેધરલેન્ડ હારી ગયું. નેધરલેન્ડવાસીઓ દુઃખી દુઃખી હતા.

‘‘નેધરલેન્ડવાસીઓ સે દુઃખી કૌન હૈ?’’ પૃથ્વી સે ભારી કૌન હે? તેવા અંદાજમાં છગને પૂછયું.

‘‘કોણ છે?’’

‘‘ભારતના રેશનાલિસ્ટો સ્પેનના જીતવાથી નેધરલેન્ડ કરતાં પણ વધુ દુઃખી છે.’’

‘‘એમ કેમ? સ્પેને રેશનાલિસ્ટોનું શું બગાડયું છે?’’

‘‘સ્પેન નહીં પણ પેલા ઓક્ટોપસ પોલે બગાડયું છે, રેશનાલિસ્ટો થનગની રહ્યા હતા કે સ્પેન હારે કે અંધશ્રદ્ધા વિરુદ્ધ નિવેદનો ફટકારવા માંડવાનાં. કેટલાંક રેશનાલિસ્ટો નિવેદનો તૈયાર રાખીને જ બેઠા હતા, જેમ બીમાર નેતાની જીવન ઝરમર કેટલાંક છાપાંવાળા તૈયાર રાખે છે તેમ.”

સ્પેનનો જયજયકાર થયો સાથોસાથ ઓક્ટોપસ પોલની વધુ જયજય થઈ.

ટીવી કવરેજને હિસાબે આપણી ક્રિકેટપ્રેમી જનતા પણ ફૂટબોલ મેચ જોવા માંડી છે. બાકી આપણને તો બારાતી તરીકે પણ આમંત્રણ નથી. ભારતની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પણ યોગ્ય ગણાતી નથી. આ અંગે એક રમૂજ અમારા મિત્ર મહેન્દ્ર જોષીએ મોકલી. પ્રેમિકા એના પ્રેમીને પૂછે છે તું મને કાયમ પ્રેમ કરીશ ને? ત્યારે પ્રેમી નવા અંદાજમાં જવાબ આપે છે. ચાંદ-તારાની સાક્ષીને બદલે કહે છે, “જ્યાં સુધી ભારત ફૂટબોલ વર્લ્ડકપ નહીં જીતે ત્યાં સુધી હું તને પ્રેમ કરતો રહીશ.’’ કાયમ પ્રેમ કરતો રહીશ એ કહેવાનો આ અંદાજ લાજવાબ ગણાય.

ફૂટબોલના મેદાનમાં બોલને પડતી લાતોને જોઈ એક ગીત યાદ આવ્યું, કિશોરકુમારનું ‘ઘુંઘરૂ કી તરહ બજતા હી રહા હૂં મૈં, કભી ઉસ પૈર મેં, કભી ઉસ પૈર મેં...

જિંદગીની કરુણાનો ભોગ બનેલો પણ ગાઈ શકે, ‘ફૂટબોલ કી તરહ પીટાતા હૂં મૈં,

કભી ઈસ પૈર સે કભી ઉસ પૈર સે...’

સમાજની લાતો ખાધેલો માણસ ફૂટબોલમાં પોતાની જાતને જોઈ શકે.

ફાઈનલ ધબાધબીમાં નેધરલેન્ડના એક ખેલાડીએ સ્પેનના ખેલાડીની છાતીમાં લાત ફટકારી હતી. ત્યારે ઘણાંને શ્રીમદ્ ભગવત યાદ આવ્યું હતું. દુર્વાસા મુનિ ફૂટબોલ રમતા ન હતા, પણ તેમણે પણ ભગવાન શ્રીકૃષ્ણની છાતીમાં લાત ફટકારી હતી. સાક્ષાત્ ભગવંત હતા એટલે એમણે દુર્વાસાને કોઈ કાર્ડ બતાવ્યું ન હતું. પણ લાત મારવા જતા તમારા પગને ઈજા નથી થઈને એમ પૂછયું હતું.

ફૂટબોલ રમનારાઓ લવરમૂછિયા કહેવાય તેવા યુવાનો હોય છે. ઉકળાટ વ્યક્ત કરતા વાર ન લાગે. તેમ છતાં રેફરીના યલો કાર્ડ અને રેડ કાર્ડને ભલે કચવાતે મને પણ આદર આપતા હતા. એ લવરમૂછિયા ખેલાડીઓ સાથે આપણા પીઢ નેતાઓ સંસદ અને વિધાનસભામાં કેવા દેકારા કરે છે! કેવી તોડફોડ કરે છે. સંસદના રેફરી જેવા સ્પીકરના આદેશને સાંભળતા જ નથી. આપણે સંસદ અને વિધાનસભાના સ્પીકરને યલો કાર્ડ કે રેડ કાર્ડ આપી રાખવા જોઈએ. ખેલાડીઓ પાસેથી આપણા પીઢ નેતાઓ કંઈ શીખી લેશે?

આપણે વર્લ્ડકપ લેવલ ઉપર રમી નથી શકતા પણ સ્થાનિક ટુર્નામેન્ટ આપણે ત્યાં ચાલતી જ હોય છે. મહિલા ફૂટબોલ મેચ પણ ચાલતી હોય છે. ગોલકીપરને ટૂંકમાં ગોલી પણ કહેવાય છે. છગન કહે છે કે મહિલા ફૂટબોલમાં મહિલા ગોલકિપરને ગોલી કહો તો કેવું લાગે?

આપણે ત્યાં સ્થાનિક કક્ષાએ ફૂટબોલ ઘણો રમાય છે. પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણી ડિપોઝીટ જપ્ત થઈ તેમ કહેવાય એવા નાના દેશો ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. ફૂટબોલ વર્લ્ડકપ યોજનાર ‘ફિફા’નું નામ ભારતમાં જાણીતું થઈ ગયું. આપણે ત્યાં દમ વગરનું કામ કરનાર માટે ફીફાં ખાંડે છે તેમ કહેવાય છે. પણ ફૂટબોલ ક્ષેત્રે ભારત ફીફાં ખાંડે છે તેમ કહી શકાય. અને તેમ છે ત્યાં સુધી આપણી નોંધ નહીં લેવાય.

ઓક્ટોપસ પોલને પૂછવું પડે કે આપણને એન્ટ્રી ક્યારે મળશે?

વાઈડ બોલ

આવતા વર્ષે અંધજન ચલાવી શકે તેવી કાર રસ્તા ઉપર આવી જશે

- સમાચાર.

‘અત્યારે રસ્તા ઉપર અંધજનો જ કાર ચલાવતા હોય તેવું ઘણી વાર લાગે છે.’

Tuesday, July 20, 2010

કાલિયાનું શું થશે?

માફિયા બોસ સામે એમના ગુનેગારને ખડો કરવામાં આવ્યો હતો. બોસની આજુબાજુ એના ‘ફોલ્ડરો’ શસ્ત્રો સાથે ઊભા હતા. જેમ્સ બોન્ડની ફિલ્મમાં બોસ ખોળામાં બિલાડી રાખતા અને પછી ન્યાય કરતા હતા. (આમ તો અન્યાય જ) આ બોસના ખોળામાં બિલાડી ન હતી. પણ એક કાચની કેબિનેટ હતી. તેમાં બે બોક્સ હતાં. એક ઉપર ફાંસીનો ફંદો ચીતરેલો હતો, બીજા બોક્સ ઉપર મુક્ત પંખી હતું. અને આજુબાજુ એક ઓક્ટોપસ આંટા મારતો હતો. હવે બોસે ઓક્ટોપસવાળી નવી પદ્ધતિ દાખલ કરી હતી. પહેલાં ‘માર દીયા જાયે કે છોડ દીયા જાયે’ એ કેસેટ વગાડવામાં આવતી હતી અને એ પ્રમાણે નિર્ણય થતો હતો. પણ બોસે જમાના પ્રમાણે તરીકા બદલવાનું નક્કી કર્યું હતું. ઓક્ટોપસ ફાંસીવાળા બોક્સ ઉપર બેસે તો પેલા શખ્સનું બાર દિવસ પછી બારમું નક્કી. અને જો મુક્ત પંખીવાળા બોક્સ ઉપર ઓક્ટોપસ બેસે તો... છુટ્ટી.

માફિયા આ રીતે નિર્ણય લે તો શું એ અંધવિશ્વાસ ગણાય? તર્ક સંગત ગણાય?

મિત્રો, અનિર્ણાયકતાની પળોમાં માફિયા કે મહાત્મા ગેબી રસ્તા અપનાવે છે. તેમના જીવનવૃત્તાંતમાં નોંધાયું છે કે ક્યારેક બાપુ ગૂંચવણમાં હોય, શું કરવું તે નક્કી ન થઈ શકતું હોય ત્યારે સત્યના પૂજારી બાપુ ચીઠ્ઠીનો આશ્રય લેતા હતા. બાપુ ચીઠ્ઠીઓ નંખાવતા. મહાદેવભાઈ જેવા કોઈ અંગત માણસ પાસે ચીઠ્ઠી ઉપડાવતા, ચીઠ્ઠીમાં જે આવે તે પ્રમાણે નિર્ણય કરતા. આજે સત્યની ચીઠ્ઠી કહેવાય કે ચીઠ્ઠીનું સત્ય કહેવાય? આમ તો આને પણ બાપુની ઓક્ટોપસવાળી જ કહેવાય.

એ જાણીતી હકીકત છે કે આ ચાર દિનની જિંદગીમાં મહિલાઓ બે દિવસ કયું શાક બનાવવું તેની ચર્ચામાં જ પૂરા કરતી હોય છે. એટલે છગનની પત્નીએ અંગુલિથી નિર્દેશન મેળવવાનું નક્કી કર્યું હતું. છગનની પત્ની તેને આંગળી પકડવાનું કહેતી. છગન પણ સજ્જન, આંગળી કહેતા એ પોંચો નો’તો પકડતો. આંગળી નક્કી કરતી કે કયું શાક આજે ઘરમાં બનશે. ઘણી વાર આ કારણે છગનના ઘરમાં ‘લેડીઝ ફિંગર’ નક્કી કરતી કે આજે ભીંડાનું શાક બનશે.

શું કરવું? કે શું થશે, એ માણસોની શાશ્વત મૂંઝવણ છે અને ઓક્ટોપસ પદ્ધતિ તેનો જવાબ મેળવવાનો શોર્ટકટ ગણાય.

રાજકારણમાં શું થશે કે શું હશે? તે જાણવા ‘સોનિયાગ્રાફી’નો આશરો લે છે. અને ગર્ભમાં શું હશે? તે જાણવા સોનોગ્રાફીનો આશરો લે છે. કે પછી પ્રશ્ન જ્યોતિષનો આશરો પણ લે છે.

‘એક્ઝિટ પોલ’ પણ ચૂંટણીની આગાહી કરતો એક જાતનો ઓક્ટોપસ પોલ જ છે.

‘કાલિયા તેરા ક્યા હોગા?’ એ પ્રશ્ન ફક્ત ગબ્બર જ નહીં આપણા દરેકના મનમાં ઊઠતો જ હોય છે અને એ માટે ચીઠ્ઠીથી માંડી ઓક્ટોપસ દરેકે અજમાવાય છે. આપણી વાર્તાઓમાં હોય છે કે હાથણી કળશ ઢોળે તે ઉપરથી નક્કી થાય કે કોણ રાજા થશે? કે રાજકુંવરી પામશે? હવે ટીવી ચેનલવાળા રાખી સ્વયંવરની જેમ ઓક્ટોપસની મદદથી સ્વયંવર યોજી શકે.

ગૂગલી

‘આળસ શું છે?’

‘કામ કર્યા વગર થાકી જવું’ (SMS)

Sunday, July 18, 2010

પંડિત પોલની જય!

સ્પે ન ફૂટબોલ વર્લ્ડકપ જીતી ગયું. નેધરલેન્ડ હારી ગયું. નેધરલેન્ડવાસીઓ દુઃખી દુઃખી હતા.

‘‘નેધરલેન્ડવાસીઓ સે દુઃખી કૌન હૈ?’’ પૃથ્વી સે ભારી કૌન હે? તેવા અંદાજમાં છગને પૂછયું.

‘‘કોણ છે?’’

‘‘ભારતના રેશનાલિસ્ટો સ્પેનના જીતવાથી નેધરલેન્ડ કરતાં પણ વધુ દુઃખી છે.’’

‘‘એમ કેમ? સ્પેને રેશનાલિસ્ટોનું શું બગાડયું છે?’’

‘‘સ્પેન નહીં પણ પેલા ઓક્ટોપસ પોલે બગાડયું છે, રેશનાલિસ્ટો થનગની રહ્યા હતા કે સ્પેન હારે કે અંધશ્રદ્ધા વિરુદ્ધ નિવેદનો ફટકારવા માંડવાનાં. કેટલાંક રેશનાલિસ્ટો નિવેદનો તૈયાર રાખીને જ બેઠા હતા, જેમ બીમાર નેતાની જીવન ઝરમર કેટલાંક છાપાંવાળા તૈયાર રાખે છે તેમ.”

સ્પેનનો જયજયકાર થયો સાથોસાથ ઓક્ટોપસ પોલની વધુ જયજય થઈ.

ટીવી કવરેજને હિસાબે આપણી ક્રિકેટપ્રેમી જનતા પણ ફૂટબોલ મેચ જોવા માંડી છે. બાકી આપણને તો બારાતી તરીકે પણ આમંત્રણ નથી. ભારતની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પણ યોગ્ય ગણાતી નથી. આ અંગે એક રમૂજ અમારા મિત્ર મહેન્દ્ર જોષીએ મોકલી. પ્રેમિકા એના પ્રેમીને પૂછે છે તું મને કાયમ પ્રેમ કરીશ ને? ત્યારે પ્રેમી નવા અંદાજમાં જવાબ આપે છે. ચાંદ-તારાની સાક્ષીને બદલે કહે છે, “જ્યાં સુધી ભારત ફૂટબોલ વર્લ્ડકપ નહીં જીતે ત્યાં સુધી હું તને પ્રેમ કરતો રહીશ.’’ કાયમ પ્રેમ કરતો રહીશ એ કહેવાનો આ અંદાજ લાજવાબ ગણાય.

ફૂટબોલના મેદાનમાં બોલને પડતી લાતોને જોઈ એક ગીત યાદ આવ્યું, કિશોરકુમારનું ‘ઘુંઘરૂ કી તરહ બજતા હી રહા હૂં મૈં, કભી ઉસ પૈર મેં, કભી ઉસ પૈર મેં...

જિંદગીની કરુણાનો ભોગ બનેલો પણ ગાઈ શકે, ‘ફૂટબોલ કી તરહ પીટાતા હૂં મૈં,

કભી ઈસ પૈર સે કભી ઉસ પૈર સે...’

સમાજની લાતો ખાધેલો માણસ ફૂટબોલમાં પોતાની જાતને જોઈ શકે.

ફાઈનલ ધબાધબીમાં નેધરલેન્ડના એક ખેલાડીએ સ્પેનના ખેલાડીની છાતીમાં લાત ફટકારી હતી. ત્યારે ઘણાંને શ્રીમદ્ ભગવત યાદ આવ્યું હતું. દુર્વાસા મુનિ ફૂટબોલ રમતા ન હતા, પણ તેમણે પણ ભગવાન શ્રીકૃષ્ણની છાતીમાં લાત ફટકારી હતી. સાક્ષાત્ ભગવંત હતા એટલે એમણે દુર્વાસાને કોઈ કાર્ડ બતાવ્યું ન હતું. પણ લાત મારવા જતા તમારા પગને ઈજા નથી થઈને એમ પૂછયું હતું.

ફૂટબોલ રમનારાઓ લવરમૂછિયા કહેવાય તેવા યુવાનો હોય છે. ઉકળાટ વ્યક્ત કરતા વાર ન લાગે. તેમ છતાં રેફરીના યલો કાર્ડ અને રેડ કાર્ડને ભલે કચવાતે મને પણ આદર આપતા હતા. એ લવરમૂછિયા ખેલાડીઓ સાથે આપણા પીઢ નેતાઓ સંસદ અને વિધાનસભામાં કેવા દેકારા કરે છે! કેવી તોડફોડ કરે છે. સંસદના રેફરી જેવા સ્પીકરના આદેશને સાંભળતા જ નથી. આપણે સંસદ અને વિધાનસભાના સ્પીકરને યલો કાર્ડ કે રેડ કાર્ડ આપી રાખવા જોઈએ. ખેલાડીઓ પાસેથી આપણા પીઢ નેતાઓ કંઈ શીખી લેશે?

આપણે વર્લ્ડકપ લેવલ ઉપર રમી નથી શકતા પણ સ્થાનિક ટુર્નામેન્ટ આપણે ત્યાં ચાલતી જ હોય છે. મહિલા ફૂટબોલ મેચ પણ ચાલતી હોય છે. ગોલકીપરને ટૂંકમાં ગોલી પણ કહેવાય છે. છગન કહે છે કે મહિલા ફૂટબોલમાં મહિલા ગોલકિપરને ગોલી કહો તો કેવું લાગે?

આપણે ત્યાં સ્થાનિક કક્ષાએ ફૂટબોલ ઘણો રમાય છે. પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણી ડિપોઝીટ જપ્ત થઈ તેમ કહેવાય એવા નાના દેશો ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. ફૂટબોલ વર્લ્ડકપ યોજનાર ‘ફિફા’નું નામ ભારતમાં જાણીતું થઈ ગયું. આપણે ત્યાં દમ વગરનું કામ કરનાર માટે ફીફાં ખાંડે છે તેમ કહેવાય છે. પણ ફૂટબોલ ક્ષેત્રે ભારત ફીફાં ખાંડે છે તેમ કહી શકાય. અને તેમ છે ત્યાં સુધી આપણી નોંધ નહીં લેવાય.

ઓક્ટોપસ પોલને પૂછવું પડે કે આપણને એન્ટ્રી ક્યારે મળશે?

વાઈડ બોલ

આવતા વર્ષે અંધજન ચલાવી શકે તેવી કાર રસ્તા ઉપર આવી જશે

- સમાચાર.

‘અત્યારે રસ્તા ઉપર અંધજનો જ કાર ચલાવતા હોય તેવું ઘણી વાર લાગે છે.’

Thursday, July 15, 2010

પત્નીથી દાઝેલાઓ...

ગાંધીનગર અને તકલીફોને ઘેરો સંબંધ છે.

પત્નીથી ત્રાસેલા પતિદેવોનું એક મંડળ ગાંધીનગરમાં ચાલે છે.

પત્નીત્રસ્ત પતિદેવોના મંડળનું પણ પાટનગર ગાંધીનગર છે, એટલે કે એ મંડળનું હેડક્વાર્ટર ગાંધીનગર છે.

આ મંડળે ત્રેવીસમી જૂને ઠેર-ઠેર રેલી કાઢી હતી. આ રેલીમાં પત્નીથી ત્રસ્ત થયેલા પતિદેવો જોડાયા હતા. કેટલાંક નેતા જોડાયા પત્નીથી ત્રસ્ત હોવા છતાં, આગળ શું થશે? એવી ચિંતાથી કેટલાંક નેતા આવ્યા તેવું મંડળના સક્રિય કાર્યકરે જણાવ્યું હતું. લગ્ન વિશે કહેવાય છે કે તે એવો લાડુ છે કે જે ખાય તે પસ્તાય ન ખાય તે પણ પસ્તાય. આ રેલી, આ મંડળ લાડુ ખાઈને પસ્તાયેલાઓનું હતું.

એક ગીત છે ‘પરણેલા પુરણ પસ્તાય હવે શું કરીએ રે?’ હવે શું કરીએ રે તેનો જવાબ રેલી કાઢવામાં મળ્યો. સ્ત્રી ઉપર થતા અત્યાચાર માટે કાનૂની વ્યવસ્થા છે. કેટલીક સ્ત્રી સંસ્થાઓ ઝનૂનપૂર્વક સ્ત્રીઓના રક્ષણ માટે લડે છે. પણ આ પત્નીત્રસ્ત મંડળવાળા કહે છે...

પુરુષો માટે કશું નથી. આ મંડળના પ્રમુખનું નામ છે દશરથભાઈ. કમાલ કહેવાય ને. યાદ કરો રામાયણના શ્રી દશરથને, એ દશરથ રાજાએ ત્રણ ત્રણ પત્ની નિભાવી હતી. જ્યારે આ દશરથ એક પત્નીથી વાજ આવી ગયા? અમેરિકામાં અનેક પ્રકારનાં મંડળો ચાલે છે. જાડા લોકોનું મંડળ, પાતળા લોકોનું મંડળ, માંસાહારીનું મંડળ તો શાકાહારીનું મંડળ, પણ પત્નીત્રસ્ત લોકોનું મંડળ નથી. એવું નથી કે અમેરિકામાં પત્નીઓ નથી, અમેરિકામાં પત્નીઓ છે અને તે પતિને ત્રસ્ત કરે છે પણ ખરી, પતિ પત્નીને ત્રસ્ત કરે છે. સમાન અધિકારમાં એ લોકો માનનારા છે. પણ ત્યાં છૂટાછેડા ભરપૂર છે. ન ફાવે એટલે છૂટા. એટલે આવા દશરથભાઈવાળાં મંડળો ત્યાં નથી. સી.એન.એન.ના એન્કર ‘લેરી કીંગ’ - આઠમી વાર છૂટાછેડા લેવા જઈ રહ્યાં છે.

ભોગીલાલ સિંદબાદ કહે છે કે બહુપત્નીત્વથી પત્નીઓના કંકાસ ઉપર અંકુશ રહેતો હતો. પત્નીને ડર રહેતો હતો કે હું ત્રાસ આપીશ તો એ બહાર શાક લેવા જશે ત્યારે શાકની સાથોસાથ શોક્ય પણ લેતા આવશે. રાજાઓની કથામાં પણ આ તત્ત્વ જોઈ શકાય છે. રાજાને સાત રાણી છ માનીતી અને એક અણમાનીતી. કચકચ કરતી પત્ની અણમાનીતી ‘કેટેગરી’માં જતી રહેતી. જેમ પ્રમોશનની લાલચથી લોકો સારું કામ કરે છે તેમ પત્ની પણ ‘ડીમોશન’ અણમાનીતિ થઈ જવાના ભયથી વ્યવસ્થિત રહી શકે. સિંદબાદનું કહેવું છે કે માણસ કાં તો ભય અથવા લાલચથી જ સારું વર્તન કરે છે. આપણે બહુપત્નીત્વ તરફ તો જઈ શકીએ તેમ નથી. પણ સરળ છૂટાછેડા એવી કોઈ યોજના પેલા મંડળવાળાની શાંતિ અર્થે દાખલ કરી શકીએ. અત્યારે દશરથભાઈ અને તેમના સાથીઓની હાલત તલત મહેમૂદે ગાયેલા ગીત જેવી છે. ‘જાયે તો જાયે કહાં?’ ‘સમજેગા કૌન યહાં દર્દ ભરે દિલ કી જૂંબા.’ આ ગીત એકદમ હિટ તેના જમાનામાં થયેલું તેનું કારણ મોટાભાગના લોકોને લાગેલું કે તલતે એમના માટે જ આ ગીત ગાયું છે.

જેમ ‘ચટ મંગની પટ બ્યાહ’ હોય છે, ધોનીએ કર્યું તો એ જ રીતે ‘પટ ડાયવોર્સની સગવડ હોવી જોઈએ.’ કેટલાંક છોકરાંઓ ભણવામાં નિષ્ફળ જાય છે ત્યારે ક્યારેક આપઘાત કરે છે કે ભણવાનું છોડી દે છે. આ સાદો ઉપાય છે? લાઈન બદલી ન શકાય? સ્કૂલ બદલી ન શકાય? આપઘાત એ જ ઉપાય છે? જો પટ ડાયવોર્સ લોકો અપનાવે તો દશરથભાઈનું ‘પત્નીત્રસ્ત પતિદેવોનું મંડળ’ સમેટાઈ જશે.

Sunday, July 11, 2010

છૂટાછેડાની ઉજવણી

“છૂટાછેડાના સમારંભની કંકોતરી હોય?”

“કેમ ન હોય? લગ્નની હોય છે કે નહીં?”

“પણ લગ્નમાં તો આનંદ પ્રગટ થતો હોય છે એટલે કંકોતરી હોય છે.”

“બરોબર, તો છૂટાછેડા થવાથી આનંદ થતો હોય તો કંકોતરી બહાર પડાય કે નહીં?”

“પડાય. જરૂર પડાય. હરખ પ્રગટ થતો હોય તો પ્રગટ કરવાની તક શા માટે ચૂકવી?”

વાત જાપાનની છે. હમણાં જ ત્યાં એક યુગલે છૂટાછેડા લીધા અને તેની ઉજવણી કરી. જાપાન આમ તો રૂઢિચુસ્ત સમાજ કહેવાય. આપણી જેમ, પણ પરિવર્તન બધે જ આવી રહ્યું છે. અમેરિકા ઊંચી ઈમારતોનો દેશ છે. તે મોટી ઈમારતોના દેશમાં લગ્નજીવન સરેરાશ નાનું હોય છે. આપણે ત્યાં ‘આઈટી’વાળા જે ઝડપથી નોકરી બદલે છે તેથી વધુ ઝડપે એ લોકો જીવનસાથી બદલે છે. આપણી સરકાર પણ આર્થિક ક્ષેત્રે અમેરિકા જેવી પ્રગતિ ઇચ્છે છે. તો સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ પછાત રહેવા નથી માગતી એટલે આપણે ત્યાં પણ છૂટાછેડા સરળ થાય તેવા કાનૂન ધીરે ધીરે આવી રહ્યા છે. ‘અમારા સમયમાં આવું કાંઈ ન હતું’ તેવું બોલવાનો એક વધુ મોકો સિનિયર સિટીઝનોને મળશે. (એમાં ઈર્ષાનો ભાવ પણ હોઈ શકે!) હોલિવૂડમાં પણ એક અભિનેત્રીએ તેના ‘ડિવોર્સ’ નિમિત્તે ભવ્ય પાર્ટી આપી હતી. જાપાનની મહિલાએ પણ શાનથી છૂટાછેડા ઉજવ્યા. હિન્દી ફિલ્મનું એક ગીત હતું, ‘જીતે હૈ શાન સે મરતે હૈ શાન સે’ આ જ તર્ક લગ્નજીવનને લાગુ પડે, લગ્ન પણ શાનથી થાય તો છૂટાછેડા પણ શાનથી થાય. લગ્નમાં તમે સરસ કપડાં, ઠાઠ-ઠઠારાથી જઈ શકો છો તેમ છૂટાછેડામાં પણ જઈ શકાય. કોઈના બેસણામાં તમે ઠઠારો ન કરી શકો. બેસણામાં જવા માટે બ્યુટીપાર્લરમાં થઈને ન જવાય, પણ છૂટાછેડા જે આમ જોવા જાવ તો લગ્નનું ઉઠમણું કહી શકાય પણ તેમાં તમે જરૂર ઠઠારો કરી શકો. બેસણાં-ઉઠમણાંમાં આયોજકો દુઃખી હોય છે. ઉદાસ હોય છે. અથવા કમ સે કમ દુઃખી છે, તેવી છાપ પાડવા પ્રયાસ કરે છે, પણ છૂટાછેડામાં તે મેળવનાર આનંદિત હોય છે. આપણે તેના આનંદના સહભાગી થવાનું છે, એટલે થ્રી-પીસ શૂટ પહેરીને જઈ શકાય.

હવે આ સામાજિક પરિવર્તન આગળ વધશે ત્યારે છૂટાછેડાના સમારંભો થશે, પાર્ટીપ્લોટ બુક થશે, કેટરિંગ એજન્ટોની સેવા લેવાશે. ઘણા દરજીઓ ‘મેરેજ સૂટ’ની જાહેરાત કરતા હોય છે. હવે એ લોકો ‘ડિવોર્સ સૂટ’ની પણ જાહેરાત કરશે. આપણે ત્યાં શબને પણ નવાં વસ્ત્ર પહેરાવવામાં આવે છે તો લગ્નજીવનની અંતિમ વિધિમાં પણ નવાં વસ્ત્રનું મહત્ત્વ હોઈ શકે.

છૂટાછેડા વધતાં આર્થિક ક્ષેત્રે, વ્યાપારી ક્ષેત્રે નવી છટાઓ જોવા મળશે. અત્યારે લગ્નની કંકોતરીઓની દુકાનો જોવા મળે છે તેમ છૂટાછેડાની શાનદાર કંકોતરીઓ વેચનારાઓ પણ બજારમાં આવશે. લગ્નની કંકોતરીમાં મથાળે શુભ-લાભ છપાયેલું હોય છે. છૂટાછેડામાં ‘હાશ છૂટયા’ એવું છપાયેલું જોવા મળે શકે.

હજી આપણા મલકમાં છૂટાછેડાનું ચલણ થયું નથી. કોઈ વ્રતમાં કુમારિકાઓ જમાડવાની હોય છે. એ તો મળી રહે. કોઈ વ્રતમાં પરિણીતાઓ જમાડવાની હોય. બાર તેર જેટલી સંખ્યામાં જોઈતી હોય તે મળી રહે પણ ધારો કે કોઈ નવું વ્રત આવ્યું જેમાં દસ છૂટાછેડાવાળીને જમાડવાની છે તો આજની તારીખે તે શક્ય નથી, પણ એ દિશામાં જે ગતિએ પ્રગતિ થઈ રહી છે તે જોતાં ભવિષ્યમાં છૂટાછેડા લેનારીઓને જમાડવી હશે તો તકલીફ નહીં પડે. હવે છૂટાછેડાવાળાને પણ ‘રિસ્પેક્ટ’ મળે છે. આપણાં જાણીતાં અંગ્રેજી કોલમિસ્ટ શોભા ડે. જેને તમે કોલમિકા કહી શકો. એણે ચાર વાર લગ્ન કર્યાં છે. પહેલાં ભારતમાં પુરુષો અનેક વાર લગ્ન કરતા હતા ત્યારે ‘ચોથી ચોક પૂરે’ એમ કહેવાતું મતલબ કે ચોથી પત્ની ન્યાલ કરે. આ શોભા ડે માનતાં હશે કે આવી પુરુષપ્રધાન કહેવતનો સામનો કરવો જોઈએ એટલે ‘ચોથો વર યમન કરાવે’ એવી કંઈક કહેવત ‘કોઈન’ કરવા એમણે ચાર વાર લગ્ન કર્યાં હશે. પણ ટૂંકમાં એમણે નવી કહેવત આપવા સાથે છૂટાછેડાનો મહિમા કર્યો છે.

હવે પછી છૂટાછેડાનાં મુહૂર્તો, છૂટાછેડાની રીત-રસમોનો વિકાસ થશે, લગ્નમાં કન્યા વિદાય થતી. આમાં વર-કન્યા છુટકારાનો સમય નક્કી કરી, બંને જણાં બેન્ડના તાલે તાલે સ્વજનો સાથે નાચતાં નાચતાં વિદાય લેશે. ભલું થયું ભાંગી જંજાળ જેવું ભજનગીત પણ વાગતું હશે. કે નુસરત ફતેહઅલીની કવ્વાલી ‘મેરે બાદ કીસ કો સતાઓગે તૂમ’ પણ વગાડી શકાય.

લગ્ન એ ભેગા થવાનો આનંદ છે, તો છૂટાછેડા છૂટા થવાનો આનંદ છે. ‘જો તાલ્લુક બોજ બન જાયે ઉસે છોડના અચ્છા’ તેવી મતલબનું શાયરે કહ્યું જ છે.
જવાનીમાં પાડેલું પરસેવાનું દરેક ટીપું ઘડપણમાં તમને આંસુનું ટીપું પાડતા બચાવશે. - એક મિત્રનો એસએમએસ

Wednesday, July 7, 2010

પિતા અને સાજ

‘લાલાને કે.જી.માં દાખલ કરવાનો છે... જઈ આવજો’ લાલાની માતાએ લાલાના પિતાશ્રી સુનિલને કહ્યું.

સુનિલ દોડતો થઈ ગયો, લાલાના એડમિશન માટે - ડોનેશનની વ્યવસ્થા કરવાની હતી. પી.એફ. જેને ભવિષ્યનિધિ કહેવામાં આવે છે. તે ભવિષ્યનિધિમાંથી લાલાનું વર્તમાન સુધારવા માટે પૈસા ઉપાડયા. અને લાલાએ સ્કૂલગમન કર્યું.

વાત યાદ આવી ગઈ. આ છાપાના જ એક પત્રકારમિત્રે લખ્યું હતું કે કથાઓમાં કહેવાય છે કે ‘મા તે મા બાકી બધા વગડાના વા’ પણ એ લોકો એમ કેમ નથી કહેતા કે ‘બાપ એ બાપ, બાકી બધા વગડાના સાપ’ પત્રકારમિત્રની વાત સો ટચની છે. કવિઓ, લેખકો બધા જ મા એ મા ની રેકોર્ડ વગાડે છે, બાપની કોઈ વિસાત નથી. સુનિલે લાલાના એડમિશન માટે ડોનેશન આપવા પી.એફ.ની લોન લીધી એની કોઈ વાત નહીં થાય. આ સમાજે આ વિશે ઢગલાબંધ કહેવતોનો ઢગલો કરી દીધો છે. બાપ વિશે કોઈ કહેવત યાદ કરવાનો પ્રયાસ કર્યો તે એક યાદ આવી ‘ગરજે ગધેડાને પણ બાપ કહેવો’ બાપને યાદ કર્યો તો ગધેડા સાથે જ, બાપને ગધેડા બનાવવાની જ વાત છે ને! છગન ‘ગરજે ગધેડા...’વાળી કહેવતમાં ઉમેરણ કરે છે છે કે ગરજ પતી ગઈ હોય તો બાપને પણ ગધેડો કહેવો. ‘બાગબાન’ ફિલ્મ જોનારાઓ એ વાત મંજૂર રાખશે.

કહેવાય છે કે શરૃમાં ફક્ત ‘મધર્સ ડે’ જ ઉજવાતો ત્યાર પછી ઘણાં વર્ષે ‘ફાધર્સ ડે’ની શરૃઆત થઈ. જમતા વધેલું ક્યારેક બીજાને આપવામાં આવે છે ને તેમ.

લાલાના જન્મની વાત કરીએ તો પુત્રજન્મ થયો છે તેવી જાણ થતા સગાં-સ્નેહી, મિત્રો બધાએ સુનિલ પાસે પેંડાની માગણી કરી. બાપ બનવાની ખુશીમાં સુનીલ પેંડા લઈ આવ્યો. બીજા દિવસથી રોજ હોસ્પિટલના દોડા શરૃ કર્યા ટિફિન લઈને. થોડા દિવસમાં ડોક્ટરને કંઈક ગરબડ લાગી કે બાળકોના ડોક્ટર તરફ સુનીલે દોડાદોડ કરી.

ડોક્ટરે એક છાપેલી યાદી આપી. કઈ કઈ રસી ક્યારે લાલાને મુકાવાની. ક્યારેક પોલિયો પીવરાવવાનો.આ બધા માટે પિતા સુનિલે જ દોડાદોડી કરેલી. પછી દવાવાળાની દુકાનના આંટા શરૃ થઈ ગયા. ડોક્ટરે લાલા માટે લખેલી દવાઓ તો લાવવી પડે ને! સુનીલે જાણે પગમાં પૈડાં નંખાવ્યાં હતાં, અમીર બાપ કા દિલ હૈ.

લાલો થોડોક મોટો થયો કે લાલાની માતાએ ફરમાઈશ કરી હતી. આ બાબતે દરેક માતાઓ જાણે ઝૂમરીતલૈયામાં જન્મી હોય છે. સતત ફરમાઈશ કરતી જ હોય. ‘લાલા માટે સરસ સરસ કપડાં લઈ આવજો.’ સુનીલ સરસ સરસ કપડાં અને લાઈટવાળાં બૂટ લઈ આવ્યો. સુનીલના હૃદયમાં બાપનો હરખ હતો. માની મમતાની વાત કરતા કવિઓ, બાપની બાપતા વિશે કેમ કશું લખતા નથી! કે.જી.થી માંડી કોલેજ સુધીના લાલાના એડમિશનને એક મિશન સમજી સુનીલે દોડાદોડી કરી હતી.

લાલાની મા ગરમાગરમ રસોઈ પીરસતી, પણ તે માટે લાલાના બાપા ગરમ ગરમ સડકો ઉપર દોડાદોડી કરતા.

‘લાલાને સારી કોલેજ - સારી લાઈન અપાવજો’ માતાએ ઈચ્છા જાહેર કરી ‘અક્કરમીની જીભ અને અક્કરમીના ટાંટિયા’ કહેવત છે ને. સુનિલ લાલા માટે દોડતો રહ્યો. તેની કોલેજની ફી, ચોપડીઓ, કેન્ટીન બધાના ખર્ચા માટે સુનીલે પાછું વળીને જોયું નહીં. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ એવું લખનાર જનકની કામગીરી વિશે ચૂપ રહ્યા. ‘કામ કરે જનક, જશ ખાય જનની’ એવી જમાનાની તાસીર છે.

લાલાની ભણતર પછી તેની નોકરી માટે સુનીલે અનેક જગ્યાએ ઓળખાણ પીછાણ માટે ટાંટિયાની કઢી કરી. આવા કંઈક લાલાઓ માટે કંઈક બાપાઓ નાના-મોટા ભોગ આપતા હોય છે. પણ સમાજ આને જ મહત્ત્વ આપે છે.

શાયરની વાત યાદ આવે છે :

‘જો તાર સે નીકલી વો ધૂન સબને સૂની હૈ’

‘જો સાજ પે ગૂજરી વો કીસને દેખા હૈ’

મા સંગીત છે, બાપ સાજ છે.

ગૂગલી

‘સત્ય અને અસત્ય વચ્ચે અંતર?’

‘૨૫ કિલોમીટર, ગાંધીઆશ્રમથી ગાંધીનગર વિધાનસભા’ (મિત્રનો SMS)