Tuesday, October 26, 2010

બાપનો મારતલ

કંસ અને કોર્પોરેટર એવું શીર્ષક બની શકે તેવી ઘટના છે. કંસને કહેવામાં આવ્યું હતું કે દેવકીનું આઠમું સંતાન તેનો વધ કરશે. અત્યારની સ્થાનિક સંસ્થાઓની નિયમાવલિના કારણે ત્રીજું સંતાન તેના પિતાના સ્થાનનો વધ કરે છે. કોર્પોરેટર થવું હોય તો બેથી વધુ સંતાન તમને ન હોવા જોઈએ. ભલે તમે પચાસ હજાર માણસોના પ્રતિનિધિ હો પણ તમારે બેથી વધુ સંતાન ન ચાલે. શાહજહાંની મશહૂર બેગમ (વન ઓફ ધ વાઈફ્ ઓફ શાહજહાં) મુમતાઝને ચૌદ સંતાન હતાં. એ ભલે રાજરાણી હતી, પણ આજે તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર ન બની શકે. સિંદબાદ કહે છે કે મુસ્લિમ બિરાદરોની કુંડળીમાં સંતાન યોગ પ્રબળ હોય છે. એક સ્થાનિક ટૂર કંપનીના ડ્રાઈવર સૈયદભાઈને અગિયાર બાળકો હતાં. એમની સાથે તાજમહાલ જોતા જોતા એક પ્રવાસીએ ટકોર કરેલી કે ‘સૈયદભાઈ તમે શાહજહાં કરતાં થોડાક જ પાછળ ગણાવ.’ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસના ચાલીસ કોર્પોરેટમાંથી અઢાર મુસ્લિમ છે. સાફ છે કે તેઓને બેથી વધુ બાળકો નહીં હોય. આ એ સમાજની પ્રગતિ ગણી હરખાવું જોઈએ.

ઇતિહાસના એક કાળમાં બાપને મારી દીકરો ગાદીએ આવતો. હવેના સમયમાં દીકરાને ગાદી નથી મળતી, પણ તેના કારણે બાપને ગાદી ગુમાવવી પડે છે. આ કળિયુગમાં ત્રીજું સંતાન બાપનો હત્યારો બને છે. અલબત્ત, તેમની ખુરશીની હત્યા. ‘પણ બિના ખુરશી જીના ક્યા, જીના હૈ?’

આ નિયમના કારણે અજીબોગરીબ ઘટના બને છે. થોડાક વખત પહેલાં એક ભાજપી નેતાને ઘેર ત્રીજા સંતાનનો જન્મ થયો કે કોંગ્રેસે પેંડા વહેંચ્યા હતા. આ ત્રીજા સંતાને તેના પિતાની નગરપાલિકાના પ્રમુખપદની ખુરશીને ખતરામાં મૂકી દીધી હતી. તેનો આનંદ તેમણે પેંડા વહેંચી પ્રગટ કર્યો હતો.

અત્યારે ભાજપના જ બે કોર્પોરેટ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેમની ખુરશી ગુમાવવાની તૈયારીમાં છે, એમના સંતાનને કારણે. આ માસૂમ બાળકોને ખબર પણ નથી કે તેમના કારણે પિતાની ખુરશી જઈ રહી છે.

મિત્રો, આ નિયમના કારણે આપણને ભવિષ્યમાં લાલુ પ્રસાદ નહીં મળે. લાલુ પ્રસાદ યાદવને નવ બાળકો છે. વિચાર કરો લાલુ પ્રસાદ વિના રાજકારણ કેટલું સૂનું લાગે?

આપણે ત્યાં અષ્ટપુત્ર માતા ભવ. આઠ પુત્રની માતા થવાનો આશીર્વાદ અપાય છે. આ નિયમ પ્રમાણે આ આશીર્વાદ હવે શ્રાપ બની રહ્યો છે. આમ જોવા જાવ તો આ નિયમ આપણી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે તેમ ગણી શકાય. તે અંગે કેમ કોઈ રીટ કોઈ રીટપ્રેમીએ કરી નથી તે સમજાતું નથી? કેટલાક લોકો રીટપ્રેમી હોય છે. મોકો મળે કે એકાદ રીટ ફટકારી દે. કાંકરિયાની ‘એન્ટ્રી ફી’ માટે લોકોએ રીટ ફટકારી છે. પણ ત્રીજા સંતાનથી થતી ‘એક્ઝીટ’ માટે કેમ તેમણે રીટ નથી કરી?

એ ત્રીજા બાળકને હાલરડું નાખતા વિતાવે કહ્યું પણ હશે કે, ‘તમે મારા દેવના દીધેલ છો.’ હવે એક કડી ઉમેરી શકાય ‘તમે મારી ખુરશીમાં મારતલ છો’. વધુ પત્ની રાખવાની આઝાદી તો ગઈ, હવે વધુ બાળકો મેળવવાની આઝાદી પણ જઈ રહી છે. જાગો... જનતા જાગો..

ગૂગલી

જીવન કરતાં વધુ સંતોષ છે બેફામ મૃત્યુમાં

હતાં મોટાં મકાનો એમને નાની મઝારો છે.

- બરકત વિરાણી

No comments: