Thursday, August 19, 2010

ભિખારીઓનું ‘ચલો દિલ્હી’

કોમનવેલ્થ ગેઈમે દરબારી સાહેબની બાજી ફીટાઉંસ કરી નાંખી. એને તમે ‘એન્કાઉન્ટર’ પણ કહી શકો. સરકારી અધિકારીઓને એ લોકો માણસ નહીં ગણતા હોય એટલે આ પ્રકારનાં ‘એન્કાઉન્ટર’ માં માનવઅધિકાર સંસ્થાઓ પડતી નથી.

હવે ‘કોમનવેલ્થ રમત’માં એક નવો સવાલ ઉમેરાયો છે.

એ છે ભિખારીઓનો. જેમ કુંભમેળાનું આયોજન થતા અનેક બાવાઓ વસ્ત્રવિહીન અને વસ્ત્રવાળા હરદ્વારમાં ઉમટી પડે છે તેમ કોમનવેલ્થ ગેઇમ જેવા પ્રસંગે ભિખારીઓ ઉમટી પડે છે. સુપ્રીમે ચીમકી આપી કે આ ભિખારીઓનું કંઈક કરજો એટલે દિલ્હી સરકારે ભિખારીઓને પકડવાનું શરૃ કર્યું છે. દેશનાં વિવિધ રાજ્યોના ભિખારીઓએ જાણે નારો લગાવ્યો છે ‘ચલો દિલ્હી’. અને દિલ્હી સરકાર ‘ક્વીટ દિલ્હી’ના સૂત્ર સાથે સામે પડી છે.

અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન કાયમ ગાયો પકડે છે(!) રખડતાં કૂતરાં પણ પકડે છે.કદાચ કૂતરાં હમણાં નહીં પકડતા હોય, કારણ કે થોડા સમય પહેલાં પ્રાણીઓ સામે ક્રૂરતા વિરોધ કરનાર એક સંસ્થા કૂતરાં પકડવાના સાણસા લઈને ભાગી ગઈ છે. હવે કૂતરાં કે સાણસા લઈ ભાગી જનાર કોઈ આરોપી સાણસામાં આવતા નથી. કહેવાનું એટલે કે કોર્પોરેશન ગાય-કૂતરા પકડવાની યોજનાઓ બનાવે છે, પણ રસ્તા ઉપર રખડતી ગાયોની સંખ્યા વધતી જ જાય છે. ચેનલવાળાની ભાષામાં કહું તો... આ ગાયો રસ્તા ઉપર જે પોદળા મૂકી. નિર્મળ ગુજરાતની ધજિયા ઉડાડી રહી છે. એ જ રીતે ભિખારીઓને નિયંત્રિત કરવાની કાનૂની જોગવાઈ છે, પણ તેની ગતિ પણ ગાય-કૂતરાંના ત્રાસ નિવારણ કાનૂન જેવી જ છે. દેશનાં અનેક રાજ્યોના ભિખારીઓ દિલ્હી તરફ જઈ રહ્યા છે, કારણ કે ભારતીય રેલવે આપણી રેલવે એ આપણી રેલવે છે. આપણી રેલવેમાં આપણે ટિકિટ લેવાની હોય? રસ્તા ઉપર રખડતી ગાય જેમ દરેક રસ્તા ઉપર મળી આવે તેમ દરેક ટ્રેઈનમાં ભિખારીઓ મળે જ મળે.

અપ-ડાઉન કરતા મિત્રો આ જાણે છે. એક ભિખારીએ મિત્રને કહ્યું, ‘કેમ છે સાહેબ?’ ત્યારે સાથે ઊભેલા બીજા મિત્રને નવાઈ લાગી. ‘આ ભિખારીને તું ઓળખે છે’, ત્યારે ભિખારીએ ચોખવટ કરેલી. ‘આ સાહેબ સાથે હું પણ દિલ્હી-મેઈલમાં અપડાઉન કરતો હતો - એસ-ટુ, એસ-થ્રી ડબ્બામાં’.

ભિખારીઓ ભલે ભારતની શાન ન હોય, પણ ભારતની સંસ્કૃતિનો ભાગ તો છે જ, દિલ્હી મેઈલમાં ભિખારી ગાતો હતો ‘કરતા હું મૈં જો, તૂમ ભી કરો જી’ છગન પૂછે છે. આ ભિખારી આપણને કહે છે હું જે કરું છું તે તમે પણ કરો, એટલે કે તમે પણ ભીખ માગો!ળખેર એ તો ભીખ માગતા માગતા કંઈક ‘રિટર્ન’ આપવાની ભાવનાથી સંગીત પીરસે છે. એસ્બેટોસની પટ્ટીઓથી રીધમ આપતા આપતા આ ભિખારીઓ આમ તો લલિતકલાના પ્રચારક ગણાય.

દિલ્હી સરકારની ભિખારી વિરુદ્ધ ઝૂંબેશથી નારાજ એક ભિખારી કહેતો હતો, ‘કમ સે કમ નેતાઓએ તો ભિખારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, આખરે એક જ પેશાના માણસ ગણાય, અમે કરીએ છીએ તે એ લોકો ચૂંટણી વખતે કરતાં જ હોય છે. એ લોકો પણ ત્યારે ‘દે-દે - બાબા--દે...દે’ કરતા જ હોય છે. આ તબક્કે યાદ આવે છે કે આપણી ફિલ્મોએ પણ અમર ભીખગીતો આપ્યાં છે. ‘ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે’ ‘તૂં એક પૈસા દેગા, વો દસ લાખ દેગા,’ આવાં ઘણાં ગીતો છે. ભલેને ભિખારીઓ પરદેશથી આ રમતમેળામાં આવતા લોકો સામે ગાય... ‘આ આનેવાલે.. બાબુ...’

ગૂગલી
શક્ય છે કોમનવેલ્થ ગેમ્સમાં માગી ભીખીને એકાદ મેડલ ભિખારીઓ પણ લઈ આવે.

No comments: