Wednesday, September 22, 2010

વાંચે ગુજરાત - વેચે ગુજરાત

વાંચે ગુજરાતના અભિયાનમાં ઉત્સાહી એક બાળ લેખકે એક નવતર પ્રયોગ કર્યો.. બગીચાની ડાળીઓ ઉપર પુસ્તકો લટકાવ્યાં. બાળકો લટકતાં પુસ્તકો વાંચશે તેવી આશા હતી. પણ બાળકો માટે કહેવાયું છે કે એ તો વડના વાંદરા ઉતારે તેવાં હોય છે. ઝાડ ઉપરનાં પુસ્તકોની શી વિસાત? પ્રેરણાદાયી ડાળીઓ ઉપર લટકાતાં જોઈ બાળકોને પ્રેરણા મળી કે આ પુસ્તકો ‘ફળદાયી’ છે. એટલે કે એને પસ્તીમાં વેચીને ફળ ખરીદી શકાય. બાળકોએ પ્રેરણાદાયી પુસ્તકોને વેચી માર્યાં. આમાં તો એમને વકરો એટલો નફો જ હતો. લેખકને વાંચે ગુજરાત (પુસ્તકો)ની અપેક્ષા હતી. પણ એમના ટારગેટ ગ્રુપ’ બાળકોએ એનો ઉપયોગ ‘વેચે ગુજરાત’ તરીકે કર્યો એ બાળકો વાંચક ન બન્યાં પણ વેચાણકર્તા બન્યાં. આમ તો વૃક્ષો છાંયડો આપે પણ બાળ લેખકને સંતાપ આપ્યો.

(બાળ લેખક એટલે બાળકો માટે લખતા વૃદ્ધ લેખકો એમ સમજવો)

વાત નીકળી ત્યારે વાત થઈ. અમારા વિસ્તારમાં બૂટ-ચંપલની સાત-આઠ દુકાનો છે પણ પુસ્તકો વેચતી એક પણ નથી. એ અંગે મારા એક હાસ્યકાર મિત્રે કહ્યું એટલે તો આપણે ‘વાંચે ગુજરાત’ની ચળવળ કરવી પડે છે. બૂટ-ચંપલવાળાને ‘પહેરે ગુજરાત’ની ચળવળ નથી કરવી પડતી.

કોઈકે કહ્યું અત્યારે ગુજરાતમાં ‘ચાવે ગુજરાત’ ચાલે છે. ગુજરાતીઓ વાંચતા નથી. વાંચવાના શોખીન નથી પણ ચાવવાના શોખીન છે. દશેરાના દિવસે જોઈ લેજો ગુજરાતીઓ કરોડો રૃપિયાના ફાફડા - જલેબી ચાવી જશે. પણ લાખ્ખો રૃપિયાનાં પુસ્તકો વાંચે તે અપેક્ષિત નથી.

ગૂગલી

એક તરફ ફાફડા
બીજી તરફ ખમણ - ઢોકળાં. એમાં પુસ્તકો ક્યાં આવ્યાં?
જય જય ગરવી ગુજરાત

No comments: