Tuesday, September 14, 2010

કેટલાંક બનાવો લોકોને પ્રોત્સાહન આપતા હોય છે. યાદ હશે, એક આધેડ સ્ત્રીએ લગ્ન કર્યું, બલકે પુનઃ લગ્ન કર્યું. વનમાં પ્રવેશેલી તે મહિલાએ વનવાસ છોડી ઘરવાસ પસંદ કર્યો. છાપાની ભાષામાં કહું તો આ બનાવના મિશ્ર પ્રત્યાઘાત પડયા. કેટલાક ખુશ થયા, કેટલાક નાખુશ થયા.

એક વૃદ્ધને આમાંથી પ્રેરણા મળી. આ રસ્તે જવાય તેવું છે કેડી પડી ગઈ છે. તેણે કોઈકને પૂછયું સલાહ મળી કે ચોગઠાં ગોઠવી આપનાર સંસ્થાઓ હોય છે. વૃદ્ધજન તે ઓફિસે ગયા, ત્રીજે માળ હતી. ગોઠણ ઉપર હાથ રાખી દાદરા ચડી ગયા, જઈને ખુરશીમાં બેસી ગયા. બલકે બેસી પડયા. સંચાલકે પાણી મંગાવ્યું. ‘‘વડીલ, તમે શું કામ ધક્કો ખાધો, પુત્ર કે પુત્રી જે ઉમેદવાર હોય તેને મોકલી આપવાં હતાં ને!’’

‘‘ઉમેદવાર? ઉમેદવાર હું જ છું.’’

સાંભળીને સંચાલક હક્કા બક્કા થઈ ગયા, પાણી લઈ આવેલા નોકર પાસેથી બીજો ગ્લાસ ગટગટાવી ગયા અને પછી ઉમેદવારની વિગત માગી.

‘‘જો ભાઈ, વિગત તો હું આપીશ, પણ જો તમે વૃદ્ધોને માટે સહાય કરતા હો તો પહેલાં આ ઓફિસ ત્રીજે માળથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈ જાવ, વૃદ્ધોને આટલા દાદરા ચડ-ઊતર કરવાનું ન ફાવે ભાઈ.”

સાંભળ્યા પ્રમાણે હવે ‘મેરેજ બ્યૂરો’ એમની જાહેરાતમાં છપાવા માંડયા છે કે વૃદ્ધોને તકલીફ ન પડે માટે ખાસ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ રાખી છે, અને લગ્ન પછી તકલીફ ન પડે તે માટે શુભેચ્છા આપશું.

વૃદ્ધ મહિલા અને વૃદ્ધ પુરુષે કરેલાં લગ્નથી નારાજ થયેલા લોકોને કહેવાનું કે આપણે ત્યાં લગ્ન માટે લઘુતમ ઉંમર નક્કી છે. એથી ઓછી ઉંમર હોય તો કાનૂનસર ન ગણાય. પણ વધુમાં વધુ કોઈ ઉંમર નથી ઠરાવી. માણસ પચ્ચાસ, પંચોતેર ચાહે તે ઉંમરે લગ્ન કરી શકે. કાનૂન તેમાં વાંધો ન લે. બાળલગ્નો અમાન્ય છે. વૃદ્ધલગ્નો અમાન્ય નથી. પહેલાંના વખતમાં બાળલગ્નો થતાં. એમાંથી રમૂજ પણ થતી. આપણાં પ્રસિદ્ધ વાર્તાકાર ઉજમશી પરમાર અજાણતા જ પરણી ગયેલા. મતલબ કે એમના બાળલગ્ન થઈ ગયાં હતાં. ઉજમશીએ કહ્યું કે ‘‘એક વાર હું મારા સાસરે ગયો ત્યારે મારી પત્ની ઘોડિયામાં સૂતી હતી. હું પણ બાળક જ હતો. એક વડીલે મજાકમાં ઘોડિયાની દોરી મને પકડાવી દીધી. એ રીતે મારી પત્નીને ઘોડિયામાં મેં ઝુલાવી પણ હતી.’’ જે કર ઝુલાવે પારણું. આ કિસ્સામાં અલગ સંદર્ભમાં જોઈ શકાય.

હવે બાળલગ્નો ભુલાવાં માંડયાં છે. તેની સામે વૃદ્ધાવસ્થાનાં લગ્નો પ્રકાશમાં આવી રહ્યાં છે. એક વૃદ્ધાએ લગ્ન કર્યાં, કારણ કે તેનો પુત્ર તેની દેખભાળ રાખતો ન હતો. પુત્રોની જવાબદારી અંગે એક વડીલ કહેતા હતા. ‘‘મા-બાપને જીવતા પાળવાનાં અને મૂવા બાળવાનાં’’ પણ આ કિસ્સામાં વૃદ્ધ માતા જેને પુત્ર ડોશી કહેતો હતો તેને જીવતા જ બાળતો હતો. એ ડોશીને બળતરા સહન થતી ન હતી. પુત્ર કુપુત્ર થયો હતો. એટલે માતાએ પણ કુમાતા થવાનું નક્કી કર્યું. ‘‘હું પરણું, અને તને નમાયો કરું.” ડોશીએ મુરતિયાની શોધ આરંભી દીધી. એના લિસ્ટમાં અઢાર જણ આવી ગયા. પરણું તો પરણું પણ કોને પરણું? એણે અઢાર લગ્નઇચ્છુકની પરીક્ષા લેવા માંડી છેલ્લે એક વૃદ્ધને પસંદ કરી લીધો. એના છોકરાને કેટલાંક સગાંવહાલાંએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ડોશી પરણવા મક્કમ હતાં. તે પરણી ગયાં. છોકરો અકળાઈને બોલ્યો ‘ડોશી કે’દાડાની પૈણું પૈણું કરતી હતી.’ એણે છોકરાને ચેતવણી તો આપેલી જ કે સારી રીતે નહીં રાખે તો પરણીને જતી રહેશે.

વૃદ્ધ મહિલાનાં લગ્ન થયાં. એમાં સૌથી વધુ આનંદ ચેનલવાળાઓને થયો. આ પ્રકારની શાદીમાં ચેનવલાળા દીવાના થાય છે. કોઈ બાળક ‘બોર’માં પડે કે કોઈ વૃદ્ધ લગ્ન કરે (સંસાર સાગરમાં પડે) તો તેમના માટે ગરમાગરમ આઈટમ છે.કેટલાક જીજ્ઞાસુઓ પૂછે છે વૃદ્ધાનાં લગ્નમાં તેમનો પુત્ર હાજર રહ્યો

હશે? કન્યાવિદાય - મતલબ કે વૃદ્ધાવિદાય કોણે આપી હશે? ચેનલવાળાઓએ આના જવાબો પણ શોધવા જોઈએ...

No comments: