Saturday, December 25, 2010

અબ કુત્તે પે સત્તા... આયા

સરવે આધુનિક સમયનો એક મોટો વ્યવસાય થઈ ગયો છે. એક સરવે પ્રમાણે આપણા પ્રિય નગર અમદાવાદ યાને કે કર્ણાવતીમાં અઢી લાખ કૂતરાં છે. છગનના અંદાજ મુજબ અમદાવાદમાં કુટુંબદીઠ બે રઝળતાં કૂતરાં છે, સત્તાધીશોએ આંખ લાલ કરી છે. આ લાલચોળ આંખ રઝળતાં કૂતરાં સામે છે.

હવે કૂતરાંઓનું આવી બનશે, તેવું કેટલાક માની રહ્યા છે. કેટલાક નથી પણ માનતા. કોર્પોરેશનના સત્તાવાળા કૂતરાંઓ ઉપર બગડયા છે. આ નગરની સ્થાપના માટે કહેવાયું છે કે ‘જબ કુત્તે પર સસ્સા આયા’ હવે અવળીગંગા થઈ છે. અબ કુત્તે પર સત્તા એટલે કે સત્તાધીશ આવ્યા છે. સત્તાવાળા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અમલદારોને લાગ્યું છે કે, પાણી સર સે ઉપર આ ગયા હૈ, રિવરફ્રન્ટમાં નહીં પણ કૂતરાંઓના ત્રાસની બાબતે. અમલદારોને તેમ લાગ્યું, શક્ય છે કે તેમના કોઈ કુટુંબીજનને કૂતરું કરડયું હોય. એ બાબતે અમલદારનાં પત્ની ઉશ્કેરાયાં હોય, ‘આ તમારો કેવો રેઢિયાળ વહીવટ છે મારા ભાઈને કૂતરું કરડી ગયું’ એવું વડચકું અમલદાર પત્નીએ ભર્યું હોય. ‘તારો ભાઈ તો એ જ લાગનો છે. અમારા ઘરમાં કૂતરાં છોડી ગયા છે તેનું કાંઈ નહીં!’ આવો જવાબ અમલદારે વિચાર્યો હશે પણ આપ્યો નહીં હોય અને આદર્શ પતિની જેમ પત્નીને આશ્વાસન આપતાં કહ્યું હશે, “શહેરમાં રઝળતાં કૂતરાંઓનો હું સરવે કરાવીશ પછી જોઈ લેજે એ કૂતરાંઓને એમની છઠ્ઠી યાદ કરાવી દઈશ.” સરવે કરાવવામાં આવ્યો અને જાહેર થયું શહેરમાં અઢી લાખ કૂતરાં છે. જોકે આ સર્વે જે રીતે કરવામાં આવ્યો છે તે પણ એક ગમ્મત છે. શહેરના અમુક વિસ્તારમાં કૂતરાંઓની ગણતરી કરી તેના આધારે બાકીના વિસ્તારમાં પણ એટલાં જ કૂતરાં હશે તેમ ગણતરી કરી અંદાજ મૂકી દેવામાં આવ્યો છે. અમારા મિત્ર સતપાલસિંહને બેન્કમાંથી નોટનું બંડલ આપવામાં આવ્યું અને કહ્યું ગણી લેજો બરાબર છે ને! સતપાલે અડધું બંડલ ગણીને કહ્યું બરોબર છે. કેશિયરે કહ્યું, “પૂરા ગણી લ્યો ને” “નહીં નહીં, ઈધર તક બરોબર હૈ તો આગે ભી ઠીક હી હોગા.” એમ કહી પૈસા ખિસ્સાંમાં મૂક્યા. સતપાલ થિયરી પ્રમાણે આ કૂતરાંઓની સંખ્યાની ગણતરી કરવામાં આવી છે. હવે કોર્પોરેશને કૂતરા સામે યુદ્ધ છેડવાનું બ્યુગલ વગાડી દીધું છે. કૂતરાઓને નગરની ધરતી ઉપરથી નાબૂદ કરવાની ઇચ્છા પ્રગટ કરી છે. ઇતિહાસ કહે છે કે ભગવાન પરશુરામના અથાગ પ્રયત્નો (૨૧ વાર) છતાં પૃથ્વી ઉપરથી ક્ષત્રિય નાબૂદ થયા ન હતા, તેમ મેયરશ્રી પરશુરામ અવતાર ધારણ કરે તો પણ અમદાવાદ કૂતરાં વગરનું થવાનું નથી. એક લોબી જે પ્રાણી પર અત્યાચારનો વિરોધ કરે છે તે કૂતરાંઓને બચાવવા સક્રિય છે. ઘણા પંડિતોને નવાઈ લાગે છે કે કૂતરાઓને મત આપવાનો અધિકાર નથી, છતાં શા માટે તેનું તુષ્ટિકરણ કરવામાં આવે છે!

શ્વાનોના ત્રાસની નાબૂદીની જાહેરાતને ઘણાં લોકો ‘આજની જોક’ ગણે છે. એ મિત્રોને દૃઢ શ્રદ્ધા છે કે કૂતરાંઓનો વાળ વાંકો નહીં થાય (અને પૂંછડી સીધી નહીં થાય) પણ હવે તો મેયરશ્રીએ લાલ આંખ કરી છે ત્યારે તો પરિણામ આવશે ને!

પેલા શ્રદ્ધાળુઓ સ્મિત કરતાં કહે છે, “આતંકવાદીઓ ધડાકા કરે છે ત્યારે પ્રધાનમંત્રી લાલ આંખ કરે જ છે ને! તેમજ સફેદ દાઢી સાથે લાલ આંખનું ‘કોન્ટ્રાસ્ટ મેચિંગ’ ત્યારે સારું લાગે છે. એટલું જ, ગૃહમંત્રીશ્રી પણ ઉગ્ર ચેતવણી આપે છે છતાં એક ધડાકો કર્યા પછી ત્રાસવાદીઓ વેકેશનમાંથી પરત આવી બીજો ધડાકો કરે જ છે. એ પ્રથા પ્રમાણે કૂતરાંઓ પણ તેમની કામગીરી કર્યા કરશે, ભસશે, કરડશે, ચોર દેખાશે તો સૂઈ જશે. પ્રાણીરક્ષાનાં કાર્યકરો છે ત્યાં સુધી કૂતરાંઓની પૂંછડી પણ સીધી કરી શકવાના નથી. સમજો કે નહીં?’

વાઈડ બોલ

અહીં માપપટ્ટી બધાંની અલગ છે. અને આપણે રોજ સાબિત થવાનું.

- ગૌરાંગ ઠાકર

No comments: