Tuesday, June 29, 2010

ઓ કૂત્તે કે રખવાલે...

પૌરાણિક કાળમાં યુધિષ્ઠિર મહારાજે શ્વાનના હક માટે લડત છેડી હતી. શ્વાન માટે તે સ્વર્ગને ઠુકરાવવા તૈયાર થયા હતા. ત્યારે પણ ભગવાને સંભવામિ યુગે યુગે જેવું વચન આપેલું. પરિત્રાણય શ્વાનમ્ એવું કંઈક એમણે કહેલું. આજે લીસા વોર્ડન કરીને એક મહિલા શ્વાનોના રક્ષણ માટે લડત છેડી રહ્યાં છે. તેમના વ્યવહાર પરથી લાગે છે કે આ લીસા વોર્ડન તેમના પતિ માટે નહીં પણ શ્વાનો માટે કૂતરા માટે કહી રહ્યાં છે કે ‘મુઝે તૂમસે પ્યારા ઔર ન કોઈ’ તેઓ કૂતરાઓના રક્ષણ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. અમદાવાદની શેરીઓ અને સોસાયટીઓમાં કૂતરાઓ રાત્રે સપ્તક જેવું સંગીત સંમેલન યોજતા હોય છે. એક બાજુ એક કૂતરું ઊંચી ડોક કરી સૂર લગાવે, કે થોડી જ વારમાં સામી બાજુએથી તેનો પ્રતિસાદ બીજું કોઈ કુતરું કરુણ અવાજે આપે અને જૂગલબંદી રાતભર ચાલે. રહીશોની ઊંઘ હરામ થઈ જાયે.

દિવસે નાનાં છોકરાંઓ શેરીમાં રમતા ડરે કે પેલું કાળિયું કૂતરું કરડશે તો? શ્વાનના ત્રાસથી માણસો ઊંઘી શકતા નથી ત્યારે કોર્પોરેશન જાગી ઊઠે છે અને કૂતરાને પકડવાની કામગીરી શરૃ કરે છે. જેમ સાયલોક જેવા વ્યાજખોર ધિરાણ લેનારને સાણસામાં લે તેમ કૂતરાને પકડવા માટે કોર્પોરેશનના માણસો પણ સાણસા લઈ મેદાને પડે છે.

થોડાક ખેલ નખાય છે પણ જેમ ટ્રાફિક સમસ્યાનો હલ મળતો નથી તેમ અમદાવાદમાં રખડતાં ગાય-કૂતરાના પ્રશ્ને પણ ઉકેલ મળતો નથી.

કોર્પોરેશનના માણસો સાણસા લઈ સોસાયટીમાં દોડાદોડી કરે, કૂતરાઓ પણ આમતેમ દોડાદોડી કરે પણ સાણસામાં આવે નહીં.

કૂતરાઓએ તેમને પડતી પરેશાનીથી ત્રસ્ત થઈ ભગવાનને પ્રાર્થના કરી. હે પ્રભુ, માણસોને જ બચાવવા તમે સંભવામિ યૂગે યૂગે કહ્યું હતું પણ અમારું જરા વિચારો. ત્યારે પ્રભુએ પરિત્રાણાય્ શ્વાનમ્... કોઈ દૂતને મોકલવાનું નક્કી કર્યું. લીસા વોર્ડન એ રીતે શ્વાનોનાં તારણહાર તરીકે પ્રગટ થયાં છે. એ બહેનનો જુસ્સો ઝાંસી કી-રાણી જેવો છે. જેમ માનવહક માટે માનવઅધિકાર પંચ છે. જે સજ્જન કે ગૂંડા બધા માણસોના હક માટે લડે છે તેમ લીસાબહેન પ્રાણી અધિકારપંચનાં અધિષ્ઠાતા છે. તેમનો નિર્ધાર છે કૂતરાઓનું રક્ષણ. જેમ વાંસ ન હોય તો વાંસળી પણ ન રહે. તે તર્ક પ્રમાણે કૂતરાને પકડવાના સાણસા નહીં હોય તો કૂતરા પણ નિર્ભય રીતે ફરી શકશે. એમ માની લીસાબહેન કોર્પોરેશનની કચેરીમાંથી સાણસાઓ ઉપાડી ગયા છે. હવે કોર્પોરેશનવાળા લીસાબહેનને પકડી શકાય તેવા સાણસાની તલાશમાં છે. તેમની ઉપર ફોજદારી દાવાઓ ફટકારી દેવામાં આવ્યા છે. લીસાબહેનનો માર્ગ કઠિન છે. દસ કરોડનો માનહાનિનો દાવો પણ તેમની ઉપર થયો છે. કૂતરાઓ માટે લીસાબહેન બરબાદ થવા તૈયાર છે. કૂતરાઓ માટે તે આશા છે. છગન કહેતો હતો કે કૂતરાઓથી બચવા, કરડી ન જાય માટે પહેલા હું લાકડી રાખતો હતો. હવે મેં લીસાબહેનનો ફોટો રાખ્યો છે. કૂતરાને બતાવું કે તુરંત જ પૂંછડી પટપટાવા માંડે છે. એને ખબર છે કે આ બેદર્દ જમાનામાં તેમની ફિકર આ બહેન કરી રહ્યાં છે. કોર્પોરેશનવાળાએ તેમની સામે પોલીસકેસ કરી દીધો છે. પણ અન્ય ગુનેગારોની જેમ, આપણી પ્રણાલિકા પ્રમાણે લીસા વોર્ડન પણ દેશ છોડીને જતાં રહ્યાં છે. કોર્પોરેશનને મળે તો કદાચ સાણસા પાછા મળે...

ગૂગલી

શાહરૃખ - અક્ષયે એકબીજાને મોંઘીદાટ ઘડિયાળો ભેટ આપી - સમાચાર.

શું સમય આવ્યો છે!

Saturday, June 26, 2010

એન્ડરસનેઅર્જુન લૂંટીયો...

ભો પાલ ગેસકાંડથી પીડિત કોઈ સૌથી વધુ હોય તો એ છે અર્જુનસિંહ. ગેસકાંડથી પીડિત લોકોને સરકાર સહાય કરી રહી છે, પણ શ્રીમાન અર્જુનસિંહને તેનો કોઈ લાભ મળે તેમ નથી. બલ્કે તેમની પીડા દિન-પ્રતિદિન વધી રહી છે.

ગેસકાંડના સૌથી મોટા અપરાધી એન્ડરસનને આ દેશમાંથી જતા રહેવાની સગવડ આપવાનો આરોપ અર્જુનસિંહ ઉપર છે.

અત્યારે સુનીલ ગવાસ્કરની કોમેન્ટ યાદ આવે છે.

ગવાસ્કરના બેટની જેમ જ પેન પણ જોરદાર ચાલે છે. તેણે ગુજરાતી ક્રિકેટર દિલીપ દોશી ઉપર તીખી કોમેન્ટ કરેલી.

આ દિલીપ દોશી સુનીલનો મિત્ર, અને માર્શલીન જે સુનીલની પત્ની બની એ બેનો મેળાપ દિલીપે કરાવી આપ્યો હતો. અથવા એટલે જ દિલીપની ફિલ્ડિંગ ઉપરે સુનિલે વ્યંગ કરતાં લખ્યું હતું કે બાઉન્ડરી તરફ જતા બોલને દિલીપે રોકવાને બદલે તેના વળાવિયા તરીકે કામ કર્યું હતું. (હી એસ્કોર્ટેડ બોલ) માનનીય અર્જુનસિંહે પણ એન્ડરસનને પકડવાને બદલે એના વળાવિયા તરીકે કામ કર્યું. હી એસ્કોર્ટેડ એન્ડરસન! દિલીપે બોલને બાઉન્ડરી બહાર જવાની મદદ કરી હતી તેમ અર્જુનસિંહે એન્ડરસનને સરહદ પાર કરવાની સગવડ આપી. અને સૈંયા બંૈયા છુડાવીને જતા રહ્યા. હવે તે મામલો બહાર આવ્યો છે. ફિલ્મ ‘રાજનીતિ’નો એક સંવાદ યાદ આવે છે, ‘રાજનીતિમાં મુરદા દાટી દેવામાં નથી આવતા, સાચવી રાખવામાં આવે છે. રાજનીતિમાં મુરદા પણ વખત આવે બોલે છે...’

અત્યારે ભોપાલકાંડના મુરદા બોલવા માંડયા છે. સિંદબાદ કહે છે ‘એન્ડરસન કાબો ગણાય..’ કારણ જણાવતા કહે છે એન્ડરસને અર્જુન લૂંટીયો...

અત્યારે અર્જુનસિંહ મીનાકુમારી બની ગયા છે. મીનાકુમારી એક ફિલ્મમાં (મૈં ચૂપ રહૂંગી?) ગમે તે થાય પણ કશું બોલતી જ નથી અર્જુનસિંહ પણ મૈં ચૂપ રહૂંગા કહે છે. બોલે તે બે ખાય, આમાં બોલે તો માર ખાય તેવી સ્થિતિ છે. સવાલ છે કે શું એન્ડરસન કેટલાક લોકોની કારકિર્દીનો એન્ડ લાવી દેશે?

આટલો મોટો ગુનો કર્યા પછી એન્ડરસન દેશ છોડીને ગયો, પૂરી શાનથી ગયો હતો. તે વખતના ભોપાલના એસ.પી. પુરી સાહેબ પૂરા અદબથી જાતે ગાડી ચલાવીને તેને એરપોર્ટ લઈ ગયા હતા.

આનો છેડો હવે રાજીવ ગાંધી સુધી પહોંચ્યો છે. જાણકારો પૂછે છે. આશિષ નહેરા બોલિંગ કરવા જાય અને ધોનીને ખબર જ ન હોય એવું બને ખરું?

રેલો હાઈકમાન્ડ તરફ જતો જોઈ પ્રણવ મુખરજી કહે છે એન્ડરસનને જવા દેવા પાછળ લોકકલ્યાણનો હેતુ હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ જરૂરી હતું. નહિંતર તોફાન વધી જાત.

કાયદો વ્યવસ્થા જાળવવા, વધુ સ્થિતિ બગડે નહીં તે માટે ગુનેગારને છોડી દેવા જરૂરી લાગે એ થિયરી આગળ ચાલે તો?

અફઝલ ગુરુને ફાંસી અપાય તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, તેમ શાસન જાહેર કરે તો શું? આવી નીતિ આડકતરી તો જાહેર કરી જ છે. તો એન્ડરસનની જેમ જ ભાઈ અફઝલ ગુરુને વાજતેગાજતે વાઘા બોર્ડર સુધી પુરીસાહેબ જેવા કોઈ ઉચ્ચ અધિકારી ડ્રાઈવ કરી લઈ જાય. એન્ડરસન વિદાયની જેમ અફઝલ વિદાયનું નાટક પણ જોવા મળે. પ્રણવ મુખરજીએ કહ્યું તેમ આપણે કાયદો અને વ્યવસ્થાનો વિચાર પણ કરવો પડે ને! ભોપાલના કિસ્સાના કારણે જ કદાચ ભોપાળું શબ્દ ચલણમાં આવ્યો

હશે?

વાઈડ બોલ

સોળ જૂનના છાપામાં બે સમાચાર હતા.

એક - ઉચ્ચ પોલીસ અધિકારીને કોર્ટે જામીનનો ઈન્કાર કર્યો.
બીજા - આતંકવાદના આરોપી ભટકલને કોર્ટે જામીન આપ્યા.

Sunday, June 20, 2010

કેટરીનાનું જેઠવટું

અવળીગંગા - નિરંજન ત્રિવેદી

શીર્ષક તમને કદાચ કોઈ ન્યૂ-વેવ ગુજરાતી ફિલ્મ જેવું લાગશે, પણ વાત છે ફિલ્મ ‘રાજનીતિ’ની. રાજનીતિ રમ્યા નથી પણ જોઈએ તો ખરા. પ્રચાર અને વખાણથી ખેંચાઈ અમે અમુક ‘મલ્ટિપ્લેક્સ’ ઉપર પહોંચ્યા. ‘સિક્યોરિટીવાળાએ રોક્યા. અમે ખોટી બાજુથી પ્રવેશ લઈ રહ્યા હતા.

‘ક્યાં જવું છે?’ સિક્યોરિટીવાળાએ પૂછયું. થિયેટર તરફ આંગળી ચીંધી અમે કહ્યું, ‘રાજનીતિ’ તુરંત તેણે કહ્યું, ‘તમે ખોટે રસ્તે છો, પણ જઈ શકો છો.’ મને લાગે છે કે સિક્યોરિટીવાળાને લાગતું હશે કે રાજનીતિ માટે તો બધા રસ્તા સહી જ ગણાય, ભલે ને આ માણસ ખોટે રસ્તે રાજનીતિમાં જાય - બધું જ ચાલે. એવરીથિંગ ઇઝ ફેર ઇન રાજનીતિ. અમે નિષેધવાળા રસ્તેથી ‘રાજનીતિ’માં દાખલ થઈ ગયા. ફિલ્મનાં ટાઇટલ્સ શરૃ થયાં. તેમાં પણ રાજનીતિ દેખાઈ આવી.તમે ટાઇટલ્સ વાંચી ન જાવ એટલી ઝડપથી ટાઇટલ્સ આવી જતાં હતાં.

ફિલ્મની નાયિકા કેટરીના કૈફને પણ રાજનીતિનો કેફ હતો. તે લાલ લાઈટવાળી ગાડીની ખેવના રાખતી હતી. તે રણબીર કપૂરના ગળાડૂબ પ્રેમમાં હતી, પણ લગ્ન રણબીર સાથે નહિ, તેના મોટાભાઈ સાથે કરે છે. રાજનીતિનો એ તકાજો હતો, માટે તેમ તે કરે છે. કેટલીક કોમોમાં દિયરવટુંનો રિવાજ છે. અહીંયાં કેટરીના પ્રેમીના મોટાભાઈ સાથે લગ્ન કરે છે. જેને આપણે ‘જેઠવટું’ કહી શકીએ.

આ ફિલ્મનો બીજો મોટો કલાકાર અજય દેવગન છે. એ પણ ફિલ્મમાં ‘ગન’ ચલાવે રાખે છે. છાપામાં વાંચ્યું હશે કે અજય દેવગન પણ નરેન્દ્ર મોદી સાથે સ્નેહસંબંધ વિકસાવી રહ્યો છે. આ અજયના પિતા વીરુ દેવગન ફિલ્મોમાં ફાઈટ માસ્ટર હતા. પણ અજયે જોયું હશે કે મોદીજીએ તો એકલે હાથે અંદર-બહારના બધાને ફાઈટ આપી છે. એટલે તે ઈમ્પ્રેસ થઈ ગયો હશે. હવે તે ગુજરાતમાં સોલર-પાવર હાઉસ ઊભું કરવાનો છે. એણે મોદીજીને પૂછયું ‘તમે રાજનીતિ જોયું?’ અજય ભોળો છો. મોદીજીએ રાજનીતિ જોવાની ન હોય...!

ફિલ્મમાં કેટરીનાનો પિતા મોટો ઉદ્યોગપતિ છે. તે લગ્નને સંસ્કાર નથી માનતો પણ સગવડ માને છે. એણે નક્કી કરેલું કે વૂડ બી ચીફ મિનિસ્ટર (સંભવિત મુખ્યપ્રધાન)ને મારી દીકરી પરણશે એ રણબીર કપૂર હોય કે અર્જુન રામપાલ હોય અને ગણિત પ્રમાણે તે દીકરીને અર્જુન રામપાલ સાથે પરણાવે છે. કનૈયાલાલ મુનશીએ લખેલા એક પૌરાણિક નાટકમાં સંવાદ છે કે ‘ઈન્દ્રાણી ઈન્દ્રને નથી પરણતી પણ ઈન્દ્રાસનને પરણે છે, જે કોઈ ઈન્દ્રાસન ઉપર બેસે તેનો ઈન્દ્રાણી ઉપર અધિકાર રહેશે.’ કેટરીનાના પિતાએ આ નાટક વાંચીને પચાવ્યું હશે એટલે તે સ્પષ્ટ કહે છે. મારી દીકરીનો પતિ કેવળ મુખ્યમંત્રી જ હોઈ શકે. ફિલ્મનો પ્રતિનાયક અજય દેવગણ, આમ તો રાજ્યનો કબડ્ડી ચેમ્પિયન છે, પણ તે રાજકારણમાં આવી જાય છે. કબડ્ડીમાં સામેવાળાના પગ ખેંચવાની આવડત જરૃરી છે. જે રાજકારણમાં ઘણી ઉપયોગી નીવડે, એ જાણી કબડ્ડી ચેમ્પિયન અજય રાજકારણમાં કૂદી પડે છે.

કેટરીના એના પ્રેમીને રસ્તામાં જ આંતરીને ‘કિસ’ કરે છે. અને જાહેર કરે છે તેની પાસે ‘લાઇસન્સ ટુ કિસ’ છે. જેમ્સ બોન્ડની ફિલ્મોમાં ‘લાઇસન્સ ટુ કિલ’ની વાત આવે છે. જોકે આ ફિલ્મમાં પણ લાઇસન્સ ટુ કિલ હોય તેમ ઢગલાબંધ લાશો ઢાળવામાં આવે છે.

ફિલ્મમાં ‘રાજનીતિ’નો એક મુખ્ય સંદેશ છે કે રાજકારણમાં નીતિ ન ચાલી શકે. આ ફિલ્મમાં કેટલાકને અત્યારના અમુક રાજનેતાઓ દેખાય, તો કેટલાકને મહાભારતની છાયા દેખાય.

સિંદબાદ કહે છે કે હાલના રાજકારણમાં કોઈ નીતિ નામની મહિલા કદાચ ચાલી જાય પણ નીતિ આદર્શ તરીકે, પોલિસી તરીકે ન ચાલે. નેતાનાં ભાષણોમાં નીતિની વાતો ઠીક છે. નસીરુદ્દીન શાહ એ જ વાત તેના પાંચ-દસ મિનિટના રોલમાં કહી જાય છે.

રાજનીતિ ફિલ્મમાં મુસ્લિમ વોટબેન્કનો ઉલ્લેખ પણ છે. (ભાજપશાસિત રાજ્યોમાં તેને કરમાફીની સગવડ મળશે?)

સિંદબાદ કહે છે કે ભાગલા પડયા ત્યારે કહેવામાં આવેલું કે હવે રાજકારણમાંથી કોમવાદની અસર મટી જશે. પાકિસ્તાનમાં તે બન્યું. ત્યાં હિંદુ વોટબેન્કનું રાજકારણ ખેલાતું નથી. આપણે ત્યાં ડબલ જોરથી ચાલુ થયું! આનો ઉલ્લેખ ફિલ્મમાં આડકતરો છે.

કેટરીનાને લાલ લાઈટવાળી ગાડી પામવી હતી. બગાસું ખાતાં તેના મોઢામાં આકસ્મિક રીતે મુખ્યમંત્રી પદનું પતાસું આવી જાય છે. તે કંકુ ગુમાવે છે, પણ લાલ લાઈટવાળી ગાડી પામે છે.

ફિલ્મનો સાર છે કે રાજનીતિમાં બેલેટ નહીં પણ બૂલેટ અને બોમ્બબ્લાસ્ટ સત્તા પામવાનું સાધન બની જાય છે. જય હો ભારત ભાગ્ય વિધાતા...

વાઈડ બોલ

પહેલી રાત, અને આખરી રાતમાં તફાવત શું?

પહેલી રાતે તમે ફૂલ ઉપર સૂતા હો, આખરી રાતે ફૂલ તમારી ઉપર હોય...

Tuesday, June 15, 2010

પારસીયત

‘બો સ, નોબેલિટીનું ગુજરાતી શું થાય?’ છગને પ્રશ્ન કર્યો.

‘છગન નોબેલિટીનું હું ગુજરાતી ભાષાંતર કરીશ જે તને શબ્દકોષમાં પણ નહીં મળે.’

‘બોસ, શબ્દકોષમાં પણ ન હોય તેવો ખોટો ખોટો અર્થ મારે નથી જાણવો.’

હું જ્ઞાનીપુરુષના રોલમાં આવીને બોલ્યો ‘વત્સ, ભલે તે શબ્દકોષમાં ન હોય પણ તે અર્થ સાચો જ નહીં વધુ સાચો હશે...’

‘પ્રભુ મારા કાન એ અર્થ જાણવા આતુર છે, મને જલદી કહો’ પૂરા શિષ્યભાવે છગને કહ્યું.

‘નોબેલિટીનું ગુજરાતી ભાષાંતર કરવું હોય તો કહેવાય પારસીયત, એટલે કે પારસીપણું, પારસી વર્તણૂક.’

‘ખરેખર?’

‘હા, એ સમજવા માટે છગન તારે ૨૬/૧૧, છવ્વીસ અગિયાર યાદ કરવી પડે...’

‘જે દિવસે આતંકવાદીઓએ મુંબઈ ઉપર ત્રાટક્યા હતા એ જ ને?’

‘હા, ત્યારે હોટેલ તાજમાં ભયંકર આતંક મચ્યો હતો. આગ્રાનો તાજમહાલ સ્થાપત્ય કલાનો નમૂનો દુનિયાને દેખાડે છે. ૨૬/૧૧ પછી હોટેલ તાજ માનવતાની ઉદાત્ત સરવાણીની સાક્ષી આપે છે.’

‘એ કઈ રીતે?’

‘આગ્રાનો તાજ આંખને ઠારે, પણ મુંબઈની તાજની વાત દિલને ઠારે છે. તાજ હોટલના ચેરમેન રતન ટાટાએ આતંકના ભોગ બનેલા માટે કરેલી કામગીરી ક્યારેય ન ભૂલાય.’

‘એમણે શું કર્યું?’

‘છવ્વીસ-અગિયાર આતંકમાં હોટલના લગભગ એંસી કર્મચારીઓ અસર પામ્યા હતા. એ તમામ માટે ટાટાએ ટ્રસ્ટ ઊભું કર્યું અને ઉદાર સહાયનો ધોધ છૂટયો.

‘જેમ કે?’

‘છેતાળીસ બાળકો, જેઓના વાલી/પિતા આતંકનો ભોગ બન્યા હતા, તે તમામ બાળકોના તમામ ભણતરનો ખર્ચ જીવનભર ટાટા ઉઠાવશે.’

‘કહેવું પડે...’

‘જે લોકો માર્યા ગયા તે તમામના કુટુંબને જીવનભર ઘેર બેઠા પગાર મળે તેવી વ્યવસ્થા કરી, એટલે કે કોઈ કર્મચારી ત્રીસ વર્ષનો હોય ને આતંકનો ભોગ બન્યો હોય તો સાઠ વર્ષની નોકરી ગણી દર માસે તેને ઘેર પગાર પહોંચે છે. એટલે કે બાકીના ત્રીસ વર્ષ કુટુંબને પગાર મળ્યા કરશે.’

આતંકનો ભોગ બનેલાના કુટુંબને જીવનભર મેડિકલનો ખર્ચ મળ્યા કરશે.

‘ગજબ કહેવાય.’



‘અને જે કર્મચારીઓએ લોન કંપનીમાંથી લીધી હોય તે તમામ વ્યાજ સાથે માફ કરી દીધી. લઈ જવાની સગવડ આપી અને પંચ-તારક હોટલમાં ત્રણ અઠવાડિયાં સુધી રાખ્યા.’

આ સિવાય ટાટાએ જે હોટલના કર્મચારી ન હતા પણ આતંકનો ભોગ બન્યા હતા તેના કુટુંબીજનોને છ માસ સુધી દર મહિને રૃ. દસ હજાર મોકલ્યા. જેમાં રેલવે, પોલિસ સ્ટાફ અને પાંઉભાજીની લારીવાળો પણ આવી ગયા.

આતંકવાદીની ગોળી, એક ફેરિયાની પૌત્રીને વાગી હતી. તેને બચાવવા લાખ્ખો રૃપિયા ટાટા ટ્રસ્ટે આપ્યા.

હોટલ તાજ આતંકના કારણે લાંબો સમય બંધ રહી ત્યારે પણ તમામ કર્મચારીઓને ઘેર પગાર મનીઓર્ડરથી મોકલી આપ્યો.

સૈકાઓ પહેલાં આતંકવાદનો ભોગ બની પારસીઓ ઈરાનથી, ભારત બલ્કે ગુજરાત આવ્યા હતા. આતંકવાદની બળતરા એમનાથી વધુ કોણ સમજી શકે? ટાટાએ કહ્યું હતું કે ગુજરાતમાં જે રોકાણ નથી કરતો તે ઈડિયટ છે. સૈકાઓ પહેલાં પારસીઓ ગુજરાત સ્થાયી થયા, કારણ કે તે ઈડિયટ ન હતા. રતન ટાટાએ કર્મચારીઓને અને આતંકનો ભોગ બનેલા માટે જે ઝિંદાદિલી બતાવી તે જોઈ સિંદબાદ કહે છે... ‘તુઝ મેં રબ દિખતા હૈ...’ ખરેખર આ જ ઈશ્વરનું કાર્ય છે...

વાત છે બાજી ફીટાઉંસની

આ કોલમના ‘બાજી ફીટાઉંસ’ નામ અંગે ઘણા પૂછપરછ કરે છે. આનો અર્થ શું એવું કેટલાક પૂછે છે.

બાજી ફીટાઉંસ શબ્દ પત્તાંની રમતનો છે. પત્તાંની રમતમાં બીજી અનુકૂળ ન આવે ત્યારે કેટલાક રમનારા બાજી ફીટાઉંસ જાહેર કરી દે છે. બાજી ફીટાઉંસ કરનાર નાનાં બાળકો જ હોય, પણ આ બાળક જ્યારે મોટા માણસમાં દેખાય છે ત્યારે ‘બાજી ફીટાઉંસ’ જોવા મળે છે. બાજી ફીટાઉંસ આપણા સર્વેમાં સુખી માનસમાં જોડાયેલું છે. કોઈ સરસ જણાતા છોકરા સાથે પુત્રીનો વિવાહ થાય, માતા-પિતા ખુશ થાય, અચાનક છોકરાનાં માતા-પિતાને બીજે તક મળે કે છોકરીનો વિવાહ પેલા લોકો તોડી નાંખે- આ બાજી ફીટાઉંસની રમતનો જ ભાગ. આપણા સૌના મનમાં બાજી ફીટાઉંસનું ‘એબીમેન’ છે જ ક્યારેક તે સરફેસ ઉપર આવી જાય. હુકમનાં પત્તાં ન આવે એટલે બાજી ફેંકી દેવાની! પણ સમાજમાં ઘણા માણસો ફાયદો ન દેખાય ત્યારે બાજી ફીટાઉંસ કરી નાખે છે.

રાજકારણમાં બાજી ફીટાઉંસની એક ‘ખાસ તરહ’ જોવા મળે છે. કેટલાંક વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં બસપા અને ભાજપની મિશ્ર સરકાર સત્તા ઉપર આવી હતી. નક્કી થયું કે વારાફરતી બંને પક્ષના મુખ્યપ્રધાનો બને. પહેલા બસપાના મુખ્યપ્રધાન બન્યા, પછી વારો આવ્યો બીજેપીનો. બીજેપીના ઉમેદવાર કલ્યાણસિંહે નવાં ચૂડીદાર કપડાં સિવડાવી રાખેલાં. ભાજપાના મુખ્યપ્રધાનના રાજ્યરોહણની તૈયારી હતી. ત્યાં માયાવતીજીમાં કૈકેયી પ્રગટ થયાં. બીજેપીનો રાજ્યાભિષેક અટકી ગયો. માયાવતીજીએ ‘બાજી ફીટાઉંસ’ જાહેર કરી દીધી. કર્ણાટકમાં પણ ‘યહી કલકી પુરાની કહાની દૂબારા છેડાઈ.’ ઊંઘણશી દેવગૌડાના પક્ષ સાથેની સમજૂતી પ્રમાણે, એક વાર તેમનો પક્ષ શાસન કરે પછી ભાજપ શાસન કરે. પહેલી ‘બેટિંગ’ દેવગૌડાના પક્ષે કરી. બેટિંગ ‘પીચ’નો લાભ મેળવી તેમણે રન કરી લીધા અને જેવો ભાજપનો વારો આવ્યો કે દેવગૌડાએ ‘બાજી ફીટાઉંસ’ કરી દીધી. ગુજરાતમાં પણ ચીમનભાઈ પટેલે ભાજપના ખભાના સહારે શાસન મેળવ્યું, પણ વખત આવે ‘બાજી ફીટાઉંસ’ જાહેર કરી દીધી. અનેક વાર સાથીપક્ષોની માત થતા બીજેપીને સિંદબાદ એસ.ડી.પી. કહે છે. સદા ડફોળ બનતો પક્ષ.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના ટેકાથી મુખ્યપ્રધાન બનેલા. ‘ટનાટન’ મુખ્યપ્રધાન બનેલા. (ટનાટન શંકરસિંહનો પ્રિય શબ્દ છે.) પણ કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીએ કેસરિયા કર્યા. જાહેર કર્યું વાઘેલા હો યા બાઘેલા ઉસકો જાન હી પડેગા અને ટેકો પાછો ખેંચી લીધો, બાજી ફીટાઉંસ થઈ ગઈ.

પાકિસ્તાનના ચાલુ પ્રવાસે અકળાઈ ગયેલી ઈંગ્લેન્ડની ટીમે બાજી ફીટાઉંસ જાહેર કરી દીધેલી અને ચાલુ સિરીઝે વતન પરત ફરી ગયેલા. શિક્ષણપ્રથાના કારણે બાજી ફીટાઉંસના કેસ વધી ગયા છે. રાજા બેટા ડોક્ટર બનેગા એવું માનતા મા-બાપને કારણે રાજા બેટાના મગજ ઉપર ટેન્શન વધી જાય છે. ત્યારે અમુક કિસ્સામાં એ આત્મહત્યા કરી લે છે. આ વિદ્યાર્થીની બાજી ફીટાઉંસ છે.

લગ્નજીવનમાં ‘નથી રમતા જા’ કહી ઘણાં યુગલો લગ્નજીવનનો અંત લાવી દે છે. આને છોકરી કે છોકરાએ જાહેર કરેલ ‘બાજી ફીટાઉંસ’ છે.

જીવનમાં તક છે, તકલીફ પણ છે એ સાથે બાજી ફીટાઉંસનો ખેલ પણ છે.

ગૂગલી

કેટલાક શાણા લોકો હસતા નથી, કેમ કે તેઓ જાણે છે કે એમ કરવાથી તેમની ખામીઓ છતી થઈ જશે.

- એમર્સન અમેરિકન ચિંતક

Saturday, June 12, 2010

થાનેદાર કા સાલા

જગતમાં થાણેદારો છે અને થાણેદારોને સાળાઓ પણ હોય છે. બસ તમારે થાણેદારના સાળાઓને સાચવી લેવાના. આમાં જ સમજદારી છે. કેટલાંક વર્ષો પહેલાં આવેલી ફિલ્મમાં કવિએ ગીત મારફત સલાહ આપેલી. બુટા જમાદારે આરોપીને ઝીણવટથી જોયો ત્યારે ખ્યાલ આવ્યો, ‘હાય રે રામ ક્યા કર બેઠા ગોટાલા, એ તો હૈ થાનેદાર કા સાલાઅ!’ ધરપકડ કરી હતી તે શખ્સ કોઈ નહીં પણ થાણેદારનો સાળો હતો. કવિની પંક્તિમાં જમાદારનો અફસોસ જણાઈ આવે છે. આવડી મોટી કાયનાતમાં કોઈ નહીં અને થાણેદારનો સાળો જ હાથમાં આવ્યો?

હમણાં જ આપણી પ્રિય નગરી અમદાવાદમાં જ આ પ્રકારની ઘટના બની ગઈ. એક ટ્રાફિક કોન્સ્ટેબલે એક યુવાનને પકડયો, ઊભો રાખ્યો, ટ્રાફિકના ગુનાની જાણ કરી ‘‘ભાઈસાબ, લાલ લાઈટ થઈ ગઈ હતી, છતાં તમે બાઈક સાથે દોડી ગયા, આ કાનૂની અપરાધ છે, જેને કાનૂની પરિભાષામાં જમ્પિંગ ઓફ સિગ્નલ કહે છે.’’

અલબત્ત, અહીંયાં લખ્યું છે તેવી સાદી ભાષામાં પોલીસે નહીં કહ્યું હોય. અને એવી ભાષા પોલીસને શોભે પણ નહીં ને! એટલે શક્ય છે કે પોલીસે તેને શોભે તેવી કરડાકી રીતે યુવાનને કહ્યું હશે, ‘‘અરે ડફોળ, તેરે બાપ કી સડક હૈ! અંધા હૈ ક્યા? લાલ લાઈટ દિખાઈ નહીં દેતી ક્યા?’’ આવું કંઈ અથવા કદાચ વધુ ખરાબ ભાષામાં કહ્યું હશે. પેલા યુવાને પણ અક્કડ બતાવી. તેણે પોલીસ કોન્સ્ટેબલનો ઉધડો લેવા માંડયો. ‘‘શું સમજે છે? ઓ કોન્સ્ટેબલ! ખબર છે હું કોણ છું? તારી વરદી ઊતરી જશે!’’

કોન્સ્ટેબલ વિચારમાં પડી ગયા. વરદી ઉતારવાની ધમકી આપનાર આ દુઃશાસન કોણ હશે? પણ હાથમાં પેન પકડી લીધી હતી હાથમાં ડાયરી પણ હતી. હવે પારોઠનાં પગલાં કેમ ભરાય! કોન્સ્ટેબલ હરિસિંહનું રાજપૂતી ખમીર જાગ્યું. ‘‘અરે ઓ લબરમૂછિયા, મારી વરદી ઉતારવાની વાત કરે છે! લાવ તારું લાઇસન્સ.’’ જાણે કે કાલિયનાગ બાલકૃષ્ણ પાસે ગેડી દડા રમવાનું લાઇસન્સ માગતો હોય એવો રોષ લબરમૂછિયાના ચહેરા ઉપર આવી ગયો. એણે કહ્યું, ‘‘કોન્સ્ટેબલ જોયા જેવી થશે, છાનામાના પેનને મ્યાન કરી દો.’’

હરિસિંહ પણ ઝનૂનમાં હતા. એમણે યુવાનના હાથમાં મેમો પકડાવી દીધો.

બે જ કલાકમાં હરિસિંહનો મોબાઈલ રણક્યો, ‘‘જમાદાર, ટ્રાફિક પોઈન્ટ ઉપર જ રહેજો હું આવું છું.’’

‘‘આપ કોણ?’’

‘‘હું પોલીસ ઓફિસર ઝાલા બોલું છું.’’

હરિસિંહ મૂંઝાયા, શું થયું હશે? અને હવે શું થવાનું હશે?

થોડી જ વારમાં જીપમાં ઝાલા પ્રગટ થયા - હરિસિંહે પ્રણાલિકા મુજબ સેલ્યૂટ મારી.

સાહેબ લાલઘૂમ હતા. સાહેબ આમ તો કાળા હતા પણ રૂઢિપ્રયોગની રીતે કહેવું પડે કે સાહેબ લાલઘૂમ હતા, કારણ કે સાહેબ અતિ ગુસ્સામાં હતા.

‘‘હરિસિંહ તમને પોલીસ બનાવ્યા કોણે?’’

જેણે તમને પોલીસ ઓફિસર બનાવ્યા તે દુર્બુદ્ધિએ જ મને પોલીસ બનાવ્યો છે. એવું હરિસિંહના મોઢે આવી ગયું પણ ખાતાની શિસ્ત જાળવવા તે ચૂપ રહ્યા અને નીચી મૂંડી કરી દીધી.

‘‘સાહેબ મારો ગુનો?’’ પોલીસવાળો પોતાના ગુના વિશે પૂછે તેવી અવળીગંગા વહી રહી હતી.

‘‘તમે મારા સાળાને પકડયો? મેમો આપ્યો!’’ મેમો બતાવતાં ઝાલા ત્રિલોકને ધ્રુજાવતા અવાજે પૂછયું.

હરિસિંહને સમગ્ર વાત સમજાઈ ગઈ, કાચું કપાઈ ગયાનો અહેસાસ તેના ચહેરા ઉપર આવી ગયો. નાગકન્યાઓ બે કર જોડી ભગવાન કૃષ્ણની માફી માગી હતી તેવી મુદ્રામાં હાથ જોડયા. ‘‘સાહેબ આપના સાળા હતા એ ખબર જ ન હતી એટલે ભૂલ થઈ ગઈ.’’ (આપના સાળા એ મારા સાળા એવું બોલાય નહીં એટલે બોલ્યા નહીં)

‘‘હરિસિંહ પરણેલા છો?’’ ઝાલાએ ‘ઈન્ટરઓગેશન’ શરૂ કર્યું.

‘‘હા સાહેબ, ઓણ જ લગ્ન થયાં છે.’’

‘‘તોય, સાળાનું મહત્ત્વ નથી સમજતા? દુઃખી થઈ જશો દુઃખી. સંસારમાં સાળાથી વધુ કોઈ નથી. લાલુપ્રસાદ યાદવના સાળાએ હક કરી રાજધાનીનું પ્લેટફોર્મ બદલાવ્યું હતું તે યાદ છે?’’

‘‘હા સાહેબ’’

‘‘કહેવત છે કે સારી ખુદાઈ એક તરફ ઔર જોરુ કા ભાઈ એક તરફ!’’

‘‘યાદ રાખીશ.’’

‘‘મારા સાળાને પકડયો કે તુરંત ઘરેથી મને ઠપકો આ પ્યો, મારા ભાઈને કોણે સતાવ્યો?’’

‘‘સા’બ, ભૂલ થઈ ગઈ...’’

હરિસિંહ ઢીલા પડી ગયા, ‘હમ સે ભૂલ હો ગઈ, હમ કા માફી દઈ દો’ એ ભાવ હતો.

(સંવાદો કાલ્પનિક છે)

વાઈડ બોલ

ઓલિમ્પિકમાં મેડલ લાવનાર શૂટરને સરકારે એક કરોડ આપ્યા, જ્યારે ત્રાસવાદીને મારતા શૂટ થઈ ગયેલા પોલીસના કુટુંબને ફક્ત એક લાખ આપે છે. મિત્રનો SMS ‘અરે ભાઈ, ગુંડાગીરી કરતો ગુંડો હુલ્લડમાં શૂટ થઈ જાય તો તેના કુટુંબને પણ એક લાખ આપે છે.’ આ છે અવળીગંગા!

Thursday, June 10, 2010

દાનવ અધિકાર પંચ

સુવર્ણદ્વીપમાં દાનવ અધિકાર પંચ કાર્યરત હતું.

કોઈ પણ દાનવને નુકસાન ન થાય તે માટે પંચ મેદાનમાં હતું.

એમના એક આગેવાનને પૂછવામાં આવ્યું, ‘‘શું તમે દાનવોના અધિકારોનું સમર્થન કરો છો?’’

‘‘હા’’ એટલું કહ્યા પછી તેમણે ઉમેર્યું, ‘‘શું દાનવોમાં જીવ નથી? માનવ હોય કે દાનવ બધાને હક હોય છે, હોવા જોઈએ, દાનવોનું કલ્યાણ અમે જોઈએ છીએ.’’

‘‘દાનવ અધિકાર?’’

‘‘હા, તમને અંધેરી નગરીની વાત ખબર છે ને? ત્યાં તાંદળજાની ભાજીનું મૂલ્ય સ્વાદિષ્ટ ખાજાં જેટલું જ હતું. શું ભાજી કે શું ખાજાં? અમે પણ શું સજ્જન શું ગુંડા? બંનેને સરખા ગણીએ છીએ.’’

‘‘એમ!’’

‘‘હા, ન્યાયશાસ્ત્રનું એક સૂત્ર છે. ભલે નવ્વાણું ગૂનેગારો છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ.’’

‘‘હા, એ તો જાણીતું સૂત્ર છે, ઘણો ઉમદા ખ્યાલ છે.’’

‘‘અમે એ સૂત્રને લંબાવ્યું છે.’’

‘‘એ શું છે?’’

‘‘ભલે નવ્વાણું નિર્દોષ મરી જાય પણ એક ગુંડો ન મરવો જોઈએ.’’

‘‘એ તો વૈચારિક ક્રાંતિ છે.’’

‘‘હા, અમારું પ્રિય કાવ્ય છે, અંધેરી નગરી મેં ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં.’’

‘‘એ કાવ્ય તમને બહુ ગમતું લાગે છે?’’

‘‘હા, સુવર્ણદ્વીપના રાષ્ટ્રગીત તરીકે આ ગીત હોવું જોઈએ.’’

‘‘શું ભાજી કે શું ખાજાં? શું સજ્જન કે શું બદમાશ? સર્વે સમાન છે, આ કાવ્ય સમાનતાનો ઉપદેશ આપે છે. કાવ્યમાં ચોરી કરવા જતા ચોરનું જ્યાં ચોરી કરવા જતો હતો તે મકાનની દીવાલ નીચે દબાઈ જતાં મૃત્યુ થાય છે.’’

‘‘હા એ વાંચેલું છે.’’

‘‘કેટલી અદ્ભુત વાત કવિએ કાવ્યમાં કરી છે, કોઈ પણ વ્યક્તિને એની દીવાલ બાંધવાનો હક નથી કે ચોર તેની નીચે કચડાઈ જાય.’’

‘‘પણ-પણ ચોર એ સમાજનું અનિષ્ટ તત્ત્વ છે, એ અનિષ્ટ તત્ત્વ દબાઈ ગયું તો શું ખરાબ છે?’’

‘‘ઘણું ખરાબ છે. સમાજમાં બદમાશ પણ રહેશે, સજ્જન પણ રહેશે...’’

‘‘તો-તો તમે બદમાશ કે દાનવોના હકનું રક્ષણ કરવા મેદાને આવો છો?’’

‘‘ના, અમે માનીએ છીએ કે કોઈ પણ બદમાશને સ્વેચ્છાએ મારવાનો કોઈને હક નથી.’’

‘‘પણ તમે બદમાશોનું બેસણું રાખી રહ્યા છો એવી છાપ પડે છે. મરેલાઓના કુટુંબીજનો બેસણાં રાખતા હોય છે, માર્યા ગયેલા બદમાશ કે ગુંડા તમારા કુટુંબીજનો હતા તેવી છાપ પડે છે.’’

‘‘અમે ફક્ત માનવ નહીં દાનવ અધિકારોનું પણ સમર્થન કરીએ છીએ.’’

‘‘એમ!’’

‘‘હા, પૌરાણિક કાળમાં ભગવાન શંકરે પણ કેટલાય દાનવોને વરદાન આપેલાં ને જ! અમે પણ દાનવોનું એ રીતે સમર્થન કરીએ છીએ... આખર એ પણ જીવાત્મા તો છે ને...’’

કાચબા કુરિયર સર્વિસ

સચિવાલયની દસ માળની ઈમારત હતી. એરકંડિશન્ડ ઓફિસો હતી. ડઝનબંધ લિફ્ટ હતી. જે લોકોને, મંત્રીઓને, અધિકારીઓને ઉપર-નીચે લઈ જતી હતી. સચિવાલયની લોબીમાં મોટી મોટી પીઠવાળા કાચબાઓ ફરી રહ્યા હતા. જેને ઢાલ કાચબા પણ કહેવાય છે, તેવા કાચબા સચિવાલયમાં તેમની મંથર ગતિએ ચાલી રહ્યા હતા.

જાણવા મળ્યું કે કાચબાની મોટી પીઠ તેમનું નાનું પેટ ભરવાનું કામ કરી રહી હતી.

નવાઈ લાગી. આ કાચબાઓ સચિવાલયમાં શું કરી રહ્યા છે? અને એમનું સચિવાલયમાં હોવું તેમના પેટ ભરવાનું કારણ કઈ રીતે બની શકે?

મહાદેવના મંદિરમાં કાચબા હોય, પણ સચિવાલયમાં કાચબો? કાચબા તળાવમાં હોય તે સમજાય, કેટલાક કાચબાઓ પ્રાણી સંગ્રહાલયમાં પણ હોય છે. સચિવાલયને આપણે પ્રાણી સંગ્રહાલય કઈ રીતે કહી શકીએ? પણ કાચબાઓ ફરી રહ્યા હતા. ફીલ એટ હોમ અનુભવી રહ્યા હોય તેમ કાચબા ચાલતા હતા.

ત્યાં એક પટાવાળો આવ્યો અને એક કાચબાને ઉઠાવીને કચેરીની અંદર લઈ ગયો.

અજાણ્યાને થાય કે આ શું થાય છે? યે ક્યા માઝરા હૈ? થોડી વારમાં પટાવાળો આવ્યો. કાચબાને જમીન ઉપર મૂકી દીધો, પણ તેની વિશાળ પીઠ ઉપર એક ફાઈલ બાંધેલી હતી. અને કાચબો ધીમે ધીમે ચાલવા માંડયો. કોઈકે પટાવાળાને પૂછયું, ‘‘અરે ભાઈ, આ નવતર શું છે? કાચબાની પીઠ ઉપર ફાઈલ? અને ફાઈલ ક્યાં જશે?’’

ત્યારે પટાવાળો હસ્યો. ‘‘ભાઈ, પહેલાંના વખતમાં કબૂતરો સંદેશાવાહક હતાં એ ખબર છે?’’

‘‘હા એવું વાંચેલું ખરું.’’

‘‘એ વાંચેલું ને? હવે આ જુઓ. આ આધુનિક સંદેશાવાહક મતલબ કે ફાઈલવાહક છે. જેમ કબૂતરોને ખબર હોય કે ક્યાં જવાનું છે તેમ આ કાચબાઓને ખબર છે કે ફાઈલ કયા ટેબલ ઉપર લઈ જવાની છે. કબૂતરોના પગમાં સંદેશાની ચીઠ્ઠી હતી. કાચબાઓની પીઠ ઉપર નિર્ણય માટેની ફાઈલ હોય છે.’’

‘‘પણ પણ આ રીતે ફાઈલ જે તે ટેબલ ઉપર પહોંચે ક્યારે?’’

‘‘તમે ભાઈ ભારે ઉતાવળિયા લાગો છો આ ફાઈલ તમે જોઈ તે ટેબલ ઉપર ક્યારે પહોંચશે ખબર છે?’’

‘‘ના’’

‘‘મે મહિનાની ૩૧ તારીખ થઈ, એ ગંતવ્ય સ્થાન.’’

‘‘ગંતવ્ય સ્થાન? એટલે શું?’’

‘‘અરે ભાઈ, ડેસ્ટિનેશનનું ગુજરાતી છે.’’

‘‘ઠીક-ઠીક પછી શું થશે?’’

‘‘એ મે માસમાં નીકળેલી ફાઈલ, નવેમ્બરમાં તે ટેબલ પર પહોંચી જશે?’’

‘‘બાપ રે!’’

‘‘હવે દાદા રે બોલો, ત્યાંથી ફાઈલ કાચબા મારફત પરત આવશે ત્યારે બે હજાર અગિયારનો મે માસ હશે.’’

‘‘ખરેખર પરદાદા રે દાદા બોલવું પડે તેવું છે.’’

‘‘ભાઈ સાબ, ફાંસીવાળા અફઝલ-ગુરુની ફાઈલ પણ આ કાચબા મારફત ફરી રહી છે.’’

‘‘એટલે શું થશે?’’

‘‘અફઝલ-ગુરુની ફાઈલ લઘુ ગતિએ ચાલી રહી છે, એ તમે છાપામાં વાંચ્યું હશે!’’

‘‘તો કાચબાઓ ફાઈલ ક્યારે પહોંચાડશે?’’

‘‘મિત્ર, કાચબાઓ બસ્સો-ત્રણસો વર્ષ જીવે છે, એટલે અફઝલ-ગુરુની ફાઈલ કાચબા-કુરિયર-ર્સિવસ મારફત ફર્યા કરશે.’’

‘‘પણ ત્યાં સુધી અફઝલ ગુરુ જીવતો હશે?’’

‘‘પ્રયત્ન તો થશે, કોઈ પણ ફાંસીનો કેદી કુદરતી મોતે ન મરવો જોઈએ, એટલે એને જીવતો રાખવા લાખો રૃપિયા ખરચી નાખવામાં પાછું વાળીને નહીં જોવાય.’’

મધ્યયુગમાં કબૂતરો સંદેશાવાહક હતાં. અત્યારે કાચબાઓ ફાઈલવાહક છે. એક ટેબલથી બીજા ટેબલ સુધી અમુક ફાઈલો પહોંચાડવાની જવાબદારી કાચબાઓની છે. એ લોકો મહિનાઓ એ કામ માટે લે છે. છગન કહે છે દીર્ઘજીવી કાચબા ફાંસીના કેદીની જિંદગી લંબાવી રહ્યા છે.

વાઈડ બોલ

‘તમાકુના કારણે લાખ્ખો લોકો મૃત્યુ પામે છે.’

તમાકુ વિરોધ દિનની જાહેરાત.

‘કેટલાક લોકો પોતે જીવવા માટે અનેકને મૃત્યુના મોંમાં ધકેલે છે.’

Wednesday, June 9, 2010

નસીબ

જર્મન રેલવેમાં પ્રવાસીઓને યોગ શીખવામાં આવે છે. - સમાચાર
"આપણે ત્યાં યોગ હોય તો જ રેલવેમાં જગ્યા મળે."

બરબાદી કા જશ્ન...

‘લે ને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ’ લેવા ગઈ પુત્ર અને પતિ ગુમાવી પરત આવી. આપણી ટીમ વેસ્ટ ઈન્ડિઝ કપ લેવા ગઈ હતી. પણ બાજી ફીટાઉંસ કરી પરત આવી ગઈ. કેટલાંક પત્રકારમિત્ર આને ધોળકું ધોળ્યું એમ પણ કહ્યું. આમાં બિચારા ધોળકાવાસીઓનો શો વાંક? ધોળકાની નિંદા કરતી આવી ઉક્તિ માટે ધોળકાવાસીઓ કેમ ચૂપ છે? આ લેખકનો ધોળકા સાથે નાતો છે એ નાતે અમારો ટેકો રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકાની બદબોઈ કરતી ઉક્તિ માટે વિરોધ કરવો જોઈએ. હા, તો ધોળકું નહીં પણ સેન્ટ-લૂઇસમાં ધોળ્યું. આપણા લાખોમાં આળોટતા ખેલાડીઓએ. હવે આપણા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેના મગજ ઉપર કન્ટ્રોલ ગુમાવ્યો છે. ખેલાડીઓને ‘શો-કોઝ’ નોટિસ આપી દીધી છે. છ ખેલાડી એટલે અડધી ટીમને નોટિસ મળી ગઈ છે. શો-કોઝ એટલે કારણ આપો. વિદ્યાર્થીને પૂછવામાં આવે ‘દિવસ-રાત કેમ થાય છે?’ કારણ આપી સમજાવો. હવે આ લોકોએ દિવસ રાત તમે શું કર્યું એ સમજાવવાનું રહેશે. ખાસ કરીને રાત્રે, પબમાં શું થયું? શું કર્યું? સમજાવવાનું રહેશે. અલબત્ત, કારણ આપી ને.
છગન કહે છે આનું નામ પડતા ને પાટુ. બિચારા પડી ગયા છે એમને ઊભા કરવા હાથ આપવાને બદલે લાત મારવાની? જગતનો નિયમ છે. સફળતા જેવું કશું સફળ નથી. તમે નિષ્ફળ જાય એટલે ખણખોદ શરૃ થાય. છોકરો પાસ થાય ત્યારે પાર્ટી જ થાય, એ કેટલું વાંચતો હતો તે કોઈ પૂછે નહીં. પણ નપાસ થાય તો ટીવી. જોયા કરતો હતો. મેચ જોયા કરતો હતો. વગેરે વગેરે બમ્પર તેના માથા ઉપર આવે.
હવે બોર્ડ આ છ જણને તેમની છઠ્ઠી યાદ કરાવી દેશે. ટીવી. સ્ક્રીન ઉપરથી તેઓ બંધ થઈ જશે. અને ચેક આવતા બંધ થઈ જાય... કુછ ભી હો સકતા હૈ.
ઘણાં લોકો અકળાયા છે. આપણા ખેલાડીઓ હાર્યા પછી પબમાં પાર્ટી કરી રહ્યા હતા ને ત્યાં પણ બીજા ગ્રાહકો સાથે બાખડયા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે તેઓ પોતાનો હાથ બતાવી ન શક્યા પણ વેસ્ટ ઈન્ડિઝના પબમાં પોતાનો હાથ બતાવવા આતુર હતા. શાપિત આશિષ (નહેરા) કહે છે કે હાથ નહીં કેવળ જીભ જ બતાવી હતી. આશિષને શાપિત એટલે કહ્યો છે કે તેને શો-કોઝ નોટિસનો શાપ ડસી ગયો છે. આપણા ગુજ્જુભાઈ જાડેજાને હજુ તો પગ જમાવવાનો છે ત્યાં પગ ઉપર કુહાડો મારી રહ્યો છે. છગન કહે છે જાડેજાની શો-કોઝ નોટિસમાં પહેલી લાઈન હશે. ‘પાપ તારં પરકાશ જાડેજા...’ હાર્યા પછી પાર્ટી ન થઈ શકે એવું નથી. પૂછો શાયર સાહિરને. એણે જ લખ્યું છે ‘બરબાદીઓ કા જશ્ન મનાતા મૈં ચલા’ કવિ કહે છે કે હું તો બરબાદીનો પણ જશ્ન કરું છું. કવિએ કહ્યું તે આપણા ક્રિકેટરોએ કર્યું. ક્યા બુરા કીયા? ગીતામાં પણ સુખ અને દુઃખને સમભાવે જોવાની સલાહ આપવામાં આવે છે. યુવરાજ એ જ કરી રહ્યો હતો. જાડેજા કે ઝહિર એ જ કરી રહ્યા હતા. આટલી નાની વયે ગીતાને ચરિતાર્થ કરનારને તો બિરદાવવા જોઈએ. અમદાવાદમાં શેરબજાર (પહેલાનું)ની બહાર જ ચવાણાવાળાની જાણીતી દુકાન, કહેવાય છે કે જે વેપારી (કે સટોડિયો) પૈસા ગુમાવે, નુકસાન થાય ત્યારે ખાસ ચવાણું મંગાવીને ખાય, નાસ્તા પાણી કરે. આપણા ક્રિકેટરો એ વેપારી કે સટોડિયા જેવા જ ગણાય. (કેટલાંક ક્રિકેટરોને પણ સટોડિયા કહે છે જ ને!) હાર્યા ત્યારે જશ્ન કરવો. નોટિસ પામેલા ક્રિકેટરો તેનો જવાબ લલિત-મોદીની સલાહથી ‘ડ્રાફ્ટ’ કરે તો તે હજ્જારો પાનાંનો બની રહે. આ સલાહ છે સામેના ખેલાડીએ આપેલો કેચ નથી એને ‘ડ્રોપ’ ન કરતા.

વાંચ ગુજરાત વાંચ...

વાંચે ગુજરાતએ છાપાંમાં રોજ ચમકતી બાબત છે.

વાંચે ગુજરાતએવું શીર્ષક વાંચી સિંદબાદ પૂછે છે, ‘‘વાંચે ગુજરાત એટલે શું? ગુજરાત શું વાંચે છે!’’

‘‘એટલે તું શું કહેવા માગે છે?’’

‘‘બોસ, જેમ કેદાખે દલપતરામ...એમ કહેવાય એટલે દલપતરામ કહે છે એમ સમજાય કેભણે નરસૈંયોએ જાહેરાત ગણાય કે નરસૈંયો આમ કહે છે તે જ રીતેવાંચે ગુજરાતએટલે ગુજરાત વાંચે છે તેમ કહેવાય. હકીકતમાં તો ફરિયાદ છે કે ગુજરાત વાંચતું નથી. ગુજરાત વાંચતું નથી એને વાંચતું કરવાની વાત ને આંદોલન તેવાંચે ગુજરાતકઈ રીતે કહેવાય?’’

સિંદબાદની વાતમાં તથ્ય તો ખરું. આંદોલનનું નામવાંચ ગુજરાત વાંચએવું રાખવું જોઈએ. જે રીતેકબૂતર જા જાએમ કહી કબૂતરને જવા માટે પ્રેરણા આપવામાં આવે છે તેમ ગુજરાતીઓને વાંચવા માટેની પ્રેરણા આપવી હોય તોવાંચ ગુજરાત વાંચએમ કહેવું જોઈએ.

છગન તેના કુટુંબ સાથે ઢોંસા ખાવા ગયો હતો. કહે ‘‘બોસ, ચારસો રૂપિયા થયા.’’

છગને ઢોંસા ખાધા, હોટેલના વેઈટિંગમાં ચાલીસ મિનિટ કાઢી, પિસ્તાળીસ મિનિટ હોટલના હોલમાં બેઠા ચારસો રૂપિયા ખરચી નાખ્યા. ટીપ અને પેટ્રોલનો ખર્ચ વધારાનો.

છગન કહે, ‘‘આટલા પૈસા પછી પણ મને તો પેટમાં તકલીફ થઈ હતી.’’

આ જ છગનને મેં કહ્યું હતું, ‘‘કોઈ શિષ્ટ સામયિકનું વરસ માટે લવાજમ ભરે તો પૂરા બાર મહિના તારે સંસ્કારી મેગેઝિન આવે. પેલા ચારસોમાં પેટ બગડયું હતું, આ ખર્ચમાં તારું પેટ ન બગડે, પણ તારું મગજ સુધરે. તારા ટેબલ ઉપર પડયું હોય તો ઘરના બીજા સભ્યો સમય મળે ત્યારે વાંચે, મહેમાન કે પડોશી પણ વાંચે. ઢોંસાના ખર્ચમાં તો તું એકલો જ ખાય, આમાં કેટલા બધા લોકો તેં ખરીદેલ મેગેઝિન વાંચી શકે!’’

પછી છગને કહ્યું, ‘‘બોસ. આવતા મહિને ઢોંસા ખાવા નહીં જાઉં...’’

‘‘તો!’’

‘‘એક-બે સંસ્કારદાયી મેગેઝિનનાં લવાજમ ભરીશ.’’

ઈસનપુર-અમદાવાદના એક મિત્રે કહ્યું, ‘‘અમારા વિસ્તારની બે વિશેષતા છે.’’

કઈ કઈ?’’

‘‘ખાડિયામાં ફૂટપાથ પાર્લામેન્ટ હતી એ તમે જાણ્યું હશે.’’

‘‘હા, બરાબર ખબર છે, શું ઈસનપુરમાં ફૂટપાથ પાર્લામેન્ટ છે?’’

ના, બોસ. ઈસનપુરમાં ફૂટપાથ ટોઈલેટ છે. ઈસનપુરના રીંગરોડ ઉપર નીડ નોટ ટુ પે એન્ડ યુઝ ટોયલેટ છે...’’

‘‘શું વાત છે કમાલ કહેવાય...’’

‘‘પચાસ ટકા રીંગરોડ રોકતા, શાકવાળાઓ આ પ્રયોગનો મુક્તમને લાભ લે છે. કોર્પોરેશનના મોટાસાહેબોને આ ખબર નથી. નહીંતર જોવાલાયક સ્થળોમાં આનો સમાવેશ થઈ શકે.’’

એ મિત્રને એમના વોર્ડની આ વિશેષતા માટે અભિનંદન આપ્યાં અને પૂછયું, ‘‘બીજી કઈ વિશેષતા છે?’’

‘‘બોસ, અમારા વિસ્તારમાં ડઝનબંધ બૂટ-ચંપલની દુકાનો છે, પણ પુસ્તકની એક પણ દુકાન નથી.’’

‘‘એનો પણ સંકેત ગણાય.’’

‘‘કયો?’’

‘‘તમારા વિસ્તારમાં બૂટ-ચંપલની દુકાનો છે, પણ પુસ્તક નથી, ખરું ને?’’

‘‘હા’’

‘‘એનો અર્થ થયો, તમારા વિસ્તારના લોકો પગની ચિંતા કરે છે પણ માથાની નહીં.’’

‘‘બાળકના જન્મ સાથે અમારો સિલસિલો છે.’’

‘‘એટલે?’’

‘‘બાળક ચાલતો થાય કે દોઢસો બસોના શૂઝ એને પહેરાવે.’’

‘‘એમ!’’

‘‘હા, એ શૂઝ એવા કે બાળક ચાલે કે બૂટમાં લાઈટ થાય.’’ પણ પછી જાણ્યું એ લોકો છોકરો વાંચતો થાય ત્યારે કોઈ બાળકોના મેગેઝિન માટે પૈસા નથી ખરચતા, છોકરો ચાલતો થાય તેનું જ મહત્ત્વ છે, વાંચતો થાય તેનું નહીં.

આ સમાજ કઈ રીતે ચાલતો થશે?

વાઈડ બોલ

દસ ટકા રાજકારણીઓ સારા હોય છે, પણ બાકીના નેવું ટકાને કારણે તેઓ બદનામ થાય છે.

- હેન્રી કિસિંજર (અમેરિકાના પ્રખ્યાત વિદેશપ્રધાન)