Saturday, December 4, 2010

કંકોત્રીનું કમઠાણ


કંકોત્રીઓમાં થતા ગોટાળાની વાત કરવી છે.

કંકોત્રીઓ દર વર્ષે આવતી જ હોય છે. દર વર્ષે નહીં પણ દર છ મહિને કે ત્રણ મહિને આવતી હોય છે. કોઈ ઉતાવળીયો NRI આવી જાય તો કમુરતામાં લગ્ન કરે તો કમુરતામાં પણ કંકોત્રી જોવા મળે. કેટલાંક વર્ષો પહેલાં બ્રિટનની ‘ઈમિગ્રેશન પોલિસી’માં ફેરફાર આવી રહ્યા હતા. ત્યારે ઢગલાબંધ બ્રિટનના NRIs ગુજરાતમાં ઉભરી આવ્યા અને શ્રાદ્ધ પક્ષમાં જ અનેક લગ્ન લેવાયાં હતાં. કહે છે ગોરમહારાજોએ ‘ઈમ્પેક્ટ ફી’ લઈને મુહૂર્તો કાઢી આપ્યાં હતાં. શ્રાદ્ધ પક્ષમાં થયેલાં લગ્નોનું શું થયું હતું? એનો એક સરવે કરાવવો જોઈએ, ‘રેશનાલિસ્ટ એસોસિએશન’ આ કામ હાથ ધરી શકે.

વાત કંકોત્રીઓની થતી હતી. મિત્રો, તમારે ત્યાં આવતી કંકોત્રીઓનો અભ્યાસ કરો તો ઘણું જાણવા મળી શકશે.

આમ તો કંકોત્રીઓનો એકમાત્ર ઉદ્દેશ તમને માહિતી આપવા માટે છે કે અમુક-તમુકનાં લગ્ન તમુક-અમુક સાથે અમુક તારીખે, અમુક વારે છે આવી જજો. પણ મિત્રો આટલી સાદી વાત કહેવામાં પણ કંકોત્રીઓમાં અનેક બફાટ જોવા મળે છે. ‘ઘરથી કવરની સફર’માં કેટલું થાકી જવાય તેની વાત શાયરે કરી છે. તે પ્રમાણે લગ્નની માહિતી આપવામાં એક સાદી વાતમાં કેટલા બફાટ થઈ શકે છે તે કંકોત્રીઓમાં જોવા મળે છે.

ઘણી વાર કેટલાંક સુવાક્યો કે પંક્તિઓ આપણને ખૂબ જ ગમી જાય છે. એટલે તેનો ઉપયોગ કરવાની લાલચ રોકી શકાતી નથી. એમાંથી બફાટનું સર્જન થતું હોય છે. એક ભાઈ જે ડ્રગ ખાતાના ગેઝેટેડ ઓફિસર અને ગોલ્ડ મેડાલિસ્ટ એને સ્ત્રી આગળ લાગતો ગંગાસ્વરૂપ શબ્દ ગમી ગયેલો. ડ્રગ ખાતાના કમિશનર ભગતસાહેબ નિવૃત્ત થતા હતા, તેના સમારંભમાં તેમને સજોડે આમંત્રણ હતું. પેલા ગોલ્ડમેડાલિસ્ટે તેના પ્રવચનની શરૂઆત કરી, ‘આદરણીય ભગત સાહેબ તેમજ તેમનાં ગંગાસ્વરૂપ પત્નીશ્રી’ સાહેબ નોકરી છોડી રહ્યા હતા. જિંદગી નહીં પણ એ ભાઈને ગંગાસ્વરૂપ શબ્દ ગમેલો એટલે છુટ્ટા હાથે વાપર્યો.

અમારા એક સ્નેહીની પૌત્રીનું લગ્ન હતું. તેની કંકોત્રી આવેલી. અમારા સ્નેહી હયાત છે. પણ પૌત્રીની લગ્નની કંકોત્રીમાં તેમના નામ આગળ ગંગાસ્વરૂપ સાવિત્રીબહેન લખ્યું હતું. (નામ બદલ્યું છે) એમના કુટુંબીજનોને પણ ગંગાસ્વરૂપ શબ્દ ગમી ગયેલો એટલે પિતા હયાત હોવા છતાં માતા આગળ ગંગાસ્વરૂપ શબ્દ ઉમેરી દીધો. એ વાત ખરી કે પૌરાણિક કાળની સાવિત્રી તો ગંગાસ્વરૂપ થઈ હતી, પાછી અ.સૌ. થઈ ગયેલી. (આને અવળીગંગા કહેવાય!) પણ અમારા સ્નેહીનાં પત્નીને તો પતિ હયાત હોવા છતાં ગંગાસ્વરૂપ શબ્દ કંકોત્રીમાં લાગી ગયો. લોકો ઘણી વાર હજ્જારો રૂપિયા કંકોત્રીની પાછળ ખરચે છે પણ બસ્સો-પાંચસો રૂપિયા ખરચીને કોઈ ભાષાવિદ્ પાસે કંકોત્રીનો ડ્રાફ્ટ કરાવતા નથી.

એક સ્નેહીની પુત્રીનાં લગ્ન હતાં. એમણે કંકોત્રીમાં એવી પંક્તિ છપાવી કે જે છબરડો જ કહેવાય, એમણે લખ્યું, ‘પુત્ર તો તમારો ત્યાં સુધી જ છે, જ્યાં સુધી તે પરણ્યો નથી, પણ પુત્રી તમારી કાયમ પુત્રી રહે છે.’

એ ભાઈએ પોતાની પુત્રીને નજરમાં રાખી હશે, પણ વેવાઈનો પુત્ર, એમના જમાઈની લાગણી ન જોઈ. એમણે વેવાઈને ચેતવણી આપી ગણાય કે લગ્ન થવા દો પછી તમારો પુત્ર તમારો રહેશે નહીં અથવા તેમની પોતાની પુત્રીની શક્તિ ઉપર ભરોસો હશે કે મારી દીકરી આ બધાને ઠેકાણે પાડી દેશે. એમ હોત તો પણ આમ બહારવટિયાની જેમ જાસાચિઠ્ઠી આપવાની કાંઈ જરૂરત ખરી? કંકોત્રી કંકોત્રી જ છે તેને જાસા ચિઠ્ઠીમાં ન ફેરવો.

ઘણી કંકોત્રીઓમાં કન્યા કે વરપક્ષના વડીલો આમંત્રણ પાઠવે, તેમાં લખે દર્શનાભિલાષી, સારી વાત છે તમારાં દર્શનની એ લોકો અભિલાષા રાખે છે. પણ એમાંથી કેટલાંક સ્વર્ગસ્થ હોય છે. જ્યારે સ્વર્ગસ્થ માણસ તમારા દર્શન કરવાની અભિલાષા રાખે છે તેમ કહેવામાં આવે તે બદદુવા જ ગણાય ને! તમે મરો ને મારી પાસે આવો તેવો અર્થ નીકળે, પણ સુંદર - સુંદર કંકોત્રીમાં લખાતા મુદ્દાની કોઈ સંભાળ લેવાતી નથી.

વાઈડ બોલ

‘રાષ્ટ્રપતિ ખાડી દેશોમાં’

- સમાચાર

‘રાષ્ટ્ર ખાડામાં, રાષ્ટ્રપતિ ખાડીમાં....’

- છગનની કોમેન્ટ

No comments: