Saturday, September 4, 2010

ગાયો ગાંઠતી નથી(અવળી ગંગા) Sep 04,2010

એક ગૌહત્યાની વાત કરવી છે. ગૌહત્યા શબ્દ મધ્યમપદલોપી સમાસ તરીકે મૂક્યો છે. મતલબ કે ગાય દ્વારા થયેલી હત્યા તે ગૌહત્યા.

અમદાવાદનો અમર સ્કૂટર ઉપર જતો હતો. ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન...’ જેવો ઘાટ થયો. અમર જતો હતો ત્યાં રસ્તા ઉપર રઝળતી ગાયે શીંગડું માર્યું. અમર તો ગાયને માતા ગણતો હતો, પણ ગાય તેને પુત્રવત્ નહીં ગણતી હોય. ગમે તેમ હોય તે કુમાતા થઈ. અમર રસ્તામાં મળતી ગાયને પૂંછડે હાથ અડાડી માથે ચઢાવતો હતો, પણ આ ગાયે તેના માથા ઉપર પૂંછડું નહીં પણ શીંગ ઝીક્યું. અમર ઢળી પડયો. ગુજરાતની પ્રખ્યાત ૧૦૮ આવી ગઈ. હોસ્પિટલના ડોક્ટરે તેને તપાસીને છાપાની ભાષામાં કહું તો મૃત જાહેર કર્યો.

છગન આને ગૌ દ્વારા થયલી હત્યા કહે છે. આના માટે જવાબદાર કોણ? ‘માસ્ટર્સ લાયબિલિટી’ના સિદ્ધાંત હેઠળ માલિક જવાબદાર આવે કે નહીં? મતલબ કે ગાયનો માલિક આમાં જવાબદાર કે નહીં?

કોર્પોરેશનનું ઢોર-ત્રાસ નિવારણ ખાતું જવાબદાર ગણાય તેવું છગન કહે છે. ઢોર-ત્રાસ નિવારણનો સ્ટાફ કોર્પોરેશનના પગારમાંથી પોતાનો નિર્વાહ કરે છે, પણ ઢોર-ત્રાસનું નિવારણ કરતું નથી. એ લોકોએ અમરના કુટુંબને વળતર ચૂકવવું જોઈએ.

લઠ્ઠો પીને મરી જનાર ક્યારેક અસામાજિક તત્ત્વ પણ હોય છે. તેના કુટુંબને લાખ રૂપિયા અપાય છે, પણ ઢોર-ત્રાસ નિવારણ ખાતાની બેદરકારીથી મરણ પામનાર કુટુંબને કોઈ વળતર અપાતું નથી.

અમદાવાદ અને રખડતી ગાયોના સંબંધ વિશે વિચારીએ તો અમદાવાદને, સસલાં અને કૂતરા કરતાં પણ વધારે ગાયો સાથેનો સંબંધ જૂનો હશે.

ભાઉની પોળમાં કર્ણાવતી નગરીની દરેક પોળની જેમ શીંગડાં વીંઝતી ગાયો ફરતી હતી.

ત્યારે ત્યાં ડોક્ટર ગોસ્વામી રહેતા હતા. આજે એ ડોક્ટર પોળ તો શું દુનિયામાં પણ રહ્યા નથી. ડોક્ટર સિવિલમાં સર્વિસ કરીને ઘરે આવતા હશે. તે ગાય પાસેથી પસાર થતા જ ગાયે શીંગડાં વીંઝ્યાં. સુધારેલી કહેવત પ્રમાણે દીકરી ને ગાય સ્વામીની સામે થાય એ અનુસાર ગાય ડોક્ટર ગોસ્વામીની સામે થઈ. ડોક્ટરને સ્વમાનભંગ જેવું લાગ્યું. એટલે બાજુમાં કપડાં ધોતી મહિલા પાસેથી ધોકો લઈ ગાયને ફટકારી દીધો.

મારાં માતુશ્રી આ ખેલ જોઈ રહ્યાં હતાં. તેમણે ડોક્ટરને વારતાં કહ્યું, ‘‘ડોક્ટર રહેવા દો, આ ગાય તમને એકબે પેશન્ટ અપાવી શકે તેમ છે.” આ રીતે રખડતી ગાયો ડોક્ટરની સર્વિસનું માર્કેટિંગ કરતી હોય છે તેમ માની શકાય.

અમદાવાદના ઘણા ઓર્થોપેડિક ડોક્ટર્સ અને હાડવૈદોનાં પેટ ભરવાનું કામ ગાય માતા કરે છે. (ભોજનેષુ માતા) ગાયોની આ ઉત્તમ સમાજસેવા કોર્પોરેશનના ધ્યાનમાં છે જ એટલે તેની સામે કડક પગલાં ભરાતાં નથી. ગાયો નાના મોટા બધાંને શીંગડાં ભરાવે છે. કોઈ પણ ભેદભાવ વગર બધાને જ ઠેબે ચડાવે છે. આ સમાજવાદી અભિગમ કહી શકાય. તેનો અનુભવ સમાજવાદી નેતા રસિકલાલ આચાર્યને થઈ ગયો હતો. આચાર્યજી અમદાવાદમાં જૂની હાઈકોર્ટ અને ગાંધીજીના પૂતળા પાસેથી પસાર થયા હતા. ત્યારે એક ગાયે તેમને શીંગો ભરાવ્યાં હતાં. રસિકલાલ આચાર્ય આ કારણે હોસ્પિટલનશીન થયા હતા. પ્રતિષ્ઠિત હાસ્યકાર રતિભાઈ બોરીસાગરે આ બનાવની મીમાંસા આગવી રીતે કરી હતી - તેમણે કહ્યું આ રસિકલાલ મૂળ સમાજવાદી લાલ ટોપીવાળા પાણેરીની જેમ બધા સમાજવાદીઓ કોંગ્રેસમાં હપ્તે હપ્તે જોડાઈ ગયા. રસિકભાઈએ કહ્યું હું કાંેગ્રેસમાં નહીં જોડાઉં. મારી આ લાલ ટોપી મારે માથે જ રહેશે. સર પે ટોપી લાલનું તેમને ગૌરવ હતું. એટલે એમણે કોંગ્રેસની સામે લડયા કર્યું. બોરીસાગરનું તારણ છે કે એ વખતે કોંગ્રેસના નિશાનમાં ગાય હતી. આ ગાયને થયું કે આતો આપણી સામે લડવાવાળો છે. એટલે એટલે ઢીંક મારી. અમદાવાદ એ ગાયોનું સ્વર્ગ છે. ગાયોના સ્વર્ગના શહેરમાં અમર જેવા ગાયોને કારણે સ્વર્ગે સીધાવે છે. અમદાવાદના રસ્તા ઉપર ફરતી ગાયો, એ કોર્પો.ના ઢોર-ત્રાસ નિવારણ વિભાગની જબર-દસ્ત મજાક છે.

વાઈડ બોલ

IPL માં ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા. નક્સલવાદીઓને લડતા શહીદ થયેલ જવાનના કુટુંબને ફક્ત લાખ રૂપિયા મળ્યા.

No comments: