Monday, August 30, 2010

લંક લગ ગઈ

ફાયદો થાય ત્યારે એક રૃઢિપ્રયોગ વપરાય છે. ‘લંક લગ ગઈ’ હવે રૃઢિપ્રયોગનો માયનો બદલવાનો સમય આવી ગયો છે.કોઈને ભારે નુકસાન કરવામાં આવે ત્યારે તેના માટે ‘લંક લગ ગઈ’ શબ્દ વાપરી શકાય તેમ છે હવે.

લંકાની ટીમ સાથે આપણને તાજેતરમાં અનુભવ થયો તે આ વાતની સાક્ષી પૂરે છે. બેંકવાળી વ્યક્તિ મરી જાય પછી ચેક ઉપર તેની સહી માન્ય કરતી નથી. તેમ ક્રિકેટના નિયમ પ્રમાણે બોલ-નોબોલ થઈ ગયો અને ત્યારે મેચ પતી જાય તો તે પછી બેટ્સમેનને રન મળતા જ નથી. આ નિયમના કારણે વીરુ સદીથી વંચિત રહી ગયો. પડોશીનો છોકરો નાપાસ થાય ત્યારે આનંદ લેતા લોકો જેવા આ લંકાવાળા છે. હું ભલે મરી જાઉં પણ પત્ની વિધવા તો થશે. પત્નીના નામ આગળ ગંગા સ્વરૃપ લખાય તે માટે કેટલાંક પતિદેવ આપઘાત કરી નાંખે છે, એવી મનોવૃત્તિ લંકાની ક્રિકેટ ટીમની હતી.

સામે કોઈ નાક કપાવેલો માણસ મળે તો તે અપશુકન ગણાય, સૂરજ રણદીવે એવું જ કર્યું. સેહવાગની સદી અટકાવવા તેણે નાક કાપી અપશુકન કરાવ્યા. લંકાની ટીમનું નાક કપાયું ગણાય. ભલે ભારતને અપશુકન થયા.

આ સૂરજને ગ્રહણ લાગી ગયું તેમ કહેવાય. સૂરજ રણદીવને સજા થઈ છે. દિલશાનને પણ અમુક રકમનો દંડ આ કરતૂત માટે થયો છે. કેટલાંક ચૂકાદામાં આરોપીને દંડ કરવામાં આવે છે, અને તે રકમમાંથી ‘વીક્ટમમ્ને અમુક રકમ અપાય છે. ક્રિકેટ કાઉન્સિલે નિયમમાં સુધારો કરી આવા કિસ્સામાં ભોગ બનનાર ક્રિકેટરના ખાતામાં અમુક રન જમા કરવાનું નક્કી કરવું જોઈએ. તો આ કિસ્સામાં સહેવાગના ખાતામાં છ રન ઉમેરી શકાય. સોચને વાલી બાત હૈ.ઓસ્ટ્રેલિયન-પાકિસ્તાનના ખેલાડી વત્તા તેમના અમ્પાયર્સ ખેલદિલી નેવે મૂકવા માટે જાણીતા છે. લંકા તેની હરીફાઈમાં છે.

***

આપણા ખેલાડીઓ વિવેક ચૂકે છે, તેમ સમાજમાં કેટલાંક માણસો રણદીવની જેમ ગમે ત્યારે ‘નો-બોલ’ ફેંકે છે કારણ વગર. બપોરના બે વાગ્યા હશે. છગનનો ફોન આવ્યો. ભર ઊંઘમાં હતો. આંખો ચોળતાં ચોળતાં ફોનનું રિસિવર ઉઠાવ્યું... ‘બોલ છગન’, મેં અકળામણમાં પૂછયું, ‘કેમ ફોન કર્યો?’

‘બોસ ખાસ કંઈ નહીં પણ તમે મજામાં છો કે નહીં તે પૂછવા ફોન કર્યો...’

‘અલ્યા પણ અઢી વાગ્યે...’

‘હા. અઢી વાગ્યે તમે મજામાં હો છે કે નહીં તે જાણવું હતું.’

‘અકળામણમાં છું’

ફોન તો કટ થઈ ગયો. પણ કટ થયેલી ઊંઘ પાછી ન મળી.

પૌરાણિક કાળના એક ઋષિએ વરદાન મેળવ્યું હતું કે મને કોઈ ઊંઘમાંથી જગાડે તો તે બળીને ભસ્મ થઈ જાય.

ભગવાન શ્રીકૃષ્ણે એક રાક્ષસને ‘એન્કાઉન્ટર’ કરવા માટે ઋષિના આ વરદાનનો લાભ લીધો હતો, ભરબપોરે ઘેર આવતા ફોન પછી આ વરદાનની યર્થાથતા મને સમજાય છે. આવી જ કોઈ તકલીફના કારણે ઋષિએ વરદાન મેળવ્યું હશે.

અમુક સોસાયટીવાળા સોસાયટીની બહાર બોર્ડ મૂકે છે કે ફેરિયાઓએ બપોરે એકથી ચાર ન આવવું. ઘરની બહાર બોર્ડ મૂકી શકાય કે આંગડિયા / કુરિયરે પણ એકથી ચાર ન આવવું. ઓફિસોમાં ભલે તમે બપોરે જાવ, પણ ભરબપોરે ઘેર ટપાલ આપવા જાવ, જહાંગીરના ઘંટની જેમ ‘બેલ વાગે, ત્યારે કુરિયરને...’ મન થાય છે.

No comments: