Monday, August 30, 2010

યે એમપી માંગે મોર...

‘દિલ માગે મોર’ જાહેરાતના આ શબ્દો જ્યારે હવામાં ગુંજતા હતા ત્યારે કોઈકે પૂછયું ‘દિલ માગે મોર’ એવું કોણ કહે?

જવાબ મળ્યો હતો, ‘‘આવું તો ઢેલ જ કહે.’’

અત્યારે એમપીનાં મહેનતાણાં વધ્યાં, ત્યારે કેટલાંક એમપીએ એથી પણ વધારાની માગણી કરેલી એ વખતે એક ચેનલવાળાએ લખ્યું, ‘યે એમપી માગે મોર’

સાંસદોને હજી પણ વધારે વધારો જોઈએ છે.

એક શ્રીમાન ઉકળાટિયા ઉકળી ઊઠેલા... ‘‘પગારવધારો તો નોકરિયાતોને હોય, આ સાંસદો ક્યાં નોકરી કરે છે?’’

‘‘અચ્છા! તોય એ લોકોને વધુ મહેનતાણું જોઈએ છે.’’

‘‘મહેનતાણું? એ લોકો કઈ મહેનત કરે છે? અરે મિત્ર, કેટલાંક સાંસદોએ તો પાંચ વર્ષમાં પાંચ વાર પણ મોઢું ખોલવાની મહેનત કરી નથી, એમને મળતું વેતન મહેનતાણું કહેવાય છે.’’

‘‘તો માનદ્ વેતન કહો કે પછી સાલિયાણું કહો, આ બધા લોકો સાંસદોને મળેલા વધારાથી નાખુશ છે. મુલાયમ-લાલુજી એ બધા પણ નાખુશ છે. અમને ઓછું કેમ આવ્યું?’’

ઐસે વૈસે કો દીયા, (તો હમ કો ક્યૂં નહીં?)

હમ કો ભી લિફ્ટ કરા દે.

એવું એ લોકો કહી રહ્યા છે. મુલાયમ કઠોર અવાજે કહે છે કે “સચિવો કરતાં પણ સાંસદોને વેતન ઓછું છે એ બરોબર નથી.”

બીજા સાંસદોને પણ લાગ્યું કે ‘‘હમ કો ભી લિફ્ટ કરા દે..’ એટલે લિફ્ટ ઉપર લઈ ગઈ વેતનના માળખાને.

લાલુજી કહે છે કે “કેટલાક સાંસદોને પગારવધારો કદાચ નહીં જોઈતો હોય, કારણ કે તેમના સ્વીસ બેન્કમાં એકાઉન્ટ છે.” સ્વીસ બેન્કના એકાઉન્ટવાળા કોઈકે કહેવું જોઈતું હતું કે અમે તો સ્વીસ બેન્કમાંથી પૈસા ઉપાડીશું, કારણ કે અમારે બીજો કોઈ ‘ચારો’ નથી.

એક ચેનલવાળાએ લોકોનો અભિપ્રાય માગ્યો, કે સાંસદોને પગારવધારો મળવો જોઈએ કે નહીં?

કેટલાંક લોકોએ એમ પણ કહ્યું કે પગાર વધારવો ન જોઈએ પણ ઘટાડવો જોઈએ.

એક મત એવો છે કે પગારવધારો બરાબર છે. જેની સાથે આ કોલમલેખક સંમત છે. (અવળી ગંગાના લેખક ખરાં ને!) સિંદબાદ કહેતો હતો કે પચાસ ટકા ઉપરાંત સાંસદો કરોડપતિ છે. પગારવધારો શાનો?

સિંદબાદને પૂછયું, ‘‘તું રહે છે એ ફ્લેટની કિંમત કેટલી?’’ એ કહે ‘સિત્તેર લાખ ગણાય’. તારી બીજી થોડી બચત કે રોકાણો ગણીએ તો તું પણ કરોડપતિની હરોળમાં જ છે ને!

છગનનું ખાતું જે બેન્કમાં છે તેનો પટાવાળો જે ચેક ઉપર સિક્કા મારે છે તેનો પગાર વીસ હજાર ઉપર છે અને એ જ બેન્કનો ક્લાર્ક ચાલીસ હજાર પગાર મેળવે છે, એ દેશના સાંસદને પચાસ હજારનો પગાર શું વધારે કહેવાય?

સાંસદની નોકરી તો પાંચ વર્ષની જ ગણાય, જ્યારે બેન્ક ક્લાર્ક કે સચિવની નોકરી પાંત્રીસ ચાલીસ વર્ષની ગણાય.

કહે છે કે કાયદાના હાથ લાંબા છે, તો કાયદા ઘડનાર સાંસદોના પગાર શું કામ ટૂંકા હોવા જોઈએ? ટૂંકા પગારે તો કામ કરવા માટે અપરાધીઓ તૈયાર થશે જ, પણ તમારે ડો. વસંત પરીખ જેવા કે સરદાર પટેલ જેવા સાંસદો જોઈતા હોય તો તેની કિંમત પ્રજાએ ચૂકવવી જોઈએ. નહીંતર જે થોડા ઘણાં વિત્તવાળા સાંસદો હશે તે વિત્તના અભાવે આવતા સંકોચાશે.

સાંસદોને સારું વેતન સરવાળે દેશને સારી વ્યક્તિઓ મળવાનો રસ્તો સરળ બનાવશે.

જમીન પાછળ સારા ખાતર-પાણીનો ખરચો એ ખરચ નથી પણ રોકાણ છે. સમજો તો સારું.

વાઈડ બોલ

ક્રિકેટમાં ગેરવર્તન કરનારની મેચ-ફી કાપી લેવામાં આવે છે. તેમ સંસદમાં ગેરવર્તન કરનારનું ભથ્થુ-પગાર કાપી લેવાની જોગવાઈ કરવાથી ધોરણ કદાચ સુધરે.

No comments: