Saturday, January 29, 2011

રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે?


“કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમરે ચેતવણી આપી છે.”

“કોને ત્રાસવાદીઓને?”

“ના જી.”

“તો જરૂર પેલા પાકિસ્તાન તરફી નારા લગાવનારા અને નિર્દોષોની હત્યા કરનારાઓને કડક પગલાંની ચેતવણી આપી હશે.”

“ના કડક પગલાંની ચેતવણી આપી છે, એ બીજા લોકોને.”

“બીજા લોકો કોણ?”

“પેલા ભાજપવાળાઓને.”

“ભાજપવાળાને કેમ આપવી પડી?”

“અરે બોસ, આ ભાજપવાળા જીદ લઈને બેઠા છે.”

“આમ તો એ લોકો જીદ લઈને જ બેસતા હોય છે, જુઓને જેપીસી તપાસ માટે કેવી જીદ કરે છે.”

“બરાબર છે હવે આ લોકો કહે છે અમે કાશ્મીરમાં ધ્વજ ફરકાવીશું.”

“ભાજપવાળા કાશ્મીરમાં ધ્વજ ફરકાવાના છે તે કયા દેશનો છે?”

“ધ્વજ તો ભારતનો રાષ્ટ્રધ્વજ છે.”

“કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે ગુનો બને છે?”

“ના.”

“તો પછી?”

“કાશ્મીર સરકારને ગણતંત્ર દિને રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે સામે વાંધો છે!”

“કેમ?”

“બોસ, તમને ખબર છે સાકર એ તો મીઠી ચીજ ગણાય પણ ગધેડાઓ સાકર ખાય તો મરી જાય એમ કહેવાય છે. તેમ રાષ્ટ્રધ્વજ એ આમ તો સ્વમાનનું પ્રતીક છે, પણ કાશ્મીર સરકાર તેને ફરકાવવો તે તેનાથી વિરુદ્ધનું સમજે છે.”

“ખરેખર?”

“હા, સમગ્ર દેશમાં તિરંગો ફરકાવવાના કામમાં આવે છે, પણ કાશ્મીરમાં તે બાળવાના કામમાં વપરાય છે.”

“ગજબ કહેવાય.”

“મિત્ર, કેરોસીન બાળવાના કામમાં આવે છે, એ બાળવા માટે જ વપરાય, તમે એને પીવા માટે વાપરો ખરા?”

“ના.”

“બસ એ જ તર્ક છે જે ધ્વજ ત્યાં બાળવામાં આવે છે તેને ફરકાવવામાં આવે કઈ રીતે?”

“પણ તમે ભારતીય છો, અને ભારત-ભૂમિમાં રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકો?”

“મિત્ર, તમે રાષ્ટ્રધ્વજ ન ફરકાવો તેથી તમે ભારતીય મટી જતા નથી.”

“એટલે?”

“એટલે બ્રાહ્મણ હોવાની સાબિતી તરીકે તમે જનોઈ પહેરો, જોકે હવે ઘણા બ્રાહ્મણો પણ જનોઈ નથી પહેરતા, તેમ ભારતીય હોવાની સાબિતી તરીકે તમારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો? જેમ ઘણાં બ્રાહ્મણોએ જનોઈ છોડી દીધી છે, તેમ છતાં તે બ્રાહ્મણ જ ગણાય તેમ રાષ્ટ્રધ્વજ ન ફરકાવનાર પણ ભારતીય જ ગણાય. માટે ભાજપવાળાએ જીદ છોડવી જોઈએ.”

“એ બરોબર છે!”

“કેમ નહીં? ઘણી પરણેલી સ્ત્રીઓ સુહાગનું ચિહ્ન ગણાતો ચાંલ્લો નથી કરતી, છતાં તે પરણેલી ગણાય છે તેમ ચાંલ્લામાં ન માનતી પરિણીત સ્ત્રી જેવું કાશ્મીર છે તેમ સ્વીકારી લેવું.”

“રાષ્ટ્રમાં રાષ્ટ્રધ્વજ ઉપર બબાલ થાય એ કેવું?”

“આપણા એક મંત્રી, જેમની કૃપાથી કાંદા દુર્લભ વસ્તુ થઈ ગઈ છે...”

“તમે આદરણીય શરદ પવારની વાત કરતા લાગો છો.”

“સહી પહેચાના, જેમના (કુ) શાસનમાં કાંદા ઊંચાઈ પર પહોંચી ગયા છે. તેમના મંત્રાલયની ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ઊલટો ફરકતો હતો, એક સ્વાતંત્ર્ય દિને અને એક ચેનલવાળાએ કલાકો સુધી તે દૃશ્ય બતાવ્યું હતું.”

“એમ?”

“હા, એક નેતાએ ડાબા હાથથી ધ્વજને સલામી આપી હતી.”

“એ તો વિરોધીઓને ડાબા હાથની આપવાની મનોવૃત્તિના કારણે.”

“અગાઉ રાષ્ટ્રધ્વજ સાથે ઘણાંએ ગુસ્તાખી કરેલી છે અને આ વખતે પ્રજાસત્તાક દિને ઓમર અબ્દુલ્લા રાષ્ટ્રધ્વજ કાશ્મીરમાં નહીં ફરકાવે?”

“એ તો રસમ પ્રમાણે ફરકાવશે, પણ તેમનું કહેવું છે ધ્વજ હું ફરકાવીશ એ મારો હક છે. છાસ આપવી કે ન આપવી તે વહુ નહીં સાસુ જ નક્કી કરે છે, તેમ રાષ્ટ્રધ્વજ રાજ્યમાં ફરકાવવાનો હક મુખ્યમંત્રી જ, બીજાને તે હક્ક નથી. વહુઓએ સમજવું જોઈએ...’

વાઈડ બોલ

‘ગઈ સાલ, ચંદ્રગ્રહણના દિવસે કેટલાંકે લગ્ન કર્યાં હતાં’.

‘ચંદ્રગ્રહણમાં એમને પાણિગ્રહણનો વાંધો નહીં હોય, ગ્રહણના દિવસે લગ્નને કેટલાંક ઘરણ ટાણે સાપ કહી શકે.’

Thursday, January 27, 2011

ઉદ્ધતાઈનું બીજું નામ

અમદાવાદની સિટી બસ એક ચીજ છે.

એના ડ્રાઈવર-કન્ડક્ટર સુપર ચીજ છે. એના કન્ડક્ટરોની ‘કન્ડક્ટ’ ખાસ ચીજ છે.

અમદાવાદની સિટી બસના કંડક્ટર તેમની કોમેન્ટ્સથી ખાસ પહેચાન પામેલા.

કાંકરિયાના રસ્તે ત્યારે સારંગપુર મીલ નં. ૧ હતી. હવે ત્યાં બીજી કોઈ મીલ છે. પણ રાયપુરમાં આવેલી આ સારંગપુર મીલને લોકો વાંદરા મીલ તરીકે ઓળખતા. કદાચ આ મીલના કમ્પાઉન્ડમાં ઝાડ ઉપર વાંદરા વધુ દેખાતા હશે. એટલે એવું નામ પડી ગયું હશે. મીલના શેઠીયા પોતાને સારંગપુર મીલના માલિક તરીકે ઓળખતા હશે, વાંદરા મીલના શેઠ છે તેવું નહીં કહેતા હોય. પણ કારીગરો અને લોકો મીલને વાંદરા મીલ તરીકે જ જાણતા. સિટી બસના કન્ડક્ટર પણ મીલના ઝાંપે આવેલ બસ સ્ટેન્ડ પાસે બસ આવે કે બૂમ મારે, ‘છે કોઈ વાંદરા?’ બસમાં બેઠેલા લોકો એ સાંભળીને હસી પડે. (ઊભેલા પણ હસે) બે, ત્રણ પેસેન્જર છોભીલા પડી ઊતરી જાય.

આ કન્ડક્ટરોનું વર્તન સુધરે માટે વ્યવસ્થાપકો પણ વિવેક સપ્તાહ ઊજવે, પણ કન્ડક્ટરો પ્રવાસીઓને પજવે.

શેક્સપીયરે કહેલું, “બેવફાઈ તારું બીજું નામ સ્ત્રી છે”, આ હેલ્મેટ નાટકમાં તેણે કહેલું જે અમે ભણેલા (મજબૂરી) આ વિધાન સામે કોઈ મહિલા મંડળે કે આગેવાનોએ હોબાળો મચાવ્યો ન હતો. બીજા શબ્દોમાં મહિલા મંડળોએ તેમની ફરજ સાથે બેવફાઈ કરેલી. શેક્સપીયરનાં પૂતળાં બાળવાનો સોનેરી અવસર તેમણે ગુમાવેલો.

મૂળ વાત ઉપર આવું તો, (આમેય મને મૂળ વાત ઉપર આવતા વાર લાગે છે) શેક્સપીયર આજે હોત અને અમદાવાદની સિટી બસનો તેને અનુભવ હોત તો જરૂર લખત, “ઉદ્ધતાઈ તારું બીજું નામ બસ કન્ડક્ટર છે”.

શેક્સપીયરે નહીં કહેલા વાક્યને સાર્થક કરતો હોય તેવો બનાવ અમદાવાદમાં બની ગયો.

એક મંગળની રાત્રે, આ અમંગળ ઘટના બની. એક સિનિયર સિટિઝન હોન્ડા સિટી કાર ડ્રાઈવ કરતા હતા, સિટી બસના ડ્રાઈવર - કન્ડક્ટરે એમને ખૂબ ચોપડાવી. હોન્ડા સિટી કારના માલિક પોતે કાર ચલાવતા હતા. એ એક પ્રકાશક હતા. (પ્રકાશક હતા એટલે હોન્ડા સિટી કારમાં હતા, લેખક હોત તો સિટી બસમાં હોત).

ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઈટ જોઈ, એટલે કારના માલિકે કાર થોભાવી. જે પાછળ આવતી સિટી બસના ડ્રાઈવરને ન ગમ્યું. કારના માલિકે પ્રકાશક તરીકે કેટલાંક કાયદાનાં પુસ્તકો છાપ્યાં હશે એટલે તેઓ કાયદાનું પાલન ઇચ્છતા હતા, એટલે ગાડી ઊભી રાખી. ડ્રાઈવર -કન્ડક્ટરને આ નડતર લાગ્યું, પરિણામે બોલાચાલી થઈ. (આમ તો ગાળાગાળી જ કહી શકાય).

છાપામાં એવા સમાચાર પણ હતા કે, ડ્રાઈવર-કન્ડક્ટરે કહેલું કે, ‘રાતના નવ પછી ટ્રાફિક સિગ્નલ જોવાનાં જ ન હોય’ આ સિટી બસના ડ્રાઈવર લાઈન બહાર બોલિંગ કરતા બોલર જેવા છે. (નો-બોલ ફેંકનાર).

ડ્રાઈવર - કન્ડક્ટરે સમૂહમાં પ્રકાશક કાર માલિકને કહ્યું, ‘કાયદો જાય તેલ લેવા’.

કાયદો તેલ લેવા જાય તો કાર માલિક શું લેવા જાય? એમણે સિટી બસના ચેરમેન, પોલીસ કમિશનર, બધાને કાગળો લખી નાખ્યા. (એટલે કે પ્રકાશક લેખક બની ગયા).

સિટી બસના વ્યવસ્થાપકો, પોલીસખાતાના અધિકારીઓ કહે છે, કાગળો તો મળી ગયા છે. હવે શું? એ લોકો કહે છે, ‘ઘટતું કરીશું’

ઘટતું એટલે શું? --?-- માહિતી નાય,

તમને ખબર છે?

ગૂગલી

જૂની રંગભૂમિનું એક નાટક હતું, ‘એમ.એ. બના કે ક્યૂં મેરી મીટ્ટી ખરાબ કી?’

સિંદબાદ તેને યાદ કરીને કહે છે, ‘મનમોહનસિંહ અત્યારે કહેતા હશે, પી.એમ. બના કે ક્યૂં મેરી મીટ્ટી ખરાબ કી?’

Saturday, January 22, 2011

ચીયર લીડર્સનું વજૂદ


સંસદીય સમિતિના સભ્યો આશ્ચર્યમાં ગરકાવ છે. તેઓ વિચારે છે. ‘ચીયર લીડર્સ’ ક્રિકેટની પ્રગતિમાં શું મદદ કરી શકે? શા માટે ચીયર લીડર્સ આઈપીએલ ક્રિકેટમાં છે? આ સવાલ તેમણે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના હોદ્દેદારોને કર્યો. એ અધિકારીઓ ગેંગે ફેફે થઈ ગયા, એ લોકો ખુલ્લા પડી ગયા. (ચીયર લીડર્સનાં અંગોની જેમ) બોર્ડના એ હોદ્દેદારો સવાલથી ઝંખવાણા પડી ગયા. ઝીરો રનમાં ક્લીનબોલ્ડ થયેલા બેટ્સમેનની જેમ સંસદીય સમિતિના સભ્યો બગડયા હતા.

એ લોકોને લાગતું હતું કે ક્રિકેટમાં બેટ જરૂરી છે, બોલ જરૂરી છે, સ્ટમ્પ જરૂરી છે. રમવા માટે બોલને ફટકારવા માટે બેટ જરૂરી ગણાય. ઈન્ઝમામ જેવા તો બેટથી બોલ ફટકારવા સાથે ક્યારેક બેટ લઈ પ્રેક્ષક તરફ પણ ધસી જાય, (કેનેડામાં રમાયેલી મેચ યાદ હશે) બોલ પણ જોઈએ. બોલથી રન થાય, અને નો-બોલથી પણ રન થાય.

સ્ટમ્પ તો ક્રિકેટમાં નિશાન ગણાય. બોલર અને ફીલ્ડર બંનેનું નિશાન સ્ટમ્પ હોય. રન આઉટ કરવા ક્યારેક ફિલ્ડર સ્ટમ્પ તરફ બોલ ફેંકે તો નિશાન ચૂકી પણ જાય. ‘નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન’ એટલે એવા નિશાનચૂક માફ થઈ શકે. પણ કેટલાક બોલરોનું નિશાન બેટ્સમેનોનું માથું હોય છે. એ જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં નીચું નિશાન ગણાય.

સ્ટમ્પ પણ જરૂરી સાધન ક્રિકેટમાં છે. હવે તો સ્ટમ્પ દીવાલ જેવો છે. દીવાલને પણ કાન હોય છે તેમ હવે સ્ટમ્પને પણ માઈકરૂપી કાન હોય છે. જેમાંથી ક્રિકેટરોનો કકળાટ કે બબડાટ સાંભળી શકાય છે. ટૂંકમાં આ બધાં સાધનો ક્રિકેટમાં ‘મસ્ટ’ છે. જોઈએ જ. પણ માનનીય સંસદીય સભ્યોને ‘ચીયર લીડર્સ’ શા માટે છે તે સમજાતું નથી. આ ચીયર્સ લીડર્સની ક્રિકેટમાં કોઈ સક્રિય ભૂમિકા નથી. ખાલી શોભાની પૂતળીઓ છે તેમ એ લોકોને લાગે છે. શોભાની પૂતળીઓને શા માટે મેદાનમાં ઉતારી છે? તેવો પ્રશ્ન આ સંસદ સભ્યોને થયો છે. આ અંગે સિંદબાદ કહે છે, “સંસદની ચૂંટણીમાં પણ પક્ષો રૂપાળી અભિનેત્રીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે એ જ રીતે ક્રિકેટ બોર્ડે ચીયર લીડર્સને ક્રિકેટના મેદાનમાં ઉતારી છે.” સિંદબાદનું તારણ એવું છે કે આ અભિનેતાઓ ચૂંટણીના મેદાનમાં તેમજ પક્ષના પ્રચારમાં ચીયર લીડર્સની જેમ આવે છે, કારણ કે પક્ષના અધિષ્ઠાતાઓ માને છે કે અભિનેત્રીઓની ભૂગોળ જોઈ મતદારો પક્ષનો ઇતિહાસ ભૂલી જશે. એમને સાઈડ ટ્રેક કરવા માટે જરૂરી છે તેમ ક્રિકેટ મેચમાં રમતમાં દર્શકોનો રસ જાળવવા માટે ચીયર્સ લીડર્સ જરૂરી છે. તેમ આયોજકો માનતા હશે.

ક્રિકેટના મેદાનમાં પણ ચીયર્સ લીડર્સનું વજૂદ કંઈક એવું જ છે. લોકોને રસ પડે તેવો ખેલ નાંખવો.

ફિલ્મોમાં પણ જરૂરી ન હોય તોપણ, તેમાં કેબરે ઘુસાડી દેવામાં આવે છે. ચીયર લીડર્સ પણ ક્રિકેટમાં કેબરેનો કન્સેપ્ટ છે. સ્વર્ગના અધિપતિ ભગવાન ઈન્દ્રની વાત જુઓ. એમના દરબારમાં, મેનકા, ઊર્વશી, રેખા, તિલોત્તમા આ બધી જોવા જાવ તો ઈન્દ્ર દરબારની ચીયર લીડર્સ જ ગણાય.

ક્રિકેટમાં ચીયર લીડર્સ, કોઈ બેટ્સમેન લેગ ગ્લાન્સ ફટકારી બોલને બાઉન્ડરી બહાર મોકલે એટલે પોતાના ‘લેગ’ હવામાં ફંગોળી લેગ ગ્લાન્સને વધાવી લે છે. કેટલાક દર્શકો એ સમયે ‘ગ્લાન્સ એટ લેગ ઓફ ચીયર્સ લીડર્સ’!

ક્રિકેટ બોર્ડનો હેતુ રમત વધુ પ્રેક્ષકો સુધી પહોંચે તે છે. આ પ્રથા સામે ચેનલની ભાષામાં કહું તો ‘સવાલિયા નિશાન ખડા કરને વાલે’ સંસદ સભ્યોને એક સવાલ પૂછવાનું મન થાય છે. આ સાંસદો અનેક કોન્ફરન્સ, સેમિનારમાં ભાગ લેતા હોય છે. એ સમારંભોમાં જોવામાં આવ્યું છે કે માનનીય વક્તા, જે સાંસદ પણ હોઈ શકે. સ્ટેજ ઉપર જવા પગ ઉપાડે કે તેની બંને બાજુએ સુંદર યુવતીઓ આવી જાય છે અને તેમને સ્ટેજ સુધી દોરી જાય છે. એને એ લોકો ‘એસ્કોર્ટ’ કહે છે. શા માટે આ નેતાઓને સ્ટેજ સુધી જવા માટે સુંદર યુવતીઓ સાથ આપે છે? શું એના વગર તેઓ ભૂલા પડી જાય? આ પ્રથા સામે કેમ કોઈ સંસદીય સમિતિ સવાલ ઊભા નથી કરતી.

આઈપીએલમાં મહિલા ક્રિકેટની મેચો થવી જોઈએ. તેવી પણ એક વાત આવી છે. શક્ય છે તેમાં ચીયર લીડર્સ તરીકે કેટલાંક નર્તકો - પુરુષો જોવા મળે. જે બરમૂડા પહેરીને સ્ટેજ ઉપર નાચી બાઉન્ડરીને વધાવતા હોય. ચીયર્સ લીડર્સની પ્રથા રહેશે કે જશે? ક્રિકેટની ભાષામાં જ કહીએ તો ‘લેટ અસ વેઈટ એન્ડ વોચ - ટિલ ટૂમોરો...’

વાઈડ બોલ

પ્રામાણિક માણસનું મૂલ્ય છે.

ભ્રષ્ટ માણસની કિંમત હોય છે.

Tuesday, January 18, 2011

‘મારા સળીના પ્રયોગો’

મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગો કર્યા હતા અને પુસ્તક પણ લખ્યું. ‘મારા સત્યના પ્રયોગો’. પણ એક નાટયકારને લાગ્યું કે આ સમયમાં તો સત્ય નહીં પણ અસત્ય જ ચાલે. એટલે એણે લખ્યું, ‘મારા અસત્યના પ્રયોગો’ એ નામે નાટક પણ રજૂ કર્યું. આ નાટક કેટલું ચાલ્યું તેની ખબર નથી પણ પાર્લામાં લેખકો સામે આ નાટક ભજવાતું હતું ત્યારે એક અધ્યાપકે વાંધો લીધો કે તેમાં સુરુચિ ભંગ કરે તેવા સંવાદો છે. એટલે તે વખતે તે નાટક આગળ ચાલ્યું ન હતું. એ વાતમાં સત્ય હતું કે અસત્ય એવી ચર્ચા થઈ પણ નાટક બંધ થયું. આ જમાનામાં અસત્ય ચાલતું હશે પણ અસત્યના પ્રયોગો ત્યારે નો’તું ચાલ્યું.

છગનને મિત્રો સળીબાજ તરીકે ઓળખે છે. છગન પણ ભવિષ્યમાં ‘મારા સળીના પ્રયોગો’ લખવા ધારે છે. સત્ય ચાલે અસત્ય પણ ચાલે, પણ સમાજમાં સળીબાજી તો ચાલવાની જ.

છગનની પોળમાં એક વામનભાઈ રહે. એક વાર એક ગ્રામ્યજન તેમનું ઘર શોધતા પોળમાં પ્રવેશ્યા. તેમણે છગનને પૂછયું, “ભાઈ, આ વામન ભટ્ટનું ઘર ક્યાં આવ્યું?”

સવાલ સાંભળતા જ છગનનો સળીબાજ આત્મા સળવળ્યો. પોળમાં વામનભાઈને તેમના શત્રુઓ અથવા સામેના ગ્રુપના લોકો વામન ઝંડો કહેતા હતા.

છગને એકદમ ઠાવકું મોઢું રાખી કહ્યું, “આ ગલીમાં આગળ જાવ, પછી કોઈને પણ પૂછશો કે વામન ઝંડાનું ઘર ક્યાં આવ્યું કે તુરંત તમને બતાવશે કોઈ તકલીફ નહીં પડે”.

ગામડેથી આવેલા તે સજ્જન એકદમ સરળ હતા અને થાકેલા પણ હતા. ઝટ ઘર મળી જશે તે જાણી એકદમ ખુશ થઈ ગયા. એમણે ચાલવા માંડયું - દૂર એક ઓટલા ઉપર એક ભાઈને ઊભેલા જોયા. આને પૂછવાનું ઠીક રહેશે તેમ સમજી તેની પાસે ગયા. અને ઓટલે ઊભેલા ગૃહસ્થને પૂછયું, “અરે ભાઈ, વામન ઝંડાનું ઘર ક્યાં?” પ્રશ્ન સાંભળીને ભાઈ ચમક્યા. સામે પ્રશ્ન કર્યો, “શું કહ્યું તમે?” પેલાએ પ્રશ્ન દોહરાવ્યો.” અરે ભાઈ, વામન ઝંડાને ઘેર જાવું છે એમનું ઘર ક્યાં આવ્યું?” જેમને આ પૂછવામાં આવ્યું હતું તે ખુદ વામનભાઈ ભટ્ટ હતા.

પોતાને ઝંડા તરીકે નવાજનાર આ શખ્સને જોઈ એમણે ઓટલા ઉપરથી સીધો જ કૂદકો માર્યો. વામનભાઈએ પૂછયું, “તમને કોણે વામન ઝંડો એવું નામ કહ્યું?”

છગન તો છટકવામાં માહેર, એ તો તુરંત જ સરકી ગયો.

વામનભાઈને સામેના ગ્રુપના બે-ત્રણ ઉપર શંકા ગઈ. તેમણે તેમને ખૂબ ચોપડાવી. માણસ ભેગું થઈ ગયું.

છગન ત્યારે એસ.એસ.સી.માં ભણતો હતો. મોડી રાત સુધી વાંચે. એક વાર રાતના સાડા ત્રણ થયા હશે. વાંચીને કંટાળેલા છગનને ‘ફ્રેશ’ થવાનું મન થયું. તેણે બાજુના મકાન પાસે જઈ બહાર પડેલી સાયકલની ઘંટડી અમુક લયમાં વગાડી અને બૂમ પાડી ‘દૂઉઉધ’ (દૂધ) બીજે માળે રહેતાં કમળાકાકીને થયું દૂધ આવી ગયું લાગે છે. રાતના સાડા ત્રણ વાગ્યે. આંખો ચોળતાં ચોળતાં લાકડાના દાદરા પરથી નીચે ઊતર્યાં.

હાથમાં તપેલી અને ઓટલે ઊભા ઊભા ચારે બાજુ જોવા માંડયાં કે દૂધવાળો ક્યાં ગયો?

વર્ણસગાઈ વાપરીને કહેવું હોય તો કહેવાય, ‘કમળાકાકીએ કકળાટ કર્યો’.

છગનના સળીના અનેક દાખલા છે. છગન ‘મારા સળીના પ્રયોગો’ એવું પુસ્તક લખવા ધારે છે. એ માને છે કે ભવિષ્યના સળીબાજોને તેમાંથી માર્ગદર્શન મળશે.

ગૂગલી

એક જણ બેહોશ થઈ દુકાન પાસે પડયો.

કોઈકે કહ્યું, ‘એને કાંદા સૂંઘાડો, ડૂંગળી સૂંઘાડવાથી બેહોશી દૂર થાય છે.’

‘ક્યાંથી સૂંઘાડે? ડુંગળીનો ભાવ સાંભળ્યા પછી જ એ બેહોશ થઈ ગયા છે’.

Sunday, January 16, 2011

ગધ્ધે કી હરાજી

ખેતીવાડી ખાતાના પ્રધાન શરદ પવારના ભવ્ય સન્માનનું આયોજન થયું હતું. એમના વજન કરતાં પણ વધુ હારતોરા એમને થયા. પવારના આ જબરજસ્ત સન્માન પાછળનું રહસ્ય શું?

સિંદબાદે એક આગેવાનને પૂછયું, “તમે શરદ પવાર ઉપર કેમ વારી ગયા છો? આટલું બધું સન્માન તેમને કેમ?”

ત્યારે તે આગેવાને કહ્યું, “મિત્ર, શરદ પવારે જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે.”

“ભારતને ખેતીપ્રધાન દેશમાંથી ક્રિકેટપ્રધાન દેશ બનાવ્યો તે?”

“ના મિત્ર ના, ભલે લાખ્ખો ટન અનાજ સરકારી ગોડાઉનમાં સડી જતું પણ તેમની એક સિદ્ધિ એવી છે કે બધું જ માફ, સમાજ એમના માટે ગૌરવ લઈ શકે તેમ છે.”

“મહાશય, એમની એ મહાન સિદ્ધિ ઉપર પ્રકાશ પાડશો?”

“અવશ્ય અવશ્ય... સદીઓથી દેશના સંતો-મુનિઓ લોકોને ડુંગળી છોડવાની સલાહ આપતા રહ્યા છે. પણ તે તમામ મુનિસાહેબો, આચાર્યસાહેબો જે કરી ન શક્યા તે પવારજીએ કરી બતાવ્યું... લોકોએ એમના વહીવટમાં ડુંગળી ખાવાની છોડી દીધી છે!”

***

મિત્રો, હરાજી એક ઉત્તેજિત કરનાર પ્રસંગ છે. ભલે તમે હરાજીમાં ભાગ ન લો પણ તેની માહિતી પણ આનંદપ્રદ બની રહે છે.

ફિલ્મોમાં હરાજીનાં દૃશ્યો ઘણી વાર જોવા મળ્યાં છે. હરાજી બોલનાર, દસ લાખ એક વાર - દસ લાખ બે વાર એમ બોલી દસ લાખ ત્રણ વાર બોલવા માટે લાકડાની હથોડી ઊંચકે ત્યાં એક ખૂણામાંથી અગિયાર લાખ-એમ અવાજ આવે. સન્નાટો છવાઈ જાય, ઘણી વાર હરાજીમાં ચડસાચડસી બતાવવામાં આવે.

ફિલ્મોની હરાજી પછી ક્રિકેટમાં હરાજી આવી છે. સિંદબાદ કહે છે કે, ફિક્સિંગની વાતો જાહેર થયા પછી ક્રિકેટની આબરૃની હરાજી જ થઈ હતી.

ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફિક્સિંગની બાબતમાં જેની સંડોવણી જણાઈ હતી તેવા ક્રિકેટર ઉપર આજીવન ક્રિકેટ રમવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમાં એક ક્રિકેટર હતા આપણા અઝહરુદ્દીન. અઝહરુદ્દીન આમેય ક્રિકેટમાં નિવૃત્તિના આરે હતા. કોઈ કર્મચારી રિટાયર થવાનો હોય અને એ સમયે એને ડિસમિસ કરવામાં આવે તેવો એ ખેલ હતો.

ભારતે આઈપીએલ ક્રિકેટ શરૃ કર્યા પછી ક્રિકેટરોની હરાજી શરૃ થઈ છે. આપ સૌ જાણતા હશો. ગુજરાતના વૌઠામાં ગધેડાંઓની હરાજી થાય છે. ત્યાં તો ગધેડાંઓને નામ પણ આપવામાં આવે છે. એક વાર આ મેળામાં એક ગધેડાનું નામ આમિર હતું. એક ગધેડાનું શાહરૃખ નામ હતું. દર વરસે ગધેડાંઓની હરાજી રસપ્રદ બને છે. એ જ રીતે ક્રિકેટરોની હરાજી પણ રસપ્રદ બને છે. હમણાંના સમાચાર પ્રમાણે આઈપીએલની આ વખતની હરાજીમાં સૌરવ ગાંગુલી, જે ‘દાદા’ તરીકે ઓળખાય છે તેનો કોઈ લેવાલ નથી. દાદાની દાદાગીરી સમાપ્ત થઈ ગઈ છે.

ડોના ગાંગુલી જે સૌરવ ગાંગુલીનાં પત્ની છે. તેને આંચકો લાગ્યો હશે. ઘણી પત્નીઓ તેમના પતિદેવને કહેતી હોય છે, “તમારું તો કોઈ ફદીયું પણ ન આપે.” ડોના ગાંગુલી સૌરવ ગાંગુલીને આ વાક્ય અધિકારપૂર્વક સંભળાવશે.

ડોનાએ ડાયમંડ સેટની માગણી કરી હશે. ગાંગુલીએ કહ્યું હશે, “બસ આ વખતે આઈપીએલના પૈસા આવશે ત્યારે તને ડાયમંડથી મઢી દઈશ.” પણ? ડોનાના દિલ કા અરમાન બહ ગએ. હાય વો દિન કહાં કે ડોનાના ડિલ ઉપર ડાયમંડ!

ઘણાં બિલો ચૂકવવાનાં હશે, તેનો મદાર સૌરવે આ હરાજી ઉપર રાખ્યો હશે. કવિ મરીઝે કહ્યું હતું કે, “બધાંનું દેવું ચૂકવી દઈશ... ગર અલ્લાહ ઉધાર દે” સૌરવે પણ વિચાર્યું હશે. આ આઈપીએલની હરાજી પછી આમ કરીશ, તેમ કરીશ. બટ આફ્ટર ઓલ, આઈપીએલ ગોડ ડિસ્પોઝિસ!

Wednesday, January 12, 2011

સંભલ કે યે દુનિયા હૈ...

કલા એ સમાજની આરસી છે. સમાજના પ્રવાહોની અસર કલાજગત ઉપર પણ પડે છે.

છગને એક નાટક તૈયાર કર્યું અને હોલમાં પ્રથમ પ્રયોગ હતો ત્યારે પરદો ઉઠાવતા પહેલાં છગને એક નિવેદન પરાણે ટિકિટ વળગાડેલા, તેમજ સ્વેચ્છાએ ટિકિટ ખરીદીને આવેલા દર્શકો સમક્ષ કર્યું.

‘દર્શકમિત્રો, અમને ખબર છે કે ક્યારેક દર્શકો નાટકની રજૂઆતથી નારાજ થાય છે. તેવે વખતે કલાકારો ઉપર રિવાજ મુજબ સડેલાં ઈંડાં - ટામેટાં કે જૂતાં ફેંકવામાં આવે છે. હવે જૂતાં રિઝર્વ કેટેગરીમાં ચાલ્યાં ગયાં છે. નારાજ લોકો ફક્ત નેતાઓ ઉપર જૂતાં ફેંકે છે. અમેરિકાના પ્રમુખથી માંડી રાજ્યના કોઈ નાયબ પ્રધાન ઉપર લોકો જૂતાં ફેંકે છે. શક્ય છે કે અમારું નાટક જોઈને તમે રાજી થવાને બદલે નારાજ થાવ એવી પરિસ્થિતિ ઊભી થાય તો મારી આપને એક વિનંતી છે. સડેલાં ઈંડાં, ટામેટાં ફેંકવાને બદલે તમે ડુંગળી ઉપર આપની પસંદગી ઉતારજો. બીજું કંઈ નહીં પણ અમને આપની નારાજગી પ્રગટ કરવાની તક મળશે અને કલાકારો પણ રાજી થશે. જયહિંદ’. લોકોએ આને છગનનું શાણપણ ગણાવ્યું હતું.

પોતાની પ્રિય વ્યક્તિ માટે પ્રેમી કહેતા હોય છે, ‘તું તો મારી આંખનું રતન છે’ હવે પ્રેમી પોતાના પ્રેમની ઊંચાઈ દર્શાવવા કહે છે, ‘હે પ્રિયે, તું તો મારી આંખની ડુંગળી છે’.

અને પ્રેમિકા ખુશ થઈ જાય છે. ‘ઓહ માય ગોડ, આણે મને ડુંગળી જેવું ઊંચું સ્થાન આપ્યું’.

* * *

લગ્ન પછી સ્ત્રીઓની અટક બદલાય છે. પતિની અટક સ્ત્રીને મળે છે. બદલામાં સ્ત્રીની ટકટક પતિને મળે છે. પોતાની અટક પત્નીને આપનાર પતિને સ્ત્રીઓ અટકના બદલામાં ટકટક આપે છે.

ટકટકનું મહત્ત્વ તો છે જ, અટકનું પણ મહત્ત્વ છે. અભિનેત્રી રાખી કવિ ગુલઝારને પરણી. રિવાજ પ્રમાણે પછી તે રાખી ગુલઝાર કહેવાઈ. પછી વિખવાદ થયો.બંને છૂટાં પડી ગયાં. કવિશ્રી ગુલઝારે રાખી ને ન રાખી પણ રાખીએ કવિશ્રી ગુલઝારની અટક રાખી લીધી છે. રાખી એનું નામ રાખી ગુલઝાર તરીકે લખાવે છે. ઈન્દિરાજી લગ્ન પહેલાં ઈન્દિરા નહેરુ હતાં. ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યાં પછી ઈન્દિરા ગાંધી થઈ ગયાં. પણ ઈન્દિરાજી જાણતાં હતાં કે ગાંધી અટક જાદુઈ છે. સાથોસાથ નહેરુ અટક પણ છોડવી ગમતી વાત ન હતી. એટલે તે ઈન્દિરા નહેરુ ગાંધી એમ લખતાં. સંસદમાં સોગંદવિધિ વખતે તેમણે ‘હું ઈન્દિરા નહેરુ ગાંધી...’ એમ બોલીને સોગંદ લીધા હતા.

ઈન્દિરાજીને પિયર પક્ષ અને સાસરિયાં પક્ષ બંને બાજુનો ફાયદો મેળવ્યો હતો.

અટકની વાત નીકળી ત્યારે હોલિવૂડની અભિનેત્રી ‘બ્રુક શીલ્ડ’ની વાત યાદ આવે છે. કોઈકે એને પૂછયું, “તમે જેમ્સબોન્ડ સાથે લગ્ન કરવાનું પસંદ કરો?” બ્રુક શીલ્ડે ના પાડી અને કારણ જણાવતાં કહ્યું,” પછી હું બ્રુક શીલ્ડને બદલે ‘બ્રુક બોન્ડ’ થઈ જાઉં. મને બ્રુક બોન્ડ તરીકે ઓળખાવું ન ગમે.”

ઘણી ખરી પટેલ અને વણિક કન્યાઓને લગ્ન પછી અટક બદલવાની લપ થતી નથી. લગ્ન પછી પણ ઘણુંખરું તે પટેલ કે શાહ જ રહે છે.

સિંદબાદ કહે છે, “ભલે પત્નીને આ કિસ્સામાં નવી અટક ન મળે, પણ પતિને નવી ટક ટક તો મળે જ છે”.

છગન કહે છે બધું આમનું આમ જ છે.

ગૂગલી

નિર્ણય લેવો છે?

પહેલાં દિલને પૂછો પછી દિમાગને પૂછો.

પછી પત્ની કહે તેમ કરો.

Tuesday, January 11, 2011

ફોનનો ત્રાસવાદ

માણસો ટેલિફોનથી ભયાનક ત્રાસ વર્તાવી શકે છે તે આપણે અનુભવ્યું છે. કસમયે ડોરબેલ વાગે તેમ ટેલિફોનની ઘંટડી વાગે એટલે તમે ઊંઘમાંથી ડિસ્ટર્બ થઈ જાવ. ફોન કરનાર તો સલામત અંતરે બેઠો છે. તમારા આરામની પળ એ હરામ કરી નાંખે છે. ઘણી વાર એક જ વ્યક્તિના રોંગનંબર આવ્યા કરે એ ફોન કરતો હોઈ કોઈ છગનને અને ફોન તમારો જ લાગ્યા કરે. આવી પજવણી અંગે તમે લાચાર છો. કેટલાક ફોન ઉપર લાંબી વાતો કરીને ત્રાસ આપ્યા કરે. આરડીએક્સ જ નહીં પણ ટેલિફોનથી ત્રાસ ફેલાવી શકાય છે.

ટેલિફોનના ઉપયોગથી વિવિધ રીતે ત્રાસ ફેલાવી શકાય છે તે લોકોએ અનુભવ્યું છે. પણ ટેલિફોનથી નકારાત્મક રીતે ત્રાસ પણ ફેલાવી શકાય છે. ટેલિફોન ન કરીને ત્રાસ આપી શકાય છે. નકારાત્મક ઉપયોગથી અન્યને નુકસાન પહોંચાડી શકાય છે. મહેશ પાસે હજારની નોટ હતી. ખિસ્સામાંથી તે કાઢે ત્યારે તેના મોભામાં વધારો થતો હતો. ચાની કીટલીવાળો નોટ સામે અહોભાવથી જોઈ લ્યે, પછી કહે “સાબ, આટલા પૈસા ગલ્લામાં જ નથી”, પરિણામે મહેશના મિત્રોમાંથી કોઈ કીટલીવાળાને પૈસા ચૂકવી દે. હોટેલના ગલ્લા ઉપર તે નોટ પછાડે. ગલ્લાધિપતિ ખૂબ જ આદરપૂર્વક કહે, “સા’બ છુટ્ટા આપો” અને એકાદ મિત્રનું ગજવું હળવું થઈ જાય. રૂપિયા હજારની નોટ મહેશના ત્રીજા નેત્ર સમાન બની ગયેલી. મહેશના ખિસ્સામાં હજારની નોટને કારણે મિત્રોના ખિસ્સામાંથી સિલક ઓછી થતી હતી.

આવું જ કાંઈક ટેલિફોનનું છે. ટેલિફોનના ઉપયોગ યાને કે દુરુપયોગથી તમે અનેક લોકોને પરેશાન કરી શકો છો તેમ ટેલિફોનનો ઉપયોગ ન કરીને તમે સગાંવહાલાં કે મિત્રોને પરેશાન કરી શકો છો.

સુરેશ એનાં લગ્નની ‘એનિવર્સરી’ યાને કે લગ્નતિથિનો વાર્ષિક દિનની ઉજવણીનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ ‘એનિવર્સરી’ શબ્દ ગુજરાતી ઘણી વાર છબરડો પેદા કરે છે. સિંદબાદે એક વાર મેરેજ ‘એનિવર્સરી’ માટે આજે મારા લગ્નની વરસી છે એમ કહ્યું. એમાંથી બબાલ થઈ હતી. એની પત્નીને ખોટું લાગી ગયું. “તમને લગ્નતિથિ વરસી જેવી લાગે છે ને?” એમાંથી ઝઘડો થયો, વિવાહની વરસી થઈ. ઝઘડો લાંબો ચાલ્યો હોત તો ‘વરસી’નો મોકો ઊભો થઈ જાત.

સુરેશ એનાં લગ્નની તિથિની ઉજવણી માટે સારી હોટેલમાં જવાની તૈયારી કરતો હતો. પતિ-પત્ની બંને લગભગ તૈયાર થઈ ગયાં હતાં. અને ડોરબેલ વાગી... એ ડોરબેલ નહીં પણ મૃત્યુઘંટ હતો. તેમના કાર્યક્રમનો મૃત્યુઘંટ.. બારણું ખોલતા જ છગન ઘરમાં દાખલ. “મને થયું ચાલ આજે સુરેશના ઘરે જઈ ગપ્પાં મારું.”

“અલ્યા પણ ફોન કરીને આવવું જોઈએ ને?” સુરેશે નારાજગી પ્રગટ કરતાં કહ્યું.

“અલ્યા તારે ત્યાં મારે ફોન કરીને આવવાનું?” પછી માધવ રામાનુજની એક પંક્તિ છગને ટાંકી, ‘એવું કોઈ ઘર હોય જ્યાં કારણ વગર પણ જઈ શકું.’

“છગન, કવિએ કારણ વગર જવાની વાત કરી છે પણ ફોન કર્યા વગર નહીં...”

સુરેશનો પ્રોગ્રામ ચોપટ થઈ ગયો. છગને ફોન ન કર્યો તેથી. ફોનનો આ નકારાત્મક ત્રાસવાદ છે. ફોન કર્યા વગર કોઈના પણ ઘરે પહોંચી જાવ. સુરેશને તેની પત્નીએ પછી ઝાડી નાખ્યો હતો. “આવા મિત્રો હોય? સાવ રીતભાત વગરના.” ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ નો’તી કરી ત્યારે આવા બનાવ બનતા. પણ બેલ સાહેબે માનવજાતને ફોનની ભેટ આપી છે. લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ તેવું સિંદબાદ કહે છે. એ કહે છે ઘણી વાર બહાર જવા તૈયાર થઈએ કે છગન જેવા ફોન-કા-દુશ્મન હાજર થઈ જાય. કાર્યક્રમ ખલ્લાસ. ક્યારેક અમુક માણસોને આપણે જમવા બોલાવ્યા હોય ત્યાં તમુક ટેલિફોન કર્યા વગર હાજર થઈ જાય. ત્યારે કેવી અકળામણ થાય?

છગન પણ પાર્ટીમાં બિન બુલાયે મહેમાન થઈ જાય. યજમાનને મૂંઝવણ થાય. અતડું-અતડું લાગે. સિર્ફ એક ફોનનો સવાલ હતો. મંદિરમાં ઘંટ વગાડીને જાવ છો તેમ કોઈના ઘરે જતા ટેલિફોનની ઘંટડી વગાડીને જતા તમને શું થાય છે?

વાઈડ બોલ

ટીવી ઉપર કરોડપતિ થવા માટે સવાલના જવાબ આપવા પડે પણ નેતાઓ પહેલાં કરોડ બનાવી લે છે પછી સવાલના જવાબ આપે છે. ઉરાંગઉટાંગ જેવા. (આ અવળી ગંગા)

Wednesday, January 5, 2011

સ્લેજિંગ યાને ટોણાં મારો અને ફાવો

સામેના પક્ષને ચોપડાવવી એ માનવસ્વભાવ છે. લગ્નોનાં ફટાણાંનું મૂળ બીજ એ જ વૃત્તિ છે. રાજકારણમાં પણ તેનો ધૂમ ઉપયોગ જોવા મળે છે. ‘જેન્ટલમેન્સ ગેઈમ’ કહેવાતી સદ્ગૃહસ્થોની રમત ક્રિકેટમાં પણ સામેવાળાને ભાંડવાની બીના બનતી રહે છે.

હમણાં જ ડરબનમાં ભારતે દ. આફ્રિકાને હરાવ્યું, તેમાં ‘સ્લેજિંગ’ સામેવાળાને ભાંડવાની બાબત પણ ચગી હતી. દ. આફ્રિકાના કેપ્ટન અને આપણા ફાસ્ટબોલર સંતને ચડભડ થઈ હતી. ટીવી પરદે પણ આ બેની અફડાતફડી દેખાઈ હતી. આમ સંત એ કહેવાય જે ગાળાગાળીથી દૂર હોય કે ભાંડવાથી દૂર રહે, પણ ક્રિકેટના શ્રીસંત અને હરભજન બંને ‘સ્લેજિંગ’ માટે મશહૂર છે કે મુન્નીની જેમ બદનામ છે.

ખબર નથી પણ સંતે સ્મિથને કંઈક સંભળાવી, આથી અકળાયેલા સ્મિથભાઈ ‘કેચ’ આપી બેઠા.

‘સ્લેજિંગ’નો આશય આ જ હોય છે. સામેવાળાને ડિસ્ટર્બ’ કરવો, પેલો ડિસ્ટર્બ ખેલાડી ઘાંઘો થઈને ખોટો ‘શોટ’ મારીને આઉટ થઈ જાય. કહેવાય છે જાવેદ મિંયાંદાદે એની જીભથી ઘણી વિકેટ લીધી હતી. મિંયાંદાદ ‘સ્લેજિંગરત્ન’ હતા. મિયાંદાદ સ્લીપમાં ફિલ્ડિંગ કરે, બેટ્સમેનને જાતજાતની સંભળાવે. તેને મળ્યા નહેલે પે દહેલા જેવા વિશ્વનાથ. કેટલાંક વીજળીની જેમ ઝળકીને ચાલી ગયેલા ખેલાડીઓમાં એક વિશ્વનાથ પણ હતા. જે ભારતના વિકેટકિપર તરીકે થોડાક ઝળક્યા હતા. એણે જાવેદ મિયાંદાદ બેટિંગ કરતા હતા ત્યારે વિકેટ પાછળ ઊભા રહીને બરાબરની સુણાવી હતી. જાવેદભાઈએ કેપ્ટન ગવાસ્કરને ફરિયાદ કરી ત્યારે ગવાસ્કરે કહ્યું, “હી હેઝ બીન પેઈડ ઈન સેઈમ કોઈન” (જૈસે કો તૈસા)

સેહવાગ, શોએબ અખ્તર વચ્ચે પણ ટપાટપી થયેલી. એની એક વાત તો અગાઉ આ કોલમમાં લખેલી. બીજી રસપ્રદ ‘સ્લેજિંગ’ની વાત. શોએબ સહેવાગ ઉપર બમ્પરનો મારો ચલાવતા હતા. તેને હૂક કરવા, લલચાવવા માટે પણ સહેવાગ લલચાયો નહીં. શોએબ એને વારંવાર ટકોરે “હૂક માર ને.. હૂક મારને” ત્યારે સહેવાગે કહ્યું, “યાર, તૂ બોલિંગ કરતા હૈ કિ ભીખ માંગતા હૈ?”

ક્યારેક કોમેન્ટરીબોક્સમાંથી ‘સ્લેજિંગ’ જેવી જ ઝેરી કોમેન્ટ સંભળાય છે.વીનીની કોમેન્ટ યાદ આવે છે. દત્તાજી ગાયકવાડ બેટિંગ કરે, વેસ્લી હોલના બમ્પર સામે એ બેટ સીધું રાખી નીચે બેસી જાય.વીની કહે, “હી ડક્સ લાઈક સબમરીન પેરીસ્કોપ ઓન હીઝ હેડ” અને ખડખડાટ તીરી ઉડાવતું હાસ્ય. (આ માણસ બાઉન્સર સામે સબમરીનની જેમ નીચે બેસી જાય છે. ઊંચું રાખેલું બેટ પેરિસ્કોપ હોય તેવું લાગે છે)

ક્રિકેટ પણ યુદ્ધના મેદાન જેવું છે. પહેલાં યુદ્ધના મેદાનમાં પણ ‘સ્લેજિંગ’ થતું. પંચતંત્રની એક વાર્તામાં આવે છે કે પ્રતિસ્પર્ધી યોદ્ધાને બીજો યોદ્ધો કહે છે, “તું જે કુળમાં જન્મ્યો છે ત્યાં કોઈએ હાથી માર્યાનું જાણમાં નથી.”

મહાભારતમાં પણ યુદ્ધના મેદાનમાં ‘સ્લેજિંગ’ના કિસ્સા નોંધાયા છે. રથ હાંકતા રાજા શલ્યે પણ મહારથી કર્ણને ઘણાં ટોણાં મારેલા.

રીકી પોન્ટીંગ પણ આપણી સાથેની મેચમાં ‘સ્લેજિંગ’માં સંડોવાયેલો.

* * *

હાસ્ય એ જાત ઉપર ‘સ્લેજિંગ’ કહી શકાય. એક હાસ્યકાર નહાવા માટે ગરમ પાણીની તપાસમાં હતા. રૂમમાં પડેલા ‘રોડ હીટર’ (સળિયાવાળું) દર્શાવી મેં કહ્યું, “આનાથી પાણી ગરમ કરી લ્યો. પણ આ પ્રકારના હીટર જોખમી ગણાય.” હાસ્યકારે કહ્યું, ‘હા, એમાં ક્યારેક જોખમ થાય ખરું. તો જાવા દો, મારું નાહવાનું પાણી ગરમ કરતા કંઈક થાય અને મારા નાહવાના પ્રયાસમાં મારા સગાંવહાલાંને નાહવું પડે તેવું આમાંથી બને.” તેમણે પ્રયાસ માંડી વાળતાં કહ્યું.

આને સ્લેજિંગ કહી શકાય.

ગૂગલી

સંઘ અને સિમી બંને આતંકવાદી છે તેવું નિવેદન કરનાર રાહુલ ગાંધી ઉપર સિંદબાદે કોમેન્ટ કરી.

‘ભેજા વિનાના ભોમિયાની મદદથી આ માણસ રાજકારણના ડુંગરા ભમવા નીકળ્યો છે.’

Monday, January 3, 2011

શીલા કા બુઢાપા

શીલા કી જવાની નહીં પણ શીલા કા બુઢાપાનો આ કિસ્સો છે. અત્યારે શીલા કી જવાનીનું ગીત મશહૂર થઈ ગયું છે. મુન્ની બદનામ હો ગઈ એ ગીતને એણે પાછળ પાડી દીધું છે. લોકપ્રિયતામાં મુન્ની બદનામ હો ગઈ નીચે ઊતરી ગયું એથી ખરેખર મુન્ની બદનામ હો ગઈ એમ કહેવાય અને શીલા કી જવાનીની વાહ-વાહ થઈ ગઈ.

હેમેન્દ્રભાઈ શીલા કી જવાનીનું ગીત સાંભળે છે ત્યારે કહે છે કે આ ગીત અપ્રસ્તુત છે. તેમની પત્નીનું નામ શીલા છે. તે સીત્તેરે પહોંચવા આવ્યાં છે. એટલે ગીતમાં સુધારો સૂચવતાં કહે છે શીલા કી જવાનીને બદલે શીલા કા બુઢાપા ગીત હોવું જોઈએ.

શીલાબહેન જ્યારે જવાન હતાં ત્યારે હેમેન્દ્રભાઈ પણ જવાન હતા. બલકે એકાદ-બે વર્ષે નાના હતા. ‘જબ તૂમ હોગી સાઠ સાલ કિ મેં હોગા પચપન કા’ એવું તેમના કિસ્સામાં હતું. તે દંપતીએ જ્યારે પચ્ચીસી પૂરી કરી ત્યારે અવારનવાર ફિલ્મો જોવા જતાં અને જાણ્યું કે મુંબઈમાં એક ટોકીઝને મંદિરનું નામ અપાયું છે ત્યારે એ લોકો ફિલ્મો જોવા જાય ત્યારે પણ મંદિરે જઈએ છીએ તેમ કહેતાં!

જવાની કેટલાક અતિથિની જેમ અથવા તો અમુક રોગની જેમ કાયમ રોકાઈ જતી નથી. ‘જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે’ની જેમ જવાની એટલે શીલાની જવાની પણ જતી રહી છે.

હવે તે ટોકીઝરૂપી મંદિરે નહીં, પણ ખરેખર દેવસ્થાને મંદિરે જાય છે. દેખાદેખીથી મોટી ઉંમરે પણ મંદિરે જવું પડે છે. તમે કયા મંદિરે જાવ છો? એવા પ્રશ્નનો જવાબ નહીં આપી શકનાર વૃદ્ધજન અપરાધભાવ અનુભવે છે એટલે શીલા પણ જવાની બાદ મંદિરે રોજ જતી હતી.

મંદિરે રોજ જવાથી શાંતિ મળે છે એમ કહેવાય છે. સિંદબાદનું એવું તારણ છે કે વૃદ્ધાઓ રોજ મંદિરે જાય તો શાંતિ મળે પણ તેમને નહીં તેમની પુત્રવધૂઓને.

શીલાબહેન એક દિવસ, મતલબ કે એક સાંજે મંદિરે જવા નીકળ્યાં. ગલીમાં વળ્યાં કે બે યુવાનો તેમની તરફ આવતા દેખાયા. શીલાબહેનને યાદ આવ્યું કે તેઓ જ્યારે જવાન હતાં ત્યારે ઘણી વાર યુવાનો તેમની નજીક આવી જતા હતા. આ ઢળતી ઉંમરે અને ઢળતી સાંજે આ યુવાનો કેમ તેની નજીક આવી રહ્યા હશે? તેમ તેમણે વિચારવા માંડયું.

ત્યાં એક યુવાને કહ્યું, “માશી...”

શીલાએ યાદો કિ બારાતની ટેપ રિવાઈન્ડ કરવા માંડી યાદોને ફંફોસી જોઈ. પણ તેને એક પણ આવો ભાણિયો યાદ ન આવ્યો.

“મેં તમને ઓળખ્યા નહીં...” શીલાએ ત્રુટક ત્રુટક અવાજે તેની સામે નજર નોંધીને કહ્યું.

“બરાબર છે, હું પણ તમને ઓળખતો નથી પણ માણસાઈને નાતે ચેતવવા આવ્યો છું.”

“શું ભાઈ? શું થયું?”

“માશી, આગળ ખૂન થયું છે.”

શીલાબહેન ટીવી ઉપર પણ ખૂન જોતાં ગભરાઈ જતાં હતાં.

તુરંત તેમણે કહ્યું, “બાપ રે....”

“હા, માશી, આગળ ખૂન થયું છે. ત્યાં પોલીસ આવી છે. તમે દાગીના પહેરીને તે બાજુએ જાવ તે ઠીક નહીં.”

ખૂન, પોલીસ અને એમણે પહેરેલા દાગીનાને શું સંબંધ તેવું તે વિચારી ન શક્યાં. પોલીસ હોય તો પણ દાગીના પહેરીને ન જવાય તેવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ થઈ ગઈ છે! એવું પણ એ વિચારી ન શક્યાં. તેમણે પૂછયું, “તો ભાઈ હું શું કરું?”

“માશી,તમે આ દાગીના કાઢીને તમારા પર્સમાં મૂકી દો એટલે વાંધો નહીં.”

શીલાએ એ પણ ન વિચાર્યું કે ખૂન થયું હોય ત્યાં દાગીના પહેરીને જવામાં કોઈ ગુનો બનતો નથી કે કોઈ હરકત તેમાં નથી. પણ સીત્તેરે શીલાએ જવાની અને બુદ્ધિ બંને ગુમાવી દીધા હતા. એણે તરત જ બંગડી, વીંટી, નેકલેસ કાઢીને પાકીટમાં મૂકવા માંડયા. પેલા સેવાભાવી ભાણિયા તેમની મદદે લાગી ગયા. એ મદદ તેમને મોંઘી પડી. પેલા ભાણિયાઓ દાગીના સાથેનું પાકીટ લઈને જતા રહ્યા. શીલાને બુઢાપામાં લાખ રૂપિયાની ખોટ ખમવી પડી.

વાઈડબોલ

“આતંકવાદીઓએ કાશીમાં બોમ્બ વિસ્ફોટ કર્યો.”

“કાશીનું મરણ આપણે ત્યાં ઉત્તમ ગણાયું છે. આતંકવાદીઓ જનતાને ઉત્તમ વસ્તુ મળે તેવી ભાવના રાખતા હશે!”