Wednesday, December 1, 2010

બિહારના દબંગ

બિહારનાં પરિણામો બહાર આવ્યાં કે લાલુપ્રસાદ સડક થઈ ગયા. સડક થઈ જવાનાં કારણોમાં એક કારણ સડક પણ ગણી શકાય.

વરસ પહેલાં લાલુપ્રસાદે જાહેર કર્યું હતું કે બિહારની સડકો તેઓ હેમા માલિનીના ગાલ જેવી બનાવી દેશે.

ઘડીક ભર જનતાને ધર્મેન્દ્ર હોય તેવો આભાસ પણ કરાવ્યો, પણ સડકો એવી જ રહી. જનતા સમસમી ગઈ. લાલુજી નૌટંકી કલાકારની જેમ અનેક વાર જનતા સામે કોઈને કોઈક ખેલ લઈને આવતા રહ્યા.

મેઘાણીની એક કથામાં હતું કે નગરશેઠની દીકરીને પરણાવી તે ગામમાં પાણીનું ભારે દુઃખ હતું. નગરશેઠે પોતાનો ખર્ચે (માર્ક- પોતાના ખર્ચે) એક નહેર દીકરીના ઘર સુધી લઈ આવ્યા, જેથી દીકરી ઘરના ઉંબરેથી બેઠા બેઠા પાણી ભરી શકે. લાલુજી પણ એમની દીકરીના સાસરાના ગામમાં વીજળી-પાણીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરી નાખી હતી. પણ વિખ્યાત અમેરિકન પ્રમુખે કહ્યું છે કે તમે તમામ લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી.

લાલુના ‘પાસ’માં જનતા ન બંધાઈ. નીતીશકુમારની પાર્ટી ફરી જંગી બહુમત લઈને આવી ગઈ ત્યારે લાલુજી તેમની શૈલીમાં બોલી ઊઠેલા, ‘યે સસૂરા તો ફિર સે મેદાન માર ગયા.’ કહે છે કે નીતીશકુમારે લાલુજીના બળાપા સામે એક વાર પ્રહાર કરેલો. નીતીશ વિશે એલફેલ તેઓ બોલ્યા હતા ત્યારે વધુ એક અમેરિકન પ્રમુખ યાદ આવે છે, જેમણે ચૂંટણી સમયે હરીફ ઉમેદવારને બેફામ વાણીવિલાસનો જવાબ આપતાં કહેલું કે ‘તમે મારી વિશે જૂઠું બોલવાનું બંધ કરો, નહીંતર હું તમારા વિશે સાચું બોલીશ.’ આ ધમકીની અસર થયેલી. નીતીશકુમાર એન્ડ કંપનીએ લાલુજી વિશે સાચી વાતો કરી. જનતા સમજી ગઈ. લાલુજી પણ સમજી ગયા કે અબ કોઈ ‘ચારા’ નહીં હૈ, કોઈ ચારા ન રહા, સહારા ન રહા. સચિવાલયમાં ક્લાર્ક તરીકે પણ ન ચાલે, તેવા રાબડીદેવીને લાલુપ્રસાદે મુખ્યપ્રધાન બનાવી દીધાં. (મતલબ કે જનતાને માથે માર્યા.) પ્રજાએ આ બધી વાતનો ‘ગિન ગિન કે બદલા લિયા’. કોંગ્રેસે ‘એકલો જાને રે’ની નીતિ અપનાવી હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સભાઓ અને સરઘસો ભવ્ય રહ્યાં હતાં. એમ કોંગ્રેસીજનોને આશા હતી પણ કોંગ્રેસને આખા રાજ્યમાં ગણીને ચાર સીટ મળી. જે રાજ્યમાં આપણા આક્રમક ક્રિકેટર કીર્તિ આઝાદના પિતાશ્રી આઝાદ મુખ્યપ્રધાન હતા એ રાજ્યમાં ક્રિકેટ ટીમના રિઝર્વ ખેલાડીની સંખ્યા જેટલા પણ ધારાસભ્યોને કોંગ્રેસને નથી મળ્યા. પાજોદ દરબારની ભાષામાં ‘આવી હાલત થશે, કોણ માનશે’ છતાં સ્થાનિક કોંગી આગેવાનો એવી વાતો કરે છે જાણે, ‘નાટક તો સફળ જ હતું, પણ ઓડિયન્સ ફેઈલ ગયું.’ હવે આપણા જેવાને જાણવામાં એ રસ છે કે ‘કેટલા ગુંડા ચૂંટાયા છે? (કોઈ પણ પક્ષમાં) કેટલા ગુંડા હારી ગયા? આખરે સફળતાનો માપદંડ તો એ જ છે.’

ગૂગલી

છગનનું અવલોકન, ‘કોઈ ન્યાયાધીશને લગ્ન કરવા હોય તો ગોર પાસે જવું પડે અને ગોરને છૂટાછેડા જોઈતા હોય તો ન્યાયાધીશ પાસે જવું પડે.’

No comments: