Saturday, October 16, 2010

સરદાર તરફથી ઉપડશું...

અવળીગંગા - નિરંજન ત્રિવેદી

પોળોમાં તકરાર થાય ત્યારે મિત્રો વ્યૂહ ગોઠવે. સૂરીયાને લાગે છે કે કનિયા સાથે બબાલ થાય તેમ છે. એટલે તે તેના ગોઠિયાને પૂછે છે “મનુ, પેલા કનિયા સાથે બબાલ થઈ છે. મારામારી પણ કદાચ થશે.”

“થવા દે”

“હા, પણ ઝઘડો થશે ત્યારે તું મારા તરફથી ઉપડીશ ને?”

ત્યારે મનુ સુરીયાને બાંયધરી આપે છે, “હું તારા તરફથી ઉપડીશ, હું ઉપડીશ એ ‘કમિટમેન્ટ’ છે.”

અત્યારે સરદાર એટલે કે સરદાર પટેલને કારણે બબાલ થઈ છે.

ભાજપ અને કોગ્રેસે બાંયો ચડાવી છે.

કોંગ્રેસી મિત્રો એમના શત્રુ એટલે કે ભાજપ માટે કહી રહ્યા છે કે એમને ચૂંટણી વખતે જ સરદાર યાદ આવે છે.

“અરે, પણ તમને તો સરદાર ક્યારેય પણ યાદ નથી આવ્યા.” ભાજપી કાર્યકર વળતો જવાબ આપે છે.

આ તકરારમાં કોંગ્રેસ કે ભાજપ બરાબર ગરમ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા ઊભી કરવાનું નક્કી કર્યું છે. આ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા થશે. લીબર્ટીની પ્રતિમા કરતાં ક્યાંય મોટી આ પ્રતિમા હશે. બસ્સો મીટર ઊંચી પ્રતિમાના વિચારથી જ લોકો ઉત્તેજિત થઈ જાય છે.

ભારતના સૌથી ઊંચા નેતા માટે સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની વાત છે. સરદારસાહેબની બસ્સો મીટર ઊંચી પ્રતિમા બનશે. (લગભગ સાઠ માળના મકાન જેટલી) કોંગ્રેસ તરફથી ઝઘડો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસવાળા માને છે કે સરદાર તો કોંગ્રેસી હતા. “મારા બાપનું બારમું કોઈ બીજો કેમ કરે?”

ભાજપવાળા કહે છે સરદાર તો રાષ્ટ્રનેતા હતા. આ દેશને એક કર્યો હતો. આ ઝઘડામાં આપણે ક્યાં છીએ? આપણે કોંગ્રેસ તરફી નથી કે ભાજપ તરફી નથી, આપણે સરદાર તરફી છીએ. સરદાર તરફથી ઉપડવાનું અમારું કમિટમેન્ટ છે.

સરદાર પટેલનો જન્મ થયો ત્યારે જનસંઘ કે ભાજપનો જન્મ પણ થયો ન હતો. એ વખતે સરદારની સ્મશાનયાત્રામાં પ્રધાનોએ ભાગ લેવા મુંબઈ ન જવું એવી સૂચના પંડિતજીને જારી કરી હતી. પણ કનૈયાલાલ મુનશીએ તે સૂચના માની ન હતી. આ વાત મુનશીએ તેમની કથામાં લખી જ છે. અને આ લોકો પૂછે છે કે સરદારને કેમ યાદ કરો છો? આ દેશના દરેક મોટા નેતાએ મર્યા પછી પોતાના નામના ઘાટ પામ્યા છે. ગાંધીજી, જવાહરલાલ, ઇન્દિરાજી, અરે, પેલા ચરણસિંહજી અને બાબુ જગજીવનરામ પણ પોતાના ઘાટ એમની અગ્નિસંસ્કારની ભૂમિ ઉપર પામ્યા છે. આ બધા નેતાઓને એક પલ્લામાં મૂકો સામે સરદારને મૂકો એ તમામના ભેગા વજન કરતાં સરદાર પટેલનું વજન વધી જાય છે. એ સરદારના નામનો કોઈ ‘ઘાટ’ નથી. (જેણે આધુનિક ભારતનો ઘાટ આપ્યો) રાજીવ ગાંધી, સંજય ગાંધીનાં પણ ઘાટ-સ્મારક છે જ. બહાદુર શાહ ઝફરે કહ્યું હતું તેમ સરદાર પટેલને પોતાની કર્મભૂમિમાં “દો ગજ ભી જમીં ન મિલી”. આ બાબતે એ લોકોએ લાજવું જોઈએ પણ કેવા ગાજે છે!

આ દેશમાં અનેક લોકોની ટપાલટિકિટ બહાર પડી ગઈ છે. તબલાંવાળા કે સારંગીવાળાની ટપાલટિકિટ બહાર પડી ચૂકી છે. પણ મહાન-અતિમહાન સરદાર પટેલની ટિકિટ નહેરુજીની હયાતિમાં બહાર પડી નથી. ખેર, સરદાર બે ઈંચની ટપાલટિકિટના મહોતાજ નથી. માટે જ એમના માટે બે ઈંચની ટપાલટિકિટની જગ્યાએ બસ્સો મીટરની પ્રતિમા સ્થાન લઈ રહી છે. કોઈ પણ રાષ્ટ્રપ્રેમીને આનંદ થવો જ જોઈએ.

સરદાર પટેલની જન્મજયંતીની રજા પણ નહેરુના અવસાન પછી ગુજરાતમાં મંજૂર થઈ.

કારણ? કારણ એ જ કે “તૂમ કો પસંદ હો, વો હી બાત કરેંગે”તે એમનું ફેવરિટ ગીત હતું.

સરદારનું તૈલચિત્ર પણ લોકસભામાં ક્યારે મુકાયું? એ જરા જોઈ લેજો.

આ સરદારની વિરાટ પ્રતિમા મુકાય તો સમગ્ર દેશ ધન્ય થશે. યાદ આવે છે સ્વામી વિવેકાનંદની પ્રતિમા કન્યાકુમારીમાં મૂકતાં મૂકતાં આયોજકોને આંખમાં પાણી આવી ગયાં હતાં. એટલી બધી કનડગત, અવરોધો કેન્દ્ર સરકાર તરફથી થયાં હતાં. આમાં શું થશે?

વાઈડ બોલ :

“ચૂંટણીના દિવસે દારૂના વેચાણ પર પ્રતિબંધ હોય છે.”

“ડફોળ, ચૂંટણીના દિવસે કોઈ વેચાતું પીતું હોય!”

No comments: