Saturday, April 30, 2011

પિતા પધરાવો સાવધાન!

સુંદરલાલ ચિંતિત હતા. એમની ત્રણ દીકરીઓ મોટી થઈ ગઈ હતી. એનાં લગ્ન કરવાનાં હતાં. છોકરાઓની તલાશ જારી હતી.
રોજ એક વાળ ઓછો થતો. દીકરીઓ માટેના મુરતિયાની તલાશની ફિકર એ કારણ હતું. થોડા જ દિવસમાં સુંદરલાલને માથે સુંદર ટાલ પડી ગઈ હતી. પુત્રીવિવાહની ચિંતાની સાથી એ ટાલ હતી.
***
ભાવનગર ખાતે પણ જયંતિલાલ નામના ભાઈ પુત્રીનાં લગ્નની ફિકરમાં અકાળે વૃદ્ધત્વ તરફ ધકેલાતા હતા.
છેવટે દીકરી માટે એક પાત્ર મળી ગયું હતું. પણ એ માટે ‘પાત્ર’ના કુટુંબનું પાત્ર ભરવાનું હતું.
ગોરનું તરભાણું ભરવું અશક્ય નથી પણ જ્યંતિલાલના વેવાઈના તરભાણાનું ક્ષેત્રફળ વધ્યું હતું. એ તરભાણું પણ ભર્યું. લગ્ન તો થઈ ગયાં.
કોઈકે પૂછયું, “કાં જયંતિભાઈ, દીકરીના હાથ પીળા કરી દીધા ને!”
“હા ભાઈ હા... પણ... પણ...”
“પણ પણ શું?”
“દીકરીના હાથ પીળા કરવામાં મારો બરડો લાલ થઈ ગયો છે”. બનિયન ઊંચું કરવાની ચેષ્ટા કરતા જયંતિલાલે કહ્યું. દીકરીઓનું આવું છે. દબંગ શૈલીમાં છગન કહે છે, “આવી દીકરીઓ હોવાનો ડર નથી પણ એ દીકરીઓને લઈ જનારાઓનો ડર લાગે છે સા’બ.”ળ
બાકી દીકરી જેટલું વહાલ ક્યાંથી મળે. એ તો વહાલનો દરિયો છે. ખારો નહીં પણ મીઠા જળનો.
***
આવા માહોલમાં અમદાવાદમાં, અવળીગંગા જેવી ઘટના બની. મિત્રો, અમદાવાદની સ્થાપના જ અવળીગંગા તુલ્ય ઘટનાથી થઈ હતી ને! એક સસલું કૂતરાની સામે થઈ ગયું. એ અવળીગંગાએ અમદાવાદના સર્જનમાં ભાગ ભજવ્યો.
આ અવળીગંગાવાળા મેગાસિટીમાં એક મેગા અચરજ થયું. પુત્રીનાં લગ્નની ચિંતા પિતા કરે. પુત્રીનું લગ્ન પિતા ગોઠવે, પણ કુત્તે પે સસ્સા આયાવાળા આ શહેરમાં એક પુત્રીએ પિતાનું ચોકઠું ગોઠવ્યું! પિતાનાં લગ્નની ગોઠવણી દીકરીએ કરી. એ દીકરી ખુશીથી કહી રહી હશે કે ‘આજ મેરે બાપ કી શાદી હૈ’ દીકરીના હાથ પીળા તો હરકોઈ બાપ કરાવે પણ આ કિસ્સામાં બાપના હાથ દીકરીએ પીળા કરાવ્યા. વિધુર પિતા એકલવાયા થઈ જશે, એ જાણી દીકરીએ નક્કી કર્યું કે બાપનાં લગ્ન કરાવ્યા સિવાય તે લગ્ન નહીં કરે.ળદીકરીએ પોતાનાં લગ્નની ખુશીમાં એડવાન્સ ભેટ તરીકે પિતાને પત્ની આપી. પિતાના હાથ પીળા કરાવનાર પુત્રી એમબીએ છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં એમબીએ થવાય છે તેમ સેલ્ફ ડેઝિગ્નેટેડ એમબીએ પણ હોય છે. જગદીશ જાની એક બેન્કમાં ક્લાર્ક, લોકો તેને એમબીએ કહે.કોઈકે પૂછયું,” આ ભાઈ એમબીએ થઈને ક્લાર્કમાં કામ કરે છે?” ત્યારે કોઈકે ખુલાસો કર્યો કે જગદીશભાઈ સેલ્ફ ડેઝિગ્નેટેડ છે. તેઓ માને છે કે ‘મને બધું આવડે’, જે એમબીએનું શોર્ટફોર્મ છે. વેલ,પણ આ દીકરી ડેઝિગ્નેટેડ એમબીએ નથી. સાચા અર્થમાં મેનેજમેન્ટ સમજે છે કે પિતાને લગ્ન કરવાં જરૃરી છે એટલે મેનેજમેન્ટના જ્ઞાનરૃપે તેણે નિર્ણય લીધો.
ખેર, પિતાને પરણાવનાર પુત્રી તરીકે આ પહેલી નથી. ઝવેરચંદ મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’માં પણ આવી એક કથા આલેખેલી છે. રાજપૂત કન્યા તેના વૃદ્ધ પિતાને ફરી પરણાવે છે. તે રાજપૂતને સંતાનમાં એકમાત્ર પુત્રી જ હતી. તેનાં લગ્ન થાય છે ત્યારે તેનો પિતા ઘરમાંથી ઘણીબધી ચીજવસ્તુ એકમાત્ર સંતાન પુત્રીને આપી ગાડે ચડાવે છે. એ વખતે ચોરીમાં બેઠેલા પિતરાઈ ભાઈઓ આડા ફાટે છે. ટોણા મારે છે. “અદા, દીકરો ભલે ન હોય પણ અમે ભાઈના દીકરાઓ તો છીએ. બધું છોકરીને ન આપી દેવાય.” આટલું સાંભળતાં જ દીકરી વીફરી. ગાડું પાછું વળાવ્યું અને બાપને ફરી પરણાવવાનું નક્કી કરે છે. બાપને કઢેલાં દૂધ પાઈ જુવાનીનો સંચાર કરાવે છે અને લગ્ન કરાવી, તેને પુત્ર થાય ત્યાં સુધી પતિઘેર નથી જતી. બાપને ત્યાં દીકરો થાય છે ત્યારે પિતરાઈ ભાઈઓને સંભળાવે છે “હવે આ ઘરમાં કશું જ નહીં રહેવા દઉં, બધું જ લઈને જઈશ.” બૂરી નજરવાળા પિતરાઈઓનું મોઢું કાળું પડી ગયું હશે... આવા વટના કટકાવાળી કેટલીક ઘટનાઓ બની હશે.. પણ હાલની ઘટના એક અદ્ભુત કિસ્સો ગણાય. ચોરીમાં ‘કન્યા પધરાવો સાવધાન’ કહેવાય છે. અહીંયાં પિતાને લઈને મંડપમાં ગયેલી પિતાને પધરાવે છે તેમ કહેવાય.
વાઈડબોલ
તળાવમાં પાણીનું ટીપું પડે, કોઈ નોંધ નહીં લેવાય, પણ તે ટીપું વૃક્ષના પાન ઉપર પડશે તો ચમકી ઊઠશે. માણસે ચમકી ઉઠાય તેવી જગ્યા પસંદ કરવી જોઈએ.

Apr 30,2011

Tuesday, April 26, 2011

અમને નોતરું નહીં...?

ભાવનગરના ગાંઠિયા વખણાય... તેની સાથે લોકોએ ગાય અને ગાંઠિયા જોડી દીધા છે. જો કે ગાયની બાબતમાં ભાવનગરનું અમદાવાદ સાથે હરીફાઈ કરવાનું ગજું નહીં. અગાઉ અમે જણાવ્યું હતું તેમ અમદાવાદમાં રસ્તે રઝળતી ગાયો, આચરકૂચર ખાઈ પોતાનું પેટ ભરે છે અને સાથોસાથ એમની હરકતોથી ઓર્થોપેડિક સર્જ્યન અને હાડવૈદોનાં પણ પેટ ભરે છે. અગાઉના વખતમાં ગાય માટે અલગ રોટી કાઢવામાં આવતી હતી. આજે આ ગાયો ડોક્ટરોને રોટી (રોજી) આપે છે.

વાત કરતા હતા ભાવનગરની, ભાવનગરની એક ખાસિયત ત્યાંના લોકો પેરોડી સરસ કરે છે.

વર્ષો પહેલાં સાંભળેલી એક ‘પેરોડી’ પંક્તિ.

તે વખતની ફિલ્મનું જાણીતું ગીત હતું.

‘ઘર ઘર મે દિવાલી

મેરે ઘર મેં અંધેરા’

ત્યારે ભાવનગરના એક શેઠે ન્યાત કરેલી પણ એક જણને આમંત્રણ નહીં આપેલું તેણે પેરોડી પંક્તિ ગાઈ હતી.

‘ઘર ઘર મેં જમણવાર

મને નોતરું નહીં, મને નોતરું નહીં’

આ પંક્તિ હમણાં શાહિદ આફ્રિદી પણ બોલતા સંભળાયા.

ઘર ઘર મેં જમણવાર, અમને જ નોતરું નહીં. વાત સમજમાં આવી હશે. IPL વાળાએ બધાંને નોતરું આપ્યું. પાકિસ્તાનને નહીં. ઈંગ્લેન્ડવાળા જમવા એટલે કે રમવા આવ્યા, ઓસ્ટ્રેલિયાવાળા આવ્યા - દ. આફ્રિકાવાળાને પણ નોતરું, ફક્ત નહીં નોતરું પાકિસ્તાન ખેલાડીઓને. આફ્રિદીને ઘણું લાગી આવ્યું છે. એણે કકળતા અવાજે પૂછયું પણ ખરું “શું અમે અછૂત છીએ?”

એ ખરું દરેક દેશના ખેલાડીઓ IPL માં છે. પણ પાકિસ્તાનીઓ નથી. કોઈએ પાકિસ્તાન ખેલાડીઓ માટે બોલી જ ન લગાવી. પેલી ભાવનગરી પેરોડીમાં પ્રથમ પંક્તિ હતી...

‘ઓ બાબુભાઈ શેઠ - ઓ બાબુભાઈ શેઠ

મેં તમારું શુંયે બગાડયું?’

ઘર ઘર મેં જમણવાર મને નોતરું નહીં. મને નોતરું નહીં.

નહીં આમંત્રિત થયેલ દુઃખીજન કહે છે કે મેં તમારું શું બગાડયું છે કે મને નોતરું નથી? આફ્રિદીએ પણ આ જ વાત કરી. અમે કેમ નહીં?

આ બનાવથી શેરી ક્રિકેટ, ગલી ક્રિકેટની યાદ આવી જાય છે. શેરીમાં પણ ઘણી વાર અમુક જણને રમાડવામાં ન આવતા ત્યારે તેઓ પણ આફ્રિદી શૈલીમાં જ રડતા.

“અમને રમાડો ને!” એમ અરજ ગુજારતા. પાકિસ્તાન રમવા ન જવાય એ બાબતે મોટાભાગના દેશ એકમત છે. લંકાના ખેલાડીઓ ઉપર બોલ ફેંકવાને બદલે લાહોરમાં બોંબ પડયા હતા. ઈંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયાવાળા પણ પાકિસ્તાન જવા માટે જરા પણ તૈયાર નથી.

આપણા હૈયાફૂટાઓ ત્યાં રમવા જવાની ખુશી બતાવે છે. સિંદબાદ કહે છે કે ન આપણે ત્યાં રમવા જવાય - ન એમને બોલાવાય. IPL ની આટલી બધી ટીમના સંચાલકો આ સત્ય જાણે છે. જો આપણે ત્યાં રમવા જઈએ તો શું થાય? એક દિલધડક કલ્પના સિંદબાદે કહી... લાહોરની હોટેલમાંથી તેંદુલકરનું આતંકવાદીઓ અપહરણ કરે છે. બાનમાં લે છે. “તમે કસાબને છોડો તો સચિન છૂટશે...” અલ્ટિમેટમ મળે છે. ત્યારે સરકાર તો ઠીક બાલા સાહેબ ઠાકરે પણ કસાબને છોડવાની હા પાડે.

એ લોકોને તો દૂરથી જ નમસ્કાર કરવા જોઈએ તેવું IPL ના ફ્રેન્ચાઈઝીઓને લાગ્યું હશે. એટલે જમણવારમાં પાકિસ્તાન નથી. બાજી ફીટાઉંસ છે.

ગૂગલી

બોલતા તો બધાને આવડે છે પણ વાતચીત કરતા તો કોઈકને જ.
Apr 26,2011

Saturday, April 23, 2011

એકે હજારા - અણ્ણા


સ્કૂલ પાસે બે છોકરાંઓ વાત કરતાં હતાં. એક છોકરો બીજાને કહી રહ્યો હતો. “બે, તને ખબર છે એક નવા ગાંધીજી આવ્યા છે, એ ભ્રષ્ટાચાર હટાવવા ઉપવાસ ઉપર છે.”

આંદોલન શરૂ થયું ત્યારે સત્તાવાળાઓને લાગતું હતું કે છોને થોડા દિવસ ભૂખ્યા રહે વાંધો નહીં આવે, પણ વાંધો આવ્યો. બૂંદ બન ગઈ સાગર. સમાજમાંથી જબરજસ્ત પ્રતિભાવ મળ્યો. લોકો ભ્રષ્ટ નેતાઓથી અકળાયેલા છે જ. દરેક વસ્તુના બેસૂમાર ભાવ. જાયેં તો જાયેં કહાં, અણ્ણાએ જવા માટેનું સરનામું બતાવ્યું.

આઝાદી આવી ત્યારે કાળા બજારિયાઓનો કેર હતો. નેહરુએ કહ્યું હતું, કાળાબજારિયાઓને દીવાબત્તી (લેમ્પપોસ્ટ)ના થાંભલે લટકાવી ફાંસી આપવી જોઈએ. નેહરુ સરદાર નહોતા. કોઈ પણ થાંભલે કાળાબજારિયો લટક્યો નહીં. કેટલાક નેતાઓને માર્ગદર્શન મળ્યું. એમણે વિચાર્યું, આ વેપારીઓ લાખ્ખો કમાય છે. આપણે તો કરોડો કે અબજો કમાઈ શકીએ.

આવા માહોલમાં અકળાયેલા લોકો શું કરે? ત્યાં અણ્ણાએ આંદોલન શરૂ કર્યું. પ્રેમાનંદે શૈલીમાં કહેવું હોય તો ‘થયો સમાજમાં હાહાકાર, ઓ હજારે આવીયા રે” અને લોકો અણ્ણા સાથે જોડાવા માંડયા. ગુજરાતીમાં કહેવત છે એકે હજારા, અણ્ણા હજારે એકે હજારા નહીં પણ એકે કરોડા છે. કરોડો જાગ્યા છે. કપિલ સિબ્બલ કે દિગ્વિજયસિંહ જેવા માણસો તેમને પાછા ઉંઘાડી ન દે.

કપિલ સિબ્બલ કપિની જેમ ગુલાંટો મારે છે. ઠેકડા પણ મારે છે. એક વાર તેણે કહ્યું, “ભ્રષ્ટાચાર મીટવાનો જ નથી.” (કેટલો આત્મવિશ્વાસ!) તો શા માટે આવા કાનૂન બનાવવાની પળોજણમાં પડવું લોકપાલની શી જરૂર? સિબ્બલજી વકીલ છે, વકીલને ન શોભે તેવી દલીલ તેમની છે. પિનલ કોડમાં ત્રણસો બે (૩૦૨)ની કલમ છે, જે આધારે ખૂની ઉપર કામ ચલાવાય છે. આ કલમ હોવા છતાં ખૂન થાય જ છે. તો શું ૩૦૨ની કલમ નિરર્થક છે? તેને હટાવી લેવી?

મારા એક પોલીસ ઓફિસર મિત્ર, જેઓ એક સમયે લાંચ રુશવત વિરોધી ખાતામાં હતા તેમણે મને કહેલું કે આ ખાતું લાંચ રુશવતના વિરોધ માટે છે નાબૂદી માટે નહીં. સત્તાવાળાઓને ખબર છે કે નાબૂદી શક્ય નથી. તેમ છતાં તે ખાતું નાબૂદ નથી થયું.

ભ્રષ્ટાચારની આવકને પણ ક્યાંક સન્માનસૂચક ગણાઈ છે. એક ગૃહસ્થના પુત્રને રેલવેમાં નોકરી મળી. લગભગ પચીસ વર્ષ પહેલાંની આ વાત છે એ પુત્ર હવે વિવાહયોગ્ય છે. તેમ જણાવતાં કહેતા “બચૂડાને અઢીસો પગાર છે અને દોઢસો બસ્સો બીજા ખસકાવી લે છે.” (આ ખસકાવી લેવા એટલે પડાવવા)

આ બચૂડાઓ હવે કેબિનેટપ્રધાન સુધી પહોંચી ગયા છે. એ લોકો ખસકાવી લે છે. મીડાં ગણતા તમે થાકી જાવ એટલું અણ્ણાને પણ એ લોકો સામે લડવા ટેકો જોઈશે. મીડાં ગણતા થાકી જવાય એટલા માણસોનો આ કહાની ‘નિર્બલ સે લડાઈ બલવાન કી ની...’ છે.

આઝાદીના ઉષાકાળમાં આપણને કેટલાંક અદ્ભુત નેતા મળેલા. કેટલાક અદ્ભુત ગવર્નર મળેલા. તેમાંના એક ગવર્નર હતા શ્રી પ્રકાશ. એમને જાણ્યા પછી ‘શરાબી’ની શૈલીમાં કહી શકાય “ગવર્નર હો તો શ્રી પ્રકાશ જૈસા હો વરના ન હો”.

એ સમયે સરકારે એક સૂચના જારી કરેલી કે દરેક કર્મચારીએ લખીને આપવાનું કે “હું લાંચ લઈશ નહીં. લાંચ આપીશ નહીં અને લાંચ લેનાર સાથે સંબંધ નહીં રાખું.” શ્રી પ્રકાશે આની ઉપર સહી કરવાની ના પાડી હતી. એમણે કહ્યું, “મારો રસોઈયો પાંચ રૂપિયાની લાંચ આપી કેરોસીન લાવે છે. એની સાથે હું સંબંધ ન રાખું તો હું ભૂખ્યો રહું. રસોઈયા સાથે તો સંબંધ રાખવો પડે ને!”

હું લાંચ લઈશ નહીં એટલું જ આપણા હાથમાં છે, બાકી બીજે તમે લાચાર છો.

યુવાનવર્ગની વાતો થાય છે ત્યારે કોલેજના વાર્ષિક દિન વખતે એક સેક્રેટરી કહેતો હતો “ટેક્ષીનું બિલ મૂકી દઈશું. પચાસનો ફાયદો થશે.” યશવંત શુક્લની કોલેજમાં મનોરંજન મંત્રીએ શણગાર માટે આસોપાલવનું બિલ એંસી રૂપિયા મૂક્યું હતું. જ્યારે ક્લાર્કનો પગાર માસિક સો રૂપિયા હતો. તે સમયે આસોપાલવના એંસી રૂપિયા? યશવંતભાઈએ ત્યારે માર્મિક ટકોર કરેલી. “મારા વિદ્યાર્થી ભોળા છે, તેમને આસોપાલવવાળો છેતરી ગયો.” ટૂંકમાં યુવાન નેતામાં પ્રામાણિકતાની ખાતરી નથી. વૃદ્ધ અણ્ણા વધુ કામયાબ ગણાય... ઉંમર નહીં નેતાની નિષ્ઠા, દેશભક્તિ જોવાય.
વાઈડ બોલ પાંચ સેકંડ હસવાથી તમારો ફોટો સારો આવે છે. જો કાયમ હસતા રહો તો જિંદગી સારી જશે.

Apr 23,2011

Tuesday, April 19, 2011

તૂમ પ્યાર કરો યા ઠુકરાવો..

છેલ્લાં ત્રેસઠ વર્ષથી સાંભળતા આવ્યા છીએ કે પાકિસ્તાન સાથે આપણા સંબંધ સુધારવાના છે. આપણા નેતાઓ પાકિસ્તાન કે સાથ સંબંધ સુધારને કે લીયે કુછ ભી કરેંગે તેવા મૂડમાં જ હોય છે. ક્રિકેટની પરિભાષા કહીએ તો રાઈટ ફ્રોમ ધ વર્ડ ગો, એટલે કે શરૂથી જ આપણે પાકિસ્તાનને રાજી કરવા ઘણાં કામ કર્યાં છે. મોહંમદ અલી ઝીણા ને લિયાકતઅલીખાંને રાજી રાખવા ભારતનો ટુકડો આપી દીધો. એમ કરતા શાંતિ થતી હોય તો! શું શાંતિથી થઈ ખરી?

આજથી સાઠ - પાંસઠ વર્ષ પહેલાં પાકિસ્તાને ભાગના પંચાવન કરોડ રૂપિયા માગ્યા. સરદાર પટેલ સહિત અનેક લોકોએ પાકિસ્તાનને રાજી કરવા આ કદમ ન ઉઠાવવાની ચેતવણી આપી, સરદારે કહ્યું હતું કે આ કરોડો રૂપિયા ગોળીઓ બની આપણી ઉપર જ વરસશે. પણ સરકારને તો પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની તાલાવેલી હતી એટલે પૈસા ચૂક્તે કરી દીધા. પૈસા આપ્યા પછી પણ એક દિવસ શાંતિનો મળ્યો નથી તે ઇતિહાસ જાણે છે.

પાક.ને ખુશ કરવા, તેમજ પાકિસ્તાન તરફી તત્ત્વોને ખુશ કરવા અને સંબંધ સુધારવા, આપણી સરહદે એક અજોડ કામ કરેલું છે. જે દુનિયામાં ક્યાંય પણ બન્યું નથી.

ભારત સામે ત્રાસવાદી કાર્ય કરતા માર્યા ગયેલાને કુટુંબીજનોને પણ સરકાર પેન્શન આપે છે. વિશ્વમાં ક્યાંય પણ આ ન બની શકે. આપણી સામે ત્રાસવાદ ફેલાવનાર, આચરનારના કુટુંબીજનોના રોટી - કપડાંની ચિંતા આપણી માનવતાવાદી સરકાર કરે છે. તમે જ્યારે ઈન્કમટેક્ષ ભરો છો, ત્યારે આ પૈસા ત્રાસવાદીના કુટુંબની માવજત માટે ખર્ચાય છે તેની તમને ખબર ન હોય. આ વાત કાશ્મીરના નિવૃત્ત ગવર્નરે જ કરી છે (સો ઈટ ઈઝ ફ્રોમ હોર્સ માઉથ)

આપણા શાસકો કોઈ પણ હિસાબે, પાકિસ્તાનને રાજી કરવા મથે છે. મથવું ક્રિયાપદ અગત્યનું છે. કેવળ મથામણ જ દેખાય છે. પરિણામ નહીં. કવિ અટલજીએ ‘સમજૌતા પાકિસ્તાન સે કરલો’ એવી કોઈ પંક્તિ ગાતાં ગાતાં સમજૌતા એક્સપ્રેસ રવાના કરી અને આપણને મળ્યું કારગિલ. હવે શાસકો કહે છે. પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે રમવા જઈશું અને બોલાવીશું.

ત્યાં ક્રિકેટ રમવા જશો એટલે સંબંધો સુધરી જશે? ‘બડે નાસમજ હો યે ક્યા ચાહતે હો!’ લંકાની ટીમની શું હાલત થઈ હતી? દુનિયાના બીજા દેશો પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે જરા પણ તૈયાર નથી. પારકા છોકરાને આગળ કરી ક્રિકેટ ડીપ્લોમસીથી આમજનતા રાજી નથી. શાસકોના પુત્રો સેહવાગ - સચિનની જગ્યાએ હોત તો ક્રિકેટ રમવા ત્યાં મોકલત? આપણી ટીમ ત્યાં રમવા જશે તો સંબંધો સુધરી જશે? શું કૂતરાની પૂંછડી સીધી થવાની શક્યતા છે!

આજની તારીખે પણ ગુજરાતના દરિયામાંથી માછીમારો ઉપાડી જતા પાકિસ્તાનની જાળમાં આપણા શાસકો સામેથી જઈને પડી રહ્યા છે. આ બેલ મૂઝે માર’ શું આને જ કહેતા હશે? આપણે એમના સંગીતકારોને ઢગલાબંધ રૂપિયા આપીએ છીએ, એ આપણા જગજિતસિંહ કે પંકજ ઉધાસને બોલાવે છે? ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરા-ફેરી એમના ગાયકે આપણે ત્યાં કરી છે. હજી હમણાં જ એકતરફી પ્રેમમાં ઘણા ખુવાર જાય છે એ આપણે ભૂલવું ન જોઈએ.

ગૂગલી

‘વિશ્વકપ જીત્યા પછી આપણા ખેલાડીઓએ સ્ટેડિયમમાં ચક્કર મારેલાં’.

‘હા, એ લોકો મોડલ પૂનમ પાંડેને શોધતા હતા’.

Apr 19,2011

Saturday, April 16, 2011

રીક્ષા કે પીછે ક્યા હૈ?


‘‘રીક્ષા કે પીછે ક્યા હૈ?” આવો સવાલ સાંભળી એક રીક્ષાવાળાએ જવાબ આપ્યો, રીક્ષા કે પીછે એક તો હપ્તો લેનાર હવાલદાર હોઈ શકે, ખાસ કરીને શટલ રીક્ષાની પાછળ.
રીક્ષાની પાછળની વાત કરવાની છે, તે એક બીજા સંદર્ભમાં છે. કેટલાક લોકો પાછળ બોલવાની ટેવવાળા હોય છે. જે માણસની ગેરહાજરી હોય એનું વાટવું એવો શોખ ઘણા લોકોને હોય છે. કેટલાક પાછળ બોલતા હોય છે, તો કેટલાક પાછળ લખતા હોય છે. પાછળ લખવાના શોખમાં રીક્ષાવાળા આગળ પડતા છે. ટ્રકવાળા કે કેટલાક વાહનોવાળા પણ પાછળ લખતા હોય છે. હમણાં એક ચેનલવાળાએ કાર્યક્રમ કર્યો હતો કે રીક્ષા કે એવાં વાહનોવાળાં કેવાં પ્રકારનાં લખાણ લખતા હોય છે. વાહનો પાછળ, રીક્ષા પાછળ અનેક પ્રકારનાં વાક્યો આપણે વાંચ્યાં છે. પણ એક વાક્ય સર્વપ્રિય છે. એમ લાગ્યું અનેક રીક્ષાવાળા અનેક ટ્રકવાળા એ વાક્યનો ઉપયોગ કરે છે. જેમ આણંદ બાજુ ગોરધનભાઈ કે કાન્તિભાઈ ઘણા બધા મળે. તેમ આ વાક્યનો ઉલ્લેખ કર્યો છે જેનો આજ પહેલાં અનેક ‘બૂરી નઝર વાલે તેરા મૂંહ કાલા’ આ વાક્ય તમે અનેક પ્રકારનાં વાહનો ઉપર ઠેર-ઠેર, ચારેકોર જોશો. આનું સર્વવ્યાપીપણું એક રમૂજમાં વણી લેવામાં આવ્યું છે. એક ટ્રક ઓપરેટરને એસટીમાં કન્ડક્ટર તરીકે નોકરી મળી. એણે પોતાની બસમાં પણ ચીતરાવ્યું ‘બીના ટિકિટ વાલે તેરા મૂંહ કાલા.’
કેટલીક રીક્ષા પાછળ વ્યક્તિઓનાં નામ લખેલાં હોય છે. એક રીક્ષાના પાછળના બમ્પર ઉપર નામ હતાં, ‘વિપુલ, રીટા, મહેશ, દીપક’.
સ્વ. વિનોદ જાનીએ તેની ઉપર કોમેન્ટ કરી હતી કે આ બધા જે એની રીક્ષા સાથે અથડાઈને શહીદ થઈ ગયા તેના નામની ખાંભી છે.
કેટલાંક મા-બાપના આશીર્વાદ પાછળના ભાગે લખાવે છે. છગન કહે છે બાપના પ્રોવિડન્ટ ફંડના પૈસામાંથી એ રીક્ષા લીધી હોય એટલે મા-બાપના આશીર્વાદ લખ્યું હશે.
“અલ્યા ભૈ, પ્રોવિડન્ટ ફંડ શું બાપનું હોય તે! તો માનું નામ કેમ જોડયું હશે!”
“મિત્ર, બાપ પાસેથી પૈસા કઢાવવા માટે માતાનો જ ઉપયોગ કરવો પડે. માતા દબાણ કરે તો જ પિતા પૈસા ઢીલા કરે, એટલે માતાપિતાના આશીર્વાદ એમ લખ્યું હોય છે.”
એક રીક્ષાવાળાએ કોઈ સંતની જેમ સુવાક્ય લખ્યું હતું. રીક્ષાની પાછળ બોધવચન હતું. ‘તું તારું કર’. એનો અર્થ એવો પણ થઈ શકે કે હું રીક્ષા કેમ ચલાવું છું કે ભગાવું છું એ જોવાનું કામ તારું નથી. તું તારું કામ કર.
અમદાવાદ મ્યુ. બસ ર્સિવસે પણ બસ પાછળ સરળ સૂત્રો લખાવ્યાં હતાં. હરિન પાઠક જે મૂળમાં શિક્ષક, એ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હતા ત્યારે બસ પાછળ જાતજાતનાં સૂત્રો લખાયાં હતાં. એક હતું ‘અપેક્ષા એ દુઃખની માતા છે.’ બસની પાછળ આ સૂત્રનો સંકેત હતો, તમે બસ પકડી શકતા નથી, કંડક્ટરે ઊભી નથી રાખી, ત્યારે પાછળ લખેલું સૂત્ર તમને સાંત્વન આપે કે બસ મળે તેવી અપેક્ષા રાખવી નહીં. નહીંતર તમને દુઃખ મળશે, બસ તો ન મળી પણ દુઃખ મળશે એટલે બસની અપેક્ષા રાખવી નહીં.
એક રીક્ષાવાળાએ વર્ષો પહેલાં લખેલું યાદ આવે છે.
‘જગહ મિલને પે સાઈડ દી જાયેંગી,
હર પ્યાર કરને વાલે કો બોબી મિલ જાયેંગી.’
એ રીક્ષા ડ્રાઈવરના દિલમાં કરુણાનું ઝરણું વહેતું હશે એ આમ પ્રજાને શુભેચ્છા પાઠવે છે કે તમને તમારી ‘બોબી’ મળી રહેશે.
ઘણી રીક્ષાઓ પાછળ શાયરીઓ લખેલી હોય છે.
જેમાં મોટાભાગે મૂળ રચનાની ઐસી તૈસી કરી નાંખી હોય છે. (જેમ આપણા નિર્માતા જાણીતી કથા ઉપરથી ઊતરેલી ફિલ્મોમાં કરે છે તેમ)
એક ખાનગી કાર ઉપર પણ અમે લખેલું વાંચેલું કે ‘ગવર્મેન્ટ ઈઝ ગોડ’ (સરકાર ભગવાન બરોબર છે). કદાચ એ સરકારી કોન્ટ્રાક્ટર હશે. એક રીક્ષામાં પાછળના ભાગે ભગવાનનું નામ લખ્યું હતું. કોઈકે પૂછયું, “કેમ ભગવાનને પાછળ રાખ્યા છે?” રીક્ષાવાળાએ જવાબ આપેલો, “આમેય ભગવાન પાછળથી જ યાદ આવે છે ને!”
વાઈડ બોલ
ઉનાળાની શરૃઆત જ જોરદાર ગરમીથી થઈ. એ અંગે ક્રિકેટપ્રેમી મિત્રે કહ્યું, ‘ઉનાળાની શરૃઆત પણ સેહવાગ શૈલીથી થઈ છે... જોરદાર’

Apr 16,2011

Tuesday, April 12, 2011

ક્રિકેટ જ જીવન છે

આકાશી રમતમાં અમને પતંગ ગમે મેદાની રમતમાં અમને ક્રિકેટ ગમે. જાહેરખબરની શૈલીમાં કહીએ તો ભારતીયો ઈટ ક્રિકેટ, ડ્રીંક ક્રિકેટ, સ્લીપ ક્રિકેટ, ક્યારેક સ્લીપનો ફિલ્ડર ઊંઘતો લાગે, અમે પણ સોફામાં સૂતા સૂતા ક્યારેક ક્રિકેટ જોતા હોઈએ. કેટલાંક લોકો ક્રિકેટથી અકળાય છે. આ અકળાનારા તીસમારખાંઓ કહે છે, ક્રિકેટ કરોડો લોકોનો સમયનો વ્યય કરે છે, રાષ્ટ્રને નુકસાન કરે છે, વગેરે વગેરે. આ સાંભળી હસવું આવે છે. “પ્રભુ, એ લોકોને માફ કરજે, કારણ કે એ લોકોને ખબર નથી કે એ લોકો શું બોલી રહ્યા છે.”
મિત્રો, ક્રિકેટની રમતમાં જીવનની ફિલોસોફી પણ વણાયેલી છે. ક્રિકેટની જેમ તમે પણ સ્કોર કરવાની ઇચ્છાથી મેદાન ઉપર ઊતરો છો ત્યારે મેદાનમાં ઊભેલા અગિયાર જણની ઇચ્છા તમે સ્કોર ન કરી શકો તેવી હોય છે. તમે મેદાનમાં ઊભા છો પણ પેલા અગિયાર જણ તમને નિષ્ફળ કરવા જાતજાતના ને ભાતભાતના પેંતરા કરે છે. આ રીતે ક્રિકેટ આપણા જીવનની વાસ્તવિક છબી રજૂ કરે છે. તમારે તો રમવું છે પણ અગિયાર જણ તમે ટકો નહીં તેમ ઇચ્છે છે.
ક્યારેક ક્યારેક અમ્પાયર પણ તેમની સાથે થઈ જાય છે અને બેટ્સમેન પેવેલિયનમાં પરત થઈ જાય છે. જીવનની રમત રમતા બેટ્સમેનોને પણ આવા અનુભવ થાય જ છે ને! અમ્પાયર્સ તમને ખોટી રીતે આઉટ આપી દે તેવું બને છે. વાડ જ ચીભડાં ગળે તેવી હકીકત પણ જીવનમાં ક્યારેક અનુભવાય છે.
ક્રિકેટમાં મોટો સ્કોર કરનારમાં બીજો ફાળો તેની સામેના છેડે રહેલાનો સહયોગ છે. સારા સાથીદાર વગર ક્રિકેટર સફળ થતો નથી. જીવનમાં પણ એવું જ છે ને! તમે સફળ તો જ થઈ શકો, જો ‘નોન-સ્ટ્રાઈકર’ ઉપર રહેલ વ્યક્તિ તમને સહકાર આપે તો. સામેના છેડાવાળા સાથે તાલમેલ હોય તો જ તમે સફળ સફળ જીવનની તો આ ફિલોસોફી છે. તમે ફુલ ફોર્મમાં બેટિંગ કરતા હો, પણ સામેના છેડાવાળો તમને રન-આઉટ કરી દે તો વાત પૂરી.
ક્રિકેટમાં એક્સપર્ટ કોમેન્ટેટર હોય છે. જિંદગીમાં પણ આપણે આવા ‘એક્સપર્ટ’ની કોમેન્ટ સહન કરવી પડે છે. જેણે જિંદગીમાં એકાદ સદી કરી હોય છે તે એક્ષપર્ટ ડબલ સદી મારનારની ભૂલો બતાવ્યા કરે. ક્યારેક બહારના બોલને ટપલી બેટ્સમેન મારે તો પેલા સદાકાળ ‘એક્ષપર્ટ’ બોલશે “હી શૂડ નોટ હેવ પ્લેઈડ ધેટ બોલ” આ બોલ તેણે રમવો જોઈતો ન હતો.
આ પણ સંસારમાં જોવાય છે, જેની યોગ્યતા શંકાસ્પદ છે, તેવા લોકો તમારા કાર્ય અંગે અભિપ્રાય આપતા હોય છે. જિંદગીમાં તમારી ઉપર બમ્પર ફેંકનારા આવવાના જ,કેટલાંક બમ્પરોને હૂક કરી દેવાના તો કેટલાંક સામે ઝૂકી જવામાં શાણપણ હોય છે.દબાણમાં આવ્યા વગર રમશો તો જીતશો. ગીતામાંથી જો તત્ત્વજ્ઞાન અઘરું પડતું હોય તો ક્રિકેટમાંથી પણ શીખવા મળશે. જય ભગવાન.
ગૂગલી
પેટ્રોલ પંપ ઉપર બોર્ડ હતું. Speed(ઝડપ) પાંચ અક્ષરનો છે તો Death (મૃત્યુ) પણ પાંચ અક્ષરનો છે. જ્યારે Slow શબ્દ ચાર અક્ષરનો છે અને Life પણ ચાર અક્ષરનો છે.

12 april 2011

Sunday, April 10, 2011

શાદી કરતાં સગાઈમાં વધુ ધામધૂમ

બીજી એપ્રિલે, આપણે બીજી વાર વર્લ્ડકપ મેળવ્યો. પૂરાં અઠ્ઠાવીસ વર્ષ પછી આખો દેશ ઉલ્લાસથી ઉછળતો હતો. દેશભરમાં આખી રાત ઉત્સવ ચાલ્યો, પણ તેના બે દિવસ અગાઉ સેમિફાઈનલમાં આપણે પાકિસ્તાનને હરાવ્યું, ત્યારે... ત્યારે... આખી રાત ઢોલ - ત્રાંસા વાગ્યા, ફટાકડા ફૂટયા. એ બુધવારની રાત હતી. એ બુધવારની રાતની ભવ્ય ઉજવણી માટે લખ્યું હતું, “જિંદગીભર નહીં ભૂલેંગી બુધવાર કી યે રાત” અમારી જેમ લાખો લોકો ઇચ્છતા હતા કે ફાઈનલમાં કદાચ ન જીતાય તો કંઈ નહીં, પણ પાકિસ્તાન સામે તો જીતવાનું જ. બાળહઠની જેમ ચાહે ગૂડીયા ના લાના... તેમ ચાહે કપ ન આયે મગર પાક કો હરા દેના એ કારણે પાક સામેના વિજયની ઉજવણી અતિ ભવ્ય હતી. લંકા સામેની જીતની ઉજવણી ભવ્ય ખરી, પણ પાક સામેના વિજયની ઉજવણીની તોલે ન આવે. પાક સામે સેમિફાઇનલના વિજયથી લોકો ફાઈનલના વિજય કરતાં પણ વધુ આનંદિત હતા. સિંદબાદ કહેતો હતો કે એવું લાગે કે “શાદી કરતાં સગાઈમાં વધુ ધામધૂમ થઈ.”
પ્રજાનું માનસ એવું જ છે. પાકિસ્તાન સામેની મેચ પહેલાં એક જીસ્જી આવ્યો હતો. “અમે એટલા ચોગ્ગા, છગ્ગા ફટકારીશું કે તમે વિચારશો કે તમે બાઉન્ડરી ઉપર છો કે બોર્ડર ઉપર?” પાકને હરાવવાનો આનંદ કંઈક ઔર છે. કેટલાક બુદ્ધિજીવી મિત્રો આ પ્રકારની ટિપ્પણીથી નારાજ થાય છે અને કહે છે, “પાક આપણો પાડોશી છે, તેની સાથે વેરભાવ વધે તેવી વાતો ન કરવી” આ બુદ્ધિના લઘુજીવીઓએ યાદ રાખવું જોઈએ કે ૨૦-૨૦ની ફાઈનલ વખતે પાકે એમને ટેકો આપવા માટે વિશ્વના તમામ મુસ્લિમોનો આભાર માન્યો હતો. (ટીવી ઉપર) ત્યારે બુદ્ધિજીવીઓ આ મામલે કશું બોલ્યા ન હતા, જો ધોની તમામ હિંદુઓનો આભાર માનત તો? ખેલમંત્રીથી બધા કૂદી પડયા હોત. યાદ રાખો. ભારત સામે કેટલાંક વરસ પહેલાં ટેસ્ટ જીત્યું, ત્યારે પાક સરકારે રાષ્ટ્રીય-રજા જાહેર કરી હતી. આપણને પણ તે સામે જુસ્સો આવે જ ને આ વખતે ફાઈનલમાં આપણે ફસકી ન પડયા. કેટલાક ઘોડાઓ દશેરાના દિવસે જાહેર રજા મનાવે છે... એ દિવસે છોડવાનું નહીં પણ ધોનીના ઘોડાઓ બીજી એપ્રિલના ‘દશેરા’એ દોડયા. ક્રિકેટથી કતરાતા સજ્જનોને કહેવાનું કે અનેક વિઘટનકારી તાકાતો વચ્ચે સમગ્ર દેશને એક કરવાનું કામ ક્રિકેટ કરે છે.
ધોનીએ સાબિત કર્યું કે તે પેલી કથામાં આવતા ગુરુ જેવો છે કે જે છોકરાને ગોળ ન ખાવાની સલાહ આપતા પહેલાં, પોતે ગોળ ખાવાનું છોડી બતાવે છે. જરૃર હતી ત્યારે મેદાનમાં યા હોમ કરવા ધોની પોતે આગળના ક્રમે આવી ગયા અને જોરદાર લડત આપી જીત અપાવી મેદાન ઉપર જ ધોનીની કમરમાં મોચ આવી ગઈ કે ‘બેક-પેઈન’ શરૃ થઈ ગયું. એણે મેદાન ઉપર જ સારવાર લીધી પણ રમત ચાલુ રાખી. તૂટેલી કમર સાથે ધોનીએ એવી રમત રમી કે લંકાની ટીમની કમર ભાંગી ગઈ.
કેટલાંક લોકો મરણ પહેલાં ગંગાસ્નાન કરી લેવાની ઇચ્છા રાખે છે તેમ સચિનની પણ એક ઇચ્છા હતી કે નિવૃત્તિ પહેલાં વિશ્વકપ ટીમ ઇન્ડયાને મળે તે જોવું. તે સ્વપ્ન ફળ્યું. ટીમના બધા સભ્યોએ જાહેર કરેલું કે સચિન માટે વર્લ્ડકપ જીતવો છે અને જીત્યા. તેની ખુશીમાં ટીમના સભ્યો સચિનને ખભે બેસાડી આખા સ્ટેડિયમમાં ફર્યા. આ જોઈ ઈંગ્લેન્ડના નાસિર હુસેને વિરાટ કોહલીને કહ્યું, “સચિનને તમે બધા ઊંચકીને આખા સ્ટેડિયમમાં ફર્યા કહેવું પડે!” કોહલીએ ત્યારે વિરાટ કોમેન્ટ કરી. “આ સચિને ૨૧ વર્ષ સુધી ક્રિકેટને પોતાના ખભા ઉપર ઉપાડી આ મંઝિલ સુધી લાવી મૂકી છે. અમે તો થોડીક મિનિટો જ તેને ઉપાડયો છે.”
ટોસ ઉછાળવામાં આવ્યો ત્યારે લંકાવાળાએ ‘રામાયણ’ કરી હતી. ભારત ટોસ જીત્યું હતું છતાં સંગાકારાએ કહ્યું, “ટોસ બરાબર નથી ઉછળ્યો, ફરી ઉછાળો” ટોસ ફરી થયો, તે કારણે સંગાકારાને જોઈતી પહેલી બેટિંગ મળી ગઈ છતાં તેઓ ફાવી ન શક્યા. છગન કહે છે કે ગલી ક્રિકેટમાં અંચઈ કરનારને જ્યારે અંચઈ ફળતી નથી ત્યારે કહેવામાં આવે છે કે અંચઈનો દાવ ઘંચઈ આવયો. સંગાકારાએ પણ કરેલી અંચઈનો અંજામ એ જ આવ્યો.
સિંદબાદે કહ્યું, “બોસ, લંકા સામે આપણે જીત્યા તે તો બોનસ હતું. અસલી કપ તો પાકિસ્તાનની જીત સાથે જ મળી ગયો હતો.
વાઈડ બોલ
સ્ત્રીની અર્ધી જિંદગી પતિની તલાશમાં જાય છે. અને બાકીની અર્ધી જિંદગી એ પતિની તલાશી લેવામાં પૂરી કરી નાખે છે.

Tuesday, April 5, 2011

જિંદગીભર નહીં ભૂલેગી બુધવાર કી યે રાત

સમય સાપેક્ષ છે તેનો અનુભવ થયો બુધવારે ત્રીસ તારીખે બાર વાગ્યે. અમદાવાદનો એવો માહોલ મધ્યરાત્રિએ હતો કે જાણે આઠ જ વાગ્યા છે. ચારેબાજુ ફટાકડા ફૂટતા હતા. ઢોલ, ત્રાંસા વાગતા હતા. અમદાવાદ જ નહીં. આ હાલત સારા ભારતની હતી. જંગ જીતાઈ ગયો હતો, તેનાં બ્યુગલો વાગી રહ્યાં હતાં. પાકિસ્તાન સાથેની સેમી-ફાઈનલ હતી. પણ દરેક ભારતવાસી માટે તે ફાઈનલથી પણ વધારે હતી. આ લેખ છપાશે ત્યારે તો ફાઈનલનું રિઝલ્ટ પણ આવી ગયું હશે. પણ લોકોને હવે કોઈ પરવા નથી - કપ મળે તો સરસ ન મળે તો રનર-અપની રકાબી પણ આવે. કપ મળશે તો કપમાં ચાહ પીશું. નહીંતર રકાબીમાં પીશું.

ચેનલોવાળાએ આ મેચ અગાઉથી એવો માહોલ બાંધ્યો હતો કે યુદ્ધ થવા જઈ રહ્યું છે. બંને પક્ષો જોરદાર હોંકારા - પડકારા કરી રહ્યા હતા. શાહીદ આફ્રિદીએ કહ્યું આજે તેંડુલકરને સો રન નહીં કરવા દઈએ. પણ સચિને કહ્યું અત્યારે સિઝન સેલ ચાલી રહ્યું છે. મારા તરફથી પંદર ટકા ડિસ્કાઉન્ટ હતું એટલે પંચ્યાશી રન કર્યા. (જે સદી બરોબર હતા).

કહે છે ધોની ત્યારે ગીત ગણગણતો હતો. શાહિદને જોઈને

‘તૂમ હાર કે યે મેચ યહાં,મેરી જીત અમર કર દો...’

અને શાહીદે એ ગીતનું માન રાખ્યું. નહેરાની ગયેલી ઈજ્જત પાછી અપાવવા, તેના હાથે જ આઉટ થયો. આત્મઘાતી હુમલા જેવો એ સ્ટ્રોક હતો.

પાકિસ્તાનના વડાપ્રધાનને મેચ જોવા ખાસ ભારત સરકારે આમંત્રણ આપેલું આથી બાળાસાહેબ ઠાકરે અકળાયેલા, એમણે કહ્યું, કસાબ અને અફઝલ ગુરુને પણ મેચ જોવા બોલાવો. એમની વાતમાં તથ્ય હતું. કસાબના ‘સ્પોન્સરર’ને બોલાવ્યા તો કસાબને પણ બોલાવો.

દ. આફ્રિકા સામે આપણે જીતતા જીતતા હારી ગયા હતા, તેમ પાકિસ્તાન સામે આપણે હારતા હારતા જીતી ગયા. નહેરા અને મુનાફ પટેલ બંને જણ ટીમમાં હતા. સિંદબાદ કહેતો હતો કે આ બે જણમાંથી વધારે ખરાબ બોલર કોણ તે નક્કી નહીં કરવાથી ધોનીએ બંને જણને રાખ્યા હતા. અને બંને જણ ‘ઉડાઉ દીકરા’ની જેમ પરત આવ્યા પણ બદલાઈ ગયા હોય તેવું લાગ્યું.

મિસબાહ એ મિયાંદાદ નથી એ ફરી એક વાર સાબિત થયું. ૨૦-૨૦ની મેચમાં છેલ્લા બોલે પાંચ રન કરવાના હતા, ત્યારે ક્રિકેટના પ્રભુદેવા શ્રીસંતને તેણે કેચ આપી દીધેલો.

કોર્ટના પક્ષકારો કહે છેઃ સાક્ષી તમને ફળે તો તમે જીતો, ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીને સાક્ષી ફળી છે. તેની પત્નીનું નામ સાક્ષી છે. રૃઢિચુસ્ત લોકો કહે છે એ સારાં પગલાંની છે. ધોની ઘણી વાર જીતી ગયો છે. ન ધારેલી જગ્યાએ તેનું કારણ ‘વહુનાં પગલાં’.

એક મિત્રનો sms આવ્યો કે આ ટુર્નામેન્ટમાં ‘જી’ (એસ)થી શરૃ થતાં નામવાળા કેપ્ટનોની ટીમ છેવટે ફેંકાઈ ગઈ છે. જેમ કે, સ્મિથ, સેમન, શકીલ, શાહીદ વગેરે વગેરે... હવે લંકાના કેપ્ટન પણ ‘એસ’ નામધારી (સંગાકારા) છે. પૂછો શું થાય છે! આ લેખ લખાય છે ત્યારે બે દિવસની વાર છે. છપાશે ત્યારે ખબર પડશે કે એક વધુ ‘એસ’ને લાત પડી છે કે નહીં. સચિન આમ તો તેની સદી, પુસ્તકની જેમ કોઈને કોઈને અર્પણ કરતો હોય છે. આ વખતે તેણે પંચ્યાસી રનની સદી (૧૫ ટકા ડિસ્કાઉન્ટ) પાકિસ્તાની ફિલ્ડરોને અર્પણ કરવી જોઈએ... ખરું કે નહીં?

ગૂગલી

વિપરીત સ્થિતિમાં મનુષ્યનો પ્રભાવ કે પૈસો કામ નથી આપતો, પણ તેનો સ્વભાવ અને સંબંધ કામ આપે છે. (sms)

Saturday, April 2, 2011

સો મે વરસે હનીમૂન

આપણા મહાન દેશમાં એવી ઇચ્છા પ્રગટ કરવામાં આવે છે કે આ જ જન્મ નહીં, આગલા સાત જન્મ સુધી મને આ જ જીવનસાથી આપજે. પણ અમેરિકા એ અચરજપ્રધાન દેશ છે. ત્યાં તમને અનેક અચરજ જોવા મળે, આ અચરજપ્રધાન દેશમાં સાત જન્મ સુધી એ જ જીવનસાથીની વાત કરે પણ એક જનમમાં ચાર-છ વાર લગ્ન કરી શકે! અભિનેત્રી લીઝ ટેલરે અડસઠમા વરસે આઠમી વાર લગ્ન કર્યાં હતાં. એ જ દેશમાં એક શખ્સે સો વર્ષની ઉંમરે લગ્ન કર્યાં છે. મહારાજ યુધિષ્ઠિરે આ બનાવ જોયો હોત તો સૌથી વધુ આશ્ચર્યજનક બાબત કઈ? તેના જવાબમાં આ ઘટનાનો જ ઉલ્લેખ કરત.

આ શખ્સનું નામ છે ફોરેસ્ટ લુન્સવે, જે સો મે વરસે ઘોડે ચડી રહ્યા છે. આ ઉંમરે તો એ નનામી ઉપર ચડશે તેવું તેનાં સગાંવહાલાં ધારતા હોય, એને બદલે ઘોડે ચઢે છે! કબૂલ અમેરિકામાં વરરાજા ઘોડે ચઢતા નથી પણ રૃઢિપ્રયોગ તરીકે આપણે કહીએ છીએ ઘોડે ચઢયા. જે સન્નારી સાથે લુન્સવેનાં લગ્ન થઈ રહ્યાં છે તેનું નામ રોઝ પોલાર્ડ છે. તેને તમે ગુલાબબહેન કહી શકો. આ ગુલાબબહેન પણ ત્રાણું વર્ષનાં છે. (૯૩) જસ્ટ સેવન શોર્ટ ઓફ સેન્ચુરી! તેઓ નાઈન્ટીમાં છે. પણ નર્વસ નાઈન્ટી નથી. પણ ખુશ છે. પ્રફુલ્લિત છે. મારા એક સ્નેહી છે. તેમની ઉંમર પંચ્યાશી વર્ષ છે. એ ઘરની બહાર જ નીકળતા નથી. કહે છે કે હવે સ્મશાને જઈશ ત્યારે જ ઘરની બહાર નીકળીશ, જ્યારે આ ગુલાબબહેન ત્રાણું વરસે મંગળફેરા ફરે છે તેનું તેમને આશ્ચર્ય છે. ભાઈશ્રી ફોરેસ્ટ લુન્સવેને ઓગણીસ માર્ચના રોજ સો વર્ષ થયાં, એ દિવસે જ એમણે લગ્ન કર્યાં. ફોરેસ્ટ લુન્સવેની ઉંમર ફોરેસ્ટ એટલે કે વનમાં જવાની પણ ગણાય, પણ એમણે સંસારમાં રહેવાનું પસંદ કર્યું છે. અને સોમા વરસે લગ્ન કરી રેકોર્ડ કર્યા છે. આને સચિન તેંડુલકરના રેકોર્ડથી કમ ન કહેવાય.

ભાઈ ફોરેસ્ટને અગાઉનાં લગ્નથી થયેલાં સંતાનો છે. એ લોકોએ આ લગ્નમાં હાજરી આપી હતી. એ દંપતીની ઉંમર જોતાં (સંયુક્ત રીતે એકસો ત્રાણું વર્ષ) અમને એમ હતું કે વ્હીલચેર ઉપર બેસી તેમણે લગ્ન કર્યાં હશે, પણ ના ફોટો જોતાં લાગે છે કે તેમને વ્હીલચેરની જરૃર નથી પડી. શક્ય છે તેમનો પુત્ર જે આ લગ્નમાં હાજર હતો, જેની ઉંમર એંસી વર્ષની ધારી શકાય, એ કદાચ વ્હીલચેરમાં બેસીને બાપનાં લગ્ન માણવા આવ્યા હશે.

એમનો પૌત્ર પણ સાઠ વર્ષની આસપાસનો હશે. એણે દાદાનાં લગ્નમાં જવાની રજા ઓફિસમાં મૂકી હશે, ત્યારે કેવો માહોલ સર્જાયો હશે?

પેલા ત્રાણું વર્ષનાં રોઝબહેનની બાબતમાં પણ એવું જ બન્યું હશે ને? એના પણ અગાઉનાં લગ્નનાં સંતાનો હશે. આ બહેન અઠ્ઠાવીસ વર્ષથી લેન્જેવના પ્રેમમાં તો હતાં જ એ બધાં જાણતા હતા, એટલે એણે લગ્ન કર્યાં હશે ત્યારે સંતાનોએ કદાચ કહ્યું હશે “ડોશી કે’દાડાની પૈણું પૈણું કરતી’તી!”

સો વરસે અને ત્રાણું વરસે ચાલતા-ફરતા દંપતીનું રહસ્ય એ લાગે છે કે બંને ડાન્સર છે. ‘નચ દે મેરી જાન’ કહેતાં કહેતાં એ લોકો ડાન્સફ્લોર ઉપર ડાન્સ કરતાં હતાં. તેનાથી આ બન્યું. સિંદબાદ કહે છે કે કેટલીક મહિલાઓ ડાન્સર ન હોય તોપણ કોરિયોગ્રાફર હોય છે.

એ કઈ રીતે?

એ મહિલાઓ પોતાની ટચલી આંગળી ઉપર પતિને નચાવતી હોય છે. વેલ આ કિસ્સામાં તો બંને ડાન્સર છે. અને એક સામે ઘણું નાચ્યાં છે.

આપણા સમાજમાં આવાં લગ્ન હોય તો કેવો માહોલ થાય? એ કલ્પના પણ સૂઝપૂર્ણ છે.

કેડેથી વાંકો વળેલો એંશી વર્ષનો પુત્ર, સો વરસના બાપનાં લગ્નની કંકોત્રી વહેંચવા નીકળે!

સાઠ વરસના પૌત્રનાં સંતાનો કંકોત્રીમાં, લખે ‘મારા વડદાદાનાં લગ્નમાં જલૂલ જલૂલથી આવશો...’

વરરાજાના મિત્રો, બધાં દાંતનાં ચોકઠાં પહેરી જમવા બેઠા હોય, કન્યા (!)ની સહેલીઓ કમરના દુખાવા અને વાની ટીકડીઓ ગળતી હોય, ડાયાબિટીસની દવા લઈ જમવા બેસે...

વાઈડ બોલ

‘દબંગ’માં સંવાદ છે ‘મે થપ્પડ સે નહીં ડરતી મગર પ્યાર સે ડરતી હૂં’

એની પેરોડી મિત્ર મહેન્દ્રે કરી અને કહ્યું, ધોની પણ કહેતો હશે, ‘શોએબ કે આફ્રિદીનો ડર નથી, પણ મુનાફ અને આશિષ નેહરાનો ડર લાગે છે સા’બ!