Sunday, November 27, 2011

ડાબા-જમણાનો ખેલ

ઋષિજનોએ કહ્યું છે કે જમણા હાથે કરેલું દાન (કે કામ) ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. અધ્યાત્મના અભ્યાસમાં આગળ વધેલા કેટલાક ડોક્ટરોએ એક બાળ દર્દીનું જમણા હાથે કરવાનું ઓપરેશન ડાબા હાથે કરી નાંખ્યું. કોઈ પણ જાતની મોટાઈ દાખવ્યા વગર! જોગાનુજોગ એ બાળદિન હતો. જવાહરલાલ નેહરુનો આ જન્મદિન હતો. એ દિવસે નેહરુજી પહેલી વાર રડયા હતા. તો નેહરુના જન્મદિને એક બાળક પણ રડયું તો બાળદિન માટેની યોગ્ય ઘટના ગણાય!!

સિંદબાદ કહે છે કે જમણાને બદલે ડાબો એ નેહરુનીતિનો ભાગ છે. એટલે એ રીતે બાળદિનની યોગ્ય ઉજવણી પેલા ડોક્ટરોએ જાણે-અજાણે કરી છે. રાજગોપાલાચાર્ય કે અર્થશાસ્ત્રી મસાણી જેવા માનતા હતા કે ભારતે જમણેરી અર્થનીતિ અપનાવવી જોઈએ એને બદલે નેહરુજીએ ડાબેરી નીતિ અપનાવી પરિણામે પેલા બાળકની જેમ ભારત પણ રડયું. ઓપરેશન જ પ્રારંભથી ખોટું થયું.

જોકે, ડાબા- જમણામાં ભૂલચૂક થઈ જાય છે. એક મિત્રે એમના બચપણના અનુભવને યાદ કરતાં કહ્યું હું નાનો હતા ત્યારે ડાબા-જમણામાં ભૂલ કરતો ત્યારે મારી મમ્મી મને હાથ ઉપર વેલણ ફટકારતી, ડાબા હાથ ઉપર વેલણ પડે એટલે હું ભૂલ સુધારી જમણા હાથથી જમવાનું શરૂ કરતો. જો ઓપરેશન કરનાર ડોક્ટરની મમ્મી પણ ઓપરેશન થિયેટરમાં વેલણ સાથે હાજર હોત તો ખોટા હાથ તરફ ડોક્ટરની કાતર જાત કે મમ્મી

વેલણ ફટકારત.
સાહિત્યના અભ્યાસી એક મિત્ર કહે છે કે કાકાસાહેબ કાલેલકર જો ઓર્થોપેડિક સર્જ્યન હોત તો તેમનાથી પણ આ ભૂલ તો થઈ હોત. કાકાસાહેબ કાયમ ડાબા-જમણામાં ભૂલ કરતા હતા. એમની સ્મરણયાત્રામાં નોંધાયેલું છે. એટલે ડોક્ટરો મહાવિદ્વાનની હરોળમાં છે તેમ સમજવું!

લગભગ પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં વડોદરામાં એક કંપનીના કર્મચારીને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. ડોક્ટરે એના ડાબા પગે પ્લાસ્ટર પણ કરી નાંખ્યું. પછી ખબર પડી કે લોચો વાગ્યો છે. કોકે પેલા કર્મચારીને પૂછયું, ‘‘અલ્યા તને પણ ખબર ન પડી કે તારા ખોટા પગે પ્લાસ્ટર થઈ

રહ્યું છે.”
ત્યારે પેલા દર્દીએ ગંભીર થઈ જવાબ આપ્યો, “સાબ મૂઝે ક્યા માલૂમ? મેડિકલ સાયન્સને તરક્કી કી હો કે રાઇટ લેગ કા ફ્રેક્ચર કે લીયે લેફટ લેગ મેં પ્લાસ્ટર કરતે હો શાયદ!”

***
વિક્રમાદિત્યને વૈતાલ સવાલ કરે છે. જમણાને બદલે ડાબા હાથમાં સળિયો ફિટ થઈ ગયો, તે કિસ્સામાં સારવારનું બિલ ચૂકવે તો કોણ ચૂકવે?

વિક્રમાદિત્યે જરા પણ ખચકાયા વગર કહ્યું “વૈતાલ, બિલ તો બાળકનાં સગાંવહાલાંએ ભરવું જ પડે.”

“રાજા કહે, ખોટા હાથમાં ઓપરેશન કરવા છતાં?”

“ઓપરેશન ખોટા હાથમાં હતું, પણ સળિયો તો સાચો હતોને! લોખંડના ભાવ તું જાણે છે?”

“પણ રાજા ખોટા ઓપરેશન માટે...?”

“વૈતાલ, દર્દી સાચો હતો, ડોક્ટર પણ નકલી પોલીસ જેવો ન હતો એટલે હોસ્પિટલે બિલ તો લેવું પડે.”

“રાજન્ તમે ઉદારતાથી આ બધું વિચારો છો!”

“ના વૈતાલ, હું માનવ સ્વભાવથી વિચારું છું. ક્યારેક બેન્કનો કલાર્ક એકના ખાતાને બદલે બીજાના ખાતામાં પૈસા ઉપાડી લે છે. ક્યારેક પોસ્ટમેન છગનને બદલે મગનને ત્યાં કાગળ પહોંચાડે છે, ક્યારેક કવિ, છંદ બહાર કવિતા લખી નાંખે છે, કામ કામને શીખવાડે, આ ડોક્ટરો થોડા વખતમાં સાચા હાથનું ઓપરેશન કરતા શીખી જશે.”

વૈતાલને પણ જવાબની ગડ ન બેઠી.

***
ડાબુ જમણું સમજવું બહુ અઘરું છે, મેં સિંદબાદને કહ્યું હતું કે ગલીમાં ડાબા હાથે ત્રીજે ઘરે આ આપી દેજે. મેં મારા ડાબા હાથથી ત્રીજું કહ્યું હતું તે તેના ડાબા હાથથી ત્રીજું ગણી બેઠો, થાપ ખાઈ ગયો. ડાબી બાજુ એટલે શું એ સમજવા માટે ઘણા રીક્ષા ડ્રાઇવર કે કાર ડ્રાઇવર થાપ ખાઈ જાય છે.

વાઇડ બોલ
લક્ષ્મણ બેટિંગમાં જતા પહેલાં બે વાર નહાય છે

અને ત્યારબાદ ઘણું ખરું હરીફોને નવડાવે છે.

Monday, November 21, 2011

અપમાન અપમાન ઘોર અપમાન

થોડાક થોડાક દિવસના અંતરે મીડિયામાં હોબાળો મચે છે. અમુકતમુક નેતાનું અપમાન થયું. ગાંધીજીનું અપમાન થયું, બાબાસાહેબનું અપમાન થયું.
થોડાક દિવસ પહેલાં જ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામસાહેબનું અપમાન થયું, તેવો હોબાળો થયો હતો. આ અમેરિકાવાળા પણ કોણ જાણે કેટલા ભારતીયોનું અપમાન કર્યું હશે એ લોકોએ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝનું અપમાન કરેલું. પગથી માથા સુધી તેમનું સ્ક્રીનિંગ કર્યું હતું. સલામતી ચકાસણી માટે આને કેટલાક લોકો અપમાન ગણે છે. કલામસાહેબનાં જૂતાં, જેકેટ બધું તપાસ્યું. આપણે આપણા નેતાઓની ચૂંટણી કોઈ તપાસણી વગર કરીએ છીએ. પણ અમેરિકાવાળા એમના દેશમાં આવતા જતા માણસોની પૂરેપૂરી ચકાસણી કરે છે. જો ખટમંડુવાળા આ પ્રમાણે કરતા હોત તો ‘કંદહારકાન્ડ’ બન્યો ન હોત. આ ચકાસણીમાં પટ્ટા, બેલ્ટ, બૂટ, જેકેટ, પર્સ બધું જ આવી જાય છે. અમેરિકાવાળા માટે આ રૂટિન છે. પ્રો. કલામ હોય કે અમદાવાદના કાન્તિલાલ હોય, આ ચકાસણીને મીડિયાને અનુકૂળ આવે ત્યારે અપમાન ગણે છે. શાહરૂખ ખાનને પણ આ બધી વિધિ કરવી પડી હતી. અમને પણ આ ચકાસણીનો અનુભવ થયો હતો. અમે કલામ લેવલના ન હોઈ ગુજરાતી લેખકનું અપમાન એવું તેવું લખાયું નહીં. અમે ચકાસણીમાં સહકાર આપેલો, ડબ્બામાં મગસના લાડુ જોઈ પૂછેલું, “આ શું?”
“સ્વીટ બોલ”
એ બોમ્બ નથી એવી ખાતરી કરી જવા દીધું. અમે તેનો આભાર માનેલો કે અમારી સલામતીની તે કેટલી ચિંતા કરે છે, કારણ કે એ અધિકારી તો જમીન ઉપર હતો. કંઈ થઈ હોત તો એને કાંઈ ન થાત, હવામાં અમે ઊડવાના હતા, ત્યાંથી જ ઊડી જાત. એટલે અમારી ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. (અપમાન સામે બહુમાન?) કેટલાક આવી ચકાસણીથી અકળાય છે તેને માટે જ ભગવાન જિસસે કહેલું, “પ્રભુ, એમને માફ કરજે એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે.” આ સજીવના અપમાન સાથે નિર્જીવ મૂર્તિઓ (પૂતળાં) ના અપમાનનો પ્રશ્ન ચગે છે. ગાંધીજીના પૂતળાનું અપમાન થયું કે બાબાસાહેબના પૂતળાનું અપમાન થયું. પૂતળાંપ્રિય આપણી જનતા નેતાઓનાં પૂતળાં ઠેર ઠેર મૂકે છે. જો માયાવતીજીનું ચાલશે તો દેશમાં કોઈ ખાલી જગ્યા નહી મળે, જ્યાં પૂતળું ન હોય.
દેશમાં આટલાં બધાં પૂતળાં અને એથી અનેક ગણાં કબૂતરો છે. કબૂતરો માટે પૂતળાં એ પબ્લિક ટોઇલેટ છે! ડોન્ટ પે એન્ડ યુઝવાળા. આને નેતા ભક્તો, નેતાનું અપમાન નથી કહેતા. આ પૂતળા સાથે કંઈક બને છે, ત્યારે તેમના અનુયાયીઓ, નેતાનું અપમાન કહી હોબાળો મચાવે છે. તાજેતરમાં આવો જ એક હોબાળો મચ્યો, ‘સરદારનું અપમાન’ સરદાર પટેલના પૂતળા ઉપર પગ મૂકી અન્ય પક્ષના કાર્યકર્તાઓ બેનર બાંધતા હતા. ‘સરદાર ઉપર પગ મુકાય?’ કેટલાયને આઘાત લાગ્યો. સરદાર ઉપર પગ મૂકી બેનર બાંધવા બદલ માફી માગો માફી માગોનું સમૂહગાન થયું. સરદારના અપમાનનો નારો ચલાવનાર ભૂલી ગયા કે સરદારના પૂતળા ઉપર નહીં, પણ સરદારના ખભા ઉપર પગ મૂકી નહેરુજી વડાપ્રધાન થયા હતા. દેશની બહુમતી પ્રાંતિક સમિતિઓ સરદાર પટેલ વડાપ્રધાન બને તેવી વાત કરી હતી, તે છતાં સરદારનું અપમાન ક્યાં થયેલું ગણાય? દિલ્હીમાં કે તાજેતરમાં થયેલી કરમસદની ઘટનામાં?
વાઇડ બોલ
મુખ્યમંત્રીશ્રી ચીન જઈ આવ્યા, ત્યાં શું કર્યું? ‘ખૂલ જા ચીન-ચીન’

Sunday, November 13, 2011

મેથોડિક્લ સિકને

“દેખ ભાઈ ત્રિવેદી, મેરી યે બાત યાદ રખના”
“કૌન સી?”
“કોઈ સીક લીવ પર હૈ તો ઉસકે ઘર ખબર પૂછને ન જાના.” મારા સહકર્મચારી મિત્ર બંસલે વર્ષો પહેલાં મને આ સલાહ આપી હતી. દેખીતી રીતે આ સલાહ સામાજિક નીતિશાસ્ત્રની વિરુદ્ધની હતી.
“હકીકતે તો આપણી ફરજ છે કે આપણો સહકર્મચારી બીમાર હોય તો આપણે તેની ખબર કાઢવા જવું, એને સારું લાગે.”
“સારું લાગવાને બદલે એને ખરાબ પણ લાગે!”
“કેમ કેમ? ખરાબ કેમ લાગે.”
“કારણ કે એ સિક લીવ પર છે.”
“એટલે? સિક લીવ ઉપર છે માટે તો ખબર કાઢવા જઇએ છીએ.”
“હા, એ સિક લીવ ઉપર છે. પણ સિક નથી, અને તમે ઘરે જાવ તો એ મનોમન અકળાશે.”
સિક લીવ ઉપર છે પણ સિક નથી, હું ગૂંચવાયો આ તે કેવી અવસ્થા? બીમારીની રજા ઉપર છે પણ બીમાર નથી. નાનપણમાં બાળવાર્તા વાંચેલી. એક દેશમાં ત્રણ નગર, બે ઉજ્જડ અને એકમાં વસ્તી જ નહી. આવા વિચિત્ર ઉખાણા જેવી આ વાત ગણાય. ત્યારે ઓફિસમાં હું નવો હતો. આપસી સંબંધો વિકસાવવામાં મને રસ હતો. પણ પછી મને ખ્યાલ આવ્યો કે ‘સિક લીવ’ એક સગવડ છે. માંદગી ઘણું ખરું બહાનું જ હોય છે. દિવાળીના દિવસોમાં ચડેલા કામ ઉકેલવા સિક લીવ લઈ લેતા હોય છે. સિક લીવ ઉપરનો કર્મચારી તમને હોસ્પિટલમાં ન મળે, પણ હોટલમાં મળે.
હમણાં જ એક સર્વે બહાર પડયો કે ખોટી માંદગીની રજા લેનારાઓમાં ભારતનો નંબર વિશ્વમાં બીજો છે. ત્યારે અમને આપણા દેશના ‘ઓફિસ વહીવટ કલ્ચર’નો ખ્યાલ આવ્યો.
સિક લીવ, રજા લેવાનો આસાન તરીકો છે. ખટપટ નહી. મેડિકલ ર્સિટફિકેટ આપી દો, જૂઠા હી સહી વાત પતી ગઈ. મારા એક કર્મચારી મિત્ર કહે છે તમારે કોઈ ખર્ચ કરવો હોય તો કબાટના કોઈ ખાનામાં મૂકેલા પૈસા વાપરો, બેન્કના ખાતામાંથી પૈસા વાપરો કે પાકિટમાં પડેલા પૈસા વાપરો શું ફેર પડે છે? તેમ તમે રજા વાપરો. એ કેજ્યુઅલ રજા હોય કે હક્ક રજા હોય કે માંદગીની હોય. છેવટે તો તમારા ખાતામાં જ ઉધારવામાં આવે છે. ‘નામ ઝૂઝવાં અંતે તો હેમનું હેમ’ નરસંૈયાના દિલમાં કદાચ રજાના પ્રકારોનાં વર્ગીકરણ ચાલતાં હશે. એટલે એણે એમ કહ્યું હશે. રજા મેળવવાની ભાંજગડથી બચવા મેડિકલ ર્સિટ. સહેલું પડે છે. કહેવાય છે કે કેટલાંક ડોક્ટરોએ પ્રેક્ટિસમાં ફક્ત આવાં ઉપજાવેલાં ર્સિટફિકેટ લખવાનું જ કામ કર્યું છે. કેટલાક ડોક્ટરોને આવાં માંદગીનાં ર્સિટફિકેટ લખવાનો મહાવરો થઈ ગયો હોય છે. કેટલાક ડોક્ટરો સ્ત્રી-બાળકોના ખાસ ડોક્ટર એમ લખતા હોય છે, તેમ આવાં ર્સિટફિકેટ લખનાર ડોક્ટરો, ‘માંદગીનાં ર્સિટફિકેટ લખી આપવાના અનુભવી’ તેમ લખી શકે. જોકે
લખતા નથી.
મારા મિત્ર હરીશચંદ્ર ખોટા ર્સિટફિકેટથી માંદગીની રજા લઈ ઘરે રહેલા, પછી ઘરના કામે માણેકચોક ગયેલા. સાહેબ એમને જોઈ ગયેલા. થયું સત્યવાદી હરીશચંદ્ર ખોટા ર્સિટફિકેટથી રજા ભોગવી રહ્યા છે. સાહેબે મને ફોન કર્યો. “તમારા મિત્ર હરીશચંદ્ર માંદગીની રજા ઉપર છે પણ એ તો માણેકચોકમાં આંટા મારે છે.” મેં કહ્યું, “સર, ઘણા લોકો ઊંઘમાં ચાલતા હોય છે ને?”
“હા”
“તેમ હરીશચંદ્ર માંદગીમાં ચાલે છે એમ સમજવું”, ‘હેમલેટ’માં શેક્સપિયરે લખેલું કે, હેમલેટના ગાંડપણમાં પણ પદ્ધતિસરનું ગાંડપણ દેખાતું હતું. ‘મેથોડિકલ મેડનેસ’ તેમ માંદગીની રજાઓમાં મેથોડિકલ સિકનેસ હોય છે. એ ભૂલવું ન જોઈએ કે માંદગીની રજાઓની પ્રથાને કારણે ઘણા ડોક્ટરોનાં કુટુંબ સાજાંતાજાં રહે છે. માંદગીની રજાઓમાં વિશ્વમાં ભારત બીજો નંબર ધરાવે છે એવું જાણવાથી દુઃખી થવાની જરૂર નથી પહેલો નંબર ન આવવાનું દુઃખ થાય તે સમજી શકાય.
વાઇડ બોલ
પાકિસ્તાને ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન ફોર ટ્રેડ (MFNT) દરજ્જો આપવાનું વિચાર્યું પણ માંડી વાળ્યું. MFN દરજ્જો પાકે આપણને આપેલ જ છે ‘મોસ્ટ ફેવર્ડ નેશન ફોર ટેરરિસ્ટ એક્ટિવિટી’

ફ્રેનિમી-યાને દોસ્ત વત્તા દુશ્મન

આપણે નાના હતા ત્યારે શેરીમાં બરફનો ગોળો ખાતા એમાં શરબતનો છંટકાવ થતો, ખટ્ટામીઠ્ઠાનો બાળપણનો અનુભવ થોડુંક શરબત ગળ્યું હોય થોડુંક ખાટું હોય.
બરફના ગોળા મારફત આપણે જાણ્યું જિંદગીમાં ગળપણ પણ છે ખટાશ પણ છે. એ મતલબની ફિલ્મ ‘ખટ્ટામીઠા’ આવી હતી. તો ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મ પણ ટૂ-ઇન-વન ના સંદેશા સાથે આવી હતી. અમેરિકન સમાજમાં એક શબ્દ પ્રચલિત છે - ‘ફ્રેનિમી’ આ પણ ટૂ-ઇન-વન વાળી વાત છે. ફ્રેનિમી એટલે ફ્રેન્ડ અને એનિમી બંને. મિત્ર પણ ખરો અને શત્રુ પણ ખરો. બંને શત્રુમિત્ર એક જ માણસમાં ત્વમેવ શત્રુ, મિત્ર ચ ત્વમેવ એવું એને માટે કહી શકાય. અમેરિકન લોકોએ તેને માટે શબ્દ બનાવ્યો છે - ‘ફ્રેનિમી’. આપણે જેને મિત્ર માન્યા હોય તે શત્રુનું કામ પણ કરતો હોય તે ફ્રેનિમી છે. ‘દુશ્મન ન કરે દોસ્ત ને યે કામ કિયા હૈ...’ એવું ગીત જેને માટે તમે ગાઈ શકો તે ફ્રેનિમી છે. એવો માણસ ક્યારેક આપણને મળી જતો હોય છે જે દોસ્ત છે પણ તેમાં એક દુશ્મન છૂપાયેલો હોય છે. લગભગ બત્રીસ-પાંત્રીસ વરસ પહેલાં હાસ્ય સાહિત્યનો પહેલો એવોર્ડ ‘જ્યોતિન્દ્ર દવે’ મળ્યો ત્યારે ઘણાને લાગ્યું હતું કે હું ખૂબ જ નમ્ર છું. આથી જાહેરાત નથી કરતો પણ વાત જરા અલગ હતી. મને એવોર્ડ મળ્યાના ખબર મળ્યા કે હરખમાં ઉછળી પડી મેં છગનને વાત કરી. છગનને હું મારો મિત્ર માનતો હતો. છગનને ખુશ થતાં કહ્યું, “યાર, મને જ્યોતિન્દ્ર દવે એવોર્ડ મળ્યો છે.”
ત્યારે એણે ઠાવકાઇથી કહ્યું, કશો પણ ઉત્સાહ દર્શાવ્યા વગર કહ્યું, “હોય, ખુદા મહેરબાન તો ગધા પહેલવાન!” ત્યારે મને છગનમાં ‘ફ્રેનિમી’નાં ચોખ્ખાં દર્શન થઈ ગયાં હતાં. આના આઘાતમાં પછી મને મળેલ એવોર્ડની વાત હું કોઈને કરી શક્યો ન હતો.
મહારાજા શિવાજીએ ‘ફ્રેનિમી’નું શાસકીય દૃષ્ટાંત પૂરું પાડયું હતું. અફઝલ ખાનને મૈત્રીપૂર્ણ વ્યવહાર બતાવવા શિવાજી ભેટયા અને અફઝલ ખાનને વાઘ નખથી ચીરી નાંખ્યો. તમને પ્રેમથી ભેટતો માણસ તમારો હત્યારો હોઈ શકે. શાયર ચીનુ મોદીએ એ અંગે ‘ફ્રેનિમી’ માટે શેર લખ્યો છેઃ
પથ્થરો પોલા હશે કોને ખબર?
મિત્ર પણ બોદા હશે કોને ખબર?
ચીનુભાઇએ બોદા મિત્રના સ્વરૂપમાં ફ્રેનિમીની વાત કરી છે. ફ્રેનિમી હોય તેને મિત્રોની જરૂર પડતી નથી.
રોમન ઇતિહાસમાં ‘ફ્રેનિમી’નો ભોગ બનનાર ‘જુલિયસ સીઝર’ હતો. સીઝર, બ્રૂટસને મિત્ર માનતો હતો પણ એ ફ્રેન્ડ ન હતો પણ ફ્રેન્ડના લિબાસમાં ‘એનિમી’ હતો, એ જ્યારે બ્રૂટસે ખંજર માર્યું ત્યારે તેને ખબર પડી. મરતાં મરતાં ફ્રેનિમી બ્રૂટસને જાણી ગયેલો સીઝર બોલ્યો, “યુ ટૂ બ્રૂટસ!” (અલ્યા તું પણ!) આ ફ્રેનિમીનું જાણીતું વાક્ય આપી સીઝર જગ છોડી ચાલી ગયો.
વાઇડ બોલ
માધુરી દીક્ષિત અમેરિકાને રામ રામ કરી પરત આવી ગઈ...એક
ન્યૂઝનું હેડિંગ
અમેરિકાને ભલે રામ રામ કર્યા પણ સાથે (શ્રી) રામને લઈને આવી છે!

ક્રિકેટરો કા કેરેક્ટર ઢીલા હૈ

આફોટો જુઓ, આપણા ત્રણ ક્રિક્ટરો એક જ બાઇક ઉપર સવારી કરી રહ્યા છે. માથાદીઠ ૧/૩ બાઇક ગણાય. લાખો કે કરોડો કમાતા ક્રિકેટરો કેમ આટલી કરકસર ઉપર ઊતરી આવ્યા છે?
“આ ફોટા જોવાથી તને શું યાદ આવે છે?” મેં છગનને પૂછયું.
“ગાંધીજી” એણે કહ્યું
“ગાંધીજીનાં ચિત્રોવાળી ઢગલાબંધ નોટો આ ક્રિકેટરોને મળે છે એ વાત ખરી પણ આમાં તને ગાંધીજી કઈ રીતે યાદ આવ્યા?”
“બોસ, કેટલાંક વર્ષો પહેલાં ગાંધીજી યાને પૂ.બાપુ એક વાર વિદ્યાપીઠથી આશ્રમ ડબલસવારીમાં ગયા હતા. આજે ક્રિકેટ કપ્તાન ધોની બાઇક ઉપર ટ્રિપલ સવારીમાં જણાય છે, એટલે એ યાદ આવી ગયું.
પૂ.બાપુ સવિનય કાનૂનભંગમાં માનતા હતા. ધોની પણ આ કિસ્સામાં સવિનય કાનૂનભંગ કરી રહ્યો છે. તેમ જણાય છે એટલે એ પણ બાપુ ચીંધ્યા માર્ગે જઈ રહ્યો છે તેમ કહી શકાય!
એક શિસ્તના આગ્રહી મિત્રે આ ફોટો જોયા પછી કહ્યું “ધોની અને તેના સાથીઓની મેચ ફીના અમુક ટકા આવા કૃત્ય માટે પેનલ્ટીરૂપે કાપી લેવા જોઈએ. જેમ અમ્પાયર પાસેથી ટોપી ખેંચનાર ખેલાડીને પણ ગેરવર્તણૂક ગણી
દંડ કરેલો.”
ધોનીની તરફદારી કરનાર મિત્ર કહે છે કે “આ તો મેચ સિવાયના ગાળામાં થયેલું કૃત્ય છે. તેનો દંડ ન થઈ શકે.”
“ર્સિવસ કન્ડક્ટ રુલ્સ પ્રમાણે તો કર્મચારી ચોવીસે કલાક પોતાની વર્તણૂક અમુક મર્યાદામાં રાખવા બંધાયેલ છે. તે રવિવારે પણ ફાવે તેમ વર્તી ન શકે. જો કર્મચારી પોતાની ‘કન્ડક્ટ’ માટે ગમે તે સ્થળે ગમે તે સમયે જવાબદાર ગણાય તો ક્રિકેટર કેમ નહીં?”
એક મિત્રને મેં પૂછયું,”તમને આ ફોટો જોઈને શું લાગે છે?”મિત્રે કહ્યું,”એક બાઇક ઉપર ત્રણ જણા બેસી ગયા છે. પણ બેસનાર ત્રણે મોટાં માથાં ગણાય. સમરથ કો નહીં દોષ ગોંસાઇ એ ઉક્તિ યાદ આવે છે. ત્રણ સવારી છે અને કોઇ હેલ્મેટ પહેરી નથી.”
આપણા શહેરમાં કોઈ સામાન્ય ઘરના છોકરા આમ ગયા હોય તો પેનલ્ટી થઈ જાય. કદાચ એક બે ડંડો ખાવાનો મોકો પણ મળી જાય. પણ આ સમર્થના દોષ જોવાતા નથી.
હેલ્મેટની વાત થઈ એટલે એક એસએમએસ યાદ આવ્યો. હેલ્મેટ પહેરવાની સરસ રીતે તરફેણ કરતાં તેમાં કહેવાયું છે કે ભગવાન ગણેશ હાથમાં હેલ્મેટ લઈને ઊભા છે અને સલાહ આપે છે, ‘હેલ્મેટ જરૂર પહેરો, દરેકને નવું મસ્તક રિ-પ્લાન્ટ કરવાની સગવડ મળતી નથી. (મારી જેમ!)’
કેટલાક મિત્રો માને છે કે આ ફોટો યુવકોમાં ખોટો ‘મેસેજ’ લઈ જશે. ‘બાઇક ઉપર ત્રણ જણા ફરો અને હેલ્મેટની ઐસી તૈસી કરો.’
‘એક ફૂલ દો માલી’ એવી એક ફિલ્મ આવી હતી. એક મિત્રને આ ફોટો જોઈ તે યાદ આવી ગઈ એક બાઇક ત્રણ ગામી. (ગમન કરનારા)
એક ક્રિકેટર મિત્રે કહ્યું, “આજકાલ ક્રિકેટરોની વર્તણૂક વિશે ઘણી ફરિયાદો આવતી હોય છે. આ પ્રકારનો ફોટો જોયા પછી લાગે છે કે ક્રિકેટરો કા કેરેક્ટર ઢીલા હૈં!”
ઘણી વાર જાહેરખબર વખતે ટીવી ઉપર દર્શાવે છે કે જાહેરાતમાં આવતો ‘સ્ટંટ’ તમારે જાતે કરવો નહીં. તેમ આ ફોટા નીચે લખવું જોઈતું હતું કે આવા ખેલ તમારે કરવા નહીં. નહીંતર ટ્રાફિકવાળા તમને છોડશે નહીં.
ક્રાઇમ સ્ટોરીના ચાહક એક મિત્રે કહ્યું, આ ફોટો જોતાં બાઇક પર ગેંગ રેપની ઘટના જેવું લાગે છે.
વાઇડ બોલ
લિફ્ટમાં ધંધાની વાત ન કરવી, તમે જાણતા નથી હોતા કે તેને કોણ કોણ સાંભળી રહ્યું હોય છે.