Tuesday, May 10, 2011

ચલ દરિયામાં ડૂબ જાય

આખરે અમેરિકાએ ઓસામા બીન લાદેનને દરિયામાં પધરાવી દીધો - દિગ્વિજયસિંહની ભાષામાં કહું તો ઓસામાજીને દરિયામાં દફન કરવામાં આવ્યા.

ઓસામાને ઓસામાજી કહેવા બદલ ઘણાં લોકો દિગ્વિજયસિંહ ઉપર ખીજાયા છે. ઉત્તર ભારતવાળાઓએ જ મોહનદાસ ગાંધીને ગાંધીજી બનાવ્યા. ત્યાં સન્માન આપવા ‘જી’ લગાડે છે. દિગ્વિજયસિંહ સોનિયા ગાંધીને સોનિયાજી કહે છે. હવે ઓસામાને પણ ઓસામાજી કહે તો કેવું લાગે?

કોઈ કાઠિયાવાડી નેતા ઓસામા ઉપર દિગ્વિજયસિંહની જેમ રાજી હોત તો ઓસામાભાઈ કે લાદેનભાઈ કહેત. બહાદુરશાહ ઝફર સાથે આવું જ કંઈક થયું એનો અહેસાસ થતા બહાદુર શાહે લખ્યું હતું, ‘દો ગજ ભી જમીં ન મીલી દફન કે લીયે...’ બહાદુરશાહને પોતાના દેશમાં દફન માટે જમીં પણ મળી ન હતી. એણે લંડન તક તલવાર ચલાવવાની ઘોષણા કરી હતી. લાદેને ન્યૂયોર્ક (ટ્વિન્સ ટાવર) તક મિસાઈલ ચલાવાની વાત કરી અને અમલ કર્યો. એને પણ દો ગજ જમીં દફન માટે ન મળી.

એક સમાચાર પ્રમાણે કોઈ દેશ લાદેનને પોતાની ભૂમિ ઉપર દફનાવવા રાજી ન હતો. માટે અમેરિકાએ દરિયાઈ દફન પસંદ કર્યું. કદાચ આ અમેરિકાનું બહાનું હોઈ શકે છે. કારણ કોઈ પણ જગ્યાએ તેને દફનાવે એટલે ત્યાં તેનું સ્મારક કે મકબરો ઊભો થઈ જાય. અલ - કાયદા - એ કરે જ. શહીદો કી ચિતાયે હર બરસ લગેંગે મેલે એ ઉક્તિ પ્રમાણે એ મકબરા પાસે દર વર્ષે ઉર્સ થાય, કવ્વાલીઓનો મારો ચાલે. મોટાં મોટાં આયોજન લાદેનવાદીઓ કરે જ. (ના માર્કાવાળા) એટલે અમેરિકાએ અગમચેતી વાપરી દરિયાને સ્વાહા કહી દીધું. જાવ ત્યાં મકબરો કરો કે અંજલિ કાર્યક્રમ કરો.

છગન કહે છે કે પાકિસ્તાની નેતાઓ ભારતીય ફિલ્મ સંગીતના આશિક રહ્યા છે. ઝિયાથી માંડી મુશરફ કે ગીલાની સૌ કોઈ. શક્ય છે કે લાદેન પણ હિન્દી ફિલ્મી ગીતો સાંભળતો હોય એને ત્યાંથી મળેલી ઢગલાબંધ ડ્ઢફડ્ઢ માં થોડીક હિન્દી ફિલ્મનાં ગીતોની હશે. એમાં પણ પેલું ગીત હશે, ‘ચલ દરિયામાં ડૂબ જાયે’ અમેરિકાએ તે સાર્થક કર્યું.

આપણા કેટલાંક નેતા ભારતમાં લાદેનને દફનાવવા તૈયાર થાત. આપણે બહારના ઘણાં લોકોને આશ્રય આપેલો જ છે. સૈકાઓ પહેલાં પારસીઓને આપણી ભૂમિ ઉપર આવકાર આપેલો. નજીકના ભૂતકાળમાં દલાઈ લામાને આશરો આપેલો. પ્રસિદ્ધ બાંગલાદેશી લેખિકા તસલીમા નસરીનને આશ્રય આપ્યો છે. સ્ટેલીનપુત્રી સ્વેતલાનાને પણ આપણે શરૃમાં આશરો આપેલો, કરોડો બંગ્લાદેશીઓને ઘૂસીને રહેવાની સગવડ આપણે આપી જ છે. એ ભવ્ય પ્રણાલિકાના સન્માન માટે લાદેન (જી)ના દેહને ભારત લાવવો જોઈતો હતો. સિંદબાદ કહે છે તો આપણામાંના ઘણાં તેના ફાતિહા પઢવા પહોંચી ગયા હોત.

આમ તો ઓસામા બીન લાદેનનું એન્કાઉન્ટર થયું છે. માનવ અધિકારના એક્ટિવિસ્ટો મેદાનમાં કૂદી પડશે. ઈશરત જહાં કે શોહરાબુદ્દીન એન્કાઉન્ટર જેવો જ આ મામલો ગણાય. અમેરિકાએ લાદેનનું એન્કાઉન્ટર કર્યું છે જેવું ઈશરત જહાંનું થયું છે. તેમ કરી આંતરરાષ્ટ્રીય અદાલતમાં કાઈ પિટિશન થશે તેમ લાગે છે. પણ અમેરિકન સરકારને ગુજરાતની જેમ પરેશાન કરી શકાય તેમ નથી. એટલે આ ‘બુદ્ધિજીવીઓ’ લાચાર છે.

ઈઝરાયલવાળાએ જેમ યુગાન્ડા જઈને તહેલકો મચાવ્યો હતો, તો અમેરિકાએ પણ પાકિસ્તાન થઈને લોકોને બતાવ્યું કે ત્રાસવાદ સામે આમ લડાય.

ગૂગલી

સમાચારમાં હતું કે પ્રમુખ ઓબામાની આવકમાં ઘટાડો થયો છે.

‘લાગે છે તેણે ભારતીય નેતાઓનું ટયૂશન રાખવું જરૃરી છે’

May 10,2011

No comments: