Tuesday, March 29, 2011

સાત સાત ડાયવોર્સ

હોલિવૂડની એક્ટ્રેસ એલિઝાબેથ ટેલરના અવસાનના સમાચારથી એક મહાન અદાકારનો અંત આવ્યાનો અહેસાસ થાય છે.

આ મહિલા તેની અદાકારી ઉપરાંત તેના આઠ લગ્નથી પ્રખ્યાત હતી. કેટલાંક સમાચાર અવારનવાર છાપામાં જોવા મળે. જેમ કે

જાપાન કે કોઈ જગ્યાએ ધરતીકંપ થયો.

કોઈ શહેરમાં ગેંગરેપનો બનાવ બન્યો.

આ બધાં સમાચાર અવાર નવાર આવે તેમ, એલિઝાબેથ ટેલરનાં લગ્નના સમાચાર પણ અવારનવાર ચમકે. આ બાઈ લગ્ને લગ્ને કુંવારી હતી. હવે તેનું અવસાન થયું છે. આપણા એક શાયરે લખ્યું હતું, ‘મોત હૈ મેરી મહેબૂબા’ લીઝ ટેલરે હવે મોતને મહેબૂબ તરીકે સ્વીકાર્યો છે, એવો મહેબૂબ કે તેનાથી હવે છૂટી નહીં પડે.

આમ તો તેનું નામ એલીઝાબેથ હતું પણ તે લીઝ તરીકે ઓળખાતી. એનું લગ્નજીવન ‘લીઝ’ ઉપર ચાલતું એટલે કદાચ એ લીઝ તરીકે ઓળખાતી હશે તેવું મકાનની દલાલી કરતાં એક મિત્રનું માનવું છે.

છગન પૂછતો હતો આ મહિલાએ આટલાં બધાં લગ્ન કેમ કર્યાં હશે? એનો એક જવાબ એવો મળ્યો કે, “તે લગ્નમાં માનતી હતી લફરામાં નહીં.”

આપણા હિન્દી ફિલ્મના હાસ્ય કલાકાર અને અદ્ભુત ગાયક કિશોરકુમારે પણ ચાર વાર તો લગ્ન કર્યાં હતાં. (લીઝ ટેલરથી અડધે રસ્તે હતા) સંજોગોવશાત્ કિશોરકુમારની બધી જ પત્નીઓ મુંબઈના બાંદરા વિસ્તારની હતી. એ વાતનો ઉલ્લેખ કરતા કિશોરકુમાર કહેતો, “ક્યા કરું મેરી કિસ્મત મેં હી સબ બંદરીયા લીખી થી!”

લીઝ ટેલરે પણ આઠ વાર વેતર્યું હતું. પણ તેણે કોઈ પતિને બંદર કહેવાનું જાણમાં નથી. હા જાનવરો પ્રત્યે તેને ઘણો પ્રેમ હતો. પણ વરને જાનવર નો’તો કહ્યો.

લીઝ ટેલર તેના અભિનય અને લગ્ન પ્રત્યેના તેના અભિગમ બંનેથી સમાચારમાં રહેતી, એણે જ્યારે આઠમી વાર લગ્ન કર્યાં ત્યારે આ જ છાપામાં લગ્ને લગ્ને કુંવારી એવો લેખ અમે કરેલો.

ત્યારે વિચાર આવેલો કે લીઝના ઘરમાં સૌથી અલગ વસ્તુ હશે તેના લગ્નનાં આલબમ્સ. આપણા બધાના ઘરમાં આપણા લગ્નનું એકાદ આલબમ કે કેસેટ હોય, જ્યારે આ બાઈના કબાટમાં આઠ આઠ લગ્નનાં આલબમ મોજૂદ હશે. આપણે લોકો ઘણી વાર સ્મૃતિ વાગોળવા માટે પ્રવાસ કે લગ્નનું આલબમ જોતા હોઈએ છીએ. લીઝ પાસે કેટલા બધા વિકલ્પ હશે! ચાલો આજે મારા ચોથા લગ્નનું આલબમ જોઉં તો કોઈક દિવસ વિચારતી હશે, આજે છઠ્ઠા લગ્નનું આલબમ જોઉં, શક્ય છે કે તેના છઠ્ઠા લગ્ન રિસેપ્શનમાં તેના સાતમા લગ્નવાળો પતિ ખૂણામાં બેઠો બેઠો આઈસક્રીમ ખાતો હોય. ત્યારે એને ખબર પણ ન હોય કે તેને પંથ શી જયાફત પડી છે!

સિંદબાદ આપણા માળખામાં લીઝ ટેલરનાં લગ્નોની ચર્ચા કરતા કહે, “બોસ, આઠ આઠ વાર લગ્ન એ કરે સગાંવહાલાં તો ચાંલ્લા કરવામાં જ તૂટી જાયા!’

લીઝને લગ્નમાં વધાઈ કઈ રીતે અપાઈ હશે, તે અંગે એક મિત્ર કહે. એને લગ્નની શુભેચ્છા એમ લોકો નહીં કહેતા હોય પણ કહેતા હશે, ‘મેની હેપી રિર્ટન્સ ઓફ ધ ડે... યે શુભ દિન બાર બાર આયે’ શુભ દિન કદાચ બાર બાર પણ એના જીવનમાં આવ્યો હોત. પણ આઠ વાર તો આવ્યો જ.

કોઈ માણસ એક વાર પણ લગ્ન કરે તો આપણને તેની પ્રત્યે સહાનુભૂતિ પ્રગટે. જો બે વાર લગ્ન કરે તો તેની હિંમત ઉપર આફરીન થઈ જવાય. ફિલ્મ લાઈનમાં લગ્નોની બાબતમાં તે તેંડુલકર હતી. પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.

ગૂગલી

ભાંગી પડેલો માણસ હસી શકતો નથી, એવી વાત નથી, પણ જે હસી શકતો નથી તે ભાંગી પડે છે.

Mar 29,2011

No comments: