Saturday, March 19, 2011

કોઈના માથે માછલાં ધોવાં...


નાગપુરના રસ્તા પર માથે ટોપલાં ઉપર એક જણ જતો હતો. પાછળ બીજો માથે માછલાંના ટોપલા સાથે જતો હતો, તેની પાછળ ત્રીજો જતો હતો. એ જ રીતે કેટલાય જણ માછલાંના ટોપલા સાથે જઈ રહ્યા હતા.

એક જિજ્ઞાસુએ પૂછયું, “કેમ આજે આટલાં બધાં માછલાં લઈને જઈ રહ્યા છો?”

“સાહેબ, ક્રિકેટ મેચ છે ને એટલે” માછલાંના ટોપલાધારીએ જવાબ આપ્યો.

“ક્રિકેટ મેચ શું માછલાંથી રમાય છે?” એવો પ્રશ્ન નહીં પણ કોમેન્ટ પેલા સજ્જને કરી, “રસોઈ શું જાદુથી થાય છે?” એવી જાહેરાત રેડિયો ઉપર આવતી, તેવા અંદાજમાં જ પૂછયું હતું, “ક્રિકેટ મેચ શું માછલાંથી રમાય છે?”

પેલાએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, “મેચ તો બોલ અને બેટથી જ રમાય, પણ રમતના પરિણામ પછી આ માછલાં કેટલાંકને માથે ધોવાના કામમાં આવશે.”

કેટલાક શુદ્ધ શાકાહારીઓ માછલાં ભલે ખાતા ન હોય પણ કોઈકના માથે માછલાં ધોવાના કામમાં, માછલાંનો ઉપયોગ કરવાનો તેમને બાધ નથી હોતો. તેમાં તેમનું શાકાહારીપણું આડે આવતું નથી.

કહેવાય છે કે ‘દાને દાને પે લીખા હૈ ખાનેવાલા કા નામ’ દરેક દાણા ઉપર તેના ખાનારનું નામ ભગવાને અગાઉથી જ નક્કી કરી નાંખ્યું હોય છે. તેમજ દરેક માછલા ઉપર તે કોની ઉપર ધોવાવાનું છે તે નામ પણ લખ્યું હોય છે. માછલાં ઉપર ભગવાને બે નામ લખ્યાં હોય છે. એક તો એને કોણ ખાશે અને બીજું એ કોના માથે ધોવાશે.

નાગપુરમાં પહોંચેલાં માછલાંઓ છેવટે આશિષ નહેરાને માથે ધોવાના કામમાં આવ્યાં.

લાગતું હતું કે આ મેચ આપણે જીતી જઈશું. હસતાં હસતાં અમે રોઈ પડયાની જેમ જીતતાં જીતતાં આપણે હારી ગયા. ‘લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ બેક’ ઊંટની પીઠ ઉપરનું છેલ્લું તણખલું આશિષ નહેરાની છેલ્લી ઓવર સાબિત થઈ. આશિષ માટે નાગપુરની મેચ શાપ બની ગઈ. નાગપુરમાં નેહરાને એરુ આભડી ગયો. દ. આફ્રિકાને છેલ્લી ઓવરમાં તેર રન જોઈતા હતા. નેહરાએ તે ત્રણ બોલમાં જ આપી દીધા અને નેહરાને માથે માછલાં ધોવાનું કામ ચાલુ થઈ ગયું.

ધોની ઉપર પણ માછલાં ધોવાયાં, નેહરાને તે છેલ્લી ઓવર અપાય? ધોનીનું એક ઉપનામ છે, ‘કેપ્ટન કૂલ’ એની ઉપર માછલાં ધોનાર હવે તેને કહે છે ‘કેપ્ટન ફૂલ’. છેલ્લી ઓવર નેહરાને આપી તે કેપ્ટનની મૂર્ખાઈ હતી એમ એ લોકો કહે છે. ન્યુઝીલેન્ડવાળાએ પાકિસ્તાન જેવા બોલરો સામે છેલ્લી ચાર ઓવરમાં જ બાણું રન કર્યા હતા ત્યારે આપણા લોકોએ છેલ્લી ઓવરમાં ઓગણત્રીસ રન જ કર્યા હતા. આ જોઈ છગન કહે છે : “નેહરા શું કરે? આ લોકોએ છેલ્લે છેલ્લે રન જ ન કર્યા!”

આ માછલાંસ્નાનમાં અમને પણ ભૂલી દાસ્તાન ફીર યાદ ગઈ. કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાન સામે શારજાહમાં આપણે રમી રહ્યા હતા. જીતી જઈશું એમ લાગી રહ્યું હતું. છેલ્લો બોલ બાકી હતો, પાકિસ્તાનને ચાર રન કરવાના હતા. બોલર હતો ચેતન શર્મા એણે છેલ્લો બોલ નાંખ્યો અને પાકિસ્તાનના મિયાંદાદે છેલ્લા બોલે છક્કો મારી દીધો. ભારત હારી ગયું. છેલ્લો બોલ હતો. પણ ચેતન શર્માએ નાંખ્યો અને છક્કો વાગ્યો પછી કહે છે કે ચેતન થોડીક વાર જડ થઈ ગયો હતો. સમગ્ર ભારતમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. છેલ્લો બોલ ચેતન શર્માએ કઈ રીતે નાખવો જોતો હતો તે વિશે ઘણું લખાયું - બોલાયું. આજે પણ છેલ્લી ઓવર કે છેલ્લા બોલની વાત નીકળે છે ત્યારે લોકો ચેતન શર્માને આજે યાદ કરે છે. હવે એ ચેતન શર્મા ટીવી ઉપર નિષ્ણાત તરીકે ક્રિકેટની રમત ઉપર વિવેચન કરે છે. આપણા લોકોએ ત્યારે ચેતનને પઈનો કરી નાંખ્યો હતો. આજે નેહરાનો વારો છે.

આપણી પ્રજા ‘કુછ ભી હોતે હુએ દેખ શકતી હૈ.’ મગર ક્રિકેટમાં ભારતને હારતા જોઈ નથી શકાતું. આપણી પ્રજા ક્રિકેટરોની નાની સરખી ભૂલ કે પછડાટ સહન નથી કરી શકતી પણ નેતાઓની તરફ આ પ્રજા ખૂબ જ ‘લેટ-ગો’ કરવાવાળી છે.

છેલ્લી ઓવરમાં તેર રન આપનાર નેહરા ઉપર આક્રોશ કરનાર આ લોકો કરોડો રૂપિયાનું કરી નાખનાર કલમાડી કે રાજા પ્રત્યે એટલો આક્રોશ નથી બતાવતા. એટલે નેહરા કદાચ કહેતો હશે, ‘અગલે જનમ મુઝે નેતા હી કીજીયો’.

વાઈડ બોલ

તમારા હાથમાં બધું જ હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો? અને તમારા હાથમાં કશું જ ન હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો.

એ માણસની પરિપક્વતાની કસોટી છે

Sandesh 20/3/2011

No comments: