Saturday, March 12, 2011

નામ મેં ક્યા રખ્ખા હૈ?

જન્મનો દાખલો કઢાવા માટે, જે તે સંતાનના જન્મ પછી નોંધણી કરાવવી ફરજિયાત છે. અમેરિકામાં જન્મ નોંધાવતા જ નામ નોંધાવવું ફરજિયાત છે. આપણે ત્યાં ચાલે, બાબો કે બેબી લખાવી શકાય છે. આ સગવડને કારણે આ લેખકે એની પુત્રીનું નામ છેક સ્કૂલમાં દાખલ થઈ ત્યાં સુધી પાડયું ન હતું. સ્કૂલના ક્લાર્કે કહ્યું, “ફી કદાચ બાકી રાખી શકાય પણ વિદ્યાર્થીનું નામ નહીં”. એટલે નામકરણ અને સ્કૂલપ્રવેશ બંને દીકરીના એક સાથે જ થયાં હતાં.

આપણે ત્યાં, નામ નોંધણી કચેરીને જન્મ-મરણ નોંધણી કચેરી એમ કહે છે. આ કચેરીમાં જન્મ નોંધાવા જનારને કેટલીક વાર મરણતોલ અનુભવ થતા હોય છે. એટલે એવું નામ રાખ્યું હશે તેમ છગન કહે છે.

શાળામાં કે સરકારી કચેરીઓનો એક જ નામનો આગ્રહ રાખવામાં આવે છે. તમે ટ્રાફિક પોલીસને એમ ન કરી શકો કે આમ તો મારું નામ મહેન્દ્ર છે. પણ રેશનકાર્ડમાં મહેશ નામ છે. મારા સગાંવહાલાં મનુભાઈ કહે છે. જો તમે આ પ્રમાણે કહો (જોકે તમે સમજુ હો તો નહીં કહો) તો પોલીસવાળો નિયમ અનુસાર હશે તોપણ નિયમના તમામ માન્ય ધોરણોને કોરાણે મૂકી તમને ઠમઠોરશે.

શું માણસે એક નામ જ લઈને ફરવાનું? ભગવાન વિષ્ણુએ હજાર નામ રાખ્યાં હતાં. જે વિષ્ણુ સહસ્ત્રાવલી નામે મશહૂર છે. એની પુસ્તિકા પણ મળે છે. એ ભગવાન વિષ્ણુ ટ્રાફિકવાળાને ભટકાય અને નામની પૂછપરછ થાય તો કેવું દૃશ્ય સર્જાય તેની કલ્પના જ મનોરંજક બની રહે છે. ટ્રાફિક પોલીસવાળાને નહીં પણ ભગવાન વિષ્ણુને પેટ્રોલપંપવાળો ભટકાય છે, તેની એક રમૂજ વાંચેલી, વિષ્ણુ ભગવાન લૂના લઈને પેટ્રોલ પંપ ઉપર જાય છે. આજથી પાંચેક વર્ષ પહેલાં લોકો વીસ રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા. અર્ધો લિટર આવતું હતું. અત્યારે ચમચીથી પેટ્રોલ ભરવાની સગવડ ન હોવાથી પંપવાળા વીસનું પેટ્રોલ ન આપે. ભગવાન પંપ ઉપર ગયા ચત્રભૂજને લૂના ઉપર જોઈ પંપનો ચાકર આશ્ચર્ય પામ્યો અને આનંદિત થઈ બોલી ઊઠયો,ભગવાન વીસનું?’ (વિષ્ણુનો ઉચ્ચાર એણે વીસનું એમ કરેલો).

ભગવાને કહ્યું, “ના, ત્રીસનું.” એમ કરી ત્રીસ રૂપિયા આપેલા.

આ ભગવાન વિષ્ણુ ટ્રાફિક પોલીસવાળાને નામ શું લખાવે? હજાર નામમાંથી કયું લખાવવું? ભક્તને પણ મૂંઝવણ થઈ હતી. “હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી...” પોસ્ટમેન પણ આંટા મારતો થઈ જાય.”પોસ્ટ ક્યાં ડિલિવર કરવી?”

નિયમ પ્રમાણે વ્યક્તિનું નામ એક જ હોય, પણ જોવામાં આવે છે કે મોટાભાગના લોકોને એક કરતાં વધુ નામ હોય છે. બચપણમાં બાળકનું એકાદ વધારાનું નામ હોય છે. કોઈનું ભીખુ હોય છે, કોઈનું પપ્પુ હોય છે, કોઈનું બચૂ હોય છે. અને આ નામો મોટા થયા પછી પણ તેમની સાથે રહે છે. જેમ ક્યારેક રેલવેમાં એક જ લાઈન ઉપર મીટરગેજ, બ્રોડગેજ દોડતી હોય છે તેમ (ત્રણ પાટાની લાઈન સાથે) તેમ આ એકસ્ટ્રા નામ પણ ચાલુ રહે છે. શાળાના મિત્રો ભીખુ કહે અને ઓફિસમાં સાથીઓ બિપિન કહે. ‘નામ રૂપ ઝૂઝવાં બાકી માણસ તો એ જ.’

લોકકવિઓ અને ગુંડાઓને પણ એક કરતાં વધુ નામ હોય છે. જોકે ગુંડાઓ કવિતા કરતા નથી હોતા, તેમજ કવિઓ પણ ગુંડાગીરી કરતા નથી હોતા. (આ મારું અજ્ઞાન હોઈ શકે) પણ કવિઓને તો જાતે પાડેલાં ઉપનામ હોય છે. એ બેફામ, ઈર્શાદ કે ઘાયલ હોઈ શકે. ગુંડાઓને લોકોએ આપેલા ઉપનામ હોય છે. મહંમદ લંગડો કે કરસન કારતૂસ એ રીતે આ અંધારી આલમવાળા ઓળખાય છે. પોલીસ રેકોર્ડ ઉપર પણ આ લોકો નામ તેમજ ઉપનામ બંને સાથે ઓળખાવે છે.

સામાન્ય માણસોમાં પણ ઘણા લોકોને નામ સાથે ઉપનામ જોડાય છે. વામનભાઈ વામન ઝંડા તરીકે ઓળખાય. ભોગીલાલ સિંદબાદને પણ સિંદબાદ એ વધારાનું પૂંછડું છે તેને ઉપનામ કહી શકાય. આ સિંદબાદનું કહેવું છે કે કોઈ કાન્તિલાલ નામ ઉપનામ વગરનું નથી હોતું. એક કાન્તિભાઈ બહુ હળવા છે તે કાન્તિ-ટેંટેં તરીકે ઓળખાય છે. એક કાન્તિ-બાટલી તરીકે ઓળખાય છે. (જે દારૂબંધી અંગે તેમનો અભિપ્રાય પ્રગટ કરે છે.) એક કાન્તિ પટપટ તરીકે એક ઓફિસમાં જાણીતા છે. સિંદબાદની વાતમાં તથ્ય છે, કાન્તિ નામ અત્યાર સુધી ઘણું કોમન હતું. એટલે તેમની ઓળખ વધુ ચોક્કસ કરવા આવાં ઉપનામ લાગતાં.

વાઈડ બોલ

‘ક્વોટ્રોચી સામેનો કેસ બંધ કરાયો’ આવાં શીર્ષક છાપામાં છપાયાં તે જ પાના ઉપર સમાચાર હતા.

‘અડવાણી સામે સમન્સ જારી કરવાની માંગણી’ (કોઈને કરસનદાસ માણેકની કવિતા યાદ આવી જાય)

No comments: