Tuesday, March 15, 2011

મહિલાને ક્યાં અન્યાય છે?


છગનને મેં કહ્યું, “દર નવમી માર્ચે મહિલા દિન ઉજવાય છે”.

છગને ફિક્કું હસીને કહ્યું, “દરેક દિન મહિલા દિન છે, ત્રણસો પાંસઠ દિવસ મહિલા દિનનો જ અનુભવ થાય છે, શા માટે ફક્ત નવમી માર્ચને જ સિંગલ આઉટ, મતલબ કે અલગ તારવો છો? શું દસમી માર્ચ મહિલા દિન નથી હોતો?’ દરેક દિવસ મહિલા દિન જ હોય છે.

છેલ્લા કેટલાંક વખતથી મહિલા સંસ્થાઓ ખૂબ જાગૃત થઈ ગઈ છે.આ જાગૃત મહિલા સંસ્થા માટે કહી શકાય કે તે ઊંઘતી નથી અને ઊંઘવા દેતી નથી. કોઈ પણ બાબત ઉપર આ સંસ્થાઓ મુદ્દા ઉઠાવી હંગામો કરી શકે છે.

આ મહિલા કાર્યકર્તાઓને પુરુષાર્થ શબ્દ સામે પણ વાંધો છે. સખત શ્રમ કરનારે પુરુષાર્થ કર્યો છે એમ કેમ કહો છો? એમનું ચાલે તો કઠોર પરિશ્રમ માટે સ્ત્રીઆર્થ શબ્દ વાપરે પણ ઊંઝા જોડણીવાળાઓની ચળવળની જેમ આ સ્ત્રીઆર્થ શબ્દ માટેની ચળવળ ચાલે તેમ નથી. આ મહિલા કાર્યકર્તાઓને ગણિતના દાખલાઓ સામે વાંધા પડયા છે. અંકગણિતમાં રકમમાં લખ્યું હોય કે રમેશે મહેશને દસ ટકા વ્યાજે ત્રીસ હજાર રૂપિયા આપ્યા, તો વર્ષ પછી વ્યાજ કેટલું થશે? મહિલા આગેવાનોને એ વાંધો છે. રમેશ, મહેશ એવા પુરુષોનાં જ નામ શા માટે દાખવવામાં આવે છે. રમા કે સાવિત્રીના નામનો કેમ ઉલ્લેખ નથી? આ ઝઘડાનો શું મતલબ? રમેશે વ્યાજે પૈસા લીધા છે, કદાચ તેની પત્ની રમા માટે દાગીનો લેવા માટે લીધા હોય. આવા કિસ્સામાં રમાનો પતિ જ વ્યાજ ચૂકવતો હોય છે એટલે દાખલાઓમાં આવતાં પાત્રોનાં નામ પુરુષોનાં જ હોય છે.

હવે પ્રગતિશીલ દેખાવા માટે નવા પ્રકારના દાખલા મૂકી શકાય.

રમા શાળામાં શિક્ષિકા છે. તેનો પગાર પંદર હજાર છે. (એમ પણ લખી શકાય કે વીસ હજારની રિસિપ્ટ ઉપર સહી કરી તે પંદર હજાર મેળવે છે). આ પંદર હજાર લઈ ઘેર જાય છે કે તેનો પતિ રમેશ શરાબ પીવા માટે પાંચ હજાર તેમાંથી પડાવી લે છે.

બાકીના પૈસામાંથી તે બાળકોની ફી - કપડાં-અનાજ પાછળ આઠ હજાર ખરચે છે તો મહિનાના અંતે તેની પાસે કેટલા બચશે? એના પતિ કેટલા ટકા આવકનો શરાબ પી જાય છે?

આ પ્રકારના દાખલાઓ જો ગણિતના પુસ્તકમાં આવે તો મહિલા આગેવાનોને તસલ્લી થાય. મહિલા દિન નિમિત્તે પાઠયપુસ્તકોની રીવાજ આવૃત્તિ તૈયાર થવી જોઈએ. જેમાં મહિલાઓને ન્યાય મળે તેવી વાતોનો ઉલ્લેખ થાય. મને નવાઈ લાગે છે કે ન ઊંઘતી મહિલા નેતાઓએ નરસિંહ મહેતા સામે કેમ આંદોલન ન છેડયું?

નરસિંહ મહેતાએ પત્ની ગુજરી જતાં કહ્યું હતું ‘ભલું થયું ભાંગી જાંજાળ’ આ અંગે મહિલા સંસ્થાઓએ જરા પણ વિરોધ નથી નોંધાવ્યો. ૯મી માર્ચે નરસિંહ મહેતાની આકરી ટીકા કરતું એકાદ નિવેદન, એકાદ મહિલા નેતાએ કરવું જોઈતું હતું.

મહિલાઓને આ દેશમાં ઘણું મળ્યું છે, તો પણ ગણિતના દાખલાઓની રકમ સામે વાંધો પાડે છે તે વાંધાજનક છે. આ દેશનાં રાષ્ટ્રપતિ એક મહિલા છે. (જે સરસ રસોઈ પણ કરતાં હતાં) વડાપ્રધાન પણ આમ તો મહિલા જ ગણાય ને (કોઈ શક?) વિરોધપક્ષનાં નેતા મહિલા છે, લોકસભાનાં સ્પીકર મહિલા છે. તોય તમારે મહિલાઓને અન્યાયની બૂમો પાડવી છે?

ગૂગલી

કસરતનું મહત્ત્વ ઘણું છે, પણ સતત ચાલતો પોસ્ટમેન સામાન્ય જીવે છે. સદા કુદાકૂદ કરતું સસલું માંડ પંદર વર્ષ જીવે છે અને સદા પડયો રહેતો કાચબો ચારસો વર્ષ જીવે છે.

No comments: