Saturday, August 7, 2010

આખીર કબ તક?

સુરીંદર લાલ-પીળો થઈ ગયો હતો. પગ પછાડતો હતો, હાથ ઊંચા કરી બૂમો પાડતો હતો. સુરીંદર ઝાલ્યો રહેતો નહોતો. “બસ હવે ચૂપ નહીં રહું” એમ કહ્યા કરતો હતો. જોકે, સુરીંદરને ક્યારે પણ ચૂપ કોઈએ જોયો નથી. પણ આજે તેનામાં ઉન્માદ વર્તાતો હતો. આક્રોશ હતો, ‘‘બોસ અત્યાર સુધી હું ચૂપ હતો પણ હવે ચૂપ નહીં રહું.’’

‘‘બરાબર છે, ચૂપ નહીં રહેવું જોઈએ. તને જરૃર લાગી હોય તો બોલી જ નાંખ, પણ તું ચૂપ ક્યારે હતો? તે વાત તો કર.’’

‘‘બોસ. દિલ્હીમાં ચારેક હજાર શીખ માર્યા ગયા, ત્યારે હું ચૂપ હતો, ત્યારે હું કશું જ બોલ્યો નહોતો. ગળી ખાધું હતું.’’

‘‘હા એ વાત તો ખરી.’’

‘‘બોસ. કાશ્મીરમાં પંડિતોને લૂંટી લીધા. કેટલાંય કુટુંબો બરબાદ થઈ ગયાં, પંડિતોની બહેન-દીકરીઓની લાજ લૂંટાઈ એ બધાં વરસોથી ઘર છોડીને નિરાશ્રિત હાલતમાં બેઠા છે.’’

‘‘હા’’

‘‘પણ ત્યારે હું કશું બોલ્યો હતો?’’

‘‘ના સુરીંદર ના. તું કશુંય બોલ્યો ન હતો.’’

‘‘બોસ મેં ચૂપકીદી જાળવી લીધી હતી.’’

“બોસ, કાશ્મીરી પંડિતોમાં કોઈ બે ચાર જણ નહોતા. હજારો લોકો હતા પણ હૃદય ઉપર પથ્થર મૂકી હું ચૂપ હતો.”

“બોસ ચૂપ રહેવાની કોઈ લિમિટ હોય કે નહીં?”

‘‘હોય જ ને’’

‘‘દિલ્હીની સ્ટેટ બેંકમાંથી પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલા સાઠ લાખ ઊપડી ગયા. આજના સાઠ કરોડ ગણાય, એ કેસ સાથે સંકળાયેલ તમામ સાક્ષીઓ કે આરોપીઓ પતી ગયા. ત્યારે મેં ચૂંકારો કર્યો નહોતો.’’

‘‘તારી ધીરજ, ધૈર્ય દાદને પાત્ર’’

‘‘બોસ ભોપાલ ગેસકાંડમાં તો ભોપાળું જ હતું ને તપાસમાં કશું ન થયું. અર્જુનસિંહ સારથિ બન્યા અને એન્ડરસનનો રથ હાંકી સલામત મૂકી આવ્યા. તેની પાછળ કેટલા બધા હશે.’’

‘‘હશે જ’’

‘‘પણ મેં ત્યારે કે અત્યારે એ વાત માટે કોઈ હોબાળો કર્યો નથી.’’

‘‘હા. એ વાત પણ જાણીતી છે.’’

‘‘બોસ, યાદ કરો બોફોર્સકાંડ કેટકેટલાં મોટાં માથાં તેમાં હતાં... કેટલી ગરબડો તેમાં હતી તેમ જાહેર થયેલું. “

‘‘પણ આ સુરીંદર ચૂપ રહ્યો...’’

‘‘ખબર છે.’’

‘‘બોસ લલિતનારાયણ મિશ્રા આપણા કેન્દ્રીય મંત્રી, જાહેર સમારંભમાં તેમના પગ પાસે જ બોમ્બ બ્લાસ્ટ થયો, અને પૂરી સારવાર પામ્યા વગર ગૂજરી ગયા.’’

‘‘દુઃખદ ઘટના એ હતી’’

‘‘કોઈ તપાસ એજન્ટોએ તેની પાછળનું પગેરું શોધ્યું નથી.’’

‘‘ખબર છે.’’

‘‘છતા એ બાબતે હું બિલકુલ ચૂપ હતો.’’

‘‘હા’’

‘‘પણ હવે હું ચૂપ નહીં રહું.’’

‘‘સુરીંદર, પાકિસ્તાનના લગભગ ત્રાણું હજાર સૈનિકો આપણે પકડેલા, શાંતિ કરાર થયા પછી એ પાછા સોંપ્યા...’’

‘‘સાચી વાત’’

‘‘પણ એ પાછા સોંપીએ તે પહેલાં દુશ્મનદળના સૈનિકોમાંથી કેટલાંક છટકી ગયા. કોની મદદથી એ જાહેર થયું જ નહીં. ત્યારે પણ તું ચૂપ જ હતો.’’

“હા બોસ, પણ હવે ચૂપ નહીં રહું... આ ગાંધીના ગુજરાતમાં એન્કાઉન્ટર થાય એ કેમ ચલાવાય?”

“મહારાષ્ટ્રમાં એથી વધારે એન્કાઉન્ટર થયાં છે.”

“ખબર છે બોસ પણ પેલી ધ્રુવની વાતમાં આવે છે ને માનીતી રાણીના પુત્ર હોવાના કેટલાક ફાયદા હોય કે નહીં! મહારાષ્ટ્ર માનીતી રાણીના પુત્ર સમાન છે.”

‘‘સુરીંદર એન્કાઉન્ટરમાં ઠાર થયેલો. સોહરાબુદ્દીન પાસેથી ભયંકર શસ્ત્રો મળ્યાં હતાં. એ કદાચ તારાં સગાંવહાલાંને વીંધી નાખત...’’

‘‘જે હોય તે - સોહરાબુદ્દીનની બધી મરણોત્તર ક્રિયા હવે મારે માથે છે... મેરા ભારત મહાન...’’

No comments: