Saturday, July 2, 2011

ચલા શ્રીવર્ધન અમેરિકા..

મારા બેન્કર મિત્ર શ્રીવર્ધન અમેરિકા ગયા. આમ તો યુએસએ ગયા તેમ કહેવાય પણ આપણે ત્યાં યુએસ જનારને અમેરિકા ગયા તેમ જ કહેવાય છે. કેટલાંક વરસો પહેલાં મુંબઈ રહેતા ખીમજીભાઈ ભાવનગર ગયા હોય તો સગાંવહાલાં કહે ખીમજીભાઈ દેશમાં ગયા છે, એવી પ્રથા હતી. અત્યારે અમેરિકાવાળા ગુજરાતીઓ ભારત આવે છે ત્યારે દેશમાં ગયા છે તેમ કહેવાય છે.

શ્રીવર્ધન અમેરિકા જવાની તૈયારી કરતા હતા. જરૂરી વીસા તેમની પાસે હતો. વીસા તમારી પાસે હોય તો તે કેવા નસીબની વાત છે! ગુજરાતના એક સ્ટેજ આર્ટિસ્ટને અમેરિકાનો વીસા મળ્યો ન હતો પણ તેના કૂતરાને જ મળ્યો હતો. કોઈ સત્તા કે પૈસાથી વીસા મેળવી શકાતો નથી.

જેરી લૂઈસનું એક બેહદ રમૂજી પિક્ચર કેટલાંક વરસો પહેલાં આવ્યું હતું. જેરી લૂઈસ એક અબજોપતિ વેપારી છે. એને વિશ્વયુદ્ધમાં હિટલર સામે લડવાની ચળ ઊપડે છે. પણ મિલિટરીના ડોક્ટરો તેને નાપાસ જાહેર કરે છે. જેરી હુંકાર કરે છે ત્યારે ડોક્ટરો કહે છે, ‘‘મિસ્ટર, આ એક એવી જગ્યા છે કે જ્યાં તમારા કરોડો ડોલરની મદદથી પણ એન્ટ્રી નહીં મેળવી શકો.”

યુએસ વીસાનું પણ એવું જ કંઈક છે. કોઈ ધુરંધર વ્યક્તિને વીસા ન પણ મળે અને કોઈ આલિયા માલિયાને મળી પણ જાય. શ્રીવર્ધન ધુરંધર કેટેગરીમાં તો ન આવે પણ આલિયામાલિયા કેટેગરીમાં આવે. હા, દરેક આલિયામાલિયાને પણ વીસા મળતા નથી. નસીબદાર આલિયામાલિયાને મળી જાય.

વીસા મેળવવા માટે ઝૂરતા કેટલાક લોકો જાતજાતની બાધા-આખડી રાખે છે. વગર વીસાએ લંકામાં ગયેલા શ્રી હનુમાનજીની કૃપાથી કેટલાક લોકો અમેરિકન વીસા મેળવી શકે છે. અમદાવાદમાં ખાડિયામાં આવેલા એક હનુમાનજી વીસાવાળા હનુમાજી તરીકે જાણીતા છે.

અમદાવાદથી મુંબઈ રેલવેમાં જવું હોય તો ભાડું મગન જાય કે છગન જાય એક સરખું જ હોય છે. પણ શ્રી વર્ધન કહે છે, અમદાવાદથી નેવાર્ક (યુએસ) જવાનું ભાડું એજન્ટે એજન્ટે ભિન્ન ભિન્ન હતું. કોઈ પંચાવન હજાર કહેતું હતું. કોઈ એકસઠ હજાર કહેતું હતું. ભદ્રંભદ્ર મુંબઈની મૂલ્યપત્રિકા (ટિકિટ) માટે ભાંજગડ કરતા હતા તેવું અમેરિકાની ટિકિટ માટે શક્ય છે. શશિ થરૂર જેને ઢોર કા ડિબ્બા કહેતા હતા તે ઈકોનોમી ક્લાસમાં શ્રીવર્ધન સવાર થઈ નેવાર્ક પહોંચ્યા. બેન્કની નોકરીમાં ચા ઉપર નિર્ભર રહેલા શ્રીવર્ધનને એર ઇન્ડિયામાં મળતી ચા સજાતૂલ્ય લાગી. શ્રીવર્ધન માને છે કે રેંકડી જેવી ચા નહીં. ભવિષ્યમાં તે જો પ્રફુલ્લ પટેલની જગ્યાએ ‘એવિએશન મિનિસ્ટર’ બનશે તો તે પ્રવાસીઓ માટે ખાસ રેંકડીની, લારીની, મસાલાથી ધમધમતી ચાની વ્યવસ્થા કરશે. હવે મહારાજા રેંકડીની ચા પીવે છે તેવી એર ઇન્ડિયાની જાહેરાત પણ જોવા મળશે. એર ઇન્ડિયાએ રેંકડીવાળાઓ સાથે પણ ચાનો કોન્ટ્રાક્ટ કરવા જેવો. તેનાથી કંપનીને આર્થિક ફાયદો અને પ્રવાસીઓને સંતોષ મળશે.

નેવાર્ક એટલે ન્યૂજર્સીનું એરપોર્ટ. પ્રખર પત્રકાર વાસુદેવ મહેતાના ભત્રીજા ડો. જયદેવ મહેતા કહે છે, “કોઈ પણ સમયે નેવાર્ક એરપોર્ટ ઉપર પાંચ-સાત સાડીવાળી મહિલા તો જોવા મળે જ.” શ્રીવર્ધન કહે છે, “મારું પ્લેન લેન્ડિંગ થયું ત્યારે આઠ-દસ સાડીધારી મહિલાઓ દેખાતી હતી.”

શ્રીવર્ધને અમદાવાદ એરપોર્ટની સેવાની વાત કરતા કહ્યું, “બોસ, એરપોર્ટ ઉપર બેગ લઈ જવા માટે ટ્રોલી મળતી ન હતી. પ્રવાસીઓ ટ્રોલી ગોતવા માટે દોડાદોડી કરતા હતા, પણ ટ્રોલી મળે તો મળે તેવી હાલત હતી, જ્યારે અમેરિકાના મોટા મોટા મોલમાં ઢગલાબંધ ટ્રોલીઝ દેખાતી હતી. કોઈ ગરબડ નહીં.

શ્રીવર્ધન કહે છે, “અમદાવાદીઓને કે ગુજરાતીઓને તેમનાં મનભાવન ફરસાણ આરામથી અમેરિકામાં મળે છે.” કવિ ખબરદાર આજે હોત તો જરૂર લખત ‘જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ફરસાણ.’

વાઈડ બોલ

નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ગૃહપ્રધાન ચિદમ્બરમ્ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે તેવા એક સમાચાર હતા. તે અંગે પ્રતિભાવ આપતાં ચિદમ્બરમે કહ્યું, “અમે રોજ ફોન ઉપર વાત કરીએ છીએ.” છગન કહે છે, “ઝઘડા કરનાર તો ફોન ઉપર પણ ઝઘડા કરી શકે છે.”

No comments: