Saturday, July 23, 2011

ધડાકાના પડઘા

જ્યારે કોઈ ધડાકો થાય ત્યારે તેનો પડઘો પણ પડે છે. તાજેતરમાં મુંબઈમાં થયેલા ધડાકાના પડઘા પણ પડયા છે.

પડઘા નં-૧

મધ્યપ્રદેશમાં સિંહાસન ગુમાવનાર દિગ્વિજયસિંહ જાણે છે કે તેઓની ગાદી હિંદુ સંગઠનને કારણે ગઈ છે. એટલે કોઈ પણ બાબતમાં તેમને હિંદુ સંગઠનનું ભૂત દેખાય છે. મુંબઈમાં થયેલા ધડાકામાં પોલીસ તપાસ ચાલુ છે. પોલીસની શંકા ઇન્ડિયન મુજાહિદ્દીનો તરફ છે. પણ દિગ્વિજયસિંહજીએ તુરત કહી દીધું, “આમાં મને તો હિંદુ સંગઠનોનો હાથ દેખાય છે.” આ પ્રકારનાં નિવેદનોમાં હિંદુ સંગઠનોને કોંગ્રેસનો પંજો દેખાય છે.

કોંગ્રેસનો તો નહીં પણ દિગ્વિજયસિંહજીની સદા સળવળતી જીભ જરૂર દેખાય.

પડઘા નં-૨

આપણા ભાવિ વડા પ્રધાનશ્રી આ બાબતે બાર કલાક સુધી કશું બોલ્યા નહીં. તેમનું પ્રથમ લક્ષ્ય છે માયાવતી. એટલે ત્રાસવાદ માટે તુરત પ્રતિભાવ આપી ન શક્યા. પછી બાબા, બાવાની જેમ બોલ્યા,

“બધા જ હુમલા અટકાવી ન શકાય. અમેરિકા પણ બધા હુમલા અટકાવી નથી શકતું.”

“પણ સાહેબ, અમેરિકા હજારો માઈલ દૂર જઈને પણ ત્રાસવાદીઓ પેદા કરનાર લાદેન જેવાને પણ ઠાર મારી શકે છે.” છગન દલીલ કરે છે.

“શું આપણે બધી વાતોએ અમેરિકાની નકલ કરવી? આપણી કોઈ સ્વતંત્ર નીતિ હોય કે નહીં?”

“પણ ત્રાસવાદ મિટાવવાના આપણે શપથ લીધા છે.”

“હા, આપણે ત્રાસવાદ જરૂર મિટાવીશું. પણ એ માટે આપણે ત્રાસવાદીને મિટાવવા બરાબર નથી.”

“એમ?”

“હા, ભગવાન જિસસે પણ કહ્યું છે ને,’ન મિટાવો ત્રાસવાદીને મિટાવો ત્રાસવાદને.”

“વાહ.”

“આભાર, આપણી નવી ઊભરતી યુવા નેતાગીરી આ કામ કરી બતાવશે. લાઠી ભાંગ્યા વગર સાપ પણ મારશે. ગરીબી ક્યારે હટશે અને ત્રાસવાદ ક્યારે મટશે. એની કોઈ મુદત હોય નહીં. એ માટે કોઈ ‘ડેડલાઈન’ ન અપાય. ગરીબી પણ હટશે, ત્રાસવાદ પણ મટશે.

પડઘા નં-૩

આ ધડાકાથી કેન્દ્રના પર્યટનમંત્રી કૃષ્ણકાંત સહાય નિસહાય બની ગયા છે. મુંબઈમાં ફૂટેલા બોમ્બની કરચો છેક દિલ્હી સુધી તેમને વાગી છે.

બોમ્બ ધડાકા થયા પછી ચેનલોવાળા વારંવાર દૃશ્યો બતાવે છે કે શ્રીસહાય બોમ્બ ધડાકા થયા પછી એક ફેશન શોમાં બેઠા છે. બિચારા સહાય અકળાઈને કહે છે કે, “હવે કોઈ કાર્યક્રમ નક્કી થશે ત્યારે હું અગાઉથી પૂછી રાખીશ કોઈ બોમ્બ ધડાકા થયા નથી કે થવાના નથી ને?”

સહાયની સાથે ભાજપના પણ કેટલાક ઓછા જાણીતા નેતાઓ પણ આ ફેશન શોમાં હતા. ચેનલવાળા તેઓને ચમકાવી ઓછા જાણીતા નેતાઓને વધુ જાણીતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પડઘા નં-૪

પ્રધાનમંત્રીનો પડઘો અદ્ભુત હતો. એમણે કહી દીધું, “અમે આવાં આતંકવાદનાં પગલાં નહીં ચલાવીએ અને આવા હુમલા રોકવા પ્રયત્ન કરીશું.”

કેટલાક લોકોએ સવાલ કર્યો છે કે ૨૦૦૮માં ધડાકા થયા ત્યારે મનમોહનસિંહે પડકાર કર્યો હતો કે હવે પછી જો આવા હુમલા થશે તો જવાબી કાર્યવાહી થશે. તો હવે મનમોહનસિંહ કેમ બીજી ભાષા બોલે છે? કાનૂન પ્રમાણે ૨૦૦૮માં સહી કરેલ ‘પ્રોમેસરી નોટ’ ૨૦૧૧માં રદ થઈ જાય એટલે મનમોહનસિંહજીએ ૨૦૦૮માં દેશને આપેલ પ્રોમિસ હવે ‘માન્ય’ ન ગણાય. હવે એમણે પ્રોમિસ ‘રિન્યૂ’ કરવું પડે. જે તેમણે કર્યું છે. ૨૦૧૪માં હુમલો થશે ત્યારે પણ મનમોહનસિંહ આ રીતે જ કહેશે.

પણ ત્યારે તો રાહુલજી આવી ગયા હશે ને!

ત્યારે રાહુલજી કહેશે, “અરે, હુમલાઓની ગણતરી રાખનારાઓ, મોદીના ગુજરાતમાં સોમનાથ મંદિર ઉપર સત્તરવાર હુમલા થયા હતા.”

સિંદબાદ કહે છે કે ૧૩મી જુલાઈ કસાબનો જન્મદિવસ હતો જન્મદિવની ઉજવણીમાં ધડાકા તો થાય ને!

વાઈડ બોલ

“તમે લગ્નદિનની ઉજવણી કઈ રીતે કરી?”

“અમે એ દિવસે ‘એર-ફાઈટિંગ શો’ જોયો.”

Jul 23,2011

No comments: