Saturday, July 9, 2011

પાવલી કેવળ કહાની બની ગઈ

આખરે પાવલી ગઈ કેટલીક વાર માણસ આઈસીયુમાં હોય, વેન્ટિલેટર ઉપર હોય. સત્તાવાર મૃત્યુ જાહેર ન થયું હોય, પણ આમ તો એ માણસ મરી જ ગયો હોય. પાવલીનું પણ એવું જ છે. હવે એનું સત્તાવાર મૃત્યુ જાહેર કરવામાં આવ્યું છે. વળી કેટલાંક વરસોથી પાવલી હતી, પણ જીવતી ન હતી. ચલણમાં ચાલતી ન હતી. જેમ કોઈ કુટુંબમાં ઘરના ખૂણે ખાટલામાં કણસતા વડીલ પડયા હોય તેમ જીવતા ખરા પણ ચલણમાં નહીં. અત્યારના કોઈ બાળકને પૂછશો, તો ખબર પડશે તેણે પાવલી જોઈ પણ નથી અને તેના વિશે ખબર પણ નથી. વરસોથી કોઈ શાકવાળા પાવલી સ્વીકારતા ન હતા કે ભિખારીઓ પણ ઉપહાસ કરી પાવલી પાછી આપી દેતા હતા. ફૂટપાથના એક ખૂણે સાયંકાળે એક ભિખારી બેસૂરા અવાજે ગાઈ રહ્યો હતો.

“બાબુ એક પૈસા દે દે...”

એક સજ્જને બેસૂરા અવાજ પ્રત્યેની ચીડમિશ્રિત દયાથી પ્રેરાઈને પેલાના વાડકામાં પાવલી મૂકી. બેસૂરો અવાજ થંભી ગયો અને કર્કશ અવાજે પૂછયું, “આ શું કરો છો ? આ તો પાવલી છે, એને કોણ મારો બાપ લેશે? પાવલીમાં આવે છે શું?”

એક પૈસા દે દે ગાનાર ભિખારી પચીસ પૈસા પ્રત્યે પોતાની નારાજગી પ્રગટ કરી રહ્યો હતો. એણે માગ્યા હતા તેથી પચીસ ગણા પૈસા આપવા છતાં ભિખારી નારાજ હતો. માણસ ઈશ્વર પાસે સંતાન માગે અને જો પ્રસૂતિગૃહમાંથી એને મરેલું સંતાન મળે તો? એ નારાજ થાય કે દુઃખી થઈ જાય. પાવલીનું પણ એવું જ છે. એ મરેલા સંતાનતુલ્ય જ ગણાય. એને જોવાથી કોણ રાજી થાય?

એક વખત એવો હતો કે કોંગ્રેસના સભ્ય થવા માટે પાવલી આપવી પડતી હતી. ગાંધીજી ભલે આજે કરોડો રૂપિયાની નોટો ઉપર બેસી ગયા છે, પણ તેમણે પાવલી ખર્ચી ન હતી. મતલબ કે તેઓ કોંગ્રેસના સભ્ય થયા ન હતા. જૂના સમયના માણસો કહે છે, ત્યારે અમે પચીસ પૈસામાં ચા પી શકતા હતા અથવા કોંગ્રેસમાં સભ્ય થઈ શકતા હતા. સિંદબાદ કહે છે કે, દસ રૂપિયાની લોટરીની ટિકિટ લેનાર ક્યારેક કરોડપતિ થઈ જાય છે, તેમ પાવલીમાં કોંગ્રેસની ટિકિટ લેનારાઓ કેટલાય કરોડપતિ થઈ ગયા છે. ગાંધીજી એટલે જ લોટરીને દૂષણ માનતા હતા અને કોંગ્રેસના સભ્યપદરૂપી લોટરીની ટિકિટ તેમણે લીધી ન હતી.

આપણી ભાષામાં પાવલીનો ઘણો પ્રભાવ પડયો છે. કોઈકની કક્ષા ઓછી હોય, તો કહેવામાં આવતું એનામાં પાવલી ઓછી છે. (પૂરો રૂપિયો નથી).

ક્યારેક અણધાર્યું કામ થઈ જાય કે ન કલ્પેલ વ્યક્તિ કામ કરી જાય, ત્યારે હિન્દી ભાષાવાળા કહેતા, “ચવન્ની ચલ ગઈ’ ઇશાંત શર્મા હાફ સેન્ચૂરી મારે તો કહેવાય ચવન્ની ચલ ગઈ. આજે એ ચવન્ની ચલ બસી એમ કહી શકાય.

કેટલીક ચેનલોએ પાવલીની ચોક્કસતા પણ કરી. કેટલાંક અખબારોએ શોકદર્શક સંદેશા પણ પાવલીના અવસાન ઉપર પ્રગટ કર્યા. એક વડીલે જાહેર કર્યું, અમારા સમયમાં પાવલીમાં પાંચ શેર ખાંડ મળતી હતી. તમારા સમયમાં શરદ પવાર ન હતા તેવું તેમને કહી શકાય.

પાવલી જ્યારે રૂપિયા સાથે બેસતી ત્યારે તે વજનદાર થઈ જતી. દરેક ધાર્મિક પ્રસંગે સવા રૂપિયાનું મહત્ત્વ હતું. રૂપિયા સાથે ત્યારે ચાર આની-પાવલી મુકાતી.

જ્યારે પાવલી વજનદાર હતી, ત્યારે પ્રસંગે લોકો સવા રૂપિયો ચાંલ્લાનો કરતા હતા.

હજી નજીકના ભૂતકાળની વાત છે, રેંકડી ઉપર પચીસ પૈસાની ચા મળતી, લોકો પાવલીમાં એક રકબી ચા પી શકતા.

ઠેકડી ઉડાવવા માટે પણ પાવલીનો ઉપયોગ થતો.

છગન હાંફળો ફાંફળો થઈ રહ્યો હતો. એને ખિસ્સામાં કંઈ પડી ગયું હોય તેમ લાગ્યું. ઊભા રહી આજુબાજુ ડાફોળિયાં માર્યાં. “શું પડી ગયું હશે?” તે વિચારમાં હતો, ત્યારે દૂર ઊભેલા મગને કહ્યું,

“મિત્ર તમારી પાવલી પડી ગઈ છે.”

હવે તો પાવલી કેવળ કહાની બની ગઈ છે.

વાઈડબોલ

ક્રિકેટ આમ તો બેટથી રમાય, પણ તેમાં કૌભાંડો થવા માંડયાં એટલે કહેવાય ક્રિકેટમાં રેકેટ પણ છે.

Jul 09,2011

No comments: