Monday, May 17, 2010

દહીંનો ઘોડો છૂટમૂટ

એક સ્ત્રીને તેના પતિએ કહ્યું, ‘‘હું તારા ગળા માટે સુંદર નેકલેસ લેવાનો છું.’’

સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત પણ નહીં, ખુશી પણ નહીં. એના મુખભાવ ઉપર કોઈ પરિવર્તન નહીં.

એ સ્ત્રીની નણંદે આ જોયું અને બોલી, ‘‘ભાભી, મારો ભાઈ, તમારા ગળા માટે મજાનો નેકલેસ લેવાની વાત કરે છે અને તમે કશો જ પ્રતિભાવ બતાવતા નથી! તમે રાજી નથી?’’ ત્યારે તે મહિલા બોલી, ‘‘નણંદબા, અફઝલ ગુરુના ગળામાં ફાંસીનું દોરડું આવશે તેવું વર્ષો પહેલાં કહેવાયું હતું કે નહીં?’’

‘‘હા’’

‘‘કસાબના ગળામાં ફાંસીનું દોરડું પડશે તેવી જાહેરાત થઈ, પણ તેનો અમલ ક્યારે થશે તે કહો.’’

‘‘એ તો ખબર નથી.’’

‘‘બસ એવું જ છે. તમારા ભાઈની જાહેરાત છે અમલની ખાતરી નથી. હું શું કામ રાજી થાઉં? કસાબના ગળામાં ફાંસીનું દોરડું અને મારા ગળામાં નેકલેસ જ્યારે પડે ત્યારે જ સાચું મનાય. બાકી જાહેરાતે હરખપદુડા થઈ ફટાકડા ફોડવાવાળી હું નથી!’’

+++++++

તારીખ છઠ્ઠી મે, ૨૦૧૦ના દિવસે કસાબને ફાંસીની સજાની જાહેરાત થઈ. એ જ દિવસે છગનના પુત્રની શાળાની પરીક્ષાનું પરિણામ હતું. છગનનો પુત્ર છઠ્ઠા ધોરણમાં પાસ થયો છે. હવે તે સાતમા ધોરણમાં આવશે તેમ શાળાના આચાર્યે કહ્યું. હવે જૂન માસના બીજા સપ્તાહમાં તે સાતમા ધોરણમાં જરૃર આવશે, તેના પરિણામનો અમલ થઈ ગયો હશે, તે સાતમા ધોરણમાં હશે. પણ કસાબના પરિણામનો અમલ?

અલ્લાહ જાને ક્યા હોગા આગે? મૌલા જાને ક્યા હોગા આગે? કદાચ આ ગીત એના માટે જ લખાયું હશે.

+++++++

નર્મદાના બંધ ઉપરથી ઘણા પાણી વહી ગયાં છે. સાબરમતી રિવરફ્રન્ટમાં પણ ઘણા પાણી વહી ગયાં છે.

સરકારી તિજોરીમાંથી ઘણાં નાણાં કસાબને રાખવા માટે, સાથે તાજો રાખવા માટે ખરચાઈ ચૂક્યાં છે.

સેંકડો માણસને મારનાર માટે, લાખ્ખો કરદાતા પૈસા ચૂકવી રહ્યા છે.

કસાબને ક્યારે ફાંસી થશે? એવું પુછાયું ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝના શબ્દો અભ્યાસી અનિકેતે કહ્યા, ‘‘બ્રિટિશ સરકાર પાસે મને મારી શકે તેવી બુલેટ હજી આવી નથી.’’

આતંકવાદીઓના દરિયાપાર બેઠેલા આકા હૂકો પીતાં પીતાં કહેતા હતા, ‘‘કસાબને લટકાવી શકે તેવું દોરડું હજી ભારતમાં બન્યું નથી.’’

+++++++

સિંદબાદ કહેતો હતો રાષ્ટ્રની સંસદ ઉપર હિચકારો હુમલો કરનાર અફઝલને ફાંસી હવામાં ઝૂલે છે. અફઝલ હવામાં ઝૂલવો જોઈએ એના બદલે તેની સજા હવામાં ઝૂલે છે.

સિંદબાદ એક ભાવિ દૃશ્યની કલ્પના કરે છે. અનેક કેલેન્ડર્સ દીવાલ ઉપરથી અદૃશ્ય થઈ ગયાં છે. કસાબને ફાંસી અપાઈ નથી... એવામાં એક ખરાબ સવારે સમાચાર આવ્યા. ખૂબ જ મોટા ગજાના, ખૂબ ખૂબ મોટા નેતાના પુત્રનું આતંકવાદીઓએ અપહરણ કર્યું છે. સિંદબાદ કહે છે તેમ કોઈ પણ નેતાના પુત્રનું નામ તમારી કલ્પના મુજબ લઈ શકો છો.

દેશમાં હાહાકાર થઈ ગયો. ફિલ્મી વિલનની શૈલીમાં અપહરણકારે કહ્યું, ‘‘તુમ્હારા બેટા હમારે કબજે મેં હૈ, ઉસકો છુડાને કી શર્ત હૈ.’’

‘‘કવિએ ભલે કહ્યું હોય કે પ્યારમાં શર્ત ન હોય પણ ક્રાઈમમાં શર્ત હોય છે.’’ ભારે બહસ ચાલે છે. કસાબ કરતાં એ નેતાપુત્ર કીમતી નથી? સટોડિયા પણ નેતાનો પુત્ર છૂટશે કે નહીં તેની ઉપર સટ્ટો ખેલવા માંડયા હતા. આખા દેશમાં ગરમી આવી ગઈ હતી. મીડિયાવાળા આપણા ગુપ્તચર તંત્ર ઉપર માછલાં ધોઈ રહ્યું હતું. મોટા નેતાઓએ ભૂતકાળના દાખલા આપ્યા. એક વાર ગૃહપ્રધાનની પુત્રીને બચાવવા સરકારે કેટલાક આતંકવાદીઓને છોડયા હતા. (સરકારે ચૂકવેલું દહેજ ગણાય તેવું સિંદબાદ ઉમેરે છે).

તો આંખે પાટા બાંધેલી ગાંધારીના મુલ્કમાંથી બાનને છોડવવા ખૂંખાર ત્રાસવાદીઓને છોડેલા જ છે. છેવટે નેતાપુત્રની મુક્તિની શરત પ્રમાણે અમુક કરોડ રૃપિયા સાથે કસાબને સરહદ સુધી સલામત મૂકી દેવામાં આવ્યો. નેતાપુત્ર પરત આવ્યા. દહીંનો ઘોડો છૂટમૂટ...

No comments: