Sunday, September 25, 2011

મેરી જૂતી સે

માયાવતીજીએ પગનાં જૂતાંનું સન્માન કર્યું છે. ધન્યવાદ માયાવતીજી, પગનાં જૂતાંને આપે આપેલું સન્માન આપના દિલની વિશાળતા બતાવે છે. પગની જૂતીનું સન્માન રામાયણકાળની પ્રણાલિકા રહી છે. શ્રીરામના નારા લગાવનાર ભાજપને માયાવતીજીની ટીકા કરવાનું શોભતું નથી!!
હિંદીનો જાણીતો રૂઢિપ્રયોગ છે ‘મેરી જૂતી સે...’ અંગ્રેજીમાં ‘હુ કેરસ’ (મને કંઈ પડી નથી)ના મતલબમાં વપરાય છે. ગુજરાતમાં આને માટે ‘ખાસડે મારી....’ જેવો પ્રયોગ છે.
આ બધામાં જૂતાંની તૌહીન સંભળાય છે. ત્યારે નીચલા વર્ગને ઊંચે લાવવાની જેમને લગની છે તે માયાવતીજીએ જૂતાંને ઊંચો દરજ્જો આપ્યો છે એ જાણી તમામ સામાન્ય લોકોને આનંદ થશે. જૂતાંચોરોને પણ પોતે એક ઉમદા ધંધામાં પડયા છે તેનો આનંદ થશે.
ગાંધીજી ઇચ્છતા હતા કે છેલ્લા માણસ સુધી પહોંચવું જોઇએ. માયાવતીજીએ જૂતાં સુધી પહોંચવાની તેમની તમન્ના પ્રગટ કરી છે.
આપ સૌને ખબર જ હશે કે સુશ્રી માયાવતીએ મુંબઈથી તેમના જૂતાં લાવવા માટે ખાસ જેટ વિમાન મોકલેલું. માયાવતીએ એક જોડી જૂતાંને મુંબઈથી લાવવા માટે લાખ્ખો રૂપિયા ખર્ચી કાઢયા તેની કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. પણ ઢાલની બીજી બાજુ એ લોકો જોતાં નથી. પગની જૂતીને માથાના મુગટ જેટલું મહત્ત્વ આપ્યું છે!
પહેલાંના વખતમાં માથા ઉપરના છત્રનું સન્માન થતું. માયાવતીજીએ પગનાં જૂતાંનું સન્માન કર્યું છે. ધન્યવાદ માયાવતીજી, પગનાં જૂતાંને આપે આપેલું સન્માન આપના દિલની વિશાળતા બતાવે છે. નીચે રહેલા વર્ગ પ્રત્યે તમારી સહાનભૂતિ છે તે પ્રગટ કરે છે. ભાજપના નેતા ભલે કહેતા હોય કે આ દસ લાખ રૂપિયાનો ધુમાડો છે. આ તેમની દૃષ્ટિનો અભાવ બતાવે છે. પ્રાચીનકાળમાં રઘુકુળના ભરતજીએ પગની જૂતીનું એટલે કે રામજીની ચાખડીઓનું સન્માન કર્યું હતું. તમારો કિસ્સો ભાઈ ભરત કરતાં પણ જરા ઓછો નથી. પગની જૂતીનું સન્માન રામાયણકાળની પ્રણાલિકા રહી છે. શ્રીરામના નારા લગાવનાર ભાજપને માયાવતીજીની ટીકા કરવાનું શોભતું નથી.
હાલમાં જૂતાં અને નેતાઓનો સંબંધ વધુ પ્રકાશમાં આવ્યો છે. પ્રેસિડેન્ટ બુશ ઉપર ઇરાકમાં જૂતાં ફેંકાયાં ત્યારે ખબર પડી જૂતાંની કિંમત. માયાવતીનાં જૂતાં માટે દસ લાખ ખર્ચાયા જ્યારે બુશ ઉપર ફેંકાયેલાં જૂતાંએ ફેંકનારને કરોડો રૂપિયા રળી આપેલા. જોડાંની કિંમત કરોડો સાબિત થઈ છે ત્યારે માયાવતીજીના દસ લાખ રૂપરડીના ખર્ચ માટે કકળાટ કરનારે સમજવું જોઈએ કે તેઓ ક્ષુલ્લક બાબતે કકળાટ કરી રહ્યા છે.
અમદાવાદની ગરદીવાળી બસમાં અથડાતા, ગામડે જતા એસટીમાં લટકતાં લટકતાં જતાં છગનલાલ જ્યારે માયાવતીજીની જૂતીને શાનદાર હવાઈ સફરની વાત જાણે છે ત્યારે ભગવાનને વિનંતી કરે છે, ‘અગલે જનમ મૂઝે (માયાવતીજીની) જૂતિયાં હી કીજીયો...’
અગાઉ છાપામાં સમાચાર હતા કે તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાને તમે ‘જૂતાં ક્વીન’ કહી શકો, એમની પાસે ૭૦૦ જોડી જૂતાં હતાં. જેમાં વિરોધીઓએ તેમની ઉપર ફેંકેલાં જોડાંની ગણતરી કરવામાં નથી આવી. હવે માયાવતીજીએ એમના એક જૂતાને હવાઇસફર કરાવી પોતાની સુપ્રીમ કક્ષા સાબિત કરી છે. જયલલિતાજીનાં ૭૦૦ જોડાં સામે એમના એક જોડાનું સન્માન વધી ગયું છે. ‘સો સુનાર કી, એક લુહાર કી’ એ કહેવત યથાર્થ કરી છે.
માયાવતીજીએ એમના સ્ટેચ્યુ બનાવવા પાછળ પણ લાખો વાપર્યા છે. ગોવિંદાની શૈલીમાં આ અંગે સિંદબાદ કહે છે
‘તેરી જૂતી ભી કોસ્ટલી,
તેરી સ્ટેચ્યુ ભી કોસ્ટલી,
તૂ હે કોસ્ટલી - કોસ્ટલી- કોસ્ટલી,
તૂ હે કોસ્ટલી સીએમ ઇન્ડિયા કી.’
વાઇડ બોલ
આતંકવાદીઓનું દિલ્હી બોમ્બ બ્લાસ્ટનું કાર્ય કાયરતાપૂર્ણ છે એમ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું છે.
સિંદબાદ કહે છે, ‘વડાપ્રધાનશ્રીનું આ નિવેદન શૂરવીરતા પૂર્ણ છે!’

No comments: