Monday, September 5, 2011

ફિલ્મ પાછળની બબાલ

કેટલાક વખત પહેલાં ‘થ્રી ઇડિયટ્સ’ નામની ફિલ્મ આવી હતી. ફિલ્મના ત્રણ નાયક કલાકારો ઇડિયટ્સ છે. જેણે કરોડો રૂપિયા નિર્માતાને કમાવી આપ્યા છે. ફિલ્મથી નાખુશ કેટલાક લોકો માને છે કે પ્રેક્ષકોને ઇડિયટ બનાવી હિરાણી કંપનીએ કરોડો રૂપિયા બનાવ્યા છે.

દેશ માટે અનાજ પકવતા ખેડૂતો અને ભાવિ ભારતના ઘડવૈયા વિદ્યાર્થીઓ અવારનવાર આપઘાત કરતાં હોય છે એ સિસ્ટમની કરુણતા છે. એમાંથી શિક્ષણની કરુણતાની વાત ફિલ્મવાળાઓએ કરી. ત્રણ મિત્રો, વિદ્યાર્થીઓએ ફરી મળવાનો વાયદો પાંચ સપ્ટેમ્બરે તો કરે છે. ત્રણ વિદ્યાર્થીઓ મળવાની તારીખ નક્કી કરે છે તે આપણો શિક્ષણદિન ગણાય છે.

શિક્ષણ જગતમાં કોઈ પ્રોફેસર કોઈ વિદ્યાર્થીના પ્રેમમાં પડે એવા કિસ્સા બને છે. આમાં અવળીગંગા થાય છે. એક પ્રોફેસરની પુત્રી ઇડિયટ વિદ્યાર્થીના પ્રેમમાં પડે છે.

આપણાં પુરાણમાં પણ આવી એક કથા છે. આચાર્યની પુત્રી, એ સમયની ભાષામાં ગુરુની પુત્રી, ગુરુના શિષ્યના પ્રેમમાં પડે છે. કચ-દેવયાનીના નામે આ કિસ્સો જગમશહૂર છે. આચાર્ય શુક્રાચાર્યનાં પુત્રી દેવયાની પિતા શુક્રાચાર્યના શિષ્ય કચના પ્રેમમાં પડે છે પણ રણછોડલાલ ચાંચડ એટલે કે આમિર ખાનની કરામતોનો લાભ દેવયાનીને મળ્યો ન હતો એટલે તે કચને પામી શકી ન હતી. અમેરિકન ભારતીય લેખક ચેતન ભગતનો દાવો હતો કે એમની એક વાર્તાને આધારે આ ઇડિયટોએ ‘થ્રી ઇડિયટ’ બનાવી છે. મને ક્રેડિટ પણ આપી નથી.

ફિલ્મોમાં તો આવું ચાલતું જ હોય છે. (ધીરે ધીરે હું મારી વાત ઉપર આવીશ) ફિલ્મ ‘મોગલે આઝમ’ રજૂ થઈ ત્યારે નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે દાવો કર્યો હતો કે ફિલ્મનું મશહૂર ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...’ એમનું રચેલું ગીત છે. કે.આસિફે એમની સાથે કરેલી આ છેતરપિંડી છે.

‘થ્રી ઇડિયટ’ના લેખક અભિજાત જોષીએ ચેતન ભગતના આક્ષેપ અંગે કહ્યું કે કુલ ૧૭૦ પાનાંની ફિલ્મની વાર્તા છે. તેમાંથી ૧૬૦ પાનાં સાથે ચેતન ભગતની વાર્તા સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ પણ નથી.એટલે કે ફિલ્મની વાર્તાને ત્રાણું (૯૩%) ટકામાં ચેતનની વાર્તાનો કોઈ પડછાયો નથી. તેમ છતાં અમે ચેતન ભગતને ‘થ્રી ઇડિયટ્સ’ માટે ક્રેડિટ તેમજ ‘કેશ’ બંને આપ્યા છે.

છગને ફિલ્મના એક દૃશ્યની વાત કરી. “બોસ, ‘થ્રી ઇડિયટ્સ’માં છેલ્લે થોડી ભાગમ્ભાગ પછી કરીના કપૂર અને આમિર ખાન મળે છે. ત્યારે આમિર ખાન- કરીના એકબીજાને દીર્ઘ ચુંબન કરે છે આમ કેમ?”

“કેમ?”

“બોસ, કરીના કપૂર આમ તો સૈફ અલીની મંગેતર છે. આપણી ફિલ્મોમાં આવાં દૃશ્યો ખાસ આવતાં નથી તો સૈફ અલીએ વાંધો નહીં લીધો હોય?”

સિંદબાદને ભીતરની વાત ખબર હતી એ કહે... “સૈફ અલીએ વાંધો લીધો નહોતો પણ શરત કરી હતી કે આ ચુંબન દૃશ્યમાં આમિર ખાનના ડુપ્લિકેટનો ઉપયોગ કરવો અને તે ડુપ્લિકેટ તરીકે મારો ઉપયોગ કરવો, એટલે જે ચુંબન દૃશ્ય છે તેમાં આમિર ખાન નહીં પણ સૈફ અલી જ છે. ‘થ્રી ઇડિયટ’ની વાર્તામાં માંડ સાત- આઠ ટકા પોતાની વાર્તાનો ઉપયોગ થયો હતો તેમાં ચેતને હંગામો કર્યો હતો.

આ લેખકની એક વાર્તા ‘જહાંગીરનો ઘંટ’માંથી એક આઈડિયાનો કેતન મહેતાએ ‘ભવની ભવાઈ’માં ઉપયોગ કર્યો હતો. અમારી એ વાર્તા લગભગ ત્રીસ વર્ષ પૂર્વે મુંબઈ દૂરદર્શન ઉપરથી નાટય રૂપાંતર રૂપે રજૂ થઈ હતી. જેમાં કાંતિ મડિયાએ અભિનય અને દિગ્દર્શન કર્યું હતું.

જહાંગીર ભેળસેળ રોકવા ઘંટ બંધાવે છે ત્યારે ફરિયાદ કરવા આવેલ ફરિયાદી ઉપર જ ભેળસેળને કારણે ઘંટ તૂટી પડે છે અને તે રામશરણ થઈ જાય છે. કેતન મહેતાએ આ ઘટના ‘ભવની ભવાઈ’માં રજૂ કરી છે. અમને ખબર નહીં નહીંતર અમે પણ ચેતન ભગતની જેમ હોબાળો કરત. અમારી પણ ચર્ચા તો થાત જ. સિંદબાદ આ જાણી કહે છે, “બોસ તમે ફોર્થ ઇડિયટ છો.”

વાઈડ બોલ

ઇંગ્લેન્ડની વિકેટ જબરી છે. ઇંગ્લેન્ડનો દાવ હોય ત્યારે બેટ્સમેનની ફેવર કરે છે, આપણો દાવ હોય ત્યારે બોલરની ફેવર કરે છે!!

No comments: