Friday, November 19, 2010

આદર્શ વિદાય...

અશોક ચવ્હાણને આખરે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી. હાઈ કમાન્ડે એમને રૂખસદ આપી દીધી. જાણકારો બોલ્યા કે યે તો હોના હી થા.

ઓબામા પરત જાય તેની જ રાહ જોવાતી હતી. ઓબામા ગયા અને ‘અશોક ચવ્હાણ’ના હાથમાંથી ગીત શરૂ થયું ‘જાને સે ઉનસે જાતી બહાર...’ ઓબામા ગયા અને અશોકજીના જીવનની બહાર લેતા ગયા. અશોક અત્યારે શોકગ્રસ્ત છે. આમ તો રિવાજ પ્રમાણે જ થયું છે. આપણામાં રિવાજ છે કે મહેમાનોની હાજરીમાં બાળકોને વઢવામાં નથી આવતું. મહેમાન જાય પછી મારઝૂડ પણ થાય. અશોક ચવ્હાણ એ પ્રથાના કારણે ઓબામા હતા ત્યાં સુધી ટકી રહ્યા. હજી તો ઓબામાનું પ્લેન ટેક-ઓફ કર્યું કે સોનિયાજીએ શાર્પ-શૂટરની અદાથી અશોક ચવ્હાણને વીંધી નાખ્યા.

કોઈ રસીકડાઓ શોક પણ નથી કરવાના. બધા નવા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની ભક્તિમાં લાગી જશે. ઐતિહાસિક પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાને પામ્યા હતા. આ પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્ત સરકારને પામશે.

આ બનાવની થોડીક છાનબીન કરીએ. અશોક ચવ્હાણનો ગુન્હો શું હતો? ભાઈશ્રી અશોકે તેમની સાસુ, સાળીને બધાને ફ્લેટ ફાળવી દીધા હતા. જરા વિચારો શું આ ખોટી બાબત છે? આપણે સૌ આપણી સાસુમા કે સાળી માટે અછો વાના કરીએ છીએ. સાસુ કે સાળીને સિનેમાની ટિકિટ લાવી આપનાર ઘણા હોય છે. જ્યારે મુખ્યમંત્રીને તેમના હોદ્દાને અનુરૂપ, વધુ ગૌરવપૂર્ણ વ્યવહાર કર્યો એમાં ખોટું શું કર્યું? એવા માણસો પણ આ પૃથ્વી ઉપર છે કે જેઓ સાસુ પાસેથી કંઈક ને કંઈક પડાવવાની વાત કરતા હોય છે. છગન તેની સાસુ પાસેથી ફ્રીઝ, કાર, ઘરઘંટી એવી પરચૂરણ વસ્તુઓ લેવા માટે પેતરાં કરતો હોય છે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જુઓ. કેટલા મહાન? એમણે સાસુ પાસેથી કાર, બંગલો, કશું માગ્યું નહીં. બલ્કે ‘અવળી ગંગા’ કરી બતાવી સામેથી આપવાની વાત કરી. મારી પત્ની પૂછે છે કે મુખ્યમંત્રીની સાસુએ આવો જમાઈ મેળવવા કયું વ્રત રાખ્યું હશે?

મને એમ હતું કે સાસુ-સાળીઓ પ્રત્યે ઉદાર રહેનાર મુખ્યમંત્રી માટે કવિઓ બિરદાવલિ રચશે. મહિલા સંસ્થાઓ સ્ત્રીસન્માનની ભાવના ઉત્કટ રીતે પ્રગટ કરવા માટે અશોક ચવ્હાણનો સત્કાર સમારંભ ગોઠવશે. ઉપરથી તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. આ સરાસર નાઈન્સાફી છે. તેમાં પણ સોનિયાજી જેવા મહિલા સર્વોચ્ચ નેતા હોય અને ત્યારે આવું બને એ ઘણું ખરાબ થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું શરૂઆતથી જ અપમાન થયું હતું. યાદ છે? અમેરિકન અધિકારીઓએ અશોક ચવ્હાણ પાસે તેમના ઓળખપત્ર માગ્યાં હતાં. મુખ્યમંત્રી સમસમી ગયા હતા.

પછી અમેરિકન અધિકારીઓને ખબર પડી કે ‘યે ક્યા કર બેઠે બાપલા?’ થાનેદારના સાળા નહીં પણ ખુદ થાનેદાર હતા. માફામાફી થઈ પતી ગયું. સિંદબાદ સવાલ કરે છે. કોઈના ઓળખપત્રથી કોઈની ઓળખાણ મળે ખરી? બહુ બહુ તો એનું નામ, સરનામું મળે, બસ એટલે. ઓળખાણથી ઓળખાણ ન મળે એ માટે વ્યક્તિની કુંડળી જોવી પડે જે સોનિયાજીએ અશોક ચવ્હાણની કુંડળી જોઈ ફળાદેશ કરી દીધું...

ગૂગલી

કોઈએ તમારું કરેલું નાનું કામ ભૂલો નહીં,

અને તેની નાની ભૂલોને યાદ ન કરો.

No comments: